સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ઉમાશંકર જોષી - ૨
[ટૂંકી વાર્તા જેવો જ આ એક સાહિત્યપ્રકાર છે. એને એકાંકી નાટક કહે છે. આપણા સાહિત્યમાં છેલ્લા બેત્રણ દસકાથી એ પ્રકાર ખેડાવા માંડ્યો છે. ટૂંકી વાર્તાની જેમ એમાં પણ એક મુખ્ય પ્રસંગની આસપાસ આખું નાટક વણેલું હોય છે. એથી પ્રસંગની પસંદગી ઘણા વિવેકપૂર્વક કરવાની રહે છે. ટૂંકી વાર્તામાં જેમ પ્રસંગ અને આયોજન અગત્યનો ભાગ ભજવે છે તેમ આમાં પણ એ બન્ને તત્ત્વો મહત્ત્વનાં છે. આમાં આયોજનથી સંવાદની છટા અને તેની સચોટતા, અને તે દ્વારા જામતો રસ સૂચિત થાય છે. આ નાટકને એ દૃષ્ટિએ તપાસજો. એમાં વપરાયેલી ભાષા જોજો. જે ગદ્ય-લખાણ સામાન્ય રીતે આપણે વાંચીએ છીએ તેનાથી આ કઈ બાબતમાં જુદું પડે છે તે નોંધજો. આમાં વપરાયેલી બોલી ગુજરાતના કયા ભાગની હશે, અને તે પરથી ‘લેખક સંબંધી કંઈ અનુમાન કરી શકાય કે કેમ તે તપાસજો. ‘એ ને ઇયાંનો લોટો સાજો રહે ભા!’ ‘આ કળશ્યો તમારે ત્યાં વિચાશે ને અહીં રહેત તો દૂબળો પડી જાત?’ ‘ઇને આંગણે રૂપિયાનું ઝાડ વાવેલું હશે,’ વગેરે વાક્યો નોંધપાત્ર છે કે કેમ, અને હોય તો શાથી તે જોજો. ટોયલી-લોટી. ફૂદાની પેઠમ-પતંગિયાની માફક. નુ’વે-(ન હુવે) ન હોય ત્યારે, ન છતાં. ફલ્લંફલ્લા-ફોક. હાંકારો - આવકાર. પાતરપેટાં-થોડું ખાનારાં, લાતરીને — નિચોવાઈને. ઝોડ - લપ.]