સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કંટક-પ્યાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. કંટક-પ્યાસ

ભનુભાઈ વ્યાસ —‘સ્વપ્નસ્થ’

આજ શ્રાવણની રાતના ગાજે
મેઘ-આડંબર ઘોર,
વીજનાં નૃત્યનાં ઝાંઝર બાજે,
નીર કરે મૃદુ શોર,
રોતા હસી ગળકી ઊઠે મોર,
એવી ઉર ધૂન રમી રહી ઓર!

ચાલને મનવા ડુંગર ઊભા
પાય ચહે છે પ્રવાસ,
પાછળ નિષ્પથ જંગલ ઊભાં
કંટકની ઉર પ્યાસ! —
હસી રહેશે લોહીના રેલા રમ્ય,
સહાતી ના ઝંખના ઓ રે અગમ્ય ’

હુડુડુડુ બારે મેઘ ગડૂડે,
ધણણ ધ્રૂજે ભોમ,
ડુંગરા રૂખડા કંપતા, દોડે –
નદિયું ગાજે ધધોમ!
સબાકે વીજ જલે કોટિ સોમ,
લાગી તે જ ઝાળ મારે રોમ રોમ

હજી ઘેરાજે હો મેહુલા ઘેલા
તાંડવમાં ચકચૂર,
આજે અંતર મુક્ત રોધેલાં
હસતાં ગાંડાતૂર!
આજ ભૂલી જા દૂર અદૂર
રે, હો આજ લીન સબ પ્રલયપૂર.

અજંપાની માધુરી’માંથી

સ્વાધ્યાય

૧. મેહુલાને કવિ કયા કયા પ્રશ્નો પૂછે છે?
૨. ‘મેહુલા’ કવિતા વાંચતાં તમારા મન પર પડેલી છાપ ટૂંકમાં લાખો.
૩. ‘કંટક-પ્યાસ ‘થી કવિ શું કહેવા ઇચ્છે છે? વતનની આઝાદી કાજે શૂળીનાં દુ:ખો વેઠવા તૈયાર થવાની હૃદયોર્મિને કંટક-પ્યાસ કહી શકાય? એવો કોઈક વ્યંગ્યાર્થ લઈને ‘કંટક-પ્યાસ’ કાવ્યનો વ્યંગ્યાર્થ સમજાવશો?