સાહિત્ય પલ્લવ – ભાગ ૩/‘પ્રેમના સંદેશ ક્યાં?'
નરસિંહરાવ દિવેટિયા
યશોધરા :
‘તુંજ પ્રેમના સંદેશ ક્યાં?’
બુદ્ધદેવ : [ખંડ હરિગીત]
‘વ્યોમ ભૂરા હાસથી હસે નિર્મળ વેશમાં,
લખ્યા કોમળ કર થકી – મુજ પ્રેમના સંદેશ ત્યાં. ૧
ચન્દ્રિકા સાગર પટે સૂતી વેરી કેશ જ્યાં,
લેખની દિવ્ય જ લખે – મુજ પ્રેમના સંદેશ ત્યાં. ૨
મૃત્યુ ને જીવનતણા તુંગ પ્રૌઢ તરંગ જે,
ઝૂઝતા કંઈ કારમા, પ્રિય નાથ નિજ તે મહીં ધ્રૂજે. ૩
યુવતી ભાવ અનન્યથી સેવતી સ્થિર આશમાં,
આંસુ હૃદયે રોપતી, કુસુમો બની જે ખીલતાં, – મુજ પ્રેમસંદેશો ત્યહાં. ૪
ઈન્દ્રધનુ –બુરખો ધરી, હિમશિખરના દેશમાં,
ઝાંખતી સ્મિત સુંદરી ગિરિદેવી – મુજ સંદેશ ત્યહાં. ૫
છાતી સરસું દાબતી બાળ નિજ નવયૌવના,
ચુંબનોમાં ઢાંકતી, કંઈ આંસુ ગૂઢા ભાવનાં; – મુજ પ્રેમના સંદેશ ત્યાં. ૬
ગૂંથતી સરિતા રસે, શુક્રને નિજ કેશમાં,
નાચતી ઊલટે હસે; – મુજ પ્રેમના સંદેશ ત્યાં. ૭
સ્વર્ગ સાથે જોડતું મર્ત્ય જીવનને સદા;
શિશુ હસંતું દોડતું; – મુજ પ્રેમસંદેશો ત્યહાં.’ ૮
‘નૂપુરઝંકાર’માંથી