સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૭ : સરસ્વતીચંદ્ર

સરસ્વતીચંદ્રનો બાપ લક્ષ્મીનંદન મુંબઈનો ધનાઢ્ય વેપારી હતો. એ ઝાઝું ભણ્યો ન હતો, પણ સરસ્વતીચંદ્રની મા ચંદ્રલક્ષ્મી ડાહી અને સુશીલ હોવાથી તેના સંસ્કાર લક્ષ્મીનંદનમાં આવ્યા હતા. ચંદ્રલક્ષ્મીની સાસુ ઈશ્વરકોર સ્વભાવે તીખી હતી, દીકરા ઉપર વહુનું ચલણ સાંખી શકતી ન હતી, પણ સરસ્વતીચંદ્રના જન્મ પછી ડોશીનો પણ સ્વભાવ ફર્યો અને વહુનાં માન વધ્યાં. પણ પુત્ર ચાર-પાંચ વર્ષનો થયો એટલામાં ચંદ્રલક્ષ્મી ગુજરી ગઈ અને તે દિવસે ગુમાન નામની એક કન્યા સાથે લક્ષ્મીનંદનનો વિવાહ થયો. ગુમાન ઘેર આવી. તે હલકા કુટુંબની હતી અને ઓરમાન દીકરા ઉપર તથા તેને જાળવનાર ડોશી ઉપર વૈર રાખતી. લક્ષ્મીનંદન જેવો દ્રવ્યવાન તેવો જ સત્તાવાળો હતો. વિદ્યાને ઉત્તેજન આપવાનો તેને શોખ હોવાથી તેને ઘેર વિદ્વાનોનું મંડળ ભરાતું. આથી સરસ્વતીચંદ્ર રમાડવા જેવો થતાં જ વિદ્વાનોના ખોળામાં પડવા લાગ્યો. ગુમાનની ખુશામત કરનાર ગુમાસ્તા તથા ચાકરો ચંદ્રલક્ષ્મીના બાળકને ઝાઝું બોલાવતા ન હતા અને તેથી તેમની અધમ સંગતિથી બચી નિર્મળ સંગતિમાં ઊછરવાનો ગર્ભશ્રીમંત બાળકથી દૂર રહેતો લાભ લક્ષ્મીનંદનના પુત્રને ઈશ્વરે આપ્યો. ચંદ્રકાંત નામના અતિશય રંક પણ બુદ્ધિવાળા અને વિદ્યાપ્રેમી વિદ્યાર્થી સાથે સરસ્વતીચંદ્રને બાળપણમાં મિત્રતા બંધાઈ અને શાળામાં પણ સહાધ્યાયી હોવાથી આ મિત્રતા દિને દિને વજ્રલેપ બનવા લાગી. ‘ધી બૉમ્બે લાઇટ’ પત્રનો તંત્રી પ્રખ્યાત વિદ્વાન બલ્વરસાહેબ, ‘ગુર્જર વાર્તિક'નો તંત્રી ઉદ્ધતલાલ, મુંબઈનો પ્રખ્યાત કવિ તરંગશંકર, ઊછરતો રંક ગ્રંથકાર શાંતિ શર્મા, દક્ષિણી દેશવત્સલ વીરરાવ ધમ્પાટે, અને પારસી ભાષણ-યોદ્ધો સમશેરજી, એવા અનેક ગૃહસ્થો સાથે લક્ષ્મીનંદનને સુંદર પરિચય હતો. આ સર્વને લીધે શેઠની રજવાડામાં પણ સારી પ્રતિષ્ઠા હતી. રત્નનગરીનો પ્રધાન વિદ્યાચતુર કામ પ્રસંગે મુંબઈ આવતો ત્યારે પોતાની જ્ઞાતિના પ્રતિષ્ઠિત શેઠ લક્ષ્મીનંદનને ત્યાં જ ઊતરતો. શેઠનો પુત્ર સરસ્વતીચંદ્ર વિદ્યાચતુરના પ્રસંગમાં પુષ્કળ આવ્યો. એ બાળકની બુદ્ધિ, વિદ્યાની હોંશ, નમ્રતા, વિનય, મધુરતા વગેરે ગુણો વિદ્યાચતુરના હૃદયમાં વસી ગયા. તેમાં ચંદ્રલક્ષ્મીની ક્રાંતિવાળું સ્મિતભર્યું ગૌર રમણીય વદન તેને ઘણું પ્રિય લાગ્યું. ‘હુવા તો વિવાહ’ એ પ્રમાણે આવા ધનાઢ્યનો પુત્ર પારણામાંથી જ પરખાવો જોઈતો હતો. પણ કોઈ વિવાહ કરવા આવતું તો ગુમાન બારોબાર વિદાય કરતી. ડોશી ઘણું મથતી. આખરે ડોશીએ માથાની થઈ લક્ષ્મીનંદનને વાત કરી, તો ઉત્તર મળ્યો કે નાનપણમાંથી છોકરાને લફરું વળગાડવાની જરૂર નથી. આમ સરસ્વતીચંદ્ર પંદર-સોળ વર્ષનો થયો. તેવામાં ગુમાનને પુત્ર પ્રસવ્યો ને તેનો વિવાહ તરત જ થયો. ડોશીનું માથું ફરી ગયું. લક્ષ્મીનંદનને ફટકાર કરી મેણું દીધું. એવામાં વિદ્યાચતુર મુંબઈ આવ્યો ને લક્ષ્મીનંદનને ત્યાં ઊતર્યો. પોતાની પુત્રી કુમુદસુંદરી સારુ વર શોધતો હતો તે સૂઝી આવ્યો. ડોશીની સલાહ માગી. ડોશી તો તૈયાર જ હતી અને લક્ષ્મીનંદને વિવાહ સ્વીકાર્યો. ગુમાન બળી ઊઠી પણ ચુમાઈને બેસી રહી. ડોશી આનંદપ્રફુલ્લ બની. ગુમાન ઊભી હોય ત્યારે બમણો આનંદ બતાવવા અને જોડાનાં વખાણ કરવા લાગી. ‘ઝટ લગ્ન થઈ જાય તો આ મજાની જોડ બંધાઈ જોઈ હું સંસારમાંથી પરવારું – એ જ હવે ડોશીની હોંશ હતી. ડોશી નારાજ ન થાય માટે વિદ્યાચતુર દિલાસા ભરેલા વાયદા કહાવતો. સરસ્વતીચંદ્રનો વિદ્યાભ્યાસ ઘણો વધ્યો. સત્તર-અઢાર વર્ષની કુમળી વયે તે એમ.એ.