સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



Sarasvatichandra Laghu-Front.jpg


‘સરસ્વતીચંદ્ર’ : બૃહદ્ સંક્ષેપ

ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતી સમાજજીવન માટે, ગુજરાતી સંસ્કૃતિ માટે અને ગુજરાતના રાજ-કાજ માટે ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલ હરહંમેશ ગરવો ગ્રંથમણિ રહ્યો છે. ચૌદ વર્ષ, ચાર ભાગ, લગભગ અઢારસો પૃષ્ઠ અને ચાર-ચાર પેઢીના પ્રશ્નોને આલેખતી આ નવલકથા આજે સવાસો વર્ષ પછી પણ વાચકને અને વિવેચકને એક સરખી રીતે આકર્ષે છે. ઈ.સ. ૧૮૮૭ થી ૧૯૦૦ સુધીના ચૌદ વર્ષના ગાળે કટકે કટકે આ નવલકથા પ્રસિદ્ધ થઇ ત્યારે ગુજરાતી ગદ્ય હજુ પૂરેપૂરું વિકસ્યું ન હતું. ઉપરાંત એ સમયનો આપણો પ્રાચીન સાંસ્કૃતિક વારસો, વર્તમાન પરિસ્થિતિ અને પશ્ચિમી સમાજ, આ ત્રિવેણીમાંથી સાચી અને જરૂરી ભારતીયતાની ખોજ, એ જ ‘સરસ્વતીચંદ્ર’નો મુખ્ય ઉદ્દેશ ગોવર્ધનરામે રાખ્યો હતો. પશ્ચિમનું જે કાંઇ છે તે સારું જ, એવો એક વર્ગ અને પૂર્વનું – આપણું છે તે ઉત્તમ, એવું માનનારો વર્ગ, આ બંને વચ્ચે સમન્વયકારી અભિગમથી સાચી જીવનદ્રષ્ટિનું ચિંતન આપવાની નેમ અહીં ગોવર્ધનરામે દાખવી છે. કુધારો અને સુધારો વચ્ચેની લડાઇભૂમિએથી સંગમયુગના થઇને એમણે આ વલણ ‘સરસ્વતીચંદ્ર’ થકી આપણને સમજાવ્યું છે. આવી પ્રલંબ, ઊંડી અને નવી વિચારમજલને, અનેક પ્રસંગો, ઘટનાઓ, મોટી સંખ્યાની પાત્રસૃષ્ટિ, સમકાલીન જીવનની છાયાઓ..... આ બધું એકી કોઠે, એકી બેઠકે મનમાં ઉતારવું, એ તો કોઇ અધિકારી વાચકને પણ કાઠું પડે, તો સામાન્યજનનું તો ગજુ જ શું? આથી જ આપણે ત્યાં રામાયણ-મહાભારત- કાદંબરી વગેરેના સંક્ષેપરૂપો કરવાની, કથારૂપના સંક્ષિપ્તો કરવાની જાણીતી પ્રથા છે. ‘સરસ્વતીચંદ્ર’નું આ પ્રકારે સંક્ષિપ્ત કથાસ્વરૂપ આપવાનો પ્રયત્ન તેમનાં જ ભાણેજ પ્રો. ઉપેન્દ્ર પંડ્યાએ છેક ૧૯૫૧માં કર્યો હતો. એ પછી તો આ સંક્ષિપ્ત સ્વરૂપ એટલું લોકપ્રિય થયું કે તેની સાત-સાત આવૃત્તિઓ થઇ. વળી, એ ગાળે આ લઘુસંક્ષેપ કરતાં થોડી વધારે જીજ્ઞાસા ભાવકોએ દર્શાવી, એટલે ૧૯૬૦માં ઉપેન્દ્રભાઇએ તેનો બીજો એક, થોડો મોટો, નામે બૃહદ્ સંક્ષેપ પ્રસિદ્ધ કર્યો. આ રીતે મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ના બે સંક્ષેપો, લઘુસંક્ષેપ અને બૃહદ્ સંક્ષેપ આપણને પ્રાપ્ત થયાં છે. લઘુસંક્ષેપમાં સંક્ષેપકારે ચારેય ભાગની કથાને કુલ ૩૪ પ્રકરણોમાં રજૂ કરી છે. જ્યારે બૃહદ્ સંક્ષેપમાં ચારેય ભાગને ૪૭ પ્રકરણોમાં વહેંચ્યા છે. પરંતુ નવાઇની અને આનંદની વાત એ છે કે કોઇ નવો-સવો વાચક પણ જો આ બંને સંક્ષેપોમાંથી પસાર થાય, તો ય એને આખેઆખી કથાનું હાર્દ નિઃશેષરૂપે મળી રહે છે. અહીં, ડિજિટલ રૂપે રજૂ કરેલો બૃહદ્ સંક્ષેપ આજના ભાવકને મૂળ કથા સુધી પહોંચવામાં અવશ્ય મદદ કરશે. તેમાંય હા હાર્ડકોર કથાનો સોફટ અવતાર તો રોકેટગતિએ તેનો વાચક વર્ગ વધારી આપશે. પેલી એક સંજીવની માટે આખેઆખો પર્વત ઊંચકીને આવતાં હનુમાન કુદકા જેવું ભગીરથ કાર્ય એકત્ર ફાઉન્ડેશનનું ઇ-જગત છે. અનેક ગ્રંથો, સામયિકો અને દુર્લભ સાહિત્યને ઑનલાઇન મુકી આપીને ગુજરાતી સાહિત્યની જે અનન્ય સેવા થઇ રહી છે, તે બેનમૂન છે. ‘સરસ્વતીચંદ્ર’ના બૃહદ્ સંક્ષેપનો આ સોફ્ટ અવતાર એની યશકલગીમાં વધુ એક ઉમેરો છે. આ રીતે આપણાં ગૃહ,કુટુંબ,ધર્મ અને રાજ્યના સારાંનરસાં પાસાંઓને વર્ણવતી આ મહાનવલ વાંચનારને તેનું જોઇતું આપી રહે, કાંઇ ને કાંઇ વિચારભાથુ બાંધી આપે, અને એ રીતે વાચક ગોવર્ધનરામના સમન્વયવાદી જીવનદર્શનને સમજીને કૃતકૃત્ય બને, મુક્ત બને, તો ઘણું ! - હસિત મહેતા




