સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દામોદર ખુ. બોટાદકર
[‘ધૂમ્રને’ સ્વ. બોટાદકરનું કાવ્ય છે. ધુમાડો ઊંચે આકાશ તરફ જઈ રહ્યો છે તે જોઈ કવિ તેને પૂછે છે : ‘હે ધૂમ્ર, આકાશમાં મેઘને ચડતો જોઈ શું તુંયે આકાશે ચડવા ઇચ્છે છે? રહેવા દે, રહેવા દે એ બધાં ખાલી ફાંફાં! ક્યાં મેઘ! ક્યાં તું!’ આમ સંબોધન કરી કવિ ધૂમ્રને મેઘની અને ધૂમ્રની યોગ્યતા ઉપર જાણે કે એક નાનું સરખું પ્રવચન આપે છે. આખું કાવ્ય મેઘની ઉદાત્તતા અને ધૂમ્રની અધમતાની સરખામણીથી ભર્યું છે. આ કાવ્યને અન્યોક્તિનો પ્રકાર ગણાવી શકાય. તેમ જ એમાં સંબોધન અલંકારનો પણ ઉપયોગ થયેલો છે. સામે ઊભેલા કોઈને કહેવાનો દેખાવ કરી, ત્રીજાને જ લાગુ પડે એવી રીતે બોલવું તેને અન્યોક્તિ કહે છે. અહીં સંબોધન ધૂમ્રને છે, તે કોઈ સારા માણસની હરીફાઈ કરવા મથતા હલકા માણસને પણ લાગુ પડે છે. એથી એ એક પ્રકારની અન્યોક્તિ થઈ. કોઈ નિર્જીવ પદાર્થ કે ગેરહાજર વ્યક્તિને સંબોધીને કંઈ કથન થાય તેને સંબોધન અલંકાર કહે છે. અહીં ધૂમ્રને સંબોધીને કથન થયું છે. ધૂમ્ર નિર્જીવ છે, તેથી એમાં સંબોધન અલંકાર છે. ૩. અંબરપથે – આકાશમાર્ગે. ૬. સજાતીય – એક જ જાતનો. એનાથી ઊલટું વિજાતીય. ૭. સ્વર્માર્ગ — સ્વર્ગનો અથવા આકાશનો માર્ગ . ૧૩. માલિન્ય — મલિનતા, મેલ. ૧૪. શૈત્ય — શીતળતા, ઠંડક. ૨૭. કલ્મષ – કાળાશ, મેલ. પાપ અથવા એક જાતનું નરક એવા પણ બીજા અર્થો એના થાય છે. લિપ્ત થાશે - પ્રસરશે, લીંપાશે. ૩૦. જીવન – (૧) જિંદગી, (૨) પાણી.]