સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/“બાપજી, જરા થોભજો!”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તોલ્સતોયની એક કથા છે: ત્રણ ગમાર જેવા માણસોને આસપાસના ગ્રામજનો સંત માને છે, એ જાણી વડા ધર્મગુરુને ક્રોધ આવે છે. એ નૌકામાં બેસી, આ ત્રણ જ્યાં રહેતા હતા એ ટાપુ પર જાય છે. પેલા ત્રણ તો ધર્મગુરુનાં ચરણોમાં પડીને કહે છે: “અમારાં ધન્યભાગ્ય, આવા ગુરુ અમારે આંગણે આવ્યા.” ધર્મગુરુ એમને પૂછે છે: “તમે તમારી જાતને સંત કેમ કહેવડાવો છો?” ત્રણે કહે છે, “બાપજી, અમે તો ગમાર છીએ.” ધર્મગુરુ પૂછે છે: “તમે કઈ પ્રાર્થના કરો છો?” .ત્રણે સંકોચમાં પડી જાય છે. એમાંનો એક હિંમત કરીને કહે છે: “બાપજી, અમે તો કાંઈ ભણ્યા નથી. અમે તો હાથ જોડીને એટલું કહીએ છીએ કે, હે ભગવાન, અમારું ત્રણેનું ભલું કરજો.” ધર્મગુરુ ગુસ્સે થઈને કહે છે: “આવી વાહિયાત પ્રાર્થના તે કરાતી હશે?” અને એ ‘બાઇબલ’માંથી મોટી પ્રાર્થના એમને શીખવે છે. ચાર-છ વખત બોલીને ત્રણેય એ પ્રાર્થના ગોખી કાઢે છે. લેભાગુ સંતોને રસ્તો બતાવ્યો, એમ માની ધર્મગુરુ પોતાની નૌકામાં પાછા ફરતા હોય છે, ત્યાં બૂમ સંભળાય છે: “બાપજી, જરા થોભજો!” ધર્મગુરુ જુએ છે તો પેલા ત્રણે માણસો દરિયાના પાણી પર સડસડાટ ચાલતા આવી રહ્યા છે. નૌકા પર ચડી, ગુરુને પ્રણામ કરીને ત્રણે બોલ્યા: “બાપજી, પેલી પ્રાર્થના અમે ભૂલી ગયા. હજી એક વાર શીખવાડશો?” ધર્મગુરુને એ સંતોની કોટીનો ખ્યાલ આવે છે. ત્રણેના પગે પડીને એ કહે છે: “તમે કરતા હતા એ જ સાચી પ્રાર્થના છે.”