સુદામાચરિત્ર/કડવું ૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧૩

[અહીં સુદામા પોતાને ગામ પહોંચે છે ત્યારે પોતાની પર્ણકુટીની જગ્યાએ રાજમહેલ જોઇને વિચારમાં પડી જાય છે. પોતાના ઘરમાં સઘળું કાંઈ બદલાઈ ગયું છે – પત્નીનું રૂપસુધ્‌ધાં. આથી મૂંઝાયેલા સુદામા ત્યાંથી નીકળી જવા પગ ઉપાડે છે. ત્યારે એની પત્ની દોડતી આવીને એને કૃષ્ણની કૃપા વિશે વિગતે વાત કરે છે.]


રાગ-રામગ્રી

શુક્જી ભાખે હરિગુણગ્રામ જી, દીઠું સુંદર કંચનધામ જી.
મેડી અટારી અદ્‌ભુત કામ જી, ઋષિ વિચારે ‘ભૂલ્યો ઠામ જી. ૧

ઢાળ

ઠામ ભૂલ્યો પણ ગ્રામ નિશ્ચે, ધામ કો ધનવંતનાં;
એ ભુવનમાં વસતા હશે, જેણે સેવ્યાં ચરણ ભગવંતનાં’ ૨

એવું વિચારી વિપ્ર વળિયો, બધું નગર અવલોકન કરી;
એંધાણી સહુ જોતો જોતો, આવ્યો મંદિર ફરી. ૩

પછી સુદામો પડ્યા સાંસામાં, વિચાર કરે વેગળા જઈ;
‘આ ભુવન કોણે કર્યાં હશે? પર્ણકુટી મારી ક્યાં ગઈ? ૪

એ વિશ્વકર્મા રચી રચના, મનુષ્ય પામર શું કરે?
કુટુંબ મારું ક્યાં ગયું? ઋષિ વામ-દક્ષિણ ફેરા ફરે. ૫

કોઈ કીર્તિ બોલે, હસ્તી ડોલે, હયશાળામાં હય હણહણે,
દાસી કનકકલશ ભરી પાણી લાવે, ઊભા અનેક સેવક આંગણે. ૬

દંદુભિ ગાજે ઢોલ વાજે, મંડપ ઓચ્છવ થાય છે;
મૃદંગ ઢમકે ઘૂઘરી ઘમકે, ગીત ગુણીજન ગાય છે. ૭

જોઈ સુદામે નિઃશ્વાસ મૂક્યો, ‘કોઈ છત્રપતિનાં ઘર થયાં,
આશ્રમ ગયાનું દુઃખ નથી, પણ બાળક મારાં ક્યાં ગયાં? ૮

હોમશાળા, રુદ્રાક્ષમાલા, પવિત્ર કુશની સાદડી;
ગોપીચંદન સંમાર્જની, વિપત્ય આવડી ક્યમ પડી? ૯

દૈવની ગત્ય ગહન દીસે પડ્યો પ્રાણ કર્મ આધીન;
કુટુંબ વિજોગની વિટંબણા, હંને દૈવે દંડ્યો દીન. ૧૦


તૂટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી નાર;
સડ્યાં સરખાં છોકરાં, નવ મળ્યાં બીજી વાર.’ ૧૧

સંકલ્પવિકલ્પ કોટી કરતાં, ઋષિ આવાગમન હિંડોળે ચઢ્યા;
બારીએ બેસી પંથ જોતાં, નિજ કંથ સ્ત્રીને દૃષ્ટે પડ્યા. ૧૨


સાહેલી એક સહસ્ર લેઈને, સતી ગઈ પતિને તેડવા;
જળઝારી ભરીને નારી જાએ, હસ્તિની કલશ ઢોળવા. ૧૩

હંસગામિની ને હર્ષપૂરણ, અભિલાષ મનમાં ઇચ્છિયા;
ઝાંઝર ઝમકે, ઘૂઘરી ઘમકે, વાજે અણવટ વીંછિયા. ૧૪

સુદામે જાણી આવી રાણી, ઇન્દ્રાણી કે રુક્મિણી;
સાવિત્રી કે સરસ્વતી, કે શક્તિ શિવશંકર તણી. ૧૫

સાહેલી સહુ વીંટી વળી, પદ્મિની લાગી પાય;
પૂજા કરીને પાલવ ગ્રહ્યો, તવ ઋષિજી નાઠા જાય. ૧૬

થરથર ધ્રૂજે ને કાંઈ ન સૂઝે, છૂટી જટા ઉઘાડું શીશ;
હસ્ત ગ્રહેવા જાય સુંદરી, તવ ઋષિજી પાડે ચીસ. ૧૭

‘હું તો સ્હેેજે જોઉં છું ઘર નવાં, મને નથી કપટવિચાર;
હું તો વૃદ્ધ ને તમો જોબન નારી, છે કઠણ લોકાચાર. ૧૮

ભોગાસક્ત હું નથી આવ્યો, મને પરમેશ્વરની આણ;
જાવા દ્યો મને કાં દમો છો? તમને હજો કલ્યાણ. ૧૯

આંગણામાં કોઈ નર નથી, આ દીસે સ્ત્રીનું રાજ્ય;
તમને પાપણિયો, પરમેશ્વર પૂછશે, હુંને કાં આણો છો વાજ્ય?’ ૨૦


ઋષિપત્ની કહે, ‘સ્વામી મારા, તમે રખે દેતા શાપ;
દારિદ્ર ગયાં, નવાં ઘર થયાં, શ્રીકૃષ્ણચરણ પ્રતાપ.’ ૨૧

એવું કહી કર ગ્રહીને ચાલી, સાંભળ પરિક્ષિત ભૂપ;
બેલડિયે વળગ્યાં દંપતી, રતિ કામજોડું લજાવિયું. ૨૨