સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મનસુખલાલ ઝવેરી
[ગરીબોના કરુણ જીવનમાં ડોકિયું કરાવતું આ કાવ્ય છે. મામદને નોકરીએ જવું છે, પણ તેનો નિર્દોષ, નાનો બાળક હઠ લઈને બેઠો છે કે, ‘મારેય આવવું છે.’ પોતે તેને સાથે લઈ જઈ શકે એમ નથી એ મામદ કઈ રીતે એ બાળકને સમજાવી શકે? અને પોતાને આ બાળકની હઠને લીધે જતાં મોડું થયું છે તેથી અકળાયેલો મામદ પોતાનો રોષ એ બિચારા બાળક ઉપર ઠાલવી, તેને થોડીક ધોલથાપટ કરી, રડાવી, ધુંવાંપુંવાં થતો નોકરી ઉપર જાય છે. ત્યાં તેનાં શેઠાણીએ તેને કયું કામ સોંપ્યું? એ ઘટનામાં આ કાવ્યનો ઊંડો કરુણ રસ રહેલો છે. આ કાવ્યમાં વર્ણનની સાદાઈ અને સરળ શૈલી સહેજે આપણું ધ્યાન ખેંચે છે. એ સાથે એમાં આલેખાયેલાં સાહેબનાં ‘કુલીન’ ગૃહિણી પ્રત્યેનો લેખકનો કટાક્ષ પણ આપણા ધ્યાન બહાર નથી રહેવા પામતો. બોલ્યાંની જગ્યાએ ‘ઉવાચ’ શબ્દ વાપરીને, તેમ જ સાહેબનાં ગૃહિણીને સુલક્ષણાં (સારાં લક્ષણવાળાં) કહી, તેમનાં સારાં લક્ષણ જાણે બતાવવાં હોય તેમ ‘મંડી ગયાં દાતણ ચાવવાને’ એવું વર્ણન કરી, તથા પુત્રને વર્ણવવા ‘એ બાઈના દેવતણા દીધેલ’ શબ્દો વાપરી કવિએ કટાક્ષને સચોટ કર્યો છે. આપણી અન્યાયી સમાજરચનાનું આ એક લાક્ષણિક ચિત્ર છે.]