સાહિત્ય પલ્લવ – ભાગ ૨/શાં શાં રૂપ વખાણું?

૨. શાં શાં રૂપ વખાણું?

અખો

શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?

ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.
સંતો૦


નેજા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાજે;

ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.
સંતો૦


નુરત સુરતની શેરીએ, અનભે ઘર જોયું;

ઝળમળ જ્યોત અપાર છે, ત્યાં છે મુજ મન મોહ્યું.
સંતો૦


વિના રે વાદળ વિના વીજળી, જળ સાગર ભરિયું;

ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.
સંતો૦


માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે;

તેને તીરે વસે નાગણી, જાળવજે, નહિ તો ખાશે.
સંતો૦


ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી;

અખો આનંદ શું ત્યાં મલ્યો, ભવ ભ્રમણા ભાગી.
સંતો૦