Govardhan-M-Tripathi.jpg


વિશ્વ સાહિત્યનો ઉંબર : સરસ્વતીચંદ્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એટલે ગુજરાતી સાહિત્યમાં પંડિતયુગના આર્ષદ્રષ્ટા મહર્ષિ. તેમનું ક્ષરજીવન બાવન વર્ષનું અને અક્ષરજીવન છેંતાળીસનું. માતા શિવકાશીને છ વર્ષની કુમળી વયે મુંબઇથી એક પત્રમાં ચોપાઇ છંદની કવિતા લખી મોકલી, ત્યાંથી શરૂ થયેલી એમની સર્જનયાત્રા જીવનના છેક છેલ્લાં તબક્કા સુધી ચાલી હતી. પોતાના આ છેંતાલીસ વર્ષના સાક્ષરજીવનમાં તેમણે ‘સંસ્કૃતિપુરાણ’ ગણાયેલી ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ચાર ભાગ, ઈ.સ. ૧૮૮૭ થી ૧૯૦૧ સુધીના ચૌદ વર્ષમાં, લગભગ અઢારસો પૃષ્ઠોમાં આપ્યાં. આ મહાનવલ માટે કહેવાયું કે “સરસ્વતીચંદ્ર” લખાઇ ત્યારે ગુજરાતી સાહિત્યે વિશ્વ સાહિત્યના ઉંબરે પગ મૂકેલો. ગોવર્ધનરામને પંડિતયુગના “સાક્ષરનાયક”, “સાક્ષરશિરોમણી”, “જગતસાક્ષર”, “ઋષિ”, “મહર્ષિ”, “આર્ષદ્રષ્ટા”, જેવા અગણિત માન-વિશેષણો મળ્યાં છે. જો કે સાહિત્ય કળા ઉપરાંત સમાજ અને સંસ્કૃતિ માટે તેમને અનન્ય લગની હતી. તેમણે ગુજરાતી પ્રજામાં રાષ્ટ્રિય ચેતના સંકોરવાના, સામાજિક જાગૃતિ ફેલાવવાના અને પ્રજાકીય અસ્મિતાનું તેજ પ્રગટાવવાના યુગપ્રવર્તક કાર્યનો પાયો નાખ્યો હતો. જેમ ૧૯૦૮માં પ્રૌઢ-યુવાન ગાંધીજીએ એકી બેઠકે ‘હિંદસ્વરાજ’ લખ્યું, તેમ એ પૂર્વે ૧૮૮૭ થી ૧૯૦૧ સુધી યુવાન-પ્રૌઢ ગોવર્ધનરામે એકી બેઠકે ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલ લખી. વળી એથીયે પૂર્વે ૧૮૫૧ થી ૧૮૮૫ સુધી તરલ-યુવાન નર્મદે (નર્મદાશંકર લાલશંકર દવે,૧૮૩૩-૧૮૮૬) હાર્યા થાક્યા વગર ગુજરાતીના ઉષઃકાળના ગદ્યની આરાધના કરી. આ સર્જકોને આવું કરવાની આંતરિક તાકીદ એકસરખી હતી. મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯-૧૯૪૮) લેખનમાં જમણો હાથ થાકે ત્યારે ડાબે હાથે ને ડાબો થાકે ત્યારે ફરી જમણે લખતા. ગોવર્ધનરામે જીવનના ૪૬ વર્ષ શરીરે અને પૈસેટકે ઘસાઇ જઇને લખ્યું, તો નર્મદે નોકરી છોડીને સરસ્વતીને ખોળે માથું મૂકયું. આ ગાંધી-ગોવર્ધન-નર્મદની એ આંતરિક જરૂરિયાત શી હતી ? શું તેઓ પોતાના સમાજ,ધર્મ અને સંસ્કૃતિના મરણની બિહામણી ચાલ જોઇ ચૂક્યા હતા ? શું તેમણે કોઇક નવપ્રભાત માટેનો પુરુષાર્થ સ્વીકાર્યો હતો ? કે પછી એ યુગના મહાન-તાત્વિક પ્રશ્નો ઉકેલવા માટે તેમની આ ફનાગીરી હતી ? ‘હિંદ સ્વરાજ’ હોય કે ‘સરસ્વતીચંદ્ર’ હોય કે ‘નર્મદગદ્ય’ના નિબંધો,એ માત્ર ગાંધી-ગોવર્ધન-નર્મદના સર્જનો જ નથી, પણ આવા તાત્વિક પ્રશ્નોની ચર્ચા અને ઉકેલોનું દિશાસૂચન કરતા તત્કાલીન દસ્તાવેજો છે. ગોવર્ધનરામને માત્ર સાહિત્યકાર થવું, અને તેમાંય માત્ર નવલકથાકાર થવું પરવડે તેમ ન હતું. ઊંડી જીવનસમીક્ષા અને ભવ્ય તત્વમીમાંસા કરતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’માં તેમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-ઇતિહાસ-ચિંતનમાંથી અગણિત અવતરણો ટાંકી-ટાંકીને, પરિચિત અને અપરિચિત એવી બધી જ પરંપરાઓ, કથાવાર્તાઓ, પુરાકથાઓ વગેરેનો વિનિયોગ કરી-કરીને, એ બધું કંટાળાજનક બનશે, બોઝીલ બનશે, કળાના ધોરણોને ચાતરી જશે, એવો ભય રાખ્યાં વગર, નવલકથા ક્ષેત્રે અત્યંત જોખમી અને સાહસિક માર્ગ સ્વીકાર્યો છે. તત્કાલીન જીવનના વેધક પ્રશ્નોને સાદી અને જીવંત ઘટનાઓના રૂપમાં રજૂ કરીને કથારસ નિમિત્તે તેનો પ્રત્યક્ષ ને સહજ બોધ થવા દેવો, અને એ રીતે જીવનના મૂળભૂત પ્રશ્નોમાં રસ ઉત્પન્ન કરવો, એવી લક્ષ્ય-દ્રષ્ટિ તેમણે ‘સરસ્વતીચંદ્ર’માં દાખવી છે. આ નવલકથાના ચાર ભાગમાં ચાર કુટુંબોની ચાર પેઢીઓનો કથાવિસ્તાર છે. એટલું જ નહીં, એના કેટલાંક પાત્રો સ્વપ્ન દ્વારા ભારતના ભવ્ય ભૂતકાળમાં જઇને ભાવિનો નકશો આંકે છે. પહેલા ભાગમાં બુદ્ધિધનના કારભારનું ચિત્ર આપ્યું છે. બીજા ભાગમાં ગુણસુંદરીનું કુટુંબજાળ ઓલેખ્યું છે. ત્રીજા ભાગમાં રત્નનગરીના રાજ્યતંત્રનો ચિતાર છે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય આલેખીને પૂર્ણાહૂતિ કરી છે. આ રીતે અનુક્રમે સમાજચિત્ર, કુટુંબચિત્ર, રાજ્યતંત્ર અને ધર્મકારણના વેધક પ્રશ્નોને સામર્થ્યપૂર્વક ચર્ચ્યા છે. કથામાં જે સાદો ઘટનાક્રમ છે, જે રૈખિક સમય છે, તે તો એના લેખનથી ઘણો આગળનો છે. મલ્લરાજના પાત્ર સાથે સાંકળેલી ઘટનાઓ લગભગ હિંદુસ્તાનના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામના સમયની છે. એ મલ્લરાજના પુત્ર મણિરાજ-કમળાની અહીં બીજી પેઢી છે. વળી મણિરાજના માર્ગદર્શક તે વિદ્યાચતુર. વિદ્યાચતુરના પત્ની ગુણસુંદરી અંગ્રેજી ભણેલાં છે, અને પોતાની કોઠાસૂઝથી તથા સંસ્કારગરિમાથી આખુ કુટુંબ ઉગારે છે. એ બંને આ નવલકથામાં ત્રીજી પેઢી છે, અને નવલકથાના નાયક-નાયિકા, સરસ્વતીચંદ્ર અને કુમુદ વળી એક જુદી, ચોથી જ પેઢી ગણોને. આવી ચાર-ચાર