સાહિત્ય પલ્લવ – ભાગ ૨/રામનારાયણ વિશ્વનાથ પાઠક - ‘શેષ’
[આપણી નવી કવિતાએ આપણી સમાજવ્યવસ્થામાં જે અન્યાય રહેલા છે તે તરફ પોતાની વેધક દૃષ્ટિ નાખવા માંડી છે. આ કાવ્ય એનો એક સારો નમૂનો છે. કટાક્ષપૂર્ણ લખાણોના લેખક ‘સ્વૈરવિહારી’ તરીકે શ્રી. રામનારાયણ પાઠક આપણા સાહિત્યમાં જાણીતા છે. એમની એ શક્તિનો ‘વૈશાખના બપોર’માં આપણને સારો પરિચય મળે છે. ગરીબ ભૂખ્યા સરાણિયાને જોતાં ભરેલાં પેટવાળાની ડાહી ડાહી વાતો આપણા કહેવાતા ભદ્ર સમાજ ઉપરનો એક અતિ સચોટ અને માર્મિક પ્રહાર છે, અને એના વિરોધમાં કવિએ કાવ્યના છેવટના ભાગમાં ‘મજૂર પરચૂરણ ને ભિખારીની’ મંડળીનું જે ચિત્ર દોર્યું છે તે આ કાવ્યનો અતિ કલાત્મક અંશ છે એટલું જ નહિ, પણ વાંચકના હૃદયના તારોને ઝણઝણાવી તેને વિચાર કરતો કરી મૂકે છે. આ કાવ્યની ભાષા પણ નોંધવા જેવી છે. એમાં એક બાજુથી તળપદી ગુજરાતીના શબ્દો છે. તો બીજી બાજુથી આપણે ત્યાં ધીમે ધીમે પ્રચલિત બની રહેલ બુઝ્ર્વાં (Bourgeoise) જેવો પરદેશી શબ્દ પણ આવી ગયો છે; પણ આખું ચિત્ર આપણા વાસ્તવિક જીવનનું હોઈ, એ બધું કાવ્યમાં સ્વાભાવિક લાગે છે.]