સોરઠી સંતવાણી/પ્રવેશક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રવેશક

વાગે ભડાકા ભારી ભજનના
વાગે ભડાકા ભારી રે… હોજી.
બાર બીજના ધણીને સમરું
નકળંક નેજાધારી,
ભજનના વાગે ભડાકા ભારી રે હો…જી.

મહિના મહિનાની અજવાળી બીજની રાત્રિએ, કાઠિયાવાડના કોઈ પણ ગામમાં સૂતા હો, ગહરી નીંદરમાંથી જાગી જાઓ, તો સાંભળી શકશો —

વાગે ભડાકા ભારી,
ભજનના વાગે ભડાકા ભારી રે હો…જી.

શબ્દ-સ્વરોના ભડાકા વાગે છે, સામટા સૂરો થંભેલ હવાના શ્યામસાગર પર લહેરિયાં લે છે. એ સમૂહ-સ્વરો લયવંતા ને સુમેળવંતા હોય છે. ઢોલક અથવા દોકડ તાલ પૂરી રહે છે. મંજીરાનો મંજુલ રવ એ સમૂહ-સૂરોને મખમલે મઢે છે. ને એ સર્વની પાછળ નેપથ્યમાંથી ટપકતો હોય તેવો એક અવિરત નાદ પીઠિકા રચતો હોય છે. એ છે એકતારાનો નાદ. ભજનિકો એને ભાખે છે રામસાગર. કંઠ છે પુરુષવૃંદનો — વચ્ચે કોઈ કોઈ વાર નારી-કંઠની નાજુક સૂરાવળ ટીપને તીણે કંઠે સિંચાય છે. તમારાં દિલમાં સાચે જ કોઈ ભડાકા થાય છે ‘વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે હોજી’. તેઓ સમરે છે — બાર બીજના ધણીને : નકળંક નેજાધારીને. સર્જનહારને?  પરમ આતમતત્ત્વને?  સતને?  કોને?  કોઈ અવતારને?  સચ્ચિદાનંદને? ખબર નથી. તેઓ સંબોધે છે ‘બાર બીજના ધણીને’. તેમના આરાધ્યદેવ ‘નકળંક નેજાધારી’નું પ્રતીક બીજનો ચંદ્ર છે. આવું પ્રતીક અન્યત્ર ક્યાંય જાણ્યું નથી. સોરઠી ભજનપરંપરાની એ એક વિશિષ્ટતા છે. આ ‘બાર બીજના ધણી’ એ પછી તો ફક્ત ‘ધણી’ શબ્દે જ સંબોધાય છે —

ભજનનો વેપાર
ધણી! તારા નામનો આધાર,
કર મન! ભજનનો વેપાર જી!

પછી તો એ ‘ધણી’ ગુરુસ્વરૂપ ધારણ કરી રહે છે; એનો પાર પમાતો નથી. એની અકળ કળા જણાતી નથી. એ અખૂટ વિસ્મયનો વિષય બનીને આરાધાય છે. ભજનના નવા ભડાકા થાય છે —

ગુરુ! તારો પાર ન પા…યો
એ જી પાર ન પાયો
પ્રથમીના માલિક! તારો હો જી.
હાં રે હાં
ગવરીના નંદ ગણેશને સમરીએં હો જી.
એ જી સમરું શારદા યે માત,

એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી હો જી!

અને એ ‘ધણી’નો, એ અખંડ ગુરુનો પ્રભાવ કેવો છે? —
હાં રે હાં,
જમીં આસમાન બાવે
મૂળ વિના માંડ્યાં જી હો જી!
એ જી થંભ વિણ આભ ઠેરાયો રે
એ વારી! વારી! વારી!
અખંડ ધણીને હવે ઓળખો જી હો જી!

વાહ રે ધણી!  તમે તો મૂળ વગર પૃથ્વી-આકાશને રોપ્યાં, તમે તો થંભ વગર વિરાટ ગગનને ઠેરાવ્યું! અખંડ ધણીની સાચી ઓળખાણ માટે, આ ભજન-ભડાકાની અંદર મથામણ ચાલે છે. લોકસાહિત્યને એક વિશાળ વટવૃક્ષરૂપે કલ્પીએ; ગીતો, વાતો, ટુચકા, ઉખાણાં વ્રતાદિને એનાં ડાળી, પાંદડાં, પુષ્પો ને વિટપો કહીએ, તો આ ભજનો એ એનાં આખરી ફળોરૂપી સમજી શકાય. લોકવાણીનો અંતિમ પરિપાક આ ભજનવાણી છે. સંસારની ઝીણીમોટી સકળ માનવોર્મિઓને સંગીત-તાલબદ્ધ શબ્દોએ રસનારી લોકવાણી જો આખરી આત્મિક રહસ્યમંથનની ભજન-શાખોને ન રસાવત તો એ અધૂરી અધૂરી, આછોતરી, કેવળ સપાટીને જ સ્પર્શીને અટકતી ગણાત, અને જ્ઞાન, અધ્યાત્મ, આત્મતત્ત્વ, એને જો વેદો, ઉપનિષદો તેમ જ ભાગવત ઇત્યાદિમાંથી દોહીને આ લોકવાણી જો જનસામાન્યને સ્પર્શે તેવા તાલ-સંગીતના કટોરામાં ન ઉતારત તો એક પ્રથમ કોટિની કરુણતા નીપજી હોત. ધણી! તારો પાર ન પા…યો ન પાયો રે પ્રથમીના માલિક! તમે તારો હો…જી! જનસામાન્યના પ્રતિનિધિ અને જનતાને ખોળે સંસારનાં સુખદુઃખ, વ્યવહાર લઈને બેઠેલ દેવાયત પંડિત નામના એક આહીરે કે રબારીએ ઉપલું સ્તોત્ર ગાયું અને ‘અખંડ ધણી’ને ઓળખાવ્યા. ઉપનિષદે કહ્યું यतो वाचो निवर्तन्तेः લોકસંતે એ ઝીલ્યું : ‘ધણી! તારો પાર ન પાયો’ : બન્ને એક. ગીતાએ કહ્યું : उर्ध्वमूलमधः शाखः લોકસંતે પડઘો દીધો —

જમીં આસમાન બાવે મૂળ વિણ રોપ્યાં હો…જી
થંભ વિણ આભ ઠેરાવ્યો,
એ વારી! વારી! વારી!

આ ઓળખાણ યુગોની જૂની લાગે છે. આ શબ્દો પ્રાકૃત જનના અંતસ્તલને પહોંચે છે અને કોઈક અગોચર સત્ત્વ ગોચર બને છે. ‘અખંડ ધણી’ સાક્ષાત્ થાય છે. ‘સુન રે શિખર પર અલખ અખેડા, વરસે નૂર સવાયો, એ વારી! વારી! વારી!’ શૂન્યના (બ્રહ્મરંધ્રના) શિખર પર અલક્ષ્યનો અખાડો આવેલો છે. ત્યાંથી સવાયાં નૂર તેજ વરસે છે, તેનાં દર્શન વિરલા જ પામે છે. આ ‘અખંડ ધણી’ની ઓળખાણ તો અનેક લોકસંતો કરાવી ગયા છે —

1

કાયાના ઘડનારાને ઓળખો રે, રામ ! અભિયાગતને નરખો રે રામજીને બનાયા પવન-ચરખો એ રામ રામ રે જી! જીવો રામ જીવો! જિયાં જુઓ તિયાં સરખો ઈ રામ ચરખો. દેવળ દેવળ દેવે હોંકારા, પરખુ હોય નર પરખો ઈ, રામજી ને બનાયા પવન-ચરખો.

