સોરઠી સંતવાણી/પવન-ચરખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પવન-ચરખો

કાયાના ઘડનારાને ઓળખો રે
રામ! અભિયાગતને નરખો રે
રામજીને બનાયા પવન-ચરખો.
જિયાં જુઓ તિયાં સરખો
રે રામ સરખો.
દેવળ દેવળ દેવે હોંકારા
પારખુ હોઈ નર પરખો રે
રામજીને બનાયા પવન-ચરખો.
ધૂડના ઢગામાંય જી, જીવો રામજી,
જ્યોત જલત હે;
અંધા મટ્યો કાલા દલ કો
રામ દલ કો.
એને અજવાળે રામ અગમ ન સૂઝ્યો તેને
ભેદ મળ્યો નૈ એના ઘરકો
રામજીને બનાયા પવન-ચરખો.
પાંચ તતવ કેરા જી, જીવો રામ જી,
સંઘ ચલાય જી
એકેક દોય દોય નરખો.
પવન પૂતળી રમે ગગનમાં
નૂરતે સૂરતે નરખે-ચરખો.
કે’ રવિ સાબ સંતો સદ્ગુરુ સાચા
મેં ગુલામ એના ઘરકો,
આ રે કાયાનો તમે ગરવ ન રાખજો!
ચરખો નહીં આ તો સરખો
રામજીને બનાયા પવન-ચરખો.

[રવિદાસ]

અર્થ : આ કાયારૂપી પવન-ચરખો જેણે બનાવ્યો છે તે રામને તમે ઓળખો. દેવો છે આ દેહરૂપી પવન-ચરખો! જ્યાં જુઓ ત્યાં સરખો. તમામ માનવદેહ એક જ સરખા ઘાટઘૂટના છે. અને એ પ્રત્યેક દેહ-દેવળમાંથી દેવના હોકારા સંભળાય છે. જે પારખી શકો તે પારખી લેજો. ને જુઓ તો ખરા આ લોકો! આ દેહ તો એક માટીનો ઢગલો છે, તે છતાં એની અંદર પણ જીવનની જ્યોત જલે છે. એ જ્યોત વડે કાળાશ ભર્યો દિલનો અંધકાર મટે છે, છતાં એ આપણી દેહવાસી જ્યોતને અજવાળે જે માનવીને અકળ અગમ ઈશ-તત્ત્વ ન દેખાયું, તેને તો પછી એ અગમ તત્ત્વના ઘરનો પતો મળી રહ્યો. પાંચ તત્ત્વોનો આ તો દરેક શરીર દ્વારા સંઘ ચલાવ્યો છે પ્રભુએ. ને એ સંઘમાં પવનની પૂતળીઓ ગગનમાં [ચિદાકાશમાં] રમી રહી છે. એ માનવીઓ! એ બધું તમે એકલક્ષ બનીને નીરખજો. ભજનિક રવિ સાહેબ પોતાના ગુરુ ભાણ સાહેબને ચરણે ભાખે છે કે, હું તો એ ગુરુ-ઘરનો ગુલામ છું. હે માનવો! આ કાયાનો ગર્વ ન કરશો. કારણ કે આ પ્રભુએ ઘડેલો દેહ-ચરખો કંઈ સદાકાળ સરખો નહીં રહે, ડખડખી જશે.