સાહિત્ય પલ્લવ – ભાગ ૨/અંગુલિમાલ
રામનારાયણ વિ. પાઠક
મેં એમ સાંભળ્યું છે. એક સમય ભગવાન શ્રાવસ્તિમાં અનાથપિંડિકના જેતવન આરામમાં વિહરતા હતા. તે સમયમાં કોસલના રાજા પસેનદિના રાજ્યમાં અંગુલિમાલ નામનો ચોર, લુબ્ધ, રક્તપાણિ, મારફાડમાં રચ્યોપચ્યો અને પ્રાણીઓ તરફ – ભૂતો તરફ – અદયાથી વર્તનારો હતો. તેણે ગામને, કસબાને અને જનપદને હતા નહોતા કરી નાખ્યા હતા. તે માણસોને મારી મારીને તેમની આંગળીઓની માળા ધારણ કરતો. હવે ભગવાન સવારમાં તૈયાર થઈને પાત્રચીવર લઈને શ્રાવસ્તિમાં ભિક્ષા માટે ગયા. શ્રાવસ્તિમાં ભિક્ષા માટે ફરીને, ભિક્ષા કરી લીધા પછી ભિક્ષાથી પાછા આવીને, શયનાસનનો વીંટો કરીને, પાત્રચીવર લઈને, જ્યાં અંગુલિમાલ ચોર રહેતો હતો તે રસ્તા ઉપર ચાલ્યા. ગોવાળો, પશુપાલો, ખેડૂત, જેઓ ચોરને જોઈને નાસી જતા તેમણે ભગવાનને જ્યાં અંગુલિમાલ રહેતો હતો તે રસ્તે જતા જોયા : જઈને ભગવાનને આ પ્રમાણે કહ્યું; ‘હે શ્રમણ, આ માર્ગે મા જતો. હે શ્રમણ, આ માર્ગે અંગુલિમાલ નામનો ચોર, લુબ્ધક, રક્તપાણિ મારફાડમાં રચ્યોપચ્યો અને પ્રાણીઓ તરફ – ભૂતો તરફ - અદયાથી વર્તનારો રહે છે. તેણે કસબાને – જનપદને – હતા નહોતા કરી નાખ્યા છે. તે માણસોને મારી મારીને તેમની આંગળીઓની માળા ધારણ કરે છે. હે શ્રમણ, આ માર્ગે દસ પુરુષો પણ, વીસ પુરુષો પણ, ત્રીસ પુરુષો પણ, ચાળીસ પુરુષો પણ ભેગા થઈને જાય છે તેઓ પણ અંગુલિમાલ ચોરના હાથમાં સપડાઈ જાય છે.’ એ પ્રમાણે કહેતાં છતાં ભગવાન બોલ્યા વિના ચાલ્યા. બીજી વાર પણ ગોવાળો, પશુપાલો, ખેડૂતો, જેઓ ચોરને જોઈને નાસી જતા તેમણે ભગવાનને આ પ્રમાણે કહ્યું : ‘શ્રમણ, આ માર્ગે મા જતો. હે શ્રમણ, આ માર્ગે અંગુલિમાલ નામનો ચોર, લુબ્ધ, રક્તપાણિ, મારફાડમાં રચ્યોપચ્યો અને પ્રાણીઓ, ભૂતો તરફ અદયાથી વર્તનારો રહે છે. તે માણસોને મારી મારીને તેમની આંગળીઓની માળા ધારણ કરે છે. હે શ્રમણ, આ માર્ગે દસ પુરુષો પણ, વીસ પુરુષો પણ, ત્રીસ પુરુષો પણ, ચાળીસ પુરુષો પણ ભેગા થઈ થઈને જાય છે, તેઓ પણ અંગુલિમાલ ચોરના હાથમાં સપડાઈ જાય છે.’ એ પ્રમાણે કહેતાં છતાં ભગવાન બોલ્યા વિના ચાલ્યા. ત્રીજી વાર પણ ગોવાળો, પશુપાલો, ખેડૂતો, જેઓ ચોરને જોઈને નાસી જતા તેમણે ભગવાનને આ પ્રમાણે કહ્યું, ‘હે શ્રમણ, આ માર્ગે મા જતો. હે શ્રમણ, આ માર્ગે અંગુલિમાલ નામનો ચોર લુબ્ધ, રક્તપાણિ, મારફાડમાં રચ્યોપચ્યો અને પ્રાણીઓ, ભૂતો તરફ અદયાથી વર્તનારો રહે છે. હે શ્રમણ આ માર્ગે દસ પુરુષો પણ, વીસ પુરુષો પણ, ત્રીસ પુરુષો પણ, ચાળીસ પુરુષો પણ ભેગા થઈને જાય છે, તેઓ પણ અંગુલિમાલ ચોરના હાથમાં સપડાઈ જાય છે.’ એ પ્રમાણે કહેતાં છતાં ભગવાન બોલ્યા વિના ચાલ્યા. અંગુલિમાલે ભગવાનને દૂરથી જ આવતા જોયા; જોઈને એના મનમાં આ પ્રમાણે વિચાર થયો, ‘ઓહો આશ્ચર્ય, અહો અદ્ભુત! આ માર્ગે દસ પુરુષો પણ, વીસ પુરુષો પણ, ત્રીસ પુરુષો પણ, ચાળીસ પુરુષો પણ, પચાસ પુરુષો પણ ભેગા થઈ થઈને જાય છે, તેઓ પણ મારા હાથમાં સપડાઈ જાય છે. હું આ શ્રમણને ખરેખર જીવિતથી ઉખેડી નાખીશ.’ હવે અંગુલિમાલ ઢાલ તરવાર લાવીને, બાણ અને ભાથું સજ્જ કરીને, ભગવાનની પછવાડે પછવાડે ગયો. હવે ભગવાન એવા પ્રકારનાં ઋદ્ધિ સંસ્કારથી ચાલ્યા, કે જેથી અંગુલિમાલ પોતાના સર્વ બળથી જતાં છતાં સ્વાભાવિક રીતે જતા ભગવાનને પકડી શક્યો નહિ. હવે અંગુલિમાલ ચોરના મનમાં આ પ્રમાણે થયું: ‘અહો આશ્ચર્ય! અહો અદ્ભુત! હું પહેલાં દોડતા હાથીની પછવાડે પડીને તેને પણ પકડી પાડતો, દોડતા ઘોડાની પછવાડે પડીને તેને પણ પકડી પાડતો, દોડતા રથની પછવાડે પડીને તેને પણ પકડી પાડતો, દોડતા મૃગની પછવાડે પડીને તેને પણ પકડી પાડતો; અને આ સ્વાભાવિક રીતે જતા શ્રમણને મારા સર્વ બળથી જતાં છતાં પહોંચી શકતો નથી.’ ઊભા રહીને તેણે ભગવાનને આ પ્રમાણે કહ્યું, ‘ઊભો રહે, શ્રમણ! ઊભો રહે, શ્રમણ!’ ‘હું ઊભો છું, અંગુલિમાલ! તું ઊભો રહે.’ હવે અંગુલિમાલ ચોરના મનમાં આ પ્રમાણે થયું. ‘આ શાક્યપુત્રીય શ્રમણો સત્યવાદી અને સત્ય પ્રતિજ્ઞાવાળા હોય છે. પણ આ શ્રમણ પોતે જતો જતો જ કહે છે : હું ઊભો છું, અંગુલિમાલ! તું ઊભો રહે. ત્યારે હું શ્રમણને પૂછું.’ હવે અંગુલિમાલ ચોરે ભગવાનને ગાથાથી કહ્યું :
‘જતાં છત, શ્રમણ, ‘ઊભો છું’ કહે છે,
મને ઊભાને ન-ઊભો કહે છે;
પૂછું તને, શ્રમણ એહ અર્થ,
તું કેમ ઊભો, ન-ઊભો હું કેમ?’
‘ઊભો છું હું અંગુલિમાલ. સર્વદા,
સર્વેય ભૂતો મહીં દણ્ડ છોડી,
અસંયમી પ્રાણીઓ માંહી તું છે હું
‘ચિરકાલે પૂજ્ય મહર્ષિ મારા
મહાવને સત્યવાદી તું આવ્યો;
ચિરકાલ માટે હું એ પાપ છોડું
તારી સુણી ધર્મથી યુક્ત ગાથા.’
ત્યારે જ ચોરે આયુધને અસિને
ઊંડે ખાડે નરકે ફેંકી દીધાં;
સુગત કેરા ચરણે ચાર વંદ્યો,
પ્રવજ્યાની યાજના ત્યાં જ કીધી.
અતિ કારુણિક મહર્ષિ બુદ્ધ
જે છે શાસ્તા દેવ ને લોક કેરા;
‘આમ આવ ભિક્ષુ,’ એમ તે કાલ ભાખ્યા,
તેનો હુવો એ રીત ભિક્ષુભાવ.