2

ધૂડના ઢગામાંય જી જ્યોત જલત હૈ. અંધાર મટ્યો કાળા દલ કો એને અજવાળે રામ, અગમ ન સૂઝ્યો તેને ભેદ મળ્યો નૈ એના ઘર કો રામજી ને બનાયા પવન-ચરખો.

3

પાંચ તતવ કેરા જી!… જીવો રામજી! સંચ ચલાય જી એકેય દોય દોય નરખો; પવન પૂતળી રમે ગગનમાં નૂરતે સૂરતે નરખો — રામજીને.

4

કે, રવિ સાબ સંતો… જીવો રામજી સદ્ગુરુ સાચા; મેં હું ગુલામ એના ઘર કો, આ રે કાયાને ગરવ ન કરશો; ચરખો નહીં આ તો સરખો રામજીને બનાયા પવન-ચરખો. સોરઠિયો સંત રવિસાબ પૂર્વાવસ્થાનો જાલિમ વ્યાજખાઉ, એક ગામડિયો વાણિયો, એક જ તીવ્ર અનુભવની ચોટે જખ્મી બનીને રહસ્યવાદના મહાપંથે પળે છે, મરમી રવિસાબ કહે છે : કાયાના ઘડનારાને તમે ઓળખો રામજીને બનાયા પવન ચરખો. પવનના ચરખા આ દેહને ‘જિયાં જુઓ તિયાં સરખો’ કહી, રવિદાસ અભેદનું દર્શન કરે છે : એ દેહના દેવળે દેવળે રામ પોતે જ હોંકારા દે છે. જ્યોતિ જલે છે — પણ ક્યાં? ધૂડના ઢગલામાં : ધૂડનો ઢગો નથી તો બીજું શું છે આ દેહડી! કાળા તમસમય દિલનો અંધકાર એ જ્યોતિએ મટે છે; પણ એ નિજાત્મજ્યોતને અજવાળે જેને અગમ સ્વરૂપ ન સૂઝ્યો, તે માનવીને, ‘એના ઘરનો’ — એ અખંડ ધણીના ગામનો પત્તો ન લાધ્યો. તો શું આ બધો ભજનભંડોળ એ કેવળ શૂન શિખરના અલખ અખાડામાં, ગગનમંડળની ગૌધેનમાં અને જલત જ્યોતમાં જ ઘૂમતો કોઈ ધુમ્મસના બાચકા ભરતો વાણીવ્યાપાર હતો? નહીં. એના પગ પૃથ્વી પર ઠેરાયા હતા. દૃષ્ટિસમીપના વાસ્તવની એને મજબૂત પકડ હતી. જૂઠ, પાખંડ અને પ્રતિમાવાદના હદ છાંડી ગયેલા અજ્ઞાનબંધ પર એ જ બીજ ચંદ્રની રાત્રિએ ભજન-ભડાકા અફળાય છે. એ વાણી સાંભળતાં પ્રશ્ન થાય છે કે આધુનિક કયો સુધારક આથી વધુ ચોટદાર પ્રહાર મૂર્તિપૂજાના અતિરેક પર કરી શક્યો હોત!

એ જી, મનષા માયલી જી રે,
ગોરખ, જાગતા નર સેવીયેં.
જાગતા નર સેવીયેં
તુંને મળે નિરંજન દેવ. — મનષા.

પથર પૂંજ્યે હર મિલે તો
મેં બી પૂજું પ્હા’ડ જી
ઓહી પ્હા’ડકી ચકી બનત હૈ
પીસ પીસ જગ ખાત. — મનષા.

માલણ લાવી ફૂલડાં એ
ધર્યાં હરિની પાસ જી
એ દેવમાં જો સાચ હોય તો
કેમ ન આવે વાસ. — મનષા.

‘હે મારી આંતરવાસિની મનીષા! મૂર્તિને નહીં, પણ જાગતા નરને સેવીએ, તો જ તને નિરંજન દેવ મળશે. પથ્થરની પ્રતિમામાં જો પ્રભુ હોય તો તો હું સારાય પહાડ પૂજવા તત્પર છું. પણ એ પહાડમાંથી તો ઘંટી બને છે, જેમાં અનાજ પીસી પીસીને જગત રોટી જમે છે. એ પથ્થરમાં જો પ્રાણ હોત તો પોતાની છાતી પર પગ મૂકી પ્રતિમા ઘડનારા શિલ્પીને જ એ દેવ ભક્ષી ન જાત! એમાં દેવત્વ હોત તો એને ધરાતાં ફૂલોની સુવાસ કાં ન આવત?’ મૂર્તિપૂજાની આવી વેધક વિડમ્બના નાથ સંપ્રદાયના છેલ્લા નવવિધાયક અને લોકસંત ગોરખનાથે ઉડાવી. પણ ભજનવાણી એકદેશીય નથી. આ ગોરખ, આ દેવાયત, આ રવિ, મોરાર, જેઠીરામ, લાખો લોયણ, એ કેવળ નિરનિરાળી વ્યક્તિઓ નથી. તેમનાં ભજનો એ નોખનોખા વાદ વચ્ચે વિતંડા માંડતી કૃતિઓ નથી. તેમની વાણીનું એક સમુચ્ચય સ્વરૂપ છે. એ શબ્દોમાં સમષ્ટિનાં આત્મમંથનો સાકાર બન્યાં છે. મહાવૃક્ષની જૂજવી ડાળીઓ, સર્જનહારનાં સ્તોત્રો, ગુરુશરણાગતિનાં અને ગુરુપ્રશસ્તિનાં પદો, ગુરુવિરહ અને પ્રભુવિરહનાં પ્રેમલક્ષણાત્મક ભક્તિપુકારો, આત્માને ચેતવનારાં ભજનો, મનખાદેહનાં મૂલ્ય દાખવતાં પદો, યોગસાધનાનાં, વૈરાગ્યનાં બ્રહ્માનંદ-મસ્તીનાં, આગમનાં, અવળવાણીનાં, આખ્યાયિકાઓ, પ્રભાતિયાં, આરાધ, રવેણી, સાવળ, આ તો બધાં એક જ ચૂંદડીના તાણાવાણા છે. એમાંથી ઊઠતો વણાટ ભાતીગળ ભક્તિ-ચૂંદડીનો છે. એ ચૂંદડી લોકસંત મૂળદાસે ગાઈ છે —

