સાહિત્ય પલ્લવ – ભાગ ૨/અખો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અખો

[અખાએ ‘અખેગીતા’ નામે જ્ઞાનનો ગ્રંથ લખ્યો છે. તેમાંથી ભક્તનું વર્ણન નીચે આપ્યું છે. જેનું નવનીત (માખણ) જેવું કોમલ હૃદય હોય, આંખમાં અમરત ભર્યાં હોય, ખાતાં પીતાં બોલતાં જે પ્રભુને જ સઘળે દેખતો હોય, સર્વ ઠેકાણે મારો પ્રભુ જ સભર ભર્યો છે એમ જે જોતો હોય, પ્રભુનાં ગીત ગાતાં જેનાં અંગાંગે રોમાંચ થાય, કંઠ ગદ્ગદ થઈ જાય, અને હર્ષનાં આંસુ આવી જાય, તેને અખો ભક્ત કહે છે. જેમ જારે (પ્રીતમે) લુબધી (લોભાવેલી-આકર્ષેલી) યુવતીનું મન પોતાના પ્રેમપાત્ર તરફ જ ઢળતું રહે અને રાતદિવસ એને તેનું જ ધ્યાન રહે, તેમ જ ભક્તનું ભગવાન અંગે પણ સમજવું, એમ એ દૃષ્ટાંતથી આપણને સમજાવે છે. જે મન હરિનું દાસ થઈ ગયું છે તેને મનન એક માત્ર માહાવ (પ્રીતમ)નું જ રહે છે, અને તે અહર્નિશ નારાયણનો રાસ જોયા કરે છે. એથી મોટું ક્યું સૌભાગ્ય! આવો ભક્ત કોઈનો ઉવેખ (ઉપેક્ષા-તરછોડવું તે) કરતો નથી, તેનું મન તો પ્રભુપ્રેમથી વીંધાયેલું જ રહે છે, સંસારનાં કામકાજમાં શિથલ (શિથિલ-ઢીલું) રહે છે. એને ચિંતનમાં હરિનો જ લક્ષવિચાર લાગ્યો છે. બીજું કાવ્ય તે પદ છે. સૂર્યચંદ્ર વગર વહાણું વાયું છે, વિનાવાદળ ને વિનાવીજળી માનસરોવર ભરાઈ ગયું છે, એમ કવિ વર્ણન કરે છે. એમ તે શી રીતે બને? આવા ઉદ્ગારોને અવળવાણી કહે છે, અને એમાં ભાવાર્થ ઊંડો હોય છે. કવિ એમ કહેવા માગે છે કે આત્માનો પ્રકાશ બધે રેલાવનારી ઉષા મારી દૃષ્ટિ આગળ ઊગી છે, અને એવી ઉષા ઊગવા માટે નથી જરૂર સૂરજની કે નથી ચંદ્રની. ધ્યાનની – સમાધિની શેરીએ એટલે કે ધ્યાનને રસ્તે ધ્યાનને લીધે, અનભે-નિર્ભય દશાનું ઘરમુકામ અમને મળ્યું.... ભર્યા ભર્યા માનસરોવરનું વર્ણન છે તે પણ હંસરાજારૂપી આત્માએ ચાંચમાં પરમતત્ત્વરૂપી મોતીડું ધર્યું છે તેનો ખ્યાલ આપવા કરેલું છે. માયારૂપી નાગણીથી બચવાની સલાહ આપી છે. . . આ જાતનાં કાવ્યો બની શકે તેટલાં સમજવા પ્રયાસ કરવો અને એના ચોક્કસ અર્થની કડાકૂટમાં પડવું નહિ. માત્ર કવિએ દોરેલાં ચિત્રોના સંસ્કાર ચિત્ત ઉપર પડવા દેવા અને તેનો આનંદ અનુભવવો. ત્રીજું કાવ્ય પદ છે. તેમાં પરમાત્માને ત્રિભુવનમાં ઠેરઠેર રંગોની રેલમછેલ કરતો બજાણિયો કલ્પી વર્ણન કર્યું છે. ૧. ભજાવ્યો - શોભાવ્યો. ‘ભજવ્યો’ના અર્થમાં પણ લઈ શકાય, કેમકે તરત જ જગતરૂપી નાટકશાળાનું વર્ણન કર્યું છે. ૫. ચૌદ માળ - ચૌદ લોક. ત્રણ ભુવન, સાત સાગર, એમ લોક ચૌદ ગણાય છે. ૧૦. બધા જીવો વાક્ય - મતમતાંતર અને શાસ્ત્રાર્થ રૂપી જાળમાં ફસાય છે. ૧૧. રેંટ શાનો ફરે છે તો કહે છે કે વાયુનો. ૧૩. નંદવા - નિંદા કરવા.]