હવે ભગવાને અંગુલિમાલ અનુયાયી સાથે જ્યાં શ્રાવસ્તિ હતી તે બાજુ ચર્યા શરૂ કરી. એક પછી એક સ્થાને ચર્યા કરતાં જ્યાં શ્રાવસ્તિ હતી, ત્યાં આવી પહોંચ્યા. ત્યાં શ્રાવસ્તિમાં જે્તવને અનાથપિંડિકના આરામમાં ભગવાન વિહાર કરતા હતા. તે સમયે કોસલના રાજા પસેનદિના મહેલ પાસે મોટું ટોળું મળ્યું અને ઉચ્ચ શબ્દ, મહાશબ્દ થયો. ‘હે દેવ, તારા રાજ્યમાં અંગુલિમાલ નામનો ચોર, લુબ્ધ, રક્તપાણિ, મારફાડમાં રચ્યોપચ્યો અને પ્રાણીઓ, ભૂતો તરફ અદયાથી વર્તનારો આવ્યો છે. તેણે ગામને, કસબાને અને જનપદને હતાં નહોતાં કરી નાખ્યાં છે. તે માણસોને મારી મારીને તેમની આંગળીઓની માળા ધારણ કરે છે. દેવ તેનો પ્રતિષેધ કરો.’ હવે કોસલના રાજા પસેનદિએ પાંચસો જેટલા અસવાર સાથે બપોરે શ્રાવસ્તિથી જ્યાં આરામ હતો તે બાજુ પ્રયાણ કર્યું; જ્યાં સુધી વાહન જઈ શકે તેવી ભૂમિ હતી, ત્યાં સુધી વાહનથી જઈને પછી વાહનથી હેઠે ઊતરીને જ્યાં ભગવાન હતા ત્યાં પાળો ગયો, પાસે જઈને ભગવાનને અભિવન્દન કરીને એક બાજુ બેઠો. એક બાજુ બેઠેલા કોસલના રાજા પસેનદિને ભગવાને આ પ્રમાણે કહ્યું : ‘મહારાજ, તારા ઉપર મગધનો શ્રેણીય રાજા બિંબિસાર કોપ્યો છે, કે વૈશાલિના લિચ્છવિઓ કોપ્યા છે, કે બીજા શત્રુ રાજાઓ કોપ્યા છે?’ ‘ભન્તે, મારા ઉપર મગધનો શ્રેણીય રાજા બિંબિસાર કોપ્યો નથી. વૈશાલિના લિચ્છવિઓ કોપ્યા નથી તેમ બીજા શત્રુ રાજાઓ કોપ્યા નથી. ભન્તે, મારા રાજ્યમાં અંગુલિમાલ નામનો ચોર, લુબ્ધ, રક્તપાણિ, મારફાડમાં રચ્યોપચ્યો અને પ્રાણીઓ, ભૂતો તરફ અદયાથી વર્તનારો આવ્યો છે. તેણે ગામને, કસબાને અને જનપદને હતાં નહોતાં કરી નાખ્યાં છે. તે માણસોને મારી મારીને તેમની આંગળીઓની માળા ધારણ કરે છે. ભન્તે, તેનો હું પ્રતિષેધ કરીશ.’ ‘પણ મહારાજ, તું અંગુલિમાલને કેશ મૂછ ઉતારેલો, કષાય વસ્ત્રથી ઢંકાયેલો, ઘરને બદલે ઘર વિનાનો થયેલો, પ્રવ્રજિત થયેલો, પ્રાણઘાતથી વિરામ પામેલો, અદત્તાદાનથી વિરામ પામેલો, મૃષાવાદથી વિરામ પામેલો, એક-ભક્તિવાળો, બ્રહ્મચારી, શીલવાન, કલ્યાણ-ધર્મવાળો જુએ, તો શું કરે?’ ‘તો ભન્તે, હું અભિવન્દન કરું, સન્માન આપું, આસનને માટે નિમન્ત્રણ કરું, ચીવર, પિણ્ડપાત્ર, શયનાસન, ઔષધ વગેરેની ગોઠવણ કરું, તેની ધાર્મિક રક્ષા કે ગુપ્તિ કરું, પણ ભન્તે, એ દુઃશીલ પાપધર્મનો એવા રૂપનો શીલ-સંયમ ક્યાંથી થાય?’ તે સમયે આયુષ્માન અંગુલિમાલ ભગવાનની નજીક બેઠેલો હતો. હવે ભગવાને કોસલના રાજા પસેનદિનો જમણો હાથ પકડીને કહ્યું : ‘મહારાજ, આ અંગુલિમાલ છે.’ હવે કોસલના રાજા પસેનદિને ભય થયો, જડતા પણ થઈ, રૂંવાડાં ઊભાં પણ થઈ ગયાં. હવે કોસલના રાજા પસેનદિને બીધેલો, સંવિગ્ન, રૂંવાં ઊભાં થઈ ગયેલો જાણીને, ભગવાને આ પ્રમાણે કહ્યું, ‘બીઓ નહિ મહારાજ, બીઓ નહિ, આનાથી તમને ભય નથી.’ હવે કોસલના રાજા પસેનદિને જે ભય થયો હતો, જે જડતા થઈ હતી, જે રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં, તે શાન્ત થયો. હવે કોસલના રાજા પસેનદિએ આયુષ્માન અંગુલિમાલને આ પ્રમાણે કહ્યું, ‘ભન્તે, અંગુલિમાલ, આપ આર્ય છો?’ ‘હા, મહારાજ.’ ‘આર્યના પિતાનું ગોત્ર કયું? આર્યની માતાનું ગોત્ર કયું?’ ‘મહારાજ, પિતા ગર્ગ અને માતા મન્ત્રાયણી.’ ‘ભન્તે, ગર્ગ-મન્ત્રાયણી! આનંદથી રહો. હું આર્ય ગર્ગ-મન્ત્રાયણી પુત્રની બરદાસ કરીશ; ચીવર, પિણ્ડપાત્ર, શયનાસન, ઔષધ, રક્ષા કરીશ.’ તે સમયે આયુષ્માન અંગુલિમાલ આરણ્યક હતો, પિણ્ડપાતિક હતો, પાંસુકૂલિક હતો, ત્રિચીવરક હતો. હવે આયુષ્માન અંગુલિમાલે કોસલના રાજા પસેનદિને આ પ્રમાણે કહ્યું – ‘અલમ્, મહારાજ, મારે ત્રણ ચીવર પરિપૂર્ણ છે.’ પછી કોસલનો રાજા પસેનદિ જ્યાં ભગવાન હતા ત્યાં ગયો. જઈને ભગવાનને અભિવન્દન કરીને એક બાજુ બેઠો. એક બાજુ બેઠેલા કોસલના રાજા પસેનદિએ ભગવાનને આ પ્રમાણે કહ્યું : ‘ભન્તે, આશ્ચર્ય! ભતે, અદ્ભુત! કે, ભન્તે, ભગવાન અદાન્તને દમનારા, અશાન્તને શાન્ત કરનારા, નિર્વાણ નહિ પામેલાને નિર્વાણ પમાડનાર છો. જેને અમે, ભન્તે, દંડથી શસ્ત્રથી દમી શક્યા નહિ તેને ભગવાને અદણ્ડથી અશસ્ત્રથી દમ્યો. હવે ભન્તે, અમે જઈએ. અમારે બહુ કામ છે, બહુ કર્તવ્ય છે.’ ‘મહારાજ, તું જે કાર્યનો સમય માનતો હો તે કર.’ પછી કોસલનો રાજા પસેનદિ આસનથી ઊઠીને ભગવાનને અભિવન્દન કરીને પ્રદક્ષિણા કરીને ચાલ્યો. પછી આયુષ્માન અંગુલિમાલ સવારને પહોર તૈયાર થઈને, પાત્રચીવર લઈને, ભિક્ષાને માટે શ્રાવસ્તિમાં ગયો. આયુષ્માન અંગુલિમાલ શ્રાવસ્તિમાં એક ઘેરથી બીજે ઘેર સળંગ ભિક્ષા માટે ફરતો હતો, ત્યાં નજીક મૂઢગર્ભા, દુ:ખગર્ભા સ્ત્રીને જોઈ. જોઈને તેને આમ થયું, ‘જીવો દુ:ખી છે, જીવો દુ:ખી છે.’ પછી આયુષ્માન અંગુલિમાલ શ્રાવસ્તિમાં ભિક્ષાને માટે ફરીને ભિક્ષા કરીને, ભિક્ષાથી પાછા ફરીને, જ્યાં ભગવાન હતા ત્યાં ગયો; જઈને ભગવાનને અભિવન્દન કરીને એક બાજુ બેઠો. એક બાજુ બેઠેલા આયુષ્માન અંગુલિમાલે ભગવાનને આ પ્રમાણે કહ્યું : ‘ભન્તે, સવારને પહોર તૈયાર થઈને, પાત્ર ચીવર લઈને, ભિક્ષાને માટે શ્રાવસ્તિમાં ગયો હતો. ભન્તે, શ્રાવસ્તિમાં ભિક્ષાને માટે એક ઘેરથી બીજે ઘેર સળંગ ફરતાં નજીકમાં એક મૂઢગર્ભા, દુઃખગર્ભા સ્ત્રીને મેં જોઈ ને મને એમ થયું : ‘જીવો દુ:ખી છે. જીવો દુ:ખી છે.’ ‘ત્યારે અંગુલિમાલ, જ્યાં શ્રાવસ્તિ છે ત્યાં તું જા, જઈને એ સ્ત્રીને તું આ પ્રમાણે કહે, ‘બહેન, જન્મ્યો ત્યારથી જાણી જોઈને પ્રાણીઓને જીવિતથી ઉખેડી નાખ્યાનું હું જે જાણતો નથી તે સત્યથી તને સ્વસ્તિ થાઓ, ગર્ભને સ્વસ્તિ થાઓ.’ ‘એ તો ભન્તે, જાણી જોઈને બોલેલો મૃષાવાદ થયો. મેં તો જાણી જોઈને બહુ પ્રાણીઓને જીવિતથી ઉખેડી નાંખ્યાં છે.’ ‘ત્યારે અંગુલિમાલ, શ્રાવસ્તિ છે ત્યાં તુ જા, જઈને એ સ્ત્રીને તું આ પ્રમાણે કહે : ‘બહેન! હું આર્ય જાતિમાં જન્મ્યો ત્યારથી જાણી જોઈને પ્રાણિઓને જીવિતથી ઉખેડી નાખ્યાનું હું જે જાણતો નથી, તે સત્યથી તને સ્વસ્તિ થાઓ, ગર્ભને સ્વસ્તિ થાઓ.’ ‘એમ કહીશ, ભન્તે!’ એમ ભગવાનને જવાબ આપી આયુષ્યમાન અંગુલિમાલ જ્યાં શ્રાવસ્તિ હતી ત્યાં ગયો, જઈને તે સ્ત્રીને આ પ્રમાણે કહ્યું : ‘બહેન, હું આર્ય જાતિમાં જન્મ્યો, ત્યારથી જાણી જોઈને પ્રાણીઓને જીવિતથી ઉખેડી નાખ્યાનું હું જે જાણતો નથી, તે સત્યથી તને સ્વસ્તિ થાઓ, ગર્ભને સ્વસ્તિ થાઓ.’ પછી તે સ્ત્રીને સ્વસ્તિ થયું, તે ગર્ભને સ્વસ્તિ થયું. પછી આયુષ્માન અંગુલિમાલ એકલો થયેલો, અપ્રમત્ત, વીર્યવાન, આત્માને મોકલી દીધો છે એવો, જેને માટે કુલપુત્રો ઘરબાર છોડી સારી રીતે ઘરબાર વિનાના થાય છે એવા અનુત્તર બ્રહ્મચર્યનું પર્યવસાન થોડા જ કાલમાં આ જ અવતારમાં પોતે જાણીને, સાક્ષાત્ કરીને, સમજીને વિહરતો હતો. જન્મ (હેતુ) ક્ષીણ થઈ ગયો, બ્રહ્મચર્ય પૂરું થયું, કરવાનું કર્યું છે હવે બીજો ભવ નથી. એ પ્રમાણે પોતે જાણ્યું; અને આયુષ્માન અંગુલિમાલ અર્હતોમાંનો એક અર્હ થયો. હવે આયુષ્માન અંગુલિમાલ સવારને પહોર તૈયાર થઈને, પાત્રચીવર લાવીને, ભિક્ષા માટે શ્રાવસ્તિમાં ગયો. તે સમયે કેટલાએકે ઢેફાં નાખ્યાં તે આયુષ્માન અંગુલિમાલના શરીરને વાગ્યાં, બીજાઓએ દંડો ફેંક્યા તે આયુષ્માન અંગુલિમાલના શરીરને વાગ્યા, બીજાઓએ કાંકરા ફેંક્યા તે આયુષ્માન અંગુલિમાલના શરીરને વાગ્યા. પછી આયુષ્માન અંગુલિમાલ. ભાંગેલે માથે, લોહીથી ગળતે ફાટેલે વસ્ત્રે, અને ફાટેલી કંથાએ જ્યાં ભગવાન હતા ત્યાં ગયા. ભગવાને આયુષ્માન અંગુલિમાલને દૂરથી આવતો જોયો, જોઈને આયુષ્માન અંગુલિમાલને આ પ્રમાણે કહ્યું : ‘બ્રાહ્મણ, સહન કર. બ્રાહ્મણ, સહન કર. જે કર્મનો વિપાક તું બહુ વર્ષો સુધી, બહુ વર્ષશતો સુધી, બહુ વર્ષ સહસ્ત્ર સુધી નરકમાં ભોગવત તે કર્મનો વિપાક આ જ અવતારમાં તું ભોગવે છે.’ પછી આયુષ્માન અંગુલિમાલે એકાંતમાં જઈને એકાંતમાં રહીને, વિમુક્તિ સુખ ભોગવ્યું. તે વેળાએ આ ઉદ્ગારો કાઢ્યા :
જે પ્રમાદ કરી પૂર્વે, અપ્રમાદ પછી કરે,
તે આ લોક ઉજાળે છે, ઘનથી મુક્ત ચન્દ્ર શો.
જેહમાં પાપકર્મો સૌ ઢંકાયે પુણ્ય કર્મથી,
તે આ લોક ઉજાળે છે, મેઘથી મુક્ત ચન્દ્ર શો.
જેહ ભિક્ષુ જુવાનીમાં જોડાયે બુદ્ધશાસને,
તે આ લોક ઉજાળે છે, ઘનથી મુક્ત ચન્દ્ર શો.
શત્રુઓય મારા સુણજો ધર્મની કથા
શત્રુઓય મારા ભળજો બુદ્ધશાસને.
શત્રુઓય મારા સેવજો એ મનુષ્યો
જે સન્તો દે છે ધર્મથી દેશનાઓ.
શત્રુઓ - ખંતિ વાદીનો, અવિરોધ - પ્રશંસીનો
સાંભળો ધર્મ કો કાલે, અનુવર્તોય એમને.
એ હિંસા ન કરો મારી, અન્યની કોઈની ન વા;
શાન્તિ પરમને પામો, રક્ષતાં જડ ચેતન.
પાણી વાળે પાણી પાનાર ક્યારે,
રાડું વાળે હોય જે બાણકાર,
દારુ નામે સાજ ઘડતાં સુતારો,
આત્મા દમે છે પંડિતો એ જ રીતે.
દમે છે કોઈ દણ્ડેથી, કોઈ ચાબુક અંકુશે.
વિના દણ્ડ, વિના શસ્ત્ર, અર્હતે દમિયો મને.
અહિંસક હતું નામ, હિંસા હું કરતો છતાં;
સત્યનામ થયો આજ, કોઈને હણતો નથી.
હતો ચોર પહેલાં હું, અંગુલિમાલ નામીચો,
મોટા પૂરે તણાતો હું, પામ્યો શરણ બુદ્ધનું.
રક્તપાણિ હતો. પૂર્વે, અંગુલિમાલ નામીચો,
શરણાગમનેથી, જો, તૃષ્ણા નષ્ટ થઈ ગઈ.
બહુ દુર્ગતિ દેનારાં, એવાં કર્મો કર્યાં હતાં,
કર્મવિપાકથી સ્પર્શ્યો, ભોગવું અનૃણી થઈ.
દુર્મેર્ધિ જન ને બાલો ભળે છે જૈ પ્રમાદમાં,
અપ્રમાદ ધન શ્રેષ્ઠ મેધાવી રક્ષતો સદા.
ભળજો મા પ્રમાદે કો, કામપ્રીતિથી મૈત્રીમાં
વિશાલ સુખ પામે છે, ધ્યાનમાં અપ્રમત્ત જે.
છે સ્વાગત ન બીજું કૈં, નથી દુર્મન્ત્ર આ કશો,
સુવિભક્તો થતાં ધર્મો, પામ્યો હું શ્રેષ્ઠ ધર્મને.
છે સ્વાગત ન બીજું કૈં, નથી દુર્મન્ત્ર આ કશો.
ત્રણે વિદ્યા કરી પ્રાપ્ત, કર્યું શાસન બુદ્ધનું.
સ્વાધ્યાય