સુંદર વરની ચૂંદડી
માંઈ છે આતમરામનો આંક
વોરો સંતો ચૂંદડી!
તપતીરથ મેં બહુ કર્યાં, વ્રત કર્યાં રે અપાર,
ભગવત ભવાની બહુ ભજ્યાં, મારે હરિવર વરવાની આશ.
વોરો રામા ચૂંદડી.
બ્રહ્માએ વણ વાવિયાં ને વીણે ચારે વેદ,
સનકાદિકે સૂતર કાંતિયાં, તેનો કોઈ ન જાણે ભેદ. — વોરો રે.
ત્રિગુણ તાણ્યો તાંતણો ને
માંઈ પ્રેમનો રસ પાણ,
નૂરત સૂરત નળી ચાલતી રે,
વણનારા ચતુર સુજાણ. — વોરો રે.
વિદુર વ્યાસે રંગી ચૂંદડી ને
શુકદેવે પાડી ભાત,
સદબુદ્ધિએ બુટા જડ્યા
ને એની જૂજવી જૂજવી ભાત. — વોરો રે.
ગુરુએ ઓઢાડી મને ઘાટડી રે,
ઉપર શ્રીફળ સુંદર ચાર;
નિર્ગુણ સાથે સગાઈ કરી
મારા પુણ્યનો નહીં પાર. — વોરો રે.
વિવેકના તો વીવા રચ્યા ને
લીધાં વૈરાગ્યનાં રે લગન;
પ્રભુજી વર પધારિયા રે
મારું મોહે ભરાણું છે મન. — વોરો રે.
મન ક્રમ વચને આબરૂ ને
મેં મેલી લોકડિયાંની લાજ;
હથેવાળો હરિ સું ગ્રહ્યો ને
માંઈ છે વાણી તણી વરમાળ. — વોરો રે.
રાતો રંગ રહેણી તણો રે
એનો પુરણ લાગ્યો પાસ;
અનંત જુગે નહીં ઊમટે રે
વાણી ગાય છે મૂળદાસ
વોરો રે રામા! ચૂંદડી.

