સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/સમર્પણનો આનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તમને જીવન તરફ અને મનુષ્યો તરફ ઘૃણા થઈ આવી હોય, એટલે તમારે યોગ કરવાનો નથી. મુશ્કેલીઓમાંથી નાસી છૂટવાને માટે તમારે અહીં આવવાનું નથી. પ્રેમની મધુરતા માણવાને ખાતર પણ અહીં આવવાનું નથી. કેમ કે પ્રભુનો પ્રેમ તો, તમે સાચું વલણ ધારણ કરશો તો, તમને ગમે તે સ્થળે મળી શકે તેમ છે. પ્રભુની સેવામાં પોતાની જાતને પૂર્ણપણે આપી દેવાનું મન તમને જ્યારે થાય, પ્રભુના કાર્યને ખાતર પોતાની જાતનું સમર્પણ કરી દેવાની ઇચ્છા થાય, એમાં ફક્ત પોતાની જાતને આપવાનો આનંદ જ રહેલો હોય, એના બદલામાં બીજી કોઈ વસ્તુની માગણી ન હોય, માત્ર એટલું જ કે તમને સમર્પણ કરવાની શક્યતા મળે — આ સ્થિતિ હોય તો સમજવું કે માણસ અહીં આવવાને માટે તૈયાર છે.