પેઢીઓ, અગણિત પાત્રો, પ્રસંગો, ઉપકથાઓનો પ્રાચીન સાંસ્કૃતિક વારસો, વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન પશ્ચિમ, અને એ બધાના સંગમમાં સાચી ભારતીયતાની ખોજ, એ જ ‘સરસ્વતીચંદ્ર’નો વ્યાસ અને ત્રિજ્યા. ગોવર્ધનરામમાં જે કથાકાર છે તેની પાછળ ફાટફાટ થતો એક ફિલસૂફ પણ છે, જે કથાના પ્રસંગોમાં, ઘટનાઓમાં,પાત્રોમાં વારેવારે ઉભરાઇ આવે છે. જેણે કથાના કળાતત્વને અવરોધ્યું તો છે, પણ માનવજીવનની ચિરંજીવ અને પ્રસ્તુત જરૂરિયાતને મોટું પોષણ આપ્યું છે. આ કારણે, આજે પણ ગુજરાતમાં ‘સરસ્વતીચંદ્ર’ જેટલી વંચાય છે તેટલી જ વિવેચાય છે. તેને માટે ‘આકારગ્રંથ’, ‘પુરાણ’, ‘મહાકાવ્ય’, ‘સંસ્કૃતિકથા’, ‘યુગકાવ્ય’, ‘મહાનવલ’, ‘ગૌરવગ્રંથ’ જેવા પ્રશિષ્ટ વિશેષણો નોંધાયા છે. ગોવર્ધનરામનું સાક્ષરજીવન મુખ્યત્રવે ત્રણ ખણ્ડમાં વહેંચાયેલું છે. વાંચન, લેખન અને ભાષણ. જો કે આ ત્રણેય ખણ્ડમાં તેમનું સર્જન એકસરખું નથી. આમ છતાં ત્રણેયની નિરીક્ષાથી આપણે તેમના સર્જક વ્યક્તિત્વની સાથોસાથ પ્રગટતા પેલા વિચારકને પણ પામી શકીશું, અને જોઇ શકીશું કે તેમના સાક્ષરજીવન અને આધ્યાત્મજીવનના સીમાડા સતત સરકતા રહીને, એકમેકમાં કેવાક ભળી જાય છે. ‘કવિતા, કાવ્ય અને કવિ – એ વિષયે મિતાક્ષર’ નામના એક નિબંધમાં તેઓ કહે છે કે ‘રામાયણ’, ‘મહાભારત’ જેવા ગ્રંથોમાં આપણે માત્ર ‘રસ’ કે ‘કળા’ નહીં, પરંતુ ઉચ્ચોચ્ચ આત્માને શોધવાનો છે. આ રીતે મહાન સર્જનો માત્ર રસતત્ત્વને નહીં, પરંતુ ઉચ્ચતત્વને અંકે કરે છે. આવી દ્રષ્ટિ માત્ર સિદ્ધાંતરૂપે જ નહીં, પરંતુ વાસ્તવમાં પણ તેઓ અપનાવતા હતા. જીવનના છેલ્લાં દિવસોમાં ખબર પૂછવા આવેલા નડીઆદના સાક્ષર શ્રી દોલતરામ પંડ્યાએ તેમને પૂછ્યું કે ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાન કૃતિથી તમને સંતોષ તો છે ને ? ત્યારે ગોવર્ધનરામે પ્રત્યુત્તર વાળેલો કે આપણી ભાષામાં જો ‘સરસ્વતીચંદ્ર’ મહાન સર્જન બની રહેશે, તો મારા જેવો બીજો કોઇ દુઃખી નહીં હોય. કારણ કે મને તો મારી કૃતિના પરિશીલનથી, એને ય ચઢી જાય તેવું મહાન સર્જન જન્મે એવી અભિલાષા છે. જો ‘સરસ્વતીચંદ્ર’ જ મહાન બની રહે, તો તેનો સાદો અર્થ એટલો જ થયો કે તે બીજી કોઇ ઉચ્ચોચ્ચ સર્જનની પ્રેરણા પૂરી પાડી શકે તેમ નથી. ગોવર્ધનરામની આ દ્રષ્ટિ, આ દર્શન જ તેમના વિચારક તરીકેના પિંડને સર્જક કરતાં એક ડગલું આગળ મૂકી દે છે. ‘સરસ્વતીચંદ્ર’માંથી ગોવર્ધનરામ પહેલી દ્રષ્ટિએ આપણી આગળ સર્જક રૂપે પ્રગટ થાય છે, પણ પછી વિસ્તરે છે વિચારક રૂપે. એમાંથી પસાર થઇએ ત્યારે લાગે કે ગોવર્ધનરામમાં આ બંને વ્યક્તિત્વ જાણે સ્પર્ધામાં ઊતર્યા છે. સર્જક ગોવર્ધનરામ જીવંત અને નાજુક ક્ષણોને આલેખે છે, તો વિચારક ગોવર્ધનરામ પ્રવૃત્તિવાદ અને નિવૃત્તિવાદ સંબંધી આચાર વિચારનું અવનવું દિગ્દર્શન આપે છે. સદાચાર અને કર્તવ્યનિષ્ઠાનાં મૂલ્યોનો તેઓ આગ્રહ રાખે છે. ફિલસૂફી અને જિવાતા જીવન વચ્ચે સંનિધિ રચવાનો ગોવર્ધનરામનો બુદ્ધિવાદ નહીં, પરંતુ બુદ્ધિયોગ આજના વિચારકોને પણ સ્પર્શી જાય તેવો છે. તેમનું આ જીવનદર્શન તેમનાં જાણીતાં સર્જનોમાંથી, ખાસ કરીને ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્ક્રેપબુક્સ’માંથી ઉપસે છે. આપણાં પ્રથમ હરોળના ઊર્મિકવિ ન્હાનાલાલ ‘જગત કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન’માં લખે છે કે ‘યુરોપનું ઇલિયડ, ઇરાનનું શાહનામું, ભારતવર્ષનાં મહાભારત, રામાયણ અને ભાગવત, મારે મન આ જગતનાં પંચમહાકાવ્યો છે.’ આ સહુને તેઓ ‘રસહિમાદ્રીનાં પંચપરમ જગત શિખરો’ અથવા તો ‘રસસાગરો’ કહીને ઓળખાવે છે. આગળ જતાં નોંધે છે કે ‘એ પંચમહાકાવ્યોનું દર્શન કરવાનું, વન્દી રહેવાનું, કાચલીઓ ભરી પીવાય એટલાં એમના રસામૃત પીવાનું, આપણે કાજે તો સૌભાગ્યનિર્માણ જ છે...(અને) એ મહાકાવ્યોનો ‘સરસ્વતીચંદ્ર’ અર્વાચીન ગદ્યાવતાર છે.’ ન્હાનાલાલની આ મીમાંસા અનેક પ્રશ્નો ઉભા કરે છે. ‘સરસ્વતીચંદ્ર’ને મહાકાવ્યના અર્વાચીન ગદ્યાવતાર તરીકે વાંચવા-અર્થઘટન કરવાના સાધનો કયા? એની રીત શી? એને એક કુળકથા લેખે તપાસવાનાં માપદંડો કયા? ન્હાનાલાલે ‘સરસ્વતીચંદ્ર’ને જોવા માટે જે સાધનો કે માપદંડો ખપમાં લીધાં છે, તેને સમજવા માટે તેઓ ‘દર્શન કરવાનું’ અને ‘વન્દી રહેવાનું’ જેવા જે બે ક્રિયાપદો મુકે છે, એ બહુ સૂચક છે. પ્રાચીન ગ્રીક ‘એપિક’ કાવ્યપ્રકાર, ઇરાની ‘શાહનામા’માં મળતો ‘કથનનામા’ પ્રકાર અને રામાયણ- મહાભારત આદિનો ‘મહાકાવ્ય’ પ્રકાર, આ ત્રણ (એપિક/નામા/મહાકાવ્ય) ભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં ન્હાનાલાલ ‘સરસ્વતીચંદ્ર’ને અર્વાચીન ગદ્યાવતાર તરીકે પ્રસ્થાપે છે, અને તેને ‘વન્દી’ રહેવાની, (ધારીએ કે વાંચન) કે પછી તેના ‘દર્શન’ કરવાની (ધારીએ કે અર્થઘટન) હિમાયત કરે છે. છતાં પણ જો પેલો મૂળગામી