ની પરીક્ષામાં સફળ થયો. તે પછીના વર્ષમાં કાયદાની પરીક્ષામાં પણ સફળ થયો. ઘણીક પરીક્ષાઓમાં અને ઘણાં નિબંધો લખી પારિતોષિકો, શિષ્યવૃત્તિઓ, ચંદ્રકો વગેરે તેણે મેળવ્યાં હતાં. વિદ્યા-લક્ષ્મીના સંગમથી સોનું અને સુગંધ બેનો રમણીય યોગ તેનામાં થતો લાગતો. શરીર કસરતવાળું અને ક્રાંતિમાન હતું. સરસ્વતીચંદ્ર ભણ્યો ન હત, શ્રીમંત ન હત, તોપણ શરીરના રમણીય દેખાવથી જ સૌનું મન હરત એમ તેના મિત્રો કહેતા. કુમુદસુંદરી વયમાં આવી અને વધારે ભણી તેમતેમ સરસ્વતીચંદ્રની વાતો માતાપિતાને મોંએ સાંભળવાની રસિ પણ બની. એક દિવસ તો પતિએ પિતા ઉપર કાગળ લખેલો તેને વાંચી જોવાનું મન થયું. અને સળગતા આકાશમાંથી પ્રભાતનું કોમળ ઊજળું કિરણશ્વેત કમળને પકડી ખિલાવે તેમ સ્વચ્છ આસમાની સાડીમાંથી નાજુક ગોરો હાથ કાઢી પત્ર પકડી લીધો. સરસ્વતીચંદ્રના સુંદર અક્ષરથી – મનહર ભાવથી – મોહ પામી – પરવશ બની. ‘આવા કાગળ મારા પર ન આવે?' એ આતુરતાથી મુગ્ધાએ પતિ પર કાગળ લખ્યો. ઘણી ઘડભાંજ પછી ‘મારા ચંદ્ર’ અને ‘આપની કુમુદ’ એમ આદિઅંતમાં લખ્યું. સરસ્વતીચંદ્ર તે નવીન કાગળ જોઈ વિસ્મિત થયો. કોનો કાગળ છે તે ન કહેતાં ચંદ્રકાંતના હાથમાં જ કાગળ મૂક્યો અને હસ્યો. ‘ભાઈ, મોટાનું ભાગ્ય મોટું હોય છે તેનું આ દષ્ટાંત.’ કાગળ પાછો આપતાં ચંદ્રકાંત અભિનંદન કરતો બોલ્યો. ‘ભાઈ, આ કન્યાદાન વાસ્તે ઈશ્વરનો જેટલો ઓછો ઉપકાર માનશો તેટલી કૃતજ્ઞતા થશે.’ ‘તું તો હજી આવો ને આવો રહ્યો. અંગ્રેજી વિદ્યાનું પ્રથમ ફળ તને એ મળ્યું કે સ્ત્રીમાં સંસારને સમાપ્ત કરી દીધો. સ્ત્રીમાં પુરુષના પુરુષાર્થની પર્યાપ્તિ થતી નથી.' ‘તમારા જેવા રસિકના મુખમાં આ વૈરાગ્ય સમજાતો નથી.' મિત્રો વચ્ચે ઘણી આવી વિનોદવાર્તા થઈ. અંતે ચંદ્રકાંત ઘેર ગયો. રસિકના બિડાયેલા મર્મસ્થળને વિકસાવનાર એકાંતે સરસ્વતીચંદ્રના હૃદયકમળની પાંખડીઓ કંપાવી. તેના વિચાર પ્રમાણે તો માણસના જીવનને સ્ત્રી આવશ્યક ન હતી. લગ્ન આખા જન્મારાના પાશરૂપ હતું. નિર્વંશ થવામાં વૈરાગ્યની સંમતિ હતી. મન્મથ મનમાંથી દૂર રાખવો એ શકય હતું. અને સંસાર ક્ષુદ્ર, નિઃસત્ત્વ, નિર્માલ્ય અને નિરુપયોગી હતો. આવું છતાં વૃદ્ધ પિતામહીના વત્સલ ઉત્સાહનો ભંગ ન કરવો એટલી ઇચ્છાથી વિવાહ સ્વીકાર્યો હતો. પરંતુ કાચમાં સંતાયેલા પારાને પણ શીતોષ્ણ્ય જણાયા વિના રહેતું નથી. આવા વિરકત વિચારોમાં ઢંકાયેલી રસજ્ઞતા શુદ્ધ સુંદરતાથી ચમકવા લાગી. અંદરની રસિકવૃત્તિઓ પાંજરામાંથી છૂટતાં પક્ષીઓની પેઠે બહાર ઊડવા લાગી; અને કુમુદને પ્રત્યુત્તર લખવા બેઠો. ‘હવે તો તારો જ સરસ્વતીચંદ્ર.’ એમ છેલ્લે લખી પત્ર પૂરો કર્યો. અનુભવ તે કેવળ જ્ઞાન અને વિચારથી કાંઈક જુદી જ વસ્તુ છે એ હવે સરસ્વતીચંદ્રને જણાયું. તુરંત તો તેના માનસિક વૈરાગ્યનો પણ લોપ થયો. કાંઈ નિમિત્ત કાઢી સરસ્વતીચંદ્ર રત્નપુરી ગયો અને વિદ્યાચતુરના સ્નેહનો સત્કાર પામ્યો. કુમુદસુંદરીને તેણે દૃષ્ટિપાતથી ઓળખી લીધી. બપોરે મેડીમાં અનિવાર્ય સ્નેહની પ્રેરી પોતાની મેળે છાનીમાની આવી ઊભી. સરસ્વતીચંદ્ર ચંદ્રકાંતને પત્ર લખતો હતો. ચમકી સરસ્વતીચંદ્રે તેના ભણી જોયું. કન્યાની લલિત લાવણ્યમય પાંદડી જેવી મુખકળા જોઈ સ્તબ્ધ બની ગયો. બોલવાનું પણ સૂઝ્યું નહીં. આવા વરને આવું થાય, તો એ કન્યાને થાય તેમાં શી નવાઈ? આખરે ભાન આવ્યું હોય તેમ બોલ્યો : મેં એક-બે પુસ્તક રચેલાં છે તે આણ્યાં છે.' કહી પુસ્તક આપ્યાં. પુસ્તક આપતાં લેતાં એકબીજાની આંગળીઓનો સ્પર્શ થયો. જળથી ભરેલો મેઘ ઉજાસ મારવા માંડે તેમ સરસ્વતીચંદ્રનું મુખ ઉજ્જ્વળ બન્યું. મળસકાના સ્વચ્છ આકાશનો પૂર્વ પ્રદેશ સૂર્યકરના નવા સ્પર્શથી સળગી ઊઠે તેમ કુમુદસુંદરીના ગોરા રૂપેરી ગાલ પર લજ્જાભરી રતાશ ચઢી આવી. સરસ્વતીચંદ્રે પ્રશ્નો પૂછી કુમુદને બોલાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ ઉત્તર કોણ આપે? ‘કુમુદ! – મારી કુમુદ!' – સરસ્વતીચંદ્ર ઊભો થયો. પ્રિયને ઊઠતો જોઈ ધીમે સુંદર સાદે મુગ્ધા બોલી : ‘આપે અહીં રહેવાનો વખત ઘણો જ થોડો રાખ્યો.’ ચાંદીની ઘૂઘરીઓવાળા નૂપુરમાંથી રણકાર ઝીણો ઝીણો નીકળે, મૂર્છના સમયે સારંગીના તારસ્વર કરી રહે : તેમ શુદ્ધ મોતી જેવા દાંતની શ્રેણી વચ્ચે થઈને ટપકતા મધુર શબ્દ સરસ્વતીચંદ્રના હૃદયપુટમાં સ્નેહ-સ્વાતિનાં મોતી પેઠે ભરાઈ ગયા. સરસ્વતીચંદ્ર પાછો મુંબઈ ગયો, મુંબઈ પહોંચ્યાનો સરસ્વતીચંદ્રનો કાગળ આવ્યો, તેના ઉત્તરમાં લાચાર બનેલી બાળકીએ લખ્યું કે ‘તમારા ગયા પછી ‘એણે રે મને મોહની લગાડી, એણે તે મને મોહની લગાડી' એ પદ મારી જીભ ઉપરથી ખસતું નથી; તે ગાતી ગાતી તમારી મૂર્તિ ખડી કરું છું. મારા પિતાજી લગ્નનો દિવસ આવતા માઘ માસમાં રાખનાર છે જાણી મારો ઉત્સાહ માતો નથી!' આવા પત્ર વરકન્યા વચ્ચે આવ્યા–ગયા. સરસ્વતીચંદ્રનું વિરકતરંગી ચિત્ર નવીન અનુભવને વશ થતું અને ભગવો પણ રાગ-રંગ છે, તો બીજા રાગનો તિરસ્કાર કરવો તે પોતાની અશક્તિ કલ્પતું હતું. આણીપાસ ઈશ્વરે આ ખેલ રચ્યો. અને બીજી પાસ બીજો રચ્યો. માનવી એક વાત ધારે તો ઈશ્વર બીજી કરે. ગુમાનનો પુત્ર હવે ઠળકો થવા આવ્યો હતો. પોતે સાસરે આવી ત્યારે સરસ્વતીચંદ્રને સર્વ તરફથી મળતાં લાલન જોયાં હતાં. એટલાં એના પુત્ર ધનનંદનને મળવાની એની ઇચ્છા સફળ ન થઈ. લક્ષ્મીનંદન પણ મોટા પુત્રની સ્તુતિ કરવા લાગ્યો અને તેને વ્યાપારમાં પોતાનો સાથી કર્યો. પરિણામે સરસ્વતીચંદ્રના સામી ફરિયાદો ગુમાનની શય્યાપર ઘીમેલોની પેઠે ઊભરાવા લાગી, અંતે ઉધાઈ લાકડાને આરપાર કોતરી ખાય તેમ ગુમાનની નિષ્કટક જીભે લક્ષ્મીનંદનના મસ્તકને નિ:સત્ત્વ કરી દીધું. એક દિવસ શેઠ સંધ્યાકાળે થાકીપાકીને ઘેર આવ્યા. ગુમાન ખાવાનું લાવી થાળી ધરી ઊભી. અકળાયેલા મનમાં પણ પુત્ર રહેતો અને શેઠથી પૂછી જવાયું. ‘ભાઈ આવ્યો? ખાધું એણે કાંઈ?' અજાણતાં પણ દોષ થતાં કોઈ મેલી માતાને કૂંડું પડે તેમ શેઠના શબ્દોથી થયું. ‘આ શા ભાઈ પર ઉમળકા? ભાઈ તો આવ્યાયે ખરા અને બાપના પહેલાં ક્યારનું ખાઈને બેઠા છે. ભાઈને તો બાપ લેખમાંયે નથી. ભાઈ તો એ બેઠા બેઠા કાગળો આવ્યા છે વહુના તે વાંચે. એમને પરણ્યા પહેલાંથી વહુ વહુ છે. કોણ જાણે ક્યાંથી લોકો જૂઠું જૂઠું ગાય છે કે ‘બીજવરની પરણી મહાસુખ પામશે?’ ત્યાં તારવાળો તાર લાવ્યો. શેઠ તરત વાંચે છે એટલામાં સરસ્વતીચંદ્રના ટેબલમાંથી ચોરેલો એક કાગળ શેઠને આપી ગુમાને કહ્યું કે ‘ભાઈ કેવા વહુઘેલા થઈ ગયા છે તે વાંચો આ કાગળ ને જુઓ.’ શેઠે ગુમાનને ધધડાવી નાખી. શેઠનું ચિત્ત તારમાં હતું. ગુમાન ઊભી ઊભી ડૂસકાં ને નિઃશ્વાસ ખાતી શેઠનું ધ્યાન ખેંચવા લાગી. શેઠે મનાવી એટલે ધાર્યું થયું જાણી ગુમાન બોલી : ‘ટપાલવાળો ભૂલમાં ભાઈનો કાગળ મને આપી ગયો ને મેં ભૂલમાં મારો જાણી ફોડ્યો. જુઓ આ વહુ કેવી પક્કી છે? એનાં મૂળ ઊંડાં છે. બાયડીઓના સ્વભાવ તમે ભોળા ભાયડાઓ ન સમજો. અમે સમજીએ. આજથી આટલું ભાઈને ફોસલાવે છે તે અગાડી જતાં કેવી નીકળશે? સસરા સાથે પણ ભાઈને કાગળ લખવાનું ચાલે છે તે તમે જ મને કહેતા હતા. વળી અંગ્રેજી ભણેલું માણસ કોઈનું નહીં. એ ભાઈના હાથમાં બધું સોંપો છો તે પછી મારા ધનની શી વલે – ને મારી શી વલે – થવાની, તે કંઈ વિચાર કર્યો?' ગુમાનને હસાવી-પટાવી રમાડી શેઠ બહાર ગયાં. આણીપાસ સરસ્વતીચંદ્રના મનમાં કુમુદસુંદરી રમી રહી હતી અને લગ્નનો દિવસ પાસે આવતો જાણી તે આનંદમાં રહેતો. પિતાનું દ્રવ્ય સ્વેચ્છાએ ખરચે તો કોઈ ના કહે એવું નથી તે પોતે જાણતો. પરંતુ સરસ્વતીચંદ્રની મા ચંદ્રલક્ષ્મીને લક્ષ્મીનંદન પાસેથી અલંકાર અને ઘણુંક દ્રવ્ય મળેલું હતું. એટલે પિતાના દ્રવ્યને અડકવા કરતાં સરસ્વતીચંદ્ર પોતાના જ આ દ્રવ્યમાંથી વ્યય કરતો. વાલકેશ્વરની ટેકરી ઉપરના બેત્રણ બંગલામાંથી એક બંગલો એને સોંપવામાં આવ્યો હતો. પાંચછ હજારનું ખરચ કરી મનસ્વી રીતે તેણે એ શણગાર્યો. અને કુમુદસુંદરીની એક મોટી છબી રંગાવી એક રમણીય હાથીદાંતના કોતરકામવાળા આસનમાં જડાવી મૂકી. તેમાં બેચાર હજારનું ખરચ થયું. સરસ્વતીચંદ્ર એ છબી સામું આનંદથી અનિમેષ જોઈ રહેતો. વિચાર વૃત્તિને અનુસરે છે. કાંઈ અધૂરું હોય તે પૂરું કરવાને સરસ્વતીચંદ્રે પાંચ હજાર રૂપિયાની એક હીરાની મુદ્રા કરાવી. આ મુદ્રા કુમુદસુંદરીને મોકલવા ધારી. ચંદ્રકાંત માંએ તેને ઘેલો થઈ ગયો કહેતોપણ મનમાં તેની સ્ત્રીભક્તિની પ્રશંસા કરતો ને કહેતો, ‘ઈશ્વર એનું ભાગ્ય અખંડ રાખો!' તેને બિચારાને ખબર ન હતી કે ભાગ્યના જ પ્રસાદને દુર્ભાગ્યનું નિમિત્ત થઈ પડતાં પળ પણ વાર નથી લાગતી. આ સંસારરૂપી ચોપાટમાં ભાગ્ય-દુર્ભાગ્ય એ જ પાસાની બે જુદી જુદી બાજુઓ છે. આ સર્વ સમાચાર ગુમાનને કાને ગયા. તેણે શેઠને ચેતવ્યા ને ભંભેર્યા. પુત્રનો વ્યય વિવેક વિનાનો લાગ્યો. ચંદ્રલક્ષ્મીવાળા દ્રવ્યમાંથી આ ઉપયોગ થયો હશે તે તો શેઠને સાંભર્યું જ નહીં. તેમનો મિજાજ ગયો પણ દેખીતો વશ રાખ્યો. વૃદ્ધ પિતામહી ગુમાનનાં કારસ્થાન જાણતી. તેને થયું કે લક્ષ્મીનંદન આખરે મોટા પુત્રને રઝળાવશે. આથી પોતાની પાસે પણ લાખ પોણાલાખનો સંચય હતો તે મોટા પૌત્રને આપી દેવા ઇચ્છા જણાવી. સરસ્વતીચંદ્રે કહ્યું કે, ‘એથી તો પિતામાતા વધુ કોપશે. તેના કરતાં નાનાભાઈ ધનનંદનને મૃત્યુપત્ર કરી આપો. તો પિતા – માતા વધુ પ્રસન્ન રહેશે.’ આ વાત ડોશીને ન ગમી ને એકવેળા ચંદ્રકાંતને એકાંતમાં બોલાવી તેની સહાયતા માગી. એક સમય એવો હતો જ્યારે સરસ્વતીચંદ્રના મનમાં એવો સંકલ્પ થવા ઉપર હતો કે ચંદ્રલક્ષ્મીવાળું સર્વ દ્રવ્ય દેશોન્નત્તિને અર્થે રોકી દેવું. પોતે ભગવાં ધારણ કર્યા વિના પણ અજ્ઞાત વેશે દેશાટન કરવું. લોકઅનુભવ અને ઈશ્વર શોધવો. આ સંકલ્પથી પિતાને કેટલો ખેદ થશે એ વિચારી તેણે એ છોડી દીધો હતો. આ બધું ચંદ્રકાંત જાણતો હતો. સ્વાર્થસંન્યાસી વૃત્તિને લીધે આવું રત્ન વૈરાગ્યમાં ડૂબી અપ્રસિદ્ધતાના અંધકારમાં લીન થઈ જાય એવો તેને ભય રહેતો. તેથી જ ડોશીએ પોતાની મિલકત કોઈ વિશ્વાસપાત્ર માણસને નામે ચઢાવી તેનો વહીવટદાર નીમવો અને તેના મરણ પછી સરસ્વતીચંદ્રનો અને તેની સ્ત્રીનો એ પર હક્ક રહે એમ કરવાની એણે ડોશીને સલાહ આપી. ડોશીએ એ કામ ચંદ્રકાંતને જ સોંપ્યું. સારા પ્રતિષ્ઠિત માણસોને સાક્ષી માટે બોલાવ્યા. અંતે લક્ષ્મીનંદનને અચિંત્યો બોલાવ્યો ને લેખ ઉપર સહી કરવા કહ્યું. શેઠે લેખ વાંચ્યો, જરાક વિચારમાં પડતાં ‘ભાઈ, સહી કર.’ એમ ડોશીએ ફરી કહ્યું. માતાના શબ્દો પડતાં સહી કરી લેખ માતાના હાથમાં મૂક્યો. ગુમાને આ વાત જાણી લીધી ને એમાં સરસ્વતીચંદ્રનો જ હાથ છે એમ સિદ્ધ કર્યું. ધનનંદને અન્યાય થયો ને તેનો બદલો વાળવો જોઈએ એમ શેઠને લાગ્યું. ‘મને પુત્રે છેતર્યો.’ એવું પિતાના મનમાં વસી ગયું. સ્નેહના અમીને ઠેકાણે વિષવૃક્ષનું બીજ પડ્યું. ‘ગમે તો કન્યા કે ગમે તો કન્યાના બાપનું કામ.’ એમ શેઠે માની લીધું. સરસ્વતીચંદ્રના કારભાર ઉપર હવે પિતાએ ઈર્ષ્યા અને અવિશ્વાસની ચોકી મૂકવા માંડી. પુત્રના દરેક કામનું પૃથકકરણ થવા લાગ્યું. કસોટીના કાળા પથ્થર ઉપર ઊજળા સોનાના લિસોટા ઉપર લિસોટા થવા માંડ્યા અને દરેક લિસોટામાં સોનું છતાં પિત્તળ જ અપદૃષ્ટિને લાગવા માંડ્યું. ‘પુત્ર પોતાના હાથ ઉપર રાખવા – મને દાબી નાખવા – યત્ન કરે છે.' એ આભાસ ભૂત પેઠે મગજમાં ભરાઈ ગયો! ગુમાનનો ભાઈ ધૂર્તલાલ બહેનના અંત:કરણની કૂંચી ફેરવતો. તેને શેઠના ઘરમાં પગપસારો કરવાનો લાગ મળતો ન હતો. પણ હવે સાળાના હાથમાં બનેવી આવ્યો. ધૂર્તલાલ શેઠને સરસ્વતીચંદ્રથી ચેતાવતો ને તે હવે શેઠને સાચું લાગવા માંડ્યું. શેઠ એક મિલના વ્યવસ્થાપક હતા. પણ એક-બે વર્ષથી પોતાને ઠેકાણે મોટા પુત્રને દાખલ કર્યો હતો. હવે વિચાર કર્યો કે પુત્રના હાથ નીચે ધૂર્તલાલને દાખલ કરવો ને કાળક્રમે બંનેને સંયુક્ત સંચાલક બનાવવા. ધૂર્તલાલ ખટપટી હતો તે સરસ્વતીચંદ્ર જાણતો ને તેથી પિતાની આ યોજના સરસ્વતીચંદ્રને વાજબી લાગી નહીં. પરિણામે પિતાની શંકા ઊલટી વધી. ‘બસ, મારા મનમાં એ જ છે કે આમ કરવું.' એમ પિતાએ આખરી નિર્ણય રૂપે જણાવ્યું. સરસ્વતીચંદ્રે પિતાની ઇચ્છા આજ્ઞારૂપ ગણી લીધી. શેઠે જાણ્યું ‘ઠીક ઊકલ્યું.’ એટલામાં ડોશી પંચત્વ પામ્યાં. નાનપણથી તેની માયામાં ઊછરેલો સરસ્વતીચંદ્ર ઘણો જ ખિન્ન થયો. ઘડી વાર તેને એવી ભ્રાન્તિ થઈ કે આ ઘરમાં હવે કોઈ મારું સગું નથી. ડોશીના દ્રવ્યનું શું થયું તેનો તેણે વિચાર પણ ન કર્યો. ગુમાનને નામે શેઠે ઘણા દિવસ થયા એક સારી રકમ કાઢી મૂકી હતી. એક કોઈ સારા શૅરમાં રોકી દેવા શેઠને ઇચ્છા હતી. પણ મોટા પુત્ર ઉપર તે સમયે ભાવ હોવાથી તેનો અભિપ્રાય પૂછયો. સ્ત્રી-દ્રવ્યને ચાલતા સુધી શૅરમાં ન રોકવું એમ માનનાર પુત્રે સલાહ આપી કે આ દ્રવ્ય સરકારી ‘લોન’માં નાખો. પિતાએ તેમ કર્યું. એ જ દરમિયાન ચંદ્રલક્ષ્મીના નામની સરકારી લોન હતી તે વટાવી સગીર મટતાં સરસ્વતીચંદ્રે શૅર ઈત્યાદિ વ્યાપારમાં દ્રવ્ય નાખ્યું. રશિયા સાથે લડાઈની વાત ચાલતી હતી એટલે લોનના ભાવ બેસી ગયા ને સરસ્વતીચંદ્રવાળા શેરના ભાવ ઘણા જ ચઢી ગયા. શેઠના મનમાં આવ્યું કે ગુમાનને નુકસાન કરવા જ પુત્રે અવળી સલાહ આપી, પોતાની બાબતમાં એક અને પારકી બાબતમાં બીજી સલાહ આપી. તેનો અર્થ શો નીકળે? પ્રીતિ અને વિશ્વાસ ખોટામાંથી સારો અર્થ શોધાવે, અપ્રીતિ અને અવિશ્વાસ સારા હેતુમાં ખોટાનું ભાન કરાવે. એક દિવસ ભોજન કરી પિતાપુત્ર બે ઘોડાની ‘ફાઈટન'માં બેસી ‘ઑફિસ'માં ચાલ્યા. ગુમાને શેઠને તૈયાર કરી મૂકયા હતા. ડોશીના દ્રવ્યની વ્યવસ્થા, પુત્રની ઉપર વહુ અને સાસરિયાની સત્તા, બજારભાવમાં થયેલી ઊથલપાથલ, આ સર્વેએ શેઠનું ચિત્ત ઉકાળ્યું હતું. એટલે નિત્ય – સ્વભાવ ભૂલી શેઠે ઊભરા કાઢવા માંડયા. ‘ભાઈ, બહુ દિલગીર છું, તારી બાબતમાં. મારે તને કાંઈ કહેવું પડશે.’ પુત્ર વિસ્મય પામ્યો. ‘હા છે, આપ મને નહીં કહો તો બીજું કોણ કહેશે?' જો સાંભળ, ઘણા દિવસથી હું કાંઈ બોલતો નથી પણ જ્યાં કરું છું. તારામાં દિવસે દિવસે ઘણો ફેર થતો જાય છે. તારું ચિત્ત સ્વતંત્ર નથી. તારો વિવાહ કર્યો તે તારા સુખને અર્થે. પણ એમાંથી જ કુટુંબમાં ક્લેશ ન થાય તે જોવું એ તારી ફરજ છે. કેટલાક જુવાનિયાઓ નાનપણમાંથી વહુઘેલા થઈ જાય છે. વરને ભંભેરી તેને હાથે આખા કુટુંબનું અહિત કરાવવા વહુરો તત્પર હોય છે. જે વહુરો પરણ્યા પહેલાં આમ કરાવે તે પછીથી શું ન કરાવે તે સમજાતું નથી પણ વરનું કાળજું ઠેકાણે હોય તો કશાની અડચણ નહીં.’ શેઠે મર્યાદા તોડી પણ પોતાથી તૂટે એમ ન હતું. ‘અરરર! આ પિતા! આ બોલે છે શું?' મનમાં જ એમ વિચારી તે મૂંગો રહ્યો. પણ રાતોપીળો થઈ ગયો. તેની સહનશક્તિ ઘણી હતી, પણ તે પોતાની જ બાબતમાં હતી. ‘નિર્દોષ પવિત્ર કુમુદ! તારી બાબતમાં આ કેમ સહું? હું ઈશ્વરનો અપરાધી ન થાઉં?' છતાં પુત્રે પિતાના શબ્દનો રજ પણ પ્રતિરોધ ન કર્યો. શેઠે જેટલું કહેવાય એટલું કહ્યું. વિદ્યાચતુરની પરીક્ષામાં પોતે છેતરાયો, ગુમાન ભણી દયા દર્શાવી, સરસ્વતીચંદ્રના ધર્મ કહી બતાવ્યા, કુમુદસુંદરી આગળ ઘેલા બની જવાનો આરોપ મૂક્યો, સ્ત્રી અને શ્વસુરને વશ માણસ બાયલાં કહેવાય એ ભાન આપ્યું, વાલકેશ્વરનો બંગલો વગેરેમાં પૈસા વેડફી માર્યાનો ખેદ બતાવ્યો, ઉડાઉપણા સારુ ને ગુમાનની રકમ અંગે ઊંધી સલાહ આપી તે સારુ તિરસ્કાર દેખાડ્યો. ‘ડોશીના લેખમાં મેં તો સહી કરી, પણ તારે આમ કરાવવું જોઈતું નહોતું; તું ભણ્યો પણ ગણ્યો નહીં, એમ ન જાણવું કે કાયદો જાણ્યો એટલે બાપ પણ ‘જી! લમ્બે!' કરશે.’ ઇત્યાદિ કંઈ કંઈ અસહ્ય વચન કહ્યાં. પિતૃભક્તિમાં અને એવી કઈ કઈ બાબતોમાં પુત્ર પછાત છે તેને વિશે લાંબું ભાષણ કર્યું. સરસ્વતીચંદ્ર ઘણીક બાબતોનો મર્મ ન સમજ્યો. ઘણી બાબતો નવાઈ ભરેલી લાગી. ગુમાનનો પ્રતાપ પૂર્ણ કળી ગયો, પોતાની સ્થિતિ જોઈ લીધી, પિતાની અપ્રીતિ અનુભવી, અન્યાયની હદ જોઈ, ઉત્તર વાળવો પુત્રધર્મ વિરુદ્ધ જણાયો; સર્વને અંતે આંખમાંથી એક ટીપું પડ્યું અને તે કોઈએ દીઠું નહીં. ઑફિસ આવતાં શેઠ ન્યાયાધીશની ઢબથી ઊતર્યા, પુત્ર ધીમે રહી ઊતરી પાછળ ગયો. આજ એ કોઈનો ન હતો. તેનું માથું ફરી ગયું. ઑફ્સિમાં જઈ ધૂર્તલાલને બોલાવ્યો. તેને બધા વહીવટથી ને ઓફિસની બધી હકીકતથી માહિત કર્યો. સાંજે પિતાની સાથે ઘેર ગયો ને ‘હું વાલકેશ્વરને બંગલે ખાવાનો તેમ જ સૂવાનો છું.’ કહી દીવા થતાં ફાઈટનમાં નીકળ્યો. રસ્તે જતાં ચંદ્રકાંતને સાથે લીધો. બંગલા આગળ ગાડી આવી ઊભી. તરત જ નવા કરાવેલા ખંડમાં ગયો. ચંદ્રકાંતને ખભે હાથ મૂકી સરસ્વતીચંદ્ર કુમુદસુંદરીની છબી જોઈ રહ્યો. છબી પાસે ગયો. પાછો આવી મિત્રને ગળે બાઝી નાના બાળક પેઠે રોયો! ચંદ્રકાંત ચમક્યો. ‘ભાઈ! આ શું? ધૈર્ય રાખો. શું છે આ?' ‘હું છેક આમ નહોતો જાણતો, હશે ઈશ્વરને ગમ્યું તે ખરું. ચંદ્રકાંત, પિતાનું દ્રવ્ય આજથી મારે શિવનિર્માલ્ય છે.’ ‘શાંત થાઓ. એમ શું બોલો છો? આ ઉતાવળ કરી તે ઠીક ન કર્યું. કાંઈ તમારે સારુ માર્ગ નથી એમ તો નથી?' ‘ના ના, તે માર્ગ નથી જોઈતો મારે. પિતાના મનમાં એમ જ આવ્યું કે હું દ્રવ્યને લીધે જ એમનો સંબંધી છું. હવે એમને મારી ચિંતા નથી, મારો વિશ્વાસ નથી. ભલે, મારે મન નિર્ધનતા કઠણ નથી. તને ખબર છે કે માત્ર પિતાના સ્નેહને વાસ્તે જ હું સંસારી હતો, અને એ સ્નેહ હવે નથી! દ્રવ્ય મારે જોઈતું નથી. તે નિરુપયોગી છે.' ‘કોણે કહ્યું કે દ્રવ્ય નિરુપયોગી છે?' ‘હવે જાણ્યું, જાણ્યું. દેશહિત, લોકહિત અને આત્મહિત ત્રણે દ્રવ્ય વિના સિદ્ધ થઈ શકે છે.’ ચંદ્રકાંતે ડોશીના દ્રવ્યની વાત કરી. સરસ્વતીચંદ્ર ચમક્યો અને કહ્યું : ‘એનું ગમે તે થાય. મારે તો દ્રવ્ય નથી જ જોઈતું.’ ચંદ્રકાંતે સરસ્વતીચંદ્રને ઘણો સમજાવ્યો વકીલાત કરવા કહ્યું, સંન્યાસ કરતાં પુરુષાર્થનું ભાન પ્રકટાવ્યું; પણ ફોગટ. ‘ચંદ્રકાંત! રંક અવસ્થાનાં સુખદુ:ખ, ગ્રહોના જેવી નિરાધાર સ્થિતિ, સંસારના ધક્કા, નિર્ધનતાના અંધકારમાં ઢંકાયેલાં રત્ન, અવિદ્યાના પ્રદેશ, એવું એવું ઘણું જોવાનો મારો અભિલાષ છે. આ અનુકૂળતા થઈ ગઈ છે.’ ‘પણ લોક શું કહેશે?' ‘મૂઢ! અપકીર્તિ મને ભયંકર નથી. કીર્તિ, અપકીર્તિ એ જૂઠાં ત્રાજવાં છે, ઊંઘતાનાં સ્વપ્ન છે.' ‘વારુ, કુમુદસુંદરીનો વિચાર કર્યો?' ‘એનો વિચાર ઈશ્વરને સોંપું છું. ટૂંકા પ્રસંગથી ઉત્પન્ન થયેલો સ્નેહ ટૂંકા સમયમાં શાંત થશે, કોઈ સારો વર મળશે એટલે મને ભૂલી જશે.’ ‘ભૂલ કરો છો. મુગ્ધાને હાનિ પહોંચાડી પસ્તાશો. ઈશ્વરના અપરાધી થશો. તમારા ચિત્તમાંથી પણ એ ખસનાર નથી.' ‘ચંદ્રકાંત! કુમુદ મારા ચિત્તમાંથી ખસવાની નથી. એના હૃદયનું લાવણ્ય મને ઘેલો બનાવી મૂકે છે તેમ જ સદૈવ બનાવશે. કુમુદને પણ વેદના થશે. પણ બીજાને પરણી કુમુદ મને ભૂલશે. મને પરણી આ કુટુંબમાં આવી તે સુખી નહીં થાય.. માટે..’ આટલું બોલતાં તે ગળગળો થઈ ગયો. ‘તું કહીશ કે તમે જુદા રહો ને કુમુદ સુખી થશે. પણ એટલું શાને? પિતાથી જુદા વસવું એ તો કલ્પના પણ દુઃખકર છે. એથી પિતા દુઃખી થાય અને તેમની જ અપકીર્તિ થાય. એમનું સુખ એ મારું લક્ષ્ય છે. ‘ચંદ્રકાંત! કુમુદ વિસરાવાની નથી, તો તું પણ ક્યાં વિસારે પડે એમ છે? પિતાને કદીક સાંભરી આવું તો તેમને આશ્વાસન આપજે હોં! તને પણ સાંભરીશ, પણ વિદ્યાનો ઉપયોગ મને વિચારવામાં કરજે! ચંદ્રકાંત, પિતાની સંભાળ રાખજે... મને તું પણ સંભારજે.’ ‘શું મિત્ર, આમ શું કરો છો? હું ધારું છું કે તમે બોલો છો એટલા નિર્દોષ નહીં થાઓ.’ ચંદ્રકાંત વ્યવહારુ હતો. બીજી વાતો કાઢી સરસ્વતીચંદ્રને તેણે શાંત કર્યો. રાત્રે અગિયાર વાગ્યે બે મિત્રો જુદા પડ્યા. જુદા પડતાં સરસ્વતીચંદ્રે ચંદ્રકાંતને એક પેટી આપી. ‘તે અંગે સૂચના તને સવારમાં કરીશ.’ એમ કહ્યું. ચંદ્રકાંતે ઘેર જવાને બદલે સરસ્વતીચંદ્રને ભેગા જ રાત ગાળવા વિચાર જણાવ્યો. પણ સરસ્વતીચંદ્રે સાફ ના પાડી. ચંદ્રકાંત ગયો. પ્રાત:કાળ થયો. સાત વાગ્યા, આઠ વાગ્યા, પણ પોતાને તેડવા સરસ્વતીચંદ્રની ગાડી નક્કી કર્યા મુજબ આવી નહીં. તેના પેટમાં ફાળ પડી. બંગલે ગયો. માળી કહે, ‘ભાઈ, ગાડીમાં બેસી મળસ્કાના ચોપાટી પર ફરવા ગયા છે.' ચંદ્રકાંતે ચોપાટી પર ગાડી દોડાવી. દરિયા-કિનારે સરસ્વતીચંદ્રની ગાડી મળી. ગાડીવાન કહે, ‘ભાઈ આગળ ફરવા ગયા છે. આ ચિઠ્ઠી આપી છે, ઘેર જઈ આપને આપવાની છે.’ ચંદ્રકાંતનો જીવ ઊડી ગયો. ચિઠ્ઠી વાંચી. તે સાથે સરસ્વતીચંદ્રે બીજો પત્ર પિતા પર પણ લખ્યો હતો. તેમાંનો કેટલોક ભાગ આ પ્રમાણે હતો. બ્રહ્માને ઘેર કોઈની ખોટ નથી, મારી ખોટ આપને પડવાની નથી. ધનભાઈથી આપને સર્વ પ્રકારે સંતોષ મળો, આપનું સઘળું દ્રવ્ય તેના કલ્યાણ અર્થે રાખો. હું કોઈ પ્રસંગે સાંભરી આવીશ તો એ જ મારે મન દ્રવ્ય છે. મારે માનસિક વૈરાગ્ય લેવામાં આપ પ્રતિકૂળ નહીં થાઓ એમ માનું છું ને સંસારસાગરને અદૃશ્ય તળિયે જઈ બેસું છું. ગુમાનબાને આજ સુધીમાં હું નિદૉષ છતાં મારો દોષ વસ્યો હોય તો ક્ષમા અપાવશો. મારા જવાથી આપના રોષનું સર્વ કારણ જતું રહેશે. વિદ્યાચતુરના કુટુંબની પરીક્ષામાં આપ છેતરાયા એ શબ્દ આપના ચિત્તમાંથી હવે નીકળી જશે.

પિતાજી, હવે મારી ચિંતા કરશો નહીં. ચંદ્રબા ગઈ તેમ હું જાઉં છું. પિતાજી, હવે તો,

સુખી હું તેથી કોને શું?
દુઃખી હું તેથી કોને શું? ૧
જગતમાં કંઈ પડ્યા જીવ,
દુ:ખી કંઈ ને સુખી કંઈક! ૨ [1]

બે કાગળો વાંચી ચંદ્રકાંતે ચર્ની રોડ સ્ટેશન પર ચારે બાજુ તપાસ કરી મૂકી. પત્તો જ ન લાગ્યો. નિરાશ ચંદ્રકાંત ઘેર ગયો. એકલો શયનગૃહમાં બેઠો. અશ્રુપાત ખાળી ન શકાયો. ‘સરસ્વતીચંદ્ર, આ શું સૂઝ્યું? ગરીબ બિચારી કુમુદસુંદરીની શી વલે થશે? હું ક્યાં શોધું? અપ્તરંગી માણસનો ભરોસો જ નહીં, હેં?' ચંદ્રકાંત શેઠને ઘેર ગયો. કાગળ શેઠને તુરત તો ન આપવો એમ વિચાર્યું. ગાડીવાને શેઠને સમાચાર કહ્યા. ગુમાનને જોર આવ્યું ને બોલી ઊઠી. ‘ઘરમાં બધે તપાસ કરાવો.’ શેઠ બોલ્યા : ‘ઘરમાં શાની તપાસ કરાવે? પરગામ જાય તેની ઘરમાં શી તપાસ કરાવે?' ‘જુઓ, ભાઈ કાંઈ કીકલા નથી. આ તો બધાને ડરાવવાને વેઠ કાઢ્યો. ભલું હશે તો સસરાને કે વહુને મળવા ગયા હશે. પણ ઘરમાં ગોટો ન ઘાલ્યો હોય તેની તપાસ પહેલી કરો.’ રાતીચોળ આંખ કરી શેઠ બોલ્યા : ‘જો આજ હું તારો નથી હોં! તારા પેટમાં ન બળે પણ મને તો બળે.’ શેઠ ઊઠ્યા ને એકાંતમાં ચંદ્રકાંતને લઈ ગયા. તેમનું હૈયું ભરાઈ આવ્યું. પુત્રના ગુણ સાંભરી આવ્યા. પોતે કઠણ વચન કહ્યાં એમ સાલવા માંડ્યું. ‘ચંદ્રકાંત, તું બધું જાણતો હોઈશ. તારા મોં ઉપરથી લાગે છે. મને કહે – આ એને શું સૂઝ્યું? એના વિના હું ઝેર ખાઈશ, હોં!' શેઠે ટેબલ ઉપર માથું ફૂટ્યું. ચંદ્રકાંત શેઠને ટાઢા પાડ્યા. સરસ્વતીચંદ્રનો કાગળ હાથમાં મૂક્યો. ભોજે લોહીના અક્ષર મોકલ્યા તે વાંચી મુંજને થયો હતો તેવો જ વિકાર કાગળ વાંચતાં શેઠને થયો. આંખમાંથી ખરખર આંસુ ચાલવા માંડ્યાં. ‘ચંદ્રકાંત, ભાઈને બતાવ. તું જાણે છે; ગમે તે કર, ભાઈને આણ, નહીં ચાલે.' ચંદ્રકાંત ઊકળતા હૃદયમાંથી ઊભરા પર ઊભરા કાઢી શેઠના પસ્તાતા અંત:કરણના ચીરા કરવા લાગ્યો. ‘શેઠ આપ તો મોટા માણસ છો. નિર્મળ કુમુદસુંદરી પર આરોપ મૂકી પુત્રના હૃદયમાં કટાર ખોસ્યા જેવું કર્યું. વરકન્યાની પ્રીતિ વધે ને માબાપથી ન ખમાય એ તો વિપરીત જ. પણ આપ શું કરો? અપર માના હાથમાં ગયેલા પિતાનો પુત્ર સ્વસ્થ રહ્યો સાંભળ્યો નથી. ખરી વાત છે, છોકરાં કરતાં સ્ત્રી વધારે હોય જ. સભાઓ ગજાવનાર, વિદ્વાનોનો માનીતો, મારા જેવા નિરાધારનો આધાર, તે આજે કયાં હશે? શેઠ, ધ્રુવજીના જેવું થયું. શેઠ, આપના ઘરમાંથી દીવો હોલાઈ ગયો. પણ આપને શું?' ચંદ્રકાંતે પાઘડી પહેરી. ઊઠ્યો અને ચાલવા માંડ્યું. શેઠે હાથ પકડી તેને બેસાડ્યો. ‘ચંદ્રકાંત, ચંદ્રકાંત, આમ શું કરે છે? મને એનો પત્તો આપ. તેં મારું ખસી ગયેલું કાળજું ઠેકાણે આણ્યું છે. હવે પુત્રવિયોગથી ફરી ખસશે તો પછી ઠેકાણે નહીં આવે, હોં! ચંદ્રકાંત! મારો ભાઈ મને આણી આપ.’ જુએ તો ચંદ્રકાંત ન મળે. ‘ભાઈ, ભાઈ!' ગુમાન, પાસે આવી ઊભી. ‘ભાઈ તો ગયા.' ગુમાનને દેખતાં જ શેઠે એકબે લાતો એવી મૂકી કે ગઈ ગડબડતી આઘે. હાથથી વાત ગઈ જાણી ભાઈબહેન – ધૂર્તલાલ, ગુમાન વગેરે સૌ અનુકૂળ થઈ ગયાં. અને સરસ્વતીચંદ્રની શોધ બાબત શેઠની આજ્ઞાઓ દેખીતી પળાવા લાગી. દ્રવ્ય નિરંકુશ ખરચાતું અને શેઠને કાને એમ જ જતું કે અદ્ભુત શોધ નિષ્ફળ જાય છે. ચંદ્રકાંતે પણ શોધ કરવામાં બાકી રાખી નહીં. એક દિવસ ‘ધી બૉમ્બે લાઇટ'વાળા બુલ્વરસાહેબની ચિઠ્ઠી ચંદ્રકાંત ઉપર આવી. તંત્રી ઉપર પત્રો આવતા, તેમાં એક પત્ર સરસ્વતીચંદ્રના અક્ષરનો હતો. ચંદ્રકાંતે અક્ષર ઓળખ્યા. તેના હર્ષનો પાર રહ્યો નહીં. ટપાલની છાપમાં ‘સુવર્ણપુર’ હતું. ચંદ્રકાંતે સુવર્ણપુર જવાનો વિચાર કર્યો. સુવર્ણપુરના અમાત્યને અને વિદ્યાચતુરને સંબંધ હતો. એટલે અમાત્ય ઉપર ભલામણ લેવા પ્રથમ રત્નપુરી જવાનું ઠરાવ્યું. વિદ્યાચતુર અને ગુણસુંદરી બંનેએ ચંદ્રકાંતનો ઘણો સત્કાર કર્યો. સરસ્વતીચંદ્ર બાબત ઘણી જિજ્ઞાસા અને ઘણો ખેદ બતાવ્યો. છતાં વિદ્યાચતુરે કહ્યું : ‘ચંદ્રકાંત! મારે કહેવું જોઈએ કે આપણી અંગ્રેજી વિદ્યામાં એક જાતનો દોષ છે – આખી પાશ્ચાત્ય વિદ્યાનો છે એમ કહીએ તોપણ ચાલે. અસંતુષ્ટવૃત્તિ સર્વ પાશ્ચાત્ય પ્રવૃત્તિનું મૂળ છે. આ વૃત્તિવાળાં મન સટોરિયા જેવી પ્રકૃતિવાળાં થઈ જાય છે. સરસ્વતીચંદ્ર આનું એક દૃષ્ટાંત છે. જુઓ એમનો જગત છોડી જગત જોવાનો રસ્તો! ઘણાક પિતાઓ લક્ષ્મીનંદન પેઠે બોલતા હશે, પણ તેટલા ઉપરથી આ પ્રમાણે કરનાર તો તમારા મિત્રને જ દીઠા!' સ્વતંત્ર પ્રકૃતિનો ચંદ્રકાંત આ અભિમાન જોઈ રહે એવો નહોતો. પરંતુ વિદ્યાચતુરની સહાયતાએ સહનશક્તિ ઉત્પન્ન કરી. વળી વિદ્યાચતુરે કહ્યું : ‘ચંદ્રકાંત, થનાર તે થયું. હવે દાઝ્યા ઉપર ડામ દેવો યોગ્ય નથી. મારી કુસુમનો વિવાહ હજી કંઈ કર્યો નથી અને એમને દેવા હું બહુ ખુશી છું. પણ આમ આથડ્યાં કરે તો તો મારાથી કાંઈ ન થાય.’ ચંદ્રકાંત ક્રોધને વ્યર્થ દાબી રાખી બોલ્યો : ‘આપનો બહુ ઉપકાર માનું છું. પણ – કુસુમસુંદરીનો હાથ મેળવવા સારુ એ કાંઈ પણ શરત પાળે તે માનવું નહીં. દુ:ખ એને નરમ કરશે એ હું ધારતો નથી. મારે તો એમને શોધવામાં આપની સહાયતા જોઈએ છીએ. આજે સાંજે મારે નીકળવું જોઈએ.’ ચંદ્રકાંત! તમે ખોટું ન લગાડશો, તમારા મિત્ર તે મારા પણ એક વાર સંબંધી હતા. અને હજી પણ મારું ચિત્ત તેમને વાતે બળે છે. સાંજસોરી સૌ વ્યવસ્થા થશે.' ચંદ્રકાંત ધીરો પડ્યો. સંધ્યાકાળે તે એક શિગરામમાં બેસી નીકળ્યો અને મિત્રના વિચાર કરતો કરતો સુવર્ણપુર ભણીને પંથે વળ્યો. નવીનચંદ્રનું નામ બુલ્વરસાહેબ પર આવેલા પત્ર પર હતું. પણ નવીનચંદ્ર તે જ સરસ્વતીચંદ્ર હશે તેની ખાતરી ન હતી. નવીનચંદ્રનું પૂરું સરનામું ન હતું. તે છતાં એક કાગળ લખ્યો. તે જ નવીનચંદ્રને પહોંચ્યો અને તે જ કુમુદસુંદરીના હાથમાં આવ્યો હતો. ચંદ્રકાંતની વાતો નાની કુસુમસુંદરીએ માબાપની પાછળ બેસી છાનીમાની સાંભળી લીધી હતી અને કુમુદને તે પહોંચાડવા ચંદ્રકાંતના શબ્દેશબ્દ પત્ર ઉપર ટપકાવી દીધા હતા.




  1. કાવ્ય ટૂંકાવ્યું છે. (સં.)