ભક્તિરૂપી એ સનાતન ચૂંદડીને સારુ વણ (કપાસ) પ્રથમ બ્રહ્માએ વાવ્યું. ચારે વેદોએ આ વણ વીણ્યું, સનકાદિક જ્ઞાનવંતોએ સૂતર કાંત્યું. મેં સૂતરના ધાગાને પાણી પાયું. પ્રેમરસનું. નૂરતા અને સુરતારૂપી નાળીઓ ચલાવીને સુજાણ સંતો એ વણવા શાળ પર બેઠા. વિદુરે ને વ્યાસે એ ચૂંદડી રંગી. શુકદેવ મુનિએ એમાં ભાત પાડી. એ ઓઢીને સંત-વૃત્તિ રૂપી કન્યા હરિની સાથે હથેવાળે પરણી. એ ચૂંદડીનો રંગ કદી નહીં ઊપટે. ભક્તિરસની આ ચૂંદડીનો ઉદ્ભવ માત્ર સૌરાષ્ટ્રી નહોતો, ભારતવ્યાપી હતો. ચૌદમી સદીનો એ વિરાટ ચમત્કાર હતો. આગલા યુગોથી ભિન્ન એક વિચારધારા અને વાણીધારા જનતાસમસ્તમાં રેલાઈ ગઈ. દર્શનશાસ્ત્રના પાંડિત્ય પર અને સંસ્કૃત ભાષાના આડમ્બરપૂર્ણ વિલાસ પર એક પ્રહાર થયો — કોઈ કહે ઇસ્લામની અસર, કોઈ કહે ઇસાઈ ધર્મનો પ્રભાવ. પરંતુ આજના અભ્યાસીઓએ પુકારીને કહ્યું છે કે ઇસ્લામની તલવારે તારાજ કરેલી ભારતીય પ્રજાના પરાજિત માનસે શોધેલું આ છટકવાદી, હતાશાયુક્ત શરણ નથી, ખ્રિસ્તી ધર્મની અસરનું પરિણામ પણ નથી. એ તો ભારતીય ચિંતનધારાના સાતત્યવંતા વિકાસક્રમની સ્વાભાવિક નવભૂમિકા છે. ‘હિસ્ટરી ઑફ ઇન્ડિયન ફિલોસોફી’ ઉપર આઠ ગ્રંથો લખનાર પ્રૉફેસર રાનડેનું નીચલું વિધાન જોઈએ : “હિન્દી આત્મચિંતનના વિકાસનું પગેરું આપણે, ઋગ્વેદકાળનાં છેક ભળભાંખડાંથી આરંભીને, ઈશ્વરવાદ ઇત્યાદિ તુમુલ તત્ત્વવાદ-સંઘર્ષણોમાં થઈને મધ્યયુગના રહસ્યવાદની સંધ્યાવેળા સુધી મેળવ્યું છે. તત્ત્વદર્શનનું વ્યવહારુ પાસું હોઈને આ મધ્યયુગી રહસ્યવાદ એકલો જ, જેઓ દર્શનશાસ્ત્રની જીવનના એક માર્ગ લેખે પરવા કરે છે તેમને સંતોષી શકે તેમ છે. ઉપનિષદકાળથી માંડીને આર્યાવર્તની ફિલસૂફીનો જે ઉત્તરોત્તર વિકાસ થતો આવ્યો છે તેની અંદર એક સામાન્ય રહસ્યધારા નિરંતર વહેતી રહી છે, પણ જ્યારે આપણે ઇસુની બીજી સહસ્રાબ્દીમાં પહોંચીએ છીએ ત્યારે આ રહસ્યવાદનું ઝરણું એક અસાધારણ મહત્ત્વને પામી રહે છે. કારણ કે હિન્દના જુદાજુદા પ્રાંતોના મરમી સંતોએ શીખવેલી વ્યવહારુ અધ્યાત્મવિદ્યાનો ઉદ્ભવ આ સહસ્રાબ્દીમાં થાય છે. આપણે જોયું છે કે ઉપનિષદ-ફિલસૂફીનો અંતિમ પરિપાક રહસ્યલક્ષી (મિસ્ટીકલ) હતો. પણ ઉપનિષદોનો રહસ્યવાદ, આ મધ્યયુગી ગૂઢાર્થવાદથી વિભિન્ન હતો. કારણ કે પ્રથમ કહ્યો તે તો પ્રાચીન દ્રષ્ટાઓના તત્ત્વચિંતનનો જ એક જળતરંગ હતો, જ્યારે બીજો કહ્યો તે પાવિત્ર્યે અને ભક્તિએ ભરપૂર હૈયાંની નૈસર્ગિક નિષ્પત્તિરૂપ હતો. પાપ અને સંતાપની સમાનતામાંથી એ પ્રભવ્યો હતો અને દિવ્યતત્ત્વમાં વ્યવહારુ અદાથી ઓતપ્રોત થઈ જવાની આરઝૂમાંથી એ ઉદ્ભવેલ હતો. ઉપનિષદનો હતો નિસર્ગપ્રેરિત તાત્ત્વિક રહસ્યવાદ : મધ્યયુગનો હતો આચારનિષ્ઠ ભક્તિ-પ્રધાન રહસ્યવાદ. ઉપનિષદના રહસ્યવાદમાં વિલક્ષણ તરંગો, અજબ કલ્પનો તેમજ સત્ તત્ત્વને વિશેનાં બેધડક વિધાનો અસંગત નહોતાં; જ્યારે મધ્યકાલીન રહસ્યવાદ એ તો દાર્શનિક ખુલાસાઓને તેમજ કલ્પનોને, સત્ તત્ત્વના વ્યવહારુ ગ્રહણની બાબતમાં, નિરર્થક ગણીને તુચ્છકારનારો હતો. ઉપનિષદોનો રહસ્યવાદ એ તો જનતાના કોલાહલથી વેગળાં, મઠોમાં વસનારાં માણસોનો, જેમને સોબત તો કોઈક પોતાના શિષ્યોની જ સાંપડતી તેમનો હતો; જ્યારે મધ્યકાલીન રહસ્યવાદ તો માનવજાતિની આચારનિષ્ઠ ઉન્નતિમાં ઓતપ્રોત બનનારો રહસ્યવાદ હતો અને સાધકનો પોતાનો આત્મિક વિકાસ એ એનો પાયો હતો. ઉપનિષદોનો શોધક, માનવીની વચ્ચે, એની આત્મિક અવસ્થાના ઉદ્ધાર કાર્યને માટે ઇરાદાપૂર્વક અગ્રેસર બનવા સારુ આવતો નહીં : જ્યારે મધ્યકાલીન સાધકનું કાર્ય તો જનસામાન્યની અંદર, પાપાત્માઓ, સ્ત્રીઓ અને અસ્પૃશ્યોની અંદર — આત્મિક જીવનની થોડી પણ ખેવના કરનારાં, એ જીવનને વિશે ભ્રામક વિચારમાં પડેલાં અને ભલેને અલ્પાંશે પણ જેઓ સંતને ઓળખવાને ઉત્સુક હતાં તેવાં માનવોની અંદર — ભેળાવાનું હતું. ટૂંકમાં એમ કહી શકાય કે ઉપનિષદના રહસ્યવાદમાંથી જ્યારે આપણે મધ્યકાલીન રહસ્યવાદ તરફ વળીએ છીએ, ત્યારે આત્મિક જીવન આપણને મઠોની દીવાલોમાંથી બહાર નીકળીને ચૌટામાં બેઠેલું દેખાય છે.” (‘હિસ્ટરી ઑફ ઇન્ડિયન ફિલૉસોફી,’ ગ્રંથ 7, પ્રકરણ 1, પાનાં 1-2). ઉપનિષદનો ભક્તિસાધકવાદ જ મધ્યકાલીન ભક્તિવાદનું મૂળ ઝરણ છે એવું શ્રી રાનડેનું અદ્યતન પ્રતિપાદન છે. ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’ના વિદ્વાન હિંદી લેખક શ્રી રામચંદ્ર શુક્લનું વિધાન આવું છે કે “દેશમાં મુસલમાનોની શાસનપ્રતિષ્ઠા થઈ, આંખો સામે મંદિરો તૂટવા લાગ્યાં, અને હિન્દુ જનતાના હૃદયમાં ગૌરવ કે ઉત્સાહને માટે સ્થાન ન રહ્યું, એટલે ન તો તેઓ પોતાની વીરતાનાં ગાન બનાવી શકતા હતા, કે ન એ ગાનને વગરલજ્જાએ સાંભળી શકતા હતા. પોતાના પૌરુષને હારી બેઠેલી હતાશ જાતિને માટે ભગવાનની શક્તિ તેમજ કરુણતા તરફ ધ્યાન લગાડવા વગર બીજો માર્ગ પણ શો હતો?” શ્રી શુક્લના આ વિધાન પર ઉપહાસ કરતા બીજા પ્રખર હિન્દી વિદ્વાન શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી ઉપલા મતનું ખંડન ‘સૂર સાહિત્ય’ નામના પોતાના ગ્રંથમાં કરે છે અને નિર્ણય આપે છે કે ભારતીય ચિંતનપ્રવાહ સ્વાભાવિકપણે જ આ ભક્તિમાર્ગ તરફ આગળ ધપતો હતો. શ્રી હજારીપ્રસાદ એમના ‘હિન્દી સાહિત્ય કી ભૂમિકા’માં આ મુદ્દાની નીચે મુજબ આલોચના કરે છે : “અંગ્રેજ વિદ્વાન ગ્રિયર્સને આ ભક્તિવાદના મહાન રાષ્ટ્રવ્યાપી આંદોલનને નિહાળીને એવું વિધાન કર્યું કે ‘પંદરમી સદી તેમજ તેની પછીની શતાબ્દીઓનું સાહિત્ય વાંચવાનો મોકો મળ્યો હોય તેવા