પ્રશ્ન ઉભો રહે કે ગોવર્ધનરામમાં આપણે એક યુગાવતાર ‘સર્જક’ યા ‘ચિંતક’ને, ‘આર્ષદ્રષ્ટ્રા’ કે ‘ઋષિ’, ‘મહર્ષિ’ને શોધવાના કયા માર્ગે? તો તેનો એક જ રસ્તો, ન્હાનાલાલ બતાવે છે તે, ‘દર્શન’ અને ‘વંદન’. અર્થાત્ ગોવર્ધન સાહિત્યનો સંદર્ભિત અભ્યાસ અને અર્થઘટન. એના બધા જ સંદર્ભોને, સર્જનોને, જોડાજોડ રાખીને કરવાનો થતો અભ્યાસ, અર્થાત્ ગોવર્ધનરામના ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ સર્જનો, ખાસ કરીને ‘સરસ્વતીચંદ્ર’, ‘સ્ક્રેપબુક્સ’, ‘સાક્ષરજીવન’વગેરેમાંથી આપણે ઝીણી નજરે પસાર થવું પડે. સંસ્થાનવાદી અંગ્રેજ શાસકો અને ભારતીય પ્રજા વચ્ચેના સંબંધનું જાણે કે આખેઆખું ભાષ્ય રચનાર હતા ગોવર્ધનરામ. તેથી જ સ્તો તેઓ બંકિમચંદ્ર, વિવેકાનંદ, દાદાભાઇ નવરોજી, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિંદ, મણિલાલ નભુભાઇ દ્રિવેદી, શ્રીમન્ નૃસિંહાચાર્ય, ટિળક મહારાજ જેવાં કેટકેટલાં વિચારકોના સમર્થ પુરોગામી તરીકે, 19મી સદીના એક અવનવા વિચારક તરીકે, પોતાના સમયથી ઘણું આગળ અને આગવું જોનાર દ્રષ્ટા તરીકે એકી અવાજે પોંખાયા છે. આપણે તેના સમર્થન માટે છેક ૧૯૦૧માં લખાયેલાં ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનો, એટલે કે આ આખી મહાનવલનો અંત વાંચીએ.... ‘જુદા-જુદા ખંડમાં મેવામીઠાઇ, હરિકથા, કીર્તન,ધૂપ, અત્તર, ‘સેન્ટ’, ગાનતાન અને અનેક જાતના વિનોદમાં રાત્રિનો દોઢ પ્રહર વીત્યો ને ધીમેધીમે સર્વ વેરાયાં, સ્ત્રીમંડળનો મોટો ભાગ કથામાં હતો તે પૂરી થતાં સુધી સમુદ્રભણીની બારીઓ ઉઘાડી મૂકી સર્વથી ઉપલા માળના એક ખંડમાં આરામાસન ઉપર પડ્યો પડ્યો સરસ્વતીચંદ્ર બારીમાંથી આવતી સમુદ્રના પવનની લહેરોથી નિદ્રાવશ થયો. નિંદ્રામાં તેને પાંચ મિનિટ સ્વપ્ન થયું તેમાં તે સુન્દરગિરિ ઉપર એક પલંગ ઉપર બેસી સામી ઊભેલી કુસુમને કહેતો હતોઃ ‘કુસુમ ! આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂએ છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન્ન, અને આ વસ્ત્ર શાં ?’ આ તો ‘સરસ્વતીચંદ્ર’ને આવેલું એક સ્વપ્ન છે, આમ તો આ આખી વાત કાલ્પનિક છે, છતાં એ કલ્પનાને તે સમયના વાસ્તવનો આધાર છે. હજુ મહાત્મા ગાંધીનો ભારતીય મંચ ઉપર પ્રવેશ થયો નથી. હજુ ‘હિંદસ્વરાજ’ લખાવાને વર્ષોની વાર છે, હજુ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ માનીને ગાંધીજીએ દરિદ્રદેશના લોકોને સમજવા ભારતભ્રમણ કર્યું નથી, હજુ ભારતીયોની દરિદ્રતા જોઇને તેમણે ફાળિયું ત્યજીને પોતડી પહેરી નથી, એના ઘણાં વર્ષો પહેલાં ગોવર્ધનરામનો સરસ્વતીચંદ્ર આવીને બોલે કે “આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂએ છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન અને આ વસ્ત્ર શાં ?’ ત્યારે સમજાય છે કે તેઓ ભારતીય પ્રજાના આત્માની ઓળખ કરવા સતત મથતા રહ્યાં છે. કથાનાયક સરસ્વતીચંદ્રના સાંકેતિક સ્વપ્ન આગળ આ કથા તો પૂરી થાય છે, પણ એ પછી ગાંધીજીના હિંદ-આગમનથી માંડીને ગાંધીહત્યા સુધીની આખેઆખી બે પેઢીને ‘સરસ્વતીચંદ્ર’એ કલ્પેલી કલ્યાણગ્રામની આ યોજના, એટલે કે ખુદ ગોવર્ધનરામના મનોરાજ્યની આશા અને એ પછીના સમયમાં ગાંધીજીએ વર્ણવેલી રામરાજ્યની તલાશ રહી છે. ગોવર્ધનરામ ઉપર સ્નેહ, માન અને પૂજ્યબુદ્ધિથી જોનાર કેટલાક અંગ્રેજી, દક્ષિણી અને હિન્દી ભાવકોએ એમના અંગ્રેજી લેખો ઉપર મોહ પામીને એ લેખોમાં કેવળ ગુજરાતના જ પ્રશ્નો નહિ, પણ સકલ હિન્દના રાષ્ટ્રિય મહાપ્રશ્નોનું ચિંતન જોયું અને એમને ઘણીવાર ઠપકાથી કહેતા કે, ‘ત્રિપાઠી, ‘સરસ્વતીચંદ્ર’ જેવી તમારી મોટામાં મોટી કૃતિ ગુજરાતીમાં લખવાનું તમને શું સૂઝ્યું ? તમે જો એ અંગ્રેજીમાં લખી હોત તો આખા હિન્દુસ્તાનના શિક્ષિતવર્ગને તે સુલભ થાત, વળી અંગ્રેજો પણ તે વાંચત અને તમારા વિચારોથી તે બધાને કેટલો લાભ થાત!’ એક સારા પ્રતિષ્ઠિત બંગાળી ગૃહસ્થે તો એક પત્રમાં ગોવર્ધનરામ ઉપર નીચેનું વિખ્યાત વાક્ય ઉતારીને મોકલ્યું. “You have given to a party what was meant for mankind” (જે આખી મનુષ્યજાત માટે સર્જાયેલું હતું તે તમે નાનકડા વિભાગને જ આપ્યું.) (‘શ્રીયુત ગોવર્ધનરામ’,પૃ. ૨૫૦) ગોવર્ધનરામને, ભારતનાં રાજકાજને, અંગ્રેજરાજ અને દેશી રજવાડાઓની પોતાની માયાજાળને, તે બંને વચ્ચેની અટપટી રમતોને, એ સમયના કુટુંબજીવનને, ચેતનહીન સમાજને, પ્રવૃત્તિમય સંન્યાસની કર્મગતિને, ગુજરાતી ગદ્યની ઉભી થતી ચિંતનાત્મક ફોરમને........ આ બધાને જાણવા-સમજવા અને મૂલવવા માટે મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’નું વિશાળ પટલ આજે પણ એટલું જ પ્રસ્તુત અને પ્રમાણસરનું છે. એટલુંક સમજવા માટેના વિદ્યાતપની યજ્ઞકુંડી છે આ ‘સરસ્વતીચંદ્ર’, તેમાં માંહી પડશે એ જ આવું મહામૂલું વિદ્યાસુખ પામી શકશે. - હસિત મહેતા




