સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/ઊભરાતી કરુણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯૩૧ની કરાંચીની કોંગ્રેસથી પાછો ફરી મુંબઈ આવ્યો ને અણધારી રીતે ડો. વ્રજલાલ મેઘાણીને ત્યાં રહેવાનું બન્યું. તે વખતે તેઓ જકરિયા મસ્જિદની આસપાસ રહેતા. ઘેર તે પોતે ને તેમના નાનાભાઈ પ્રભુદાસ એ બે હતા. તેમના ઘરનો એકાંતવાસ મને વાચન-ચિંતનમાં અનુકૂળ હતો તેથી જ હું ત્યાં રહેલો. ડોક્ટરના દિવસોનો મોટો ભાગ તેમની ફરજ તેમજ તેમને ચાહનાર પરિચિત દર્દીઓનો ઇલાજ કરવા વગેરેમાં પસાર થતો. દિવસમાં બહુ થોડો વખત અમે બંને ક્યારેક સાથે બેસવા પામતા; પણ રાતના જરૂર બેસતા. હું તેમને તેમના અનુભવોની વાત પૂછતો ને કદી નહિ સાંભળેલ એવી દુ:ખી દુનિયાની વાતો તેમને મોઢેથી સાંભળતો. આમ તો ડોક્ટર સાવ ઓછાબોલા, પણ હું તેમને ચૂપ રહેવા દેતો નહિ. શરૂઆતમાં મેં એટલું જ જાણ્યું કે ડોક્ટર મેઘાણીનો ગરીબ, દલિત અને દુ:ખી માનવતાનો અનુભવ જેટલો સાચો છે તેટલો જ તે ઊડો પણ છે. ધીરે ધીરે મને માલૂમ પડેલું કે તેમણે તો ‘જાગૃતિ’ પત્ર દ્વારા આ વિષે ખૂબ લખેલું પણ છે. થોડા જ વખતમાં હું એ પણ જાણવા પામ્યો કે, ડોક્ટરનો મનોવ્યાપાર માત્ર કચડાયેલ માનવતાના થરોનો અનુભવ કરવામાં કે તેને લખી કાઢવામાં વિરામ નથી પામતો; પણ તેઓ એ દુ:ખ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ ધરાવે છે કે તેને ઓછું કરવામાં પોતાથી બનતું બધું કરી છૂટવા તેઓ મથે છે. વેશ્યાના લત્તાઓમાં કે અતિ ગરીબ મજૂરોની ઝૂંપડીઓમાં તેઓ પોતાની ફરજને અંગે જતા, પણ તે માત્ર ઉપરઉપરનો રસ ન લેતાં તેની સ્થિતિનાં ઊડાં કારણો તપાસતા. તેમણે મને વેશ્યાજીવનની આસપાસ વીંટળાયેલ અનેકવિધ ગૂંગળામણો વિષે એવા અનુભવો સંભળાવેલા કે જે સાંભળીને હું ઠરી જતો. કેટકેટલી નાની ઉંમરની છોકરીઓ એ જાળમાં ફસાય છે, કેવડા નાના અને ગંદા મકાનમાં તે જીવન ગાળે છે, પાઉંરોટી ને ચા ઉપર મોટેભાગે તે કેવી રીતે નભે છે, કેટલી નિર્લજ્જતાથી, અનિચ્છાએ પણ તેમને રહેવું પડે છે અને ત્યારપછી આ ગંદકીમાંથી નીકળવા ઘણીખરી બહેનો કેટલી ઝંખના કરે છે અને છતાંય કોઈ રસ્તો મેળવી શકતી નથી અને તેમનો હાથ પકડનાર કોઈ વિશ્વાસી મળતું નથી—એ બધું જ્યારે ડોક્ટર કહેતા ત્યારે એમની કરુણા આંસુરૂપે ઊભરાતી. ડોક્ટરને પોતાની ફરજને અંગે વ્યાપારીઓની દુકાને સીધા-સામાનમાં કાંઈ સેળભેળ છે કે નહિ તેની પરીક્ષા પણ કરવી પડતી. તેમણે એક વાર એવી પરીક્ષાને પરિણામે જે સેળભેળનાં અનિષ્ટ તત્ત્વો જોયેલાં તે મને કહ્યાં ત્યારે હું નવાઈ પામ્યો કે આવી જીવલેણ સેળભેળ ચાલવા છતાં પ્રજા જીવે છે કેવી રીતે? સ્ત્રીઓનાં દુ:ખ પ્રત્યેની ઊડી સંવેદનાએ તેમને વિધવાઓના ઉદ્ધારની દિશામાં પ્રેર્યા હતા. હું એમને ત્યાં હતો તે દરમ્યાન જ તેમણે અતિ સંકડામણમાં આવેલ બેત્રણ બાળવિધવાઓને સંમાનભેર જીવન ગાળતી કરી હતી. એ બાળવિધવાઓ જૈન હતી ને તેમની ધન તેમજ શીલ-સંપત્તિ તેમનાં નિકટનાં સગાંઓએ જોખમમાં મૂકી તેમને રખડતી કરી હતી. એ બાળવિધવાઓને માટે મરણ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો હોય તેમ લાગતું નહિ, તે વખતે ડો. મેઘાણીએ તેમને ઠેકાણે પાડી. આ વસ્તુ જાણી ત્યારે ડો. મેઘાણી પ્રત્યે હું વધારે આકર્ષાયો. ૧૯૩૩ના ઉનાળામાં અજમેર મુકામે સ્થાનકવાસી સાધુ સંમેલન હતું. તે વખતે તેમણે ત્યાં શિક્ષણસંમેલન પણ યોજેલું. હું પણ શિક્ષણસંમેલન નિમિત્તે ગયેલો. અજમેરમાં સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ બસો ઉપરાંત મળ્યાં હશે. લાખ ઉપરાંત સ્થાનકવાસીઓની ઠઠ ત્યાં જામેલી. સ્થાનકવાસી પરંપરાના પ્રતિષ્ઠિત, વયોવૃદ્ધ ને વિદ્વાન કેટલાંક પૂજ્યો ને મુનિઓ હતાં. સૌમાં પૂજ્ય જવાહરલાલજીનું સ્થાન ઊચું ગણાતું. તેમના અનુયાયીઓ ઘણા અને સમૃદ્ધ, છતાં એ પૂજ્ય જવાહરલાલજી સામે ડો. મેઘાણીને બળવો કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. પૂજ્ય જવાહરલાલજી ને મુનિ ચૌથમલજી બંને એક જ પરંપરાના, ને એમ છતાં બંને વચ્ચે હિંદુ-મુસલમાન જેટલું અંતર ને કડવાશ. આ અંતર ન સંધાય તો અન્નપાણી ન લેવાં એવા સંકલ્પથી મુનિ મિશ્રીલાલજીએ ઉપવાસ આદરેલા. લોકોમાં ક્ષોભ જાગેલો. પૂજ્ય જવાહરલાલજી કેમે કરી નમતું આપે નહિ. ઉપવાસ કરનાર મરે તો તે જાણે, પણ તેઓ તો કોઈપણ રીતે ચૌથમલજી સાથે માંડવાળ કરવા તૈયાર ન હતા. તેમના અનેક અનુયાયીઓએ તેમને સમજાવ્યા, પણ બધું હવામાં. આખા સ્થાનકવાસી સમાજમાં આગેવાન ને મોભાદાર ગણાતા એ પૂજ્યજી સામે ડોક્ટર મેઘાણીએ ઉગ્ર વલણ લીધું, તે જોઈ ત્યાં હાજર રહેનાર કોઈને પણ તેમના પ્રત્યે સન્માન થયા વગર રહે તેમ ન હતું. મનમાં કોઈપણ ભય સેવ્યા સિવાય તેમણે પૂજ્ય જવાહરલાલજીને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે “તમે પોતાના તરફથી માંડવાળ કરવા માટે નમતું આપવા તૈયાર ન હો, તો અમે શ્રાવકો તમને બધા સાધુઓને આ જ મકાનમાં પૂરીશું ને બારણાં બંધ કરીશું. જ્યાં લગી તમે અંદરોઅંદર ફેંસલો નહિ કરો ત્યાં લગી અમે તમને બહાર આવવા દેવાના નથી.” બહુ વિરલ ગૃહસ્થો કે શ્રાવકો એવા હોય છે કે, જેઓ અણીને પ્રસંગે કોઈ સાધુને સામોસામ આટલી નિર્ભયતાથી સંભળાવી શકે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]