સુદામાચરિત્ર — પ્રેમાનંદ/1. ભૂમિકા: આખ્યાનનો વિશેષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


1. ભૂમિકા: આખ્યાનનો વિશેષ

ગુજરાતીની કથા-કથન-પરંપરામાં આખ્યાન એક વિશિષ્ટ અને લોકપ્રિય કથા-કાવ્યપ્રકાર હતો. એની લાંબી સમૃદ્ધ પરંપરા રહી છે. જૈન કવિઓની ચરિત્રાત્મક કથાઓ ‘રાસા’ નામે ઓળખાતી એમાં કથાના નિમિત્તે સાંપ્રદાયિક ધર્મબોધ કેન્દ્રમાં રહેતો એ કારણે સંપ્રદાયમાં એનું ઝાઝું મહત્ત્વ રહેતું એ ખરું, પણ એમાં કથા પણ શ્રોતાઓને માટે એટલી જ રસપ્રદ રહેતી. પુરાણીઓ જે કથા કહેતા એમાં પૌરાણિક કથાઓ અને ચરિત્રોની ભવ્યતા પ્રભાવક બનતી. પરંતુ આખ્યાનોએ પુરાણકથાઓને સમકાલીન જીવન સાથે ઓતપ્રોત કરી વધુ રસપ્રદ ને વધુ જીવંત બનાવેલી. શામળની લોકવાર્તાઓમાં મનોરંજન ભરપૂર હતું પરંતુ એની કૌતુકમય સૃષ્ટિ વાસ્તવિક કરતાં વધુ રંગદર્શી રહેતી હતી. એટલે, જીવાતા જીવનની સમાન્તરે રહીને આનંદદાયક બની શકે એવો કાવ્યપ્રકાર તો આખ્યાન જ હતો. એક તરફ એમાં ધામિર્ક-પૌરાણિક કથાનકોની ભવ્યતા ને પ્રેરકતા હતી જે આનંદ સાથે ધર્મલાભ પણ આપતી. તો બીજી તરફ એમાં તત્કાલીન જીવનની વિવિધ ભાતો હતી — શ્રોતાઓને આખ્યાન-કથાનકોનાં પ્રસંગો-પાત્રોની રજૂઆતમાં પોતાના જીવનનું પ્રતિબંબિ પણ દેખાતું. આખ્યાનમાં પ્રસંગોની ખીલવણી થતી ને પાત્રોનાં ઘેરાં ને વિસ્તારિત ચિત્રો આલેખાતાં; વનનાં, સ્થળનાં, પાત્રોનાં રસદાયક વર્ણનો થતાં; પાત્રો વચ્ચેના સંવાદો આલેખાતા; કથનની સાથે અભિનયનું તેમજ ગાયનનું તત્ત્વ પણ એમાં ઉમેરાતું. આખ્યાનકાર અસરકારક ને ભાવવાહી કથન કરતો; સંસ્કૃત શૈલીની ભવ્યતા ઉપસાવતાં પ્રસંગાલેખનો કરતો; ક્યારેક છટાથી પાત્રો-પ્રસંગોની તીવ્ર રેખાઓ દોરતો ને તળપદા લહેકાથી પાત્રના ભાવોને તાદૃશ કરી આપતો; કથાની વચ્ચે આવતા લાગણીના ઉદ્રેકોને પદ-ગાનથી પણ અસરકારક બનાવતો. આખ્યાનકારોમાં માણભટ્ટો પણ હતા ને એ માણ (ધાતુની ગાગર) પર તાલ દઈને કથન-ગાનમાં શ્રોતાઓને તદ્રૂપ કરતા. આ બધાને કારણે આખ્યાન વિવિધ વય-રુચિના શ્રોતાસમુદાયને મંત્રમુગ્ધ કરનારું મધ્યકાલીન સ્વરૂપ બન્યું હતું — નાટકની જેમ એ ભિન્નરુચિના સર્વ મનુષ્યોનું તૃપ્તિભર્યું સમારાધન કરતું. આખ્યાનોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંસ્કૃતિનું જતન કરવાનું વિશિષ્ટ કાર્ય પણ બજાવેલું. પ્રજાનો મોટો વર્ગ નિરક્ષર હતો. એથી ધર્મગ્રંથો, મહાકાવ્યો આદિ દ્વારા ધર્મ-જ્ઞાનના વારસાનું જાતે આકલન કરવાનું ને એ રીતે દૃષ્ટિને સ્થિર ને વિકસિત રાખવાનું એને માટે શક્ય ન હતું. ત્યારે આખ્યાનોએ પૌરાણિક-ઐતિહાસિક ચરિત્રોનાં — નરસંહિ, ચંદ્રહાસ, રામ, સીતા, નળ ,દમયંતી, કૃષ્ણ, આદિનાં — રસપ્રદ ને સાક્ષાત્કારક આલેખનો દ્વારા ધર્મ અને જીવનના આદર્શો સામાન્ય પ્રજાજનોમાં જીવતા રાખવાની ને એ રીતે એમની ધર્મશ્રદ્ધાને તથા એમની સંસ્કારિતાને સંકોરતા જવાની અપ્રતિમ સેવા બજાવી છે. પદ-ભજનાદિ ઊમિર્કવિતાથી જેમ પ્રજાની ધર્મકેન્દ્રીતા જળવાઈ એ જ રીતે આખ્યાન આદિ કથાત્મક કવિતાથી એમનામાંનો સંસ્કૃતિ-શ્રદ્ધાનો તાર જીવંત રહ્યો, સંસ્કારિતા પોષાતી રહી અને વિધર્મી આક્રમણો વખતે પણ આંતરિક બળથી ટકી રહેવાની એક પોષક શક્તિ એમને મળતી રહી. ધર્મશ્રદ્ધા ભલે જીવનના કેન્દ્રમાં રહેલી હોય પણ જીવાતું જીવન કદી એક-વિધ રહી શકતું નથી. પ્રજાની ઉત્સવપ્રિયતા વિવિધતાનો એક મોટો સ્રોત બનતી હોય છે — એ ઉત્સવો ધાર્મિક પણ હોય અને સામાજિક પણ હોય. જન્મ, લગ્ન, સીમંત આદિ ઉત્સવોનું રૂપ જેટલું સામાજિક એટલું જ ધામિર્ક પણ રહેતું હતું. કૃષ્ણ-જન્મ, રુક્મિણીવિવાહ, સીતાસ્વયંવર આદિ, પૌરાણિક પાત્રો સાથે સંકળાયેલા ઉત્સવોને પ્રજાએ પોતાના સામાજિક-પારિવારિક ઉત્સવો સાથે ઓતપ્રોત કરેલા છે. નરસંહિ મહેતાએ કરેલા મામેરાના ‘વ્યવહાર’ નરસંહિના સમયથી લઈને છેક પ્રેમાનંદના સમયમાં તે તે સમાજના રીતિ-રિવાજને પ્રતિબિંબિત કરતા રહ્યા છે. આખ્યાનકારોએ જેમ તત્કાલીન સમાજજીવનના આ રંગોનું વૈવિધ્ય ગ્રહણ કર્યું એમ જ એમના શ્રોતાસમુદાયે, આખ્યાનકારોએ ખીલવેલા આ પ્રસંગોમાંથી વળી પાછું વિશેષ પોષણ પણ મેળવ્યું હશે. સંસ્કૃતિની એ પણ એક વિશિષ્ટ ભાત છે ને આખ્યાન જેવાં સ્વરૂપોમાં ઝિલાતી ને પ્રસરતી રહે છે.