કોઈ પણ મનુષ્યને આ નવી તેમજ પુરાણી ધાર્મિક ભાવનાઓની વચ્ચે પડેલા જબરદસ્ત વ્યવધાન લક્ષ્યમાં આવ્યા વગર રહેશે નહીં. આપણે એક એવા માર્મિક આંદોલનની સમક્ષ આવી ઊભીએ છીએ કે જે આંદોલનના કરતાં વધુ વિશાળ બીજું આંદોલન ભારતવર્ષે કદી જોયું નહોતું. બૌદ્ધ ધર્મના આંદોલનથીયે વધુ વિશાળ આ ભક્તિવાદનું મોજું હતું. કારણ કે એનો પ્રભાવ આજ પર્યંત મોજુદ છે. ધર્મ, એ આ યુગમાં જ્ઞાનનો નહીં બલકે ભાવાવેશનો વિષય બની ગયો હતો. આંહીંથી આપણે સાધના અને પ્રેમોલ્લાસ (‘મિસ્ટીસિઝમ ઍન્ડ રૅપ્ચર’)ના પ્રદેશમાં પ્રવેશીએ છીએ અને એવા આત્માઓનો સાક્ષાત્કાર કરીએ છીએ કે જે કાશીના દિગ્વિજવંત પંડિતોની કોટિના નહીં પણ જેમની સરખામણી મધ્યયુગના યુરોપી સંત બર્નાર્ડ થોમસ અને સંત થેરીસાની સાથે થઈ શકે છે.” હિન્દી સંસ્કૃતિ-વિકાસના એ વિદેશી નિરીક્ષકે વિશેષમાં લખ્યું કે “વીજળીના ચમકારાની પેઠે અચાનક આ સમસ્ત પુરાણા ધાર્મિક મતોના અંધકારની ઉપર એક નવી વાતે દેખા દીધી. કોઈ હિંદુ જાણતો નહોતો કે આ વસ્તુ ક્યાંથી આવી. કોઈ એના પ્રાદુર્ભાવનો સમય પણ નક્કી ન કરી શક્યું.” ગ્રિયર્સનને લાગ્યું કે આ તો ખ્રિસ્તી ધર્મને આભારી હતું. શ્રી હજારીપ્રસાદજી આ વિધાનના પ્રતિવાદમાં કહે છે કે આ વાત વીજળીના ચમકારા જેવી અણધારી નહોતી, એને માટે તો સેંકડો વર્ષોથી મેઘાડમ્બરની જમાવટ થઈ રહી હતી. ભલે એનો પ્રાદુર્ભાવ એકાએક બની ગયો. સેંકડો વર્ષોથી જમાવટ પામી રહેલી આ મેઘમાલા કઈ? બૌદ્ધ ધર્મની આખરી પતિતાવસ્થામાં પ્રકટ થયેલો સહજયાન પંથ, જેણે બૌદ્ધ ધર્મને મઠોનાં બારણાંની બહાર કાઢી જનતાનાં ખાસ કરીને નીચલાં થરોમાં રેલાવ્યો; ને સાથે જનતાની વાણી. નાથપંથના યોગીઓ અને સિદ્ધો — જેમાંના મોટા ભાગના સાધકો નીચલા વર્ણોમાંથી ખડા થયા હતા — એમણે પુકારેલો પૌરાણિકો સામેનો બળવો, ન્યાતજાતની ઉચ્ચતા-નીચતા સામેનો વિદ્રોહ. દક્ષિણ ભારતના, જાતિભેદોની જડો વડે ઝકડાયેલા પ્રદેશમાં ભક્તિપૂર્ણ ઉપાસના પદ્ધતિને અનુસરતા આલવા ભક્તોની પરંપરામાં વૈષ્ણવ આચાર્ય રામાનુજનો ઉદ્ભવ. રામાનુજે વિષ્ણુભક્તિનો આશ્રય લઈને નીચલી જાતિઓને ઊંચે લીધી, વ્યવહારક્ષેત્રે પ્રવર્તતા ઊંચનીચ ભેદોને વણસ્પર્શ્યા રહેવા દઈ, ધર્મક્ષેત્રમાંથી એ ભેદભાવને રૂખસદ દીધી. પ્રભુને ઉપાસવાનો સર્વનો સમાન અધિકાર સ્થાપિત કર્યો. શ્રી રામાનુજની પાંચમી પેઢીએ પ્રકટેલા સુપ્રસિદ્ધ સ્વામી રામાનંદે, ગુરુ સાથે મતભેદ પડતાં પોતાના બુલંદ સંપત્તિશાળી મઠનો લોભ જતો કરી, ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું, અને જનસમસ્તને નવો મંત્ર દીધો, કે ભગવાનની શરણાગતિ ગ્રહનારને માટે વર્ણાશ્રમનાં બંધનો વ્યર્થ છે, સર્વે ભાઈઓ છીએ, સર્વે એક જ કોમ છીએ, શ્રેષ્ઠતા ભક્તિથી મપાય છે, જન્મથી નહીં. સંસ્કૃતના પારગામી પંડિત, ઉચ્ચ બ્રાહ્મણકુળના નબીરા અને એક પ્રભાવશાળી સંપ્રદાયના ગુરુ એવા શ્રી રામાનંદે સર્વસ્વનો ત્યાગ કર્યો, દેશી ભાષામાં કવિતાની રચના ચાલુ કરી, બ્રાહ્મણથી ચંડાળ પર્યંત સર્વને રામનામનો મંત્ર દીધો, અને એનો સ્પર્શ થતાં સર્વ કંઈ સોનું બન્યું. એના શિષ્યોમાં રોહિદાસ ચમાર હતા, કબીર વણકર હતા, ધન્ના જાટ હતા, સેના હજામ હતા, પીપાજી રાજપૂત હતા. ભક્તિમાર્ગના મહાથંભ રામાનંદ ભક્તિસાહિત્યના મહારચયિતા પણ રામાનંદ. એ રામાનંદનું જ ભક્તિબીજ કબીરમાં રોપાયું. કબીરે બહારવાળાઓ પાસેથી કશું ઉછીનું ઉધાર લીધું નહોતું. બેશક એ સાચી વાત છે કે કબીરે દક્ષિણ ભારતીય વૈષ્ણવભક્તિની સાથોસાથ ઉત્તર-પૂર્વ ભારતના નાથો–સિદ્ધોની મુક્ત વિચારધારા અપનાવી, પશ્ચિમના સૂફીવાદને પણ પોતાનામાં ટપકવા દીધો. કબીરમાં પરિપાક પામેલું મધ્યયુગી મહામાર્ગી ભક્તિવાદનું સ્વરૂપ આમ શુદ્ધરૂપે ભારતીય હતું. જુઓ એની ભક્તિમાર્ગી કાવ્યધારા, એના દોહા, એની સાખી, એનાં પદ, ચોપાઈ, એની અવળવાણી : એ બધા નાથપંથીઓએ તેમજ સહજયાનના સાધકોએ પ્રયોજેલી જુક્તિઓ શૈલીઓને જ અનુસરી છે. એમાં વિસલતી મસ્તી, અજડાઈ, અક્કડપણું, ફક્કડપણું, કઠોર કુહાડાના પ્રહારો — બધાં, ક્યાંક ક્યાંક એ શબ્દશ: પેલા પુરોગામીઓનાં જ છે. એ બધી વિચારધારા ને નિરૂપણપદ્ધતિ શુદ્ધ ભારતીય છે. વિરાટ ભારતીય જનતાને ભીંજવી ગયેલા એ જ મધ્યકાલીન રહસ્યવાદના, આ ગુજરાતી ભજનિકો, નાના નાના પ્રણાલિવાહકો બન્યા. ગોરખનાથ, રામાનુજ, રામાનંદ, કબીર, જ્ઞાનેશ્વર, નામદેવ, જ્ઞાનદેવ વગેરે મધ્યકાલીન સંતો અલગ અલગ પ્રાંતના છતાં પરંપરાદૃષ્ટિએ અભિન્ન એક સંસ્થા કે સંઘસ્વરૂપ હતા. એ રહસ્યવાદીઓની ગૂઢવાણીને આ ગુર્જર સાંઈસંતોએ પોતાની ગુજરાતી ભાષાના વાહનમાં બેસારી મઠો, તપોવનો અને મંદિરોની બહાર, શ્રી રાનડે કહે છે તેમ ચોકચૌટામાં લાવી મૂકી હતી. એવું બોલાતું સાંભળ્યું છે કે આ ગુર્જર ભજનકારોમાં નિજનું તો કાંઈ જ નથી, એ તો પેલા મધ્યકાલીનોની, મુખ્યત્વે કબીરની ઉક્તિઓનું ને જુક્તિઓનું અનુકરણ જ માત્ર છે. ના, એ અનુકરણ કે નકલ નથી, મૂળ પરંપરાનો જ, નિજત્વના તૉર પર પ્રવહમાન રાખેલો સાહિત્ય-સ્રોત છે. મધ્યકાલીન રહસ્યવાદ, કે જે સમગ્ર ભારતવર્ષમાં છવરાઈ જઈને એક તેમજ અખંડ સ્વરૂપને ધારણ કરી બેઠો હતો, તેના ગૂઢાર્થ આ ભજનિકો ગુજરાતી વાણીની છાબમાં ઝીલી શક્યા હોય, અદલ ને અસલ સ્વરૂપે, નાદે, છંદે, તાલે ને લયે અપનાવી શક્યા હોય, અને જનસામાન્યને હૈયાદ્વારે જો એ અસલ રહસ્યવાદની ખુશબૂને મહેકાવી શક્યા હોય, એ પરંપરાને અત્રુટ અને અવિચ્છિન્ન રાખી શક્યા હોય, તો તે આપણે માટે બસ બની જાય છે. દૃષ્ટાંત તરીકે —

