સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંતબાલ/ત્રણ ગુણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા એ ત્રણે ગુણો જીવનવ્યવહારમાં ખૂબ ઉપયોગી છે. નિયમિતતા એટલે જે કાળે જે નક્કી કર્યું હોય તે કામ કરવું. જો એ જ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીશું તો પછી એ ટેવરૂપ બની જશે, પણ બાંધછોડ કરીશું તો કોઈ કામ વ્યવસ્થિત નહિ થઈ શકે. આવો જ બીજો ગુણ વ્યવસ્થિતતાનો છે. કોઈ પણ ઠેકાણે વ્યવસ્થાની ખામી હોય તો રુચિકર લાગતું નથી. શબ્દોની રચના પણ વ્યવસ્થિત ન હોય, તો એ શબ્દો ગમતા નથી. જ્યાં જે ચીજ હોવી જોઈએ ત્યાં તે ન હોય, તેનું નામ અવ્યવસ્થા. જ્યાં જે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય ત્યાં તે કરવો, તેનું નામ વ્યવસ્થા. ત્રીજી વાત ઉપયોગિતાની છે. જરૂર પૂરતું જ લેવું અથવા જરૂરિયાતનો ઘટાડો કરવો તેનું નામ ઉપયોગિતા. ઉપયોગ એ આત્માનો ગુણ છે અને સ્થૂળ ઉપભોગ એ નાશવંત શરીરનો ગુણ છે. માણસ જો સાચો ઉપયોગ રાખતાં શીખે તો કેટલાંય અનિષ્ટોમાંથી તે જાતે બચી જાય, પાપ ઘટી જાય. [‘વિશ્વવાત્સલ્ય’ માસિક]