સરસ્વતીચંદ્ર



(સંક્ષિપ્ત કથાસ્વરૂપ)





લેખક  સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


સંક્ષેપકાર  ઉપેન્દ્ર છગનલાલ પંડ્યા





એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
૧૬૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૨





સરસ્વતીચંદ્ર (સંક્ષિપ્ત કથાસ્વરૂપ)
© ઉપેન્દ્ર પંડ્યા
આવૃત્તિઃ પ્રથમ ૧૯૫૧

દ્વિતીય ૧૯૫૩, તૃતીય ૧૯૮૩, ચતુર્થ ૧૯૮૯, પાંચમી ૧૯૯૭


આવરણઃ શ્રી વિનોદ પીઠડીઆ
મૂલ્ય રૂ. ૧૧૦

ફોટોટાઈપસેટિંગ  કોમ્પ્યુસર્વ, ગુજરાતી સોસાયટી,

વિલેપારલે (ઈસ્ટ), મુંબઈ–૪૦૦ ૦૫૭.

ટેલિ  ૬૧૭ ૪૫૮૧/૮ર/૮૮

મુદ્રક
રાકેશ કે. દેસાઈ ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, 
અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન  ર૦૫૭૮

પ્રકાશક

અરવિન્દ સ. પંડ્યા

એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.

૧૬૪, શામળદાસ ગાંધી માર્ગ,
 મુંબઈ-૪૦૦ ૦૦૨




સંક્ષેપકારનું નિવેદન

રામાયણ, મહાભારત, કાદંબરીના સંક્ષેપ આપણે ત્યાં થયા છે. જગતની શ્રેષ્ઠ અતિકાય કે મહાકાય કૃતિઓના સંક્ષેપ દેશદેશમાં થાય છે; તે મુજબ લગભગ ૧૮૦૦ (ક્રાઉન કદ, ર૦૦૦ ઉપરાંત) પાનાંની મહાકાય નવલકથા ‘સરસ્વતીચંદ્રનો સંક્ષેપ થાય, તો બે ભાગ પછી હવે ઉપેક્ષિત બનતી આ મહાનવલ જનતા માટે વધુ ઉપભોગ્ય બને, સંસ્કારી વાચક આ નાનકડા સંક્ષેપ પરથી મૂળને વિસારે ન પાડતાં એ મહાનવલ વાંચવા કદાચ વધુ પ્રેરાય; આવી માન્યતાથી પ્રેરાઈને ‘સરસ્વતીચંદ્ર’ની મૂળ કથા-સરસ્વતીચંદ્ર-કુમુદવાળું કથાવસ્તુ જ – સ્વ. ગોવર્ધનરામની અનુપમ સૌન્દર્યસર્જક શૈલીમાં રજૂ કરવા પ્રસ્તુત સંક્ષેપ દ્વારા નમ્ર પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. એટલે જ વસ્તુસંકલનાના બીજા બધા તાણાવાણા, આડકથાઓ કે તત્ત્વચર્ચાઓ વગેરે છોડી દેવું પડ્યું છે. એ રીતે આ મૂળનો સર્વાંગસંક્ષેપ નથી, માત્ર મૂળ કથાનો જ કથારૂપ સંક્ષેપ છે. પ્રકરણોને જ્યાં જ્યાં સાંધવા-સાંકળવાં પડ્યાં ત્યાં ત્યાં નછૂટકે તેમ કર્યું છે. (કેમ કે મૂળ સાથે છૂટ ઓછામાં ઓછી લેવી, નછૂટકે જ લેવી, એ નિયમ રાખ્યો છે.) અનિવાર્ય જણાતાં કદીક પ્રકરણોનો ક્રમ ઉલટાવ્યો છે; ને નવાં શીર્ષકો પણ આપવાં પડ્યાં છે. ક્યાંક ગાંઠનાં વાક્ય મૂકવાં પડ્યાં છે, કેમ કે સારગ્રહી રીતિ પણ ક્યાંક ક્યાંક સ્વીકારી છે. અતિ ઉદ્દીપક ચિત્રો જતાં કર્યાં છે કે ટૂંકાવ્યાં છે. કઠિન શબ્દોના અર્થ નીચે પાદનોંધમાં આપ્યા છે. જોડણી ઘણે અંશે અર્વાચીન રાખી છે. ‘સરસ્વતીચંદ્ર'ની અનેક આવૃત્તિઓ થઈ છે. તેથી પાઠાંતરો ને મુદ્રણદોષોની મુશ્કેલીઓ જે અહીં નડી છે, તેનું તો માત્ર સૂચન કરું છું. મૂળનું સૌન્દર્ય, સામર્થ્ય, સર્જકત્વ બને તેટલું અખંડકલ્પ રાખી તે સંક્ષેપમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. જોકે તે તો, નાનકડી છીપોલી ગગનમાં ચોમેર ઘૂમતા ઘનશ્યામ મેઘનાં જળને ઝીલવા મથે તેવો જ! ભિન્ન ભિન્ન રૂચિ અનુસાર શું રાખવા જેવું હતું ને શું કાઢી નાખવા જેવું હતું, એ હેયોપાદેય વિશે ઘણાને મતભેદ પણ રહે. તે અંગે કોઈ ભારે મોટી કસૂર થઈ ગઈ હોય તો અધિકારી વાચકવર્ગની ક્ષમા જ માગવી રહે છે, કેમ કે મારે માટે તો આ એક ઘણું મોટું સાહસ છે  ને તેથી ન્યાય કરવાની વાત તો ક્યાં કરું, પણ આ મહાસર્જકની પ્રતિભાપ્રભાને જો ઓછામાં ઓછો અન્યાય થયો હોય, તો તેયે મારે માટે ઘણું છે. બાકી, મારા વડીલ બંધુ સ્વ. શ્રી કાન્તિલાલ છગનલાલ પંડ્યાએ સ્વ. શ્રી ગોવર્ધનરામ(મામા)નું જીવનચરિત્ર લખ્યું ને મારા સરખાને ‘સરસ્વતીચંદ્ર’નો કથારૂપ સંક્ષેપ કરવાનો થયો, એ તો મારા જીવનનું પરમ સદ્ભાગ્ય સમજું છું. ‘સરસ્વતીચંદ્ર’ની પૂર્ણાહુતિની અર્ધશતાબ્દીએ આ સંક્ષેપ પ્રગટ થાય છે, એ પણ એક યોગાનુયોગ છે! એક પ્રતીતિ આ લખનારને અવશ્ય થઈ છે. ‘સરસ્વતીચંદ્ર’નો વિસ્તાર મહાકાન્તાર જેવો સંકુલ, અટપટો ને ભુલભુલામણો છે ખરો; પણ એ મહાકાન્તારમાંયે કલાપૂર્ણ નવલકથાનું નંદનવન વિલસે છે ખરું. પ્રસ્તુત સંક્ષેપથી આ પ્રતીતિ વાચકોને – નવયુવક-યુવતીઓને વધુ સારી રીતે થઈ શકે ખરી? આ તો માત્ર કથારૂપ સંક્ષેપ છે. સ્વ. ગોવર્ધનરામને મને કથા તો મહત્ત્વની હોવા છતાં ગૌણ હતી, વક્તવ્ય જ મુખ્ય હતું. એ દૃષ્ટિએ ‘સરસ્વતીચંદ્ર'નો મૂલાનુસારી બૃહતસંક્ષેપ મારા વિદ્યાગુરુ પ્રા. શ્રી અનંતરાય મ. રાવળ સાથે કરવાની યોજના તો છે. એ દિશામાં કાર્ય પણ શરૂ કર્યું છે. અહીં મારા બે પૂજ્ય ગુરુઓ પ્રત્યે અંતરની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ગુજરાતના સમર્થ વિવેચક શ્રી પાઠકસાહેબે એમની અનેક જવાબદારીભરી પ્રવૃત્તિઓમાં ‘આમુખ' લખવાનું સોત્સાહ સ્વીકાર્યું ને એ રીતે એમના જેવા શક્તિશાળી મૌલિક વિચારનાં સૂચનોનો લાભ મળ્યો તે માટે ખરેખર ઉપકૃત છું. ‘સરસ્વતીચંદ્ર'ના ઊંડા અભ્યાસી પ્રો. અનંતરાય રાવળે આ કથારૂપ સંક્ષેપ આત્મીયભાવે ચીવટથી વાંચી જઈ મને જે સૂચનો કર્યાં છે ને મારામાં આ કાર્ય માટે જે પુરુષાર્થ ને પ્રેરણા જગાવ્યાં છે તે માટે એમનો આભાર જેટલો માનું તેટલો ઓછો છે. સાક્ષર શ્રી બળવંતરાય ઠાકોર વગેરે જે વિદ્વાન સાહિત્યકારોએ ને અધ્યાપક બંધુઓએ આ કાર્યના આરંભમાં એમની વિચારણાનો લાભ મને આપ્યો છે તેમનું સૌનું ઋણ પણ સ્વીકારું છું. આ સંક્ષેપના પ્રકાશન અંગે મુ. શ્રી. રમણીયરામ ગો. ત્રિપાઠીએ મને સંમતિ આપી છે ને વખતોવખત સૂચનો કર્યાં છે તે માટે તેમનોય આભારી છું. છેવટે, આ પ્રયત્ન સર્વથા દરિદ્ર કે વામણો નહિ ગણાય એવી આશા સાથે, સૌ વાચકો, વિવેચકો ને અભ્યાસીઓનાં સૂચનો ને સમભાવને યાચતો, જેવો છે તેવો આ સંક્ષેપ ગુજરાતને ચરણે સાદર રજૂ કરું છું. બલવદપિ શિક્ષિતાનામાત્મન્યપ્રત્યયં ચેત:! ત્યાં મારા જેવાની તે શી વાત?

ઉપેન્દ્ર છ. પંડ્યા

ભાવનગર, 
૨૭-૭-૫૧

બીજી આવૃત્તિનું નિવેદન

સરસ્વતીચંદ્ર'ના સંક્ષેપની આ બીજી આવૃત્તિ એક-દોઢ વર્ષમાં જ ફરી પ્રગટ થાય છે, એ તો ‘સરસ્વતીચંદ્ર' પ્રત્યેના ગુજરાતના અસાધારણ આદર અને અનુરાગનો જ પડઘો છે. ગુજરાતની જનતાએ તથા વિવિધ વિદ્યાસંસ્થાઓએ આ ગ્રંથને જે આવકાર આપ્યો છે, તે માટે સૌનો અંત:કરણથી આભાર માનું છું. બીજી આવૃત્તિમાં કેટલાંક સ્થળે જે નાનામોટા ઉમેરારૂપ સુધારા કર્યા છે, તે જિજ્ઞાસુ જાતે જ જોઈ લેશે એવી આશા છે.

ઉપેન્દ્ર છ. પંડ્યા

રાજકોટ, ૨૭-૧૧-૫૨

ત્રીજી આવૃત્તિનું નિવેદન

ઘણા લાંબા સમયગાળા પછી, ‘સરસ્વતીચંદ્ર’ના લઘુસંક્ષેપનું નવી આવૃત્તિ રૂપે આજે પુન: પ્રકાશન થાય તેથી સંતોષ અનુભવું છું. એન. એમ. ત્રિપાઠી કંપનીના મુખ્ય સંચાલક શ્રી દ્રુમનભાઈ ત્રિવેદીએ આ આવૃત્તિના પ્રકાશનમાં પહેલેથી જે રસ લીધો તેને કારણે જ વર્ષો બાદ આ પ્રકાશન શક્ય બન્યું છે. શ્રી અરવિંદભાઈ પંડ્યાએ તથા શ્રી ચંદ્રકાંતભાઈ યાજ્ઞિકે આ સંક્ષેપના મુદ્રણ પરત્વે જે ઉત્સાહ ને સહાયકવૃત્તિ દાખવ્યાં છે તે માટે તેમનો પણ ખૂબ આભારી છું. ઉપેન્દ્ર છ. પંડ્યા

રાજકોટ, 
૩૧-૫-૮૩





શ્રી રા. વિ. પાઠકનું આમુખ

કોઈ પણ કથાનો વૃત્તાંતસાર, શરીરમાં હાડપિંજરને સ્થાને હોય છે. જેમ શરીરમાં માંસમજ્જા, ચામડી વગેરે જે શરીરને છેવટનો ઘાટ અને રૂ૫ આપે છે. તે સર્વ હાડપિંજરને આધારે રહેલાં હોય છે, તેમ કથાનું છેવટનું સફાઈદાર રૂપ મુખ્યત્વે તેના વૃત્તાંતના હાડપિંજરને આધારે રહેલું હોય છે. કથાના સૌન્દર્યના જુદા કરીને ચર્ચી શકાય એવા અંશો, તેના રસો અને ભાવો, તેના સંવાદો, વર્ણનો, ચિંતનો અને તેમાં આવતાં પાત્રોના સ્વભાવો પણ વૃત્તાંતને આધારે રહેલાં હોય છે. ગહન, ઉદાત્ત કે વિશાલ ભાવ કે લાગણી તેને ઉચિત વૃત્તાંત કે બનાવ કે કાર્ય વિના અસરકારક થઈ શકતાં નથી. વિશેષ શું, ભાવનિરૂપણની ઘણીખરી ક્ષતિઓ કે દોષો, લાગણી કે ભાવને સ્વાભાવિક એવા, અને ભાવની ઘનતા મહત્તા કે વિશાળતાનો ભાર ખમે એવા વૃત્તાંત કે બનાવના અભાવના, એટલે કે ઉચિત વૃત્તાંત કે બનાવો કલ્પવાની અશક્તિના હોય છે. વાર્તામાં વૃત્તાંતસર્જન પાછળ ખર્ચાતી કલ્પનાશક્તિ કંઈ નાનીસૂની નથી હોતી. અલબત્ત અહીં, કથાસર્જનમાં વૃત્તાંત અને ભાવોનું પૌર્વાપર્ય કે એવું કશું વક્ષ્યમાણ નથી. વાર્તાકલામાં વૃત્તાંતનું કેટલું મહત્ત્વ છે એ કહેવાનો જ ઉદ્દેશ છે. અને તેમ છતાં બીજાં ઘણાંખરાં દૃષ્ટાન્તોની પેઠે, આ હાડપિંજરનું દૃષ્ટાન્ત એકદેશીય જ છે. શરીરમાં હાડપિંજર દેખાતું હોતું નથી, અને જે અર્થમાં શરીર સુંદર હોઈ શકે છે તે અર્થમાં હાડપિંજર સુંદર હોતું નથી. વાર્તાશરીરમાં વૃત્તાંતનું હાડપિંજર પણ દૃશ્યમાન હોય છે, અને સુંદર વાર્તામાં વૃત્તાંત પણ સુંદર હોય છે. વૃત્તાંત સુંદર હોય, તે તેની આકૃતિને લીધે હોય, અને ‘સરસ્વતીચંદ્ર’ને પણ અમુક વૃત્તાંત આકૃતિ છે-અનેક નદીઓનો સંગમ પામતા મહાનદની – જે વિશે પહેલાં એક વાર હું કહી ગયો છું. પણ તે સિવાય પણ, આકૃતિ ન હોય તોપણ, સુંદર કથામાં કેવળ વૃત્તાંત પણ રસનિષ્પાદક હોય છે. તેનો રસ શો એમ કોઈ પૂછે તો હું કહું કે અદ્ભુત રસ. અદ્ભુત રસ સર્વ રસોમાં ઓતપ્રોત હોવા ઇષ્ટ છે. માત્ર વૃત્તાંત, બીજા કોઈ રસનું ન હોય તોપણ તે અદ્ભુત રસનું તો હોય જ. વાર્તાના બનાવો ચમત્કારક હોય જ. વાર્તા વાંચતાં, હવે શું થશે, હવે શું આવશે, એ કૌતુકને પ્રેરનાર અદ્ભુત રસ છે. મહાનવલમાં બીજા અનેક રસો ભલે હોય, પણ તેમાં પણ આ રસ હોય જ. ઘણા વાચકો, વાર્તામાં આ રસથી વિશેષ કશું માણી શકતા નથી, એ રસિકતાની મર્યાદા છે એ ખરું, પણ ઉચ્ચ અધિકારીની પણ આ વૃત્તાંત વિશેની રસેન્દ્રિય બધિર હોતી નથી. ‘સરસ્વતીચંદ્ર’કાર, વાર્તાની રચનાના જિજ્ઞાસારસને કથાનો એક આવશ્યક અંશ સ્વીકાર્યો છે, પણ તેમની કથાના અતિ લાંબા અને જટિલ પટમાં, જે અનેક વર્ણનો, સંવાદો, ચિંતનો, શાસ્ત્રચર્ચા, મંથનો, અસીહિત પાત્રને કરેલાં સંબોધનો, ઉદ્ગારો વગેરે આવે છે, તેમ અનેક કથાતંતુઓનું ગુંફન આવે છે, તેને લીધે મુખ્ય વાર્તાનું વહેણ ખોવાઈ જાય છે – અનેક વડવાઈઓમાં વડનું મૂળ થડ ખોવાઈ જાય તેમ. આથી વાર્તારચના જિજ્ઞાસુ-વર્ગ તે વાંચતો નથી. એટલું જ નહિ, આ મુખ્ય વાર્તાવહેણ ખોવાઈ જવાને લીધે, અભ્યાસી સંપૂર્ણ અભ્યાસ કરી શકતો નથી, અને ઘણા બનાવો, ચિંતનો, ઉક્તિઓ વગેરેનું ઔચિત્ય પૂરું સમજી શકતો નથી. આ બધાને માટે આવા વૃત્તાંત-સંક્ષેપની જરૂર હતી. આ કામ એક વાર સદ્ગત આનંદશંકરભાઈએ કરવા ધારેલું હતું, એ ઉપરથી આ કામની આવશ્યકતા અને મહત્ત્વનો ખ્યાલ આવશે. એ કામ આજે થયું છે એ સાહિત્યરસિકોને માટે હર્ષનો પ્રસંગ છે. વાર્તાને ભલે નિયતિકૃત નિયમનું બંધન ન હોય, પણ વાર્તા ચાલતી જાય તેમ તેમ વાર્તામાંથી પોતામાંથી, વાર્તાની સૃષ્ટિમાંથી જ નિયમો ઊભા થઈ વાર્તાને બંધનકર્તા થતા જાય છે, એ સૌ જાણે છે. જે વાત વાર્તારચનાને માટે સાચી છે તે વાર્તાસંક્ષેપ માટે પણ સાચી છે. વાર્તામાં સરસ્વતીચંદ્ર-કુમુદ પૂરતું વસ્તુ તારવીને મૂકવાનો સંકલ્પ એક વાર કરીએ, એટલે એ સંકલ્પ જ ઘણી જગાએ વસ્તુના હાનોપાદાનમાં નિર્ણાયક બને છે. એમ કરતાં સંક્ષેપકારને બુદ્ધિધનનું આખું પૂર્વવૃત્તાંત છોડી દેવું પડ્યું છે. શઠરાયને રાજ્ય-દરબારમાં કેવી રીતે મહાત કર્યો તે છોડી દેવું પડ્યું છે. એથી વિશેષ ત્રીજા ભાગમાં આવતા મલ્લરાજને છોડી દેવો પડ્યો છે. નહિતર કર્તાની રાજર્ષિની એ એક અપૂર્વ કલ્પના છે. એમ બીજું ઘણું ઘણું છોડી દેવું પડ્યું છે. આમાં કોઈને લાગે કે ‘ગુણસુંદરી'વાળું ૧૨મું પ્રકરણ પણ છોડી દેવું જોઈતું હતું. પણ વાર્તાનો મૂળતંતુ માત્ર સરસ્વતીચંદ્ર નથી, પણ સરસ્વતીચંદ્ર-કુમુદ- કુસુમની ત્રિવેણી છે, એ ધ્યાનમાં રાખીએ તો એ પ્રકરણ વધારે પડતું નહિ લાગે. જેમ ‘સરસ્વતીચંદ્ર'ના પ્રકરણમાં સરસ્વતીચંદ્રનાં માતા-પિતાનું અને તેના ઉછેરનું વર્ણન છે. તેમ ‘ગુણસુંદરી'માં કુમુદ-કુસુમના ઉછેરનું વર્ણન છે. ગુણસુંદરીના કુટુંબક્લેશમાં જન્મેલી કુમુદ જાણે દુ:ખ માટે જ જન્મી હતી, અને ગુણસુંદરીના સ્વતંત્ર જીવનમાં જન્મેલ કુસુમ સુખમાં જન્મી, તેમ સુખી થવા માટે જન્મી અને ગૃહત્યાગ પછી સરસ્વતીચંદ્રનો અંતરનો સંબધ એ કુટુંબ સાથે જ વધારે નિકટ અને ધન બને છે. વસ્તુસંક્ષેપ કરવામાં મૂળની ભાષાને વળગી રહેવાનો સંક્ષેપકારનો સંકલ્પ ઉચિત છે, અને એમાં એમને મળેલી સફળતા અભિનંદનીય છે. જ્યાં એમને નવું પ્રકરણ કરવું પડ્યું છે ત્યાં પણ તેનું નામ તેમણે મૂળ કથાના વસ્તુમાંથી સૂચન લઈ ઉચિત રીતે પાડ્યું છે. તોપણ એક સામાન્ય સૂચન કરવા જેવું લાગે છે. ઘણા લેખકોને અનુભવ હશે કે પોતે લખેલી વસ્તુ પણ હાથપ્રતમાં હોય એ કરતાં છપાઈને હાથમાં આવે છે ત્યારે વધારે સારી રીતે સમગ્ર રૂપે જોઈ શકાય છે. તો આ તો ‘સરસ્વતીચંદ્ર જેવા પુરાણના સંક્ષેપનો પ્રશ્ન છે, એટલે તેનું સમગ્ર રૂપ સંક્ષેપકાર પણ છપાયા પછી વધારે સારું જોઈ શકશે. મારી ભલામણ છે કે એમ કરતાં એમને જ્યાં જ્યાં કંઈ પણ ફેરફાર કે પુરવણી કરવાની જરૂર પડે ત્યાં તેઓ પોતે જ કરે; અને એવી એક-બે બાબત જણાઈ છે તે તરફ ધ્યાન દોરું, જેથી મારું વક્તવ્ય સ્ફુટ થાય. પૃ. ૧૪૪ ઉપર અલક પ્રમાદધનને કહે છે  ‘કુલટા મેડીમાં આવી હતી ને આપે કેવડો ને સાંકળી એના પર રસ્તામાં ફેંક્યાં હતાં તે શાનું સાંભરે?' આ કથન આગળ બનેલા બનાવને ઉદ્દેશીને આવે છે, પણ સંક્ષેપમાં આ મૂળ બનાવ બન્યો તે સમયનો તેનો ઉલ્લેખ નથી થયો. તેથી વાચકને મૂળ બનાવની અપેક્ષા જાગે છે અને તેને ઉપરની ઉક્તિ પૂર્વના અનુસંધાન વિનાની નિરાધાર રહી ગઈ જણાય છે. મૂળ પુસ્તકમાં તે પહેલા ભાગના ‘પ્રમાદધન અને કુમુદસુંદરી'વાળા ૧૭મા પ્રકરણમાં બનતો વર્ણવાયો છે. આ પ્રકરણનું વસ્તુ, સંક્ષેપના ૮મા ‘ખંડિત કુમુદસુંદરી’ના પ્રકરણમાં આવે છે, ત્યાં તે પ્રસંગને મૂળ બનતો વર્ણવાય તો વાંચનારની અપેક્ષા પૂર્ણ સંતોષાય એમ માનું છું. તેમ જ એ પ્રકરણમાં પ્રમાદધન દરબારના વિવિધ સમાચાર કહે છે તે સાથે પોતે રાજ્યને કામે લીલાપુર જવાનો છે એ મતલબની ઉક્તિ પણ ત્યાં આવી જાય તો પછીના (9મા) પ્રકરણમાં કુમુદસુંદરી મેડીમાં તે રાતે તે એકલી હતી તેનો ખુલાસો પણ થઈ જાય. આ વસ્તુસંક્ષેપ છે, અને છતાં એ માત્ર બનાવોની હારમાળાનો સંગ્રહ નથી. મેં હાડપિંજરનું દૃષ્ટાંત આપ્યું તેથી આ કહેવાની ખાસ જરૂર રહે છે. સંક્ષેપની પ્રક્રિયા એ માત્ર બાદબાકીની પ્રક્રિયા જેવી યાંત્રિક ક્રિયા નથી. એક મોટા વર્તુળની અંદર બરાબર વચમાં એક બીજું નાનું વર્તુળ દોરવું હોય, તો મોટા વર્તુળનું મધ્યબિન્દુ શોધીને જ ટૂંકી ત્રિજ્યાથી દોરી શકાય, તેમ સંક્ષેપની પ્રક્રિયા માત્ર ટાંચણ કે સાર જેવી નથી, પણ મૂળનું રહસ્ય પકડી ટૂંકી ત્રિજ્યાએ આખી વાર્તા ફરી લખવાની ક્રિયા જેવી છે. તેથી મૂળ લેખકની બધી કલા સંક્ષેપને અનુરૂપ થઈ આવે જ. આ સંક્ષેપમાં પણ ગોવર્ધનરામની કલાનાં ઉત્કૃષ્ટ લક્ષણો, જેવાં કે તેમનો વાગ્‌વૈભવ, તેમની પ્રૌઢિ, અર્થગાંભીર્ય, પાત્રાલેખન, સંવાદકલા, વર્ણનશક્તિ, અલંકારસમૃદ્ધિ, સ્વાભાવિક રીતે જ ઊતરી આવ્યાં છે. એટલે કે આ પુસ્તક એક સ્વતંત્ર નવલકથા જેટલું જ સુવાચ્ય અને આસ્વાદ્ય બન્યું છે. વાર્તારસિક વર્ગ આને રસપૂર્વક વાંચશે એવી આશા પડે છે. આ સંક્ષેપની યોજનામાં, આનાથી વધારે મોટો એક બીજો સંક્ષેપ પણ તૈયાર કરવાનો નિર્ધાર છે, એ જોતાં, અને હવે ગુજરાતમાં જ બે વિશ્વવિદ્યાલયો કામ કરતાં થયાં છે એ જોતાં જણાય છે કે ‘સરસ્વતીચંદ્ર'નો અભ્યાસ વધશે. તો ‘સરસ્વતીચંદ્ર'ના પ્રકાશનને માટે મારે એક-બે સૂચનો કરવાનાં છે તે અહીં કરું છું. ‘સરસ્વતીચંદ્ર’ને પચાસ વરસ થવા આવ્યાં. તેની અનેક આવૃત્તિઓ થઈ છે. આપણા દેશમાં સો ટકા શુદ્ધ પ્રૂફ તપાસનારા વિરલ છે, તો આ લાંબી આવૃત્તિ-પરંપરામાં કેટલીય ભૂલો ગુણાતી ગઈ હશે. એટલે આ સંક્ષેપ થયા પહેલાં, પ્રથમ પાઠશુદ્ધિનું કામ, આ કામના રસિયા ઉત્સાહી અભ્યાસીઓ પાસે કરાવવું જોઈએ. અને બીજું એ કે આ મહાનવલની જૂની આવૃત્તિઓની બને તેટલી નકલો ગુજરાતીના શિક્ષણનાં જુદાં જુદાં કેન્દ્રોમાં આવેલાં પુસ્તકાલયોમાં મુકાઈ તેના સંરક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. રામનારાયણ વિ. પાઠક

અમદાવાદ, 
તા. ૧૭-૭-૫૧