જમીં આસમાન બાવે મૂળ વિણ રોપ્યાં ને થંભ વિણ આભ ઠેરાણાં હોજી અખંડ ધણીને હવે ઓળખો હોજી. — એ દેવાયતભાખ્યા ગુજરાતી બોલ; અથવા નો’તો રે મેરુ ને નો’તી મેદની, નો’તાં જે દી ધરણી અંકાશ રે હાં હાં હાં ચાંદો ને સૂરજ જે દી દોય નો’તા ધણી મારો તે દી આપોઆપ રે હાં હાં. — એવી સર્જનહાર-ધણીની સ્વયં ઉત્પત્તિનું ભવ્ય જેસલ-દર્શન; અથવા તો —

સરવ અંશમાં નામ તમારું
નામ વિના કોઈ ઠામ નહીં,
કાયા વરમંડમાં જુઓ તપાસી,
નામ સમોવડ કોઈ નહીં.

નાભિકમલસે જુઓ તપાસી
કાયા કમલ બિચ મણિ પડી,
તેનો ઉજવાળે ચૌદ બ્રહ્માંડ સૂઝે
સુરતા મોરી ગગન ચડી.

આ કાયામાં બહુ મનસૂબા,
ઘાટ ઘડે મન ઘડી ઘડી;
મણિધરને માથે જેમ મોરલી વાગે
માણેકચોકમાં માણિ પડી.

આવો ગુરુજી આસન પધારો,
નમણ્યું કરે છે જતિ સતી;
ગુરુ પરતાપે સરભંગી બોલ્યા;
બોલે છે એ બીજો નથી.

એવો હરિ નામનો મહિમા દાખવતું સરભંગી નામના કોઈ ભજનિકનું પદ. એ બધાં વાણીએ અને વિચારે આપણાં નિજનાં જ છે. કબીર સાહેબે ‘હરિવરની વિરહિણી’ને ભાવે ઘણું ગાયું છે. મધ્યકાલીન ભક્તોની વાણી એ સખીભાવના તલસાટે ભરપૂર છે. આપણા સોરઠી દેવીદાસ પણ પુકારી ગયા કે —

કે’જો સંદેશ ઓધા કાનને રે
તમે છો માયલા ઓધાર રે
રત્યું પાલટિયું વન કોળિયાં રે
બોલે બાપૈયા ઝીણા મોર રે
પિયુ પિયુ શબદ સુણાવતાં
હૈડું રિયલ નૈ મારું ઠોર રે
કે’જો સંદેશો ઓધા કાનને રે.


આવું જો જાણું તો જાવા દેત નૈ,
રાખત ગોકળિયા મોજાર રે,
મુવલને નવ મારીએં રે
મોહન મનથી વિચાર રે.
— કે’જો સંદેશો.

એ ભાવ કબીરનો ઉછીઉધારે લીધેલ હશે? કે અનુભવજનિત હશે? અને આપણો એ પ્રેમલક્ષણાને ભજતો ભોજલ જ્યારે એ પિયુ-સ્પર્શનાં સૂક્ષ્મ સંવેદનો આ રીતે ગાય છે —
પિયુ રે પિયુ તમે શું કરો સજની!
રવિ રે ઊગે દન દન રે
પરણ્યા એ પછી તુંને પ્રેમરસ મળશે ઈ તો
મીઠપ દેશે માંયલું મન :
સેજલડીમાં સૂતાં રે પિયુજીની ખબરું પડે,
બાઇયું! એ વર વિન્યા રે, કો’ને સખી કેમ તો રડે
એનો અનુભવ કરીયેં રે, જોતાં રૂડા સાધુ જડે.


આ રે સેજલડીમાં બહુ સુખ પામ્યાં
રમતાં દિવસ ને રેન રે.
કુંવારી સુંદરી શું જાણે કંથમાં ઈ તો,
વિયાજમ કેરી વેણ્ય
કોની આગળ કેયાં રે, વાતું છે વિવેક તણી.
અથવા એ જ પ્રેમલક્ષણાભક્તિનો શૃંગાર જ્યારે વળી રવિદાસ ગાય છે —

સખી! સાંભળ કહું એક વાતડી,
સાંભળતાં લાગે ઘણી મીઠી રે,
સખી! સતગુરુએ સબદ સુણાવિયા,
આજ તો અચરજ મેં દીઠી રે.
સખી! ઊંચું જોઉં તો હરિ આસમાનમાં
હેરીને જોઉં તો હરિ હેઠા રે;
સખી! સૂઈને જોઉં તો ઝળકે સોડ્યમાં
જાગીને જોઉં તો તખત પર બેઠા રે. — સખી.

સખી! પરણેલી પિયુજીને ભોગવે રે
કુંવારી કંથમાં શું જાણે રે;
સખી! કુંવારી રમે ઢીંગલે પોતિયે
મેરામને શું માણે રે — સખી.
સખી! પંડ્યના પિયુજીને વાતડી
કોઈની આગળ નવ કેયીં રે,
સખી! આપડે રે’વું પિયુજીના શે’રમાં;
લોચનિયે હરી હેરી લેયીં રે — સખી.

ત્યારે શું એ કેવળ મધ્યકાલીન સંતોના બોલનો પડઘો જ લાગે છે? શું નર્યો અનુકરણયુક્ત શબ્દવ્યાપાર લાગે છે? કે ભોજલ રવિ નામના આપણા આતમ ઘાયલ મરમીઓને થયેલો નિજાનુભવ લાગે છે? અંતઃસ્થલના સમસંવેદન વગર તો પારકી વાણી પણ પોતાની ભોમમાં ઉતારી શકાતી નથી. પણ આ તો કેવળ પરાનુભવ અથવા પરસંવેદના નથી, આ તો ભાસે છે સ્વકીય ગર્ભધારણની સૂક્ષ્મ મર્મગામિતા. ગુજરાતની ભજનવાણીમાં આત્મવિદ્યાનું સ્વાનુભવયુક્ત મર્મસંવેદન ઝિલાયું છે એવો મારો દાવો વિશેષ તો પુષ્ટ ત્યારે બને છે, કે જ્યારે એ વાણીના પદબંધી બોલ મારે શ્રવણે સંગીતસ્વરૂપે પડે છે. શબ્દ, કાવ્ય અને સંગીતનું એ એકાકાર અને અર્થાનુગામી સ્વરૂપ માસેમાસની બીજલી રાત્રિની ગળતી વેળાએ જેમણે જોયું હશે તેમને વધુ સાબિતી નહીં આપવી પડે, કે એ વાણી તળપદી ગુજરાતી છે. ઉપનિષદોના રહસ્યવાદથી અનોખો અને વિશિષ્ટ આચારપ્રેરિત, જનસામાન્યના મંગળનો લક્ષી, વાદવિતંડાથી વિમુક્ત, સત્સ્વરૂપને તરંગો, કલ્પનોથી ન આવરી મૂકનારો, પાપીતાપીઓને, નારીઓને, અછૂતોને, પ્રાકૃત જનોને હૈયે સત્સ્વરૂપનું સોયલું સોહામણું દર્શન અજવાળનારો એ અખિલ ભારતીય ગૂઢાર્થવાદ ગુજરાતને હૈયે પણ સ્વાનુભવની સંપત્તિરૂપે શબ્દમાં ઊતર્યો હતો. ગુર્જરોમાં ફરી વળેલો એ મધ્યકાલીન પ્રવાહ વાણીએ કરીને તળપદો છતાં પાછો બીજે પાસે, ભારતવર્ષીય અર્થાત્ રાષ્ટ્રવ્યાપી હતો. એ પ્રવાહને આ મરમીઓએ અખિલ ભારતભોમમાં રેલાવ્યો હતો. ગોપીચંદ હતા તો ગોડ બંગાળાના સંત, પણ એનાં જે આત્મમંથનો ગુજરાતી ભજન-વાણીમાં ઊતર્યાં છે તે દ્વારા ગોપીચંદ આપણા બની રહે છે. આપણા ભોજલ ભક્તે એની જીવનકથા એક સળંગ ભજનગાથામાં ઉતારી આપી છે, તે ઉપરાંત છૂટાંછવાયાં જે ગોપીચંદ-પદો ગવાય છે તેમાંનું આ એક લાક્ષણિક છે : રાણીઓ એને જતો રોકે છે —

ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા ગોપીચંદણ
પિયા પરદેશે ન જાનાં એ જી.

