સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સલિલ દલાલ/એહસાન મેરે દિલ પે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાતના સાડા દસની આસપાસનો સમય છે, અગાસીમાં સૂતો છું. પવનની હલકી લહેરખી વહે છે અને ઓશીકે મૂકેલા રેડિયોમાંથી મૂકેશના દર્દીલા કંઠે ગીત શરૂ થાય છે : ઝૂમતી ચલી હવા, યાદ આ ગયા કોઈ… અને કવિ શૈલેન્દ્રના આ શબ્દો હૃદયમાં પ્રવેશતા જાય છે, તેમ તેમ અનાયાસ જ આંખનો ખૂણો ભીંજાવો શરૂ થઈ જાય છે. આ સ્વાનુભવ એક કરતાં વધુ વખતનો છે, એક કરતાં વધુ ફિલ્મી ગીતો માટેનો છે. એવા દરેક પ્રસંગે એક જ વિચાર આવ્યો છે, “આ ફિલ્મી ગીતો ના હોત તો શું થાત?” કયા કયા પ્રસંગનાં ગીત ફિલ્મોએ આપ્યાં છે? ખુશી થાય તો ગીત, દુઃખી થઈએ તો ગીત, મળીએ તો ગીત, વિખૂટા પડતાં પણ ગીત, રિસાવાનું ગીત તો મનાવવાનુંય ગીત, યુ્દ્ધનું ગાન અને દોસ્તીનાં ગાયન. વિચાર કરું છું એમ એ સવાલ થાય છે, આ ફિલ્મી ગીતો ના હોત તો શું થાત? આ પુસ્તક એવા સવાલના ઉત્તરમાં પ્રગટતી આભારની લાગણીનું ગ્રંથસ્વરૂપ છે. ફિલ્મી ગીતોના અગણિત ઉપકારોને હૃદયપૂર્વક સલામ કરવાનો અહીં ઉપક્રમ છે. જ્યારે સિનેમાગૃહમાં પ્રવેશવાની ટિકિટનો સૌથી સસ્તો દર પાંચ આના (આજના ૩૧ પૈસા) હતો, ત્યારે થિયેટરની બહાર એ ફિલ્મનાં ગીતોની ચોપડી એક આનામાં મળતી. તેનો પણ મોટો બિઝનેસ હતો. ઠેરઠેર ફૂટપાથો ઉપર આ ચોપડીઓ વેચાતી મળતી. ફિલ્મ જોઈ લીધા પછી શા માટે કોઈ તેનાં ગીતોની ચોપડી ખરીદે? તેમાં સંગીત નહોતું કે નહોતો ગાનારનો અવાજ. હતા તો માત્ર શબ્દો! શબ્દની એ તાકાતને વંદન કરવાનો અને કવિતાના એ કદરદાનોને સલામ કરવાનો ઓચ્છવ છે, ‘ગાતા રહે મેરા દિલ’! આપણા દેશનું એ સદ્ભાગ્ય હતું કે દેશ આઝાદ થયો એ પછી તરતના દોરમાં ફિલ્મી કવિઓ રાષ્ટ્રના માનસને ઘડતા હતા. ગુલામીમાંથી મુક્ત થયેલા દેશને નવેસરથી ઘડવાના રાષ્ટ્રીય પડકારને અનુરૂપ કવિતા એ સંક્રાંતિકાળમાં રચાઈ. ભાગલા પછી લોહીનીંગળતા રાષ્ટ્રની પ્રજાને કોમ કોમ વચ્ચેનાં વેર ભુલાવવામાં, નવા પ્રભાત તરફ આગેકૂચ કરવાનાં ગાન ગવડાવવામાં આ કવિઓએ પોતપોતાની સર્જનશક્તિ વાપરી બતાવી. કવિના શબ્દો રાષ્ટ્રના માનસને શી અસર કરી શકે તેનો એક જ દાખલો. પ્રદીપજીનું અમર ગીત “અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની”-આ ગીતની રચના ૧૯૬૨ના યુદ્ધ પછી થઈ હતી. ચીન સાથેની એ લડાઈમાં આપણે પરાજય ભોગવવો પડ્યો હતો. દેશ આખો હતાશામાં હતો. એવા વાતાવરણમાં કવિ પ્રદીપજીએ આ ગીતની રચના કરી. ધ્વજવંદન નિમિત્તે લતાજીએ સી. રામચંદ્રના સંગીત નિર્દેશનમાં તે ગાયું અને વડા પ્રધાન જવાહરલાલ નેહરુ જાહેરમાં રડ્યા! પછી તો આખા દેશે આંસુ વહાવ્યાં. એ અશ્રુધારામાં વહી ગઈ દેશની હતાશા.-જબ અંત સમય આયા, તો કહતે હૈં કે હમ ચલતે હૈં, ખુશ રહના દેશ કે પ્યારો અબ હમ તો સફર કરતે હૈં-લશ્કર પ્રત્યેનું માન-સન્માન પાછું એ જ બુલંદીઓ ઉપર પહોંચાડવામાં પ્રદીપજીના આ શબ્દોએ જે ફાળો આપ્યો છે, તેનું ઋણ પ્રત્યેક ભારતીયના આંસુમાં અકબંધ છે. પ્રગતિશીલ લેખકોની ચળવળના સૌએ આઝાદીપ્રાપ્તિના દિવસોમાં એવું નક્કી કર્યું કે સર્જકો સ્વતંત્ર ભારતના સમાજઘડતરમાં ફાળો આપવા પોતાની કૃતિઓ સિનેમા જેવા લોકભોગ્ય સશક્ત માધ્યમમાં આપે. પરિણામે સાહિત્યિક મૂલ્યવાળી કેટલીય રચનાઓ ફિલ્મનાં ગીતોમાં મળી. ફિલ્મનાં ગીતોનું લેખન એક વિશિષ્ટ કળા માગી લે છે. કવિને કેટલીક મર્યાદાઓમાં સર્જન કરવાનું હોય છે. મોટે ભાગે તૈયાર ધૂન ઉપર લખવાનું હોય, એટલે છંદ પોતાની અનુકૂળતા મુજબના હોય નહીં. વાર્તા, પાત્ર, તેનું બૅકગ્રાઉન્ડ, ગીતનાં લોકેશન, પ્રસંગ વગેરે પણ ધ્યાનમાં રાખવાનાં. એ ગીતો સાંભળવા રેડિયો સિલોન, વિવિધ ભારતી, ઓલ ઇન્ડિયા રેડિયો ઉર્દૂ સવિર્સ, આપણા આકાશવાણીના ‘જયભારતી’ કે ‘વીસરાતા સૂર’ જેવા કાર્યક્રમો સાંભળવા હું સતત પ્રયત્નશીલ રહેતો. વડોદરામાં લહેરીપુરામાં આવેલી ‘રીગલ’ અને ‘મહારાણી શાંતાદેવી ટોકીઝ’ની બહાર આવેલી બોમ્બે રેસ્ટોરાંમાં ‘જ્યુક બોક્સ’માંથી વાગતાં ફરમાઈશી ગાયનો સાંભળવા હોટલની બહાર ઊભા રહી વૅઇટરોની તિરસ્કારભરી નજરો મારા જેવા કેટલાય કિશોર ગીતરસિકોએ એ દિવસોમાં વેઠી હશે. વડોદરાની જ ‘મોહન’ અને ‘સાગર’ ટોકીઝના પ્રેક્ષકોએ બહાર નીકળવાના બારણા આગળ બેસીને ગાયનો સાંભળવાની કંમિત શું ચૂકવવાની? એ થિયેટરના લાલાની ગાળો ખાવાની! [‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તક : ૨૦૦૫]