ગોપીચંદ જવાબ વાળે છે :

એ રે સેજડિયે અમને નીંદરા ન આવે રે
સૂતાં સેજડિયે અમને નીંદરા ન આવે રે
મારે મન રાજ ન ભાવે હો જી.

રાણીઓ પૂછે છે :

શાને રે કારણિયે રાજા મુંડ રે મુંડાવી ને
શાને કારણ પે’રી કંથા હો જી?
શાને કારણીએ રાજા ખપર ધરાયો ને,
શાને કારણ લીધા ડંડા હો જી?

તેનો જવાબ ગોપીચંદ વાળે છે :
મુગતિને કારણ મૈયા, મુંડ તો મુંડાવી ને,
કાયા ઢાંકણ પે’રી કંથા હો જી.
વસ્તી માગણકું મૈયા, ખપર ધરાયો ને
કાળ મારણ લીના ડંડા હો જી.
એ કરતાં અધિકાધિક ચમત્કૃતિમય, કાવ્યરસિક અને જ્ઞાનલક્ષી, રહસ્યલક્ષી તો આ પ્રશ્નોત્તરી છે : રાણીઓ પૂછે છે કે અમારા વિના, ઓ સુકુમાર સ્વામી,
કોણ કોણ રાજા, તેરી સંગ મેં ચલેગી ને
કોણ રે કરેગી દો દો બાતાં હો જી?
કોણ કોણ, રાજા, તેરા ચરણ પખાળશે ને
કિયાં જઈ જમશો દૂધ ને ભાતાં હો જી.
જવાબ —
ચંદા ને સૂરજ મેરી સંગ મેં ચલેગી ને
રેન કરેગી દો દો બાતાં હો જી;
ગંગા ને જમના મારા ચરણ પખાળશે ને,
ઘેર ઘેર જમશું દૂધ ને ભાતાં હો જી.

આ ભજન બંગાળમાં હોવાનું જણાતું નથી. ઉત્તર હિન્દ તરફનું હશે? ખબર નથી. ગુજરાતમાં જ એ અત્યંત પ્રચલિત છે. એની હિન્દીમિશ્રિત ગુજરાતીથી ભરમાવાનું નથી. મધ્યકાલીન ભજન-પરંપરા, ઉપર કહ્યું તેમ, રાષ્ટ્રવ્યાપી હોવાથી આપણા જ ભજનિકો છૂટથી હિન્દી પ્રયોગો કરતા અને પોતાની રચનાઓને સાર્વજનિક, સર્વસુબોધ બનાવતા. પણ તેમાંયે કેન્દ્રવર્તી મુદ્દો તો જોબનજોદ્ધ અને ભોગાસક્ત ગોપીચંદનું ચિત્તસંવેદન પકડવાનો છે. એની આંતરવ્યથાનો જે સાક્ષાત્કાર આ પદમાં છે, તે તેના રચનારાની સંવેદનશીલતાને શોભા અપાવે છે. એ રચયિતા જો ગુર્જર સંત હોય તો ગુજરાત ખાતે ઘણું જમા બન્યું ગણાશે.
कान्ता सम्मिततयोपदेशयुजेः મમ્મટે કાવ્યનું આ લક્ષણ બાંધ્યું છે : કાન્તાની પેઠે ઉપદેશ દેવાનું પ્રયોજન કવિતાને ભળાવ્યું છે. ભજનવાણી એ પ્રયોજનને અનુસરે છે. માનવીના મનવાને એ શયનમંદિરની નિર્મળ એકાંતે બેસારી, પંપાળી પંપાળી, લાલન કરતી કરતી સમજાવે છે કે —

ભગતિનો મારગ રે, ફૂલ કેરી પાંખડી,
સૂંઘે તેને રે સવાદ;
સવાદને સૂંઘ્યા રે ગોપીચંદ ભ્રથરી રે
જેને વનમાં ઉપજ્યો વેરાગ-ભગતિ.
કરણીના પૂરા રે, શૂરા થઈ ચાલશે રે,
કાયર ખાશે માર;
ભગતિનો મારગ રે ફૂલ કેરી પાંખડી

એમ હિંમત આપે છે, ખુશબોનો ખ્યાલ કરાવે છે, કરણી પર જ ભાર મૂકે છે. વળી સહનશીલતા પ્રબોધે છે ત્યારે પણ એનો ઉચ્ચ આદર્શ નિરૂપે છે, એને ભવ્ય તાકાતરૂપે પ્રબોધે છે :

જી રે લાખા!
ખુંદી તો ખમે રે માતા પૃથમી ને;
વાઢી તો ખમે વનરાઈ;
કઠણ વચન મારાં સાધુડાં ખમે,
નીર તો સાયરમાં રે સમાય;
લાખા! અબળા લોયણ તમને એમ ભણે હોજી.

વૈરાગ્યના પંથ પરથી વિચલિત થનાર માનવીની ગતિ પણ કુમાશથી બતાવે છે :

વેલ્યેથી વછૂટ્યું રે સખી! એક પાંદડું,
ઈ રે પાંદડું ભવે રે ભેળું નહીં થાય
વેરાગનાં વછોયાં રે ભવે ભેળાં નહીં મળે રે.

એ વાણી અફસોસ કરે છે ત્યારે પણ જ્ઞાની નર માટે ગાય છે :
જ્ઞાની નર ભૂલે રે, એના થાય ઓરતા હો જી.
આ ભજનિકોની રહસ્યદૃષ્ટિ મૂળે તો ભાગવત પર મંડાઈ છે. ધ્રુવજી, પ્રહ્લાદ, કૃષ્ણસખા ઉદ્ધવ, વેશ્યા કુબ્જા, અધમાધમ અજામિલ, સંત અજગર, ગ્રાહમુખેથી ઊગરેલો ગજ, સર્વસ્વત્યાગી ઋષભદેવ, હરિશ્ચંદ્ર વગેરે ઉદ્ધરેલા ભક્તોના આદર્શમાંથી આ ભક્તિવાદ એનાં બળ મેળવે છે. તથાપિ આ ભજનિકોએ ભાગવતનિરૂપિત વ્યક્તિઓનાં ચરિત્રોના અસદંશોને અલંકારોમાં ઘટાવેલ નથી. બૂરાં આચરણોને એ બૂરાં જ કહી ઓળખાવે છે :

જ્ઞાની નર ભૂલે રે, એના થાય ઓરતા રે;
નારદજી ભૂલ્યા રે, કામદેવ જીતતાં રે.
એણે માગ્યું હરિ રે પાસે જ્યારે રૂપ,
મોહની વરવા રે મન થયું વ્યાકુળ વ્યાસનું રે.
નારદ જાણતા અતિ રે થિયો છે અફસોસ.
— જ્ઞાની નર ભૂલે રે.

કોઈ કોઈ સ્થળે તો આ વાણી દાર્શનિકતાનાં ઉત્તુંગ શિખરોને સાદામાં સાદા શબ્દે સર કરી જાય છે :

મરવું એને કઈયેં, મરણના ભે ટળે,
ટાળવું એને કઈયેં, આપ ટાળે;
બાળવું એને કઈયેં, ફરીને ઊગે નહીં,
ભાળવું એને કઈયેં બ્રહ્મ ભાળે.

આ બોલ નરસૈયાના નથી, લોકસંત મૂળદાસના છે.
મછંદર, ગોરખ વગેરે અખાડાઘરોનો નાથ સંપ્રદાય તો હઠાળો, કઠોર, નારીધિક્કારક, બ્રહ્મચર્યની નિષ્પ્રાણ ઉપાસનાને માટે જાણીતો છે. પણ એમનાં યોગ તત્ત્વોને જ્યારે જ્યારે લોકસંતોની વાણી સ્પર્શ કરે છે ત્યારે ત્યારે લોકકવિતાનું કાન્તાસ્વરૂપ પૂરેપૂરું પ્રતીત થાય છે. સંસારગ્રસ્ત બની બેઠેલા મત્સ્યેન્દ્રને ત્યાગમાં પાછો લાવવા ત્રિયારાજમાં ગયેલા ગોરખના મુખમાં લોકકવિતાએ આવા સુકુમાર શબ્દો મૂક્યા છે :
એક જે બુંદ કા સકળ નિપાયા ગુરુ રે,
અનેક બુંદકુ ક્યું ખોયા!

ગિયા રે બુંદ કો ગુરુ! પાર ન પાયો ને,
મુવા રે બુંદ કુ ક્યું રોયા — મેરે નાથજી!

રાજ ગિયાં ને જેમ રાજા ઝૂરે ગુરુ રે!
વૈદ ગિયાં ને ઝૂરે રોગી;
કંથ ગિયા ને જેમ ઝૂરે કામિની ને
બુંદ ગિયાં ને ઝૂરે જોગી — મેરે નાથજી!
સુરતા ધારી રે! આવું ઘટે નૈ મછંદર જોગી!

ઠપકો ખરો, પણ કાન્તા પોતાના વલ્લભને આપે તેવો : હે ગુરુ! તારું એક જ વીર્યબુંદ — એક જ બાળક મરી ગયું તેમાં તું આટલો રડે છે! એક જ વીર્યબુંદમાંથી તો આ સમસ્ત સૃષ્ટિ નીપજી છે, છતાં તેં તો એવાં અનેક અણમોલ વીર્યબુંદો વિષયતૃપ્તિ અર્થે ખોઈ નાખ્યાં, એવાં ગયાં બુંદનો તો પાર નથી, જ્યારે તું તો આ એક જ મૂવા બુંદ (બાળક)ને માટે વિલપતો બેઠો છે! ને હે ગુરુ! બુંદ (બ્રહ્મચર્ય) એ થોડી કોઈ નિષ્પ્રાણ, જડ, શુષ્ક ક્રિયા છે! એ તો એવી સંપત્તિ છે, એવી મધુર, એવી મહોબ્બત કરવા જેવી વસ્તુ છે, કે વૈદ્ય જાય ને જેમ રોગી ઝૂરે, રાજ્ય જાય ને જેમ રાજા ઝૂરે, અરે કંથ જાય ને જેમ કામિની ઝૂરે તેમ વીર્ય ગુમાવીને જોગી ઝૂરે. આ રીતે ભજનની વાણી એ તો કલાત્મક સર્જન છે અને સ્વાનુભવની સંપત્તિ છે. માટે જ એ સાચા અર્થમાં આપણું વાઙ્મય છે. એનો પ્રદેશ સુવિશાળ, ઊંડાણભર્યો અને રસપૂર્ણ છે.

ઈ. સ. 1375થી 1700 સુધીમાં આ જે ભક્તિકાળ અપૂર્વ કો ચમત્કાર-શો પ્રસરી વળ્યો હતો, તેની પીઠિકા પર આપણા ગુજરાત-સૌરાષ્ટ્રના ભજન-સાહિત્યનું મારું શોધન અને પરિશીલન છેક 1924-25થી ચાલ્યા કરતું હતું; અને સને 1932ના ઑક્ટોબર–ડિસેમ્બરમાં ‘બુદ્ધિપ્રકાશ’ ત્રૈમાસિકમાં એક લેખ પણ પ્રગટ કરાવ્યો હતો. મજકૂર લેખ ‘સોરઠી ભજનિક સંતો’ અને તેમની કાવ્યવાણી પર આજે પણ પ્રકાશ પાડતા પ્રવેશક જેવો હોવાથી જરૂરી સુધારા-વધારા સાથે અત્રે ઉતારેલ છે : એને આપણે કવિ-ભક્તો કહેશું. તેઓ ખાસ કરીને કબીર સાહેબની વાણીની અસર તળે આવેલા હતા. કર્મલક્ષી લોકસેવાને બદલે સાહિત્ય-સર્જન તેમનો મનપસંદ વિષય હતો. ઊર્મિના આવેશ અનુભવી અપાર્થિવ મસ્તીમાં — ‘એક્સ્ટસી’માં — ચડી જઈ એ ભજનિકો કાવ્ય રચતા. અલખ, અગમ, ગગન જ્યોત, બ્રહ્મ ઝાલરી વગેરે તત્ત્વોનું ચિંતન કરનારા એ શોધકો અને સાધકો હતા; અથવા બધા જ કંઈ શોધકો નહોતા : શાબ્દિક અનુકરણ કરનારા પણ હતા. અગમનિગમની ન સમજાય તેવી ઘણી વાતો તેઓનાં કાવ્યોમાં ઊતરતી. એ પોતે પણ કદાચ સ્પષ્ટ ન સમજે એવી નિગૂઢ શબ્દરચના તેઓ કાવ્યમાં આણતા. એમની કવિતા એકલા શુષ્ક વૈરાગ્યની નહોતી, જીવનની અસારતાનાં જ નર્યાં કલ્પાંતો નહોતાં, પરંતુ તેમાં તો આત્માની સમાધિના સૂર પ્રધાનભાવે સંભળાતા. બ્રહ્મના ભેદ પામવાની તાલાવેલીના, વિરહાકૂલ ગોપીના, સૂફી ફિલસૂફના તેમજ વ્યવહારગામી સુજ્ઞના સૂરોનું તેમાં એકીકરણ હતું. “એ કાવ્યોમાં કોઈ પંથનો આગ્રહ નથી, કોઈ એક દેવતાની સ્તુતિ નથી, પણ શરણાગતિ, મસ્તી, આનંદ-ઉદ્રેક ને પ્રભુવિરહના ભાવો ગવાયા છે. જીવનની લોલૂપતા, સ્વાર્થાંધતા, રૂઢિગત પૂજન, ભજનની સંકુચિતતા, ધાર્મિકતાનો બાહ્યડમ્બર, ન્યાતકોમના ભેદભાવ, જડતા વગેરે ઉપર મર્મપ્રહારો છે. ગુરુભક્તિ પણ સવિશેષ છે. “આ ભજનિક સંતોના સંઘમાં કેટલાક તો ઉદ્યમવંત ઘરસંસારીઓ જ હતા : જેવા કે મીઠો ઢાઢી, ભોજો ભગત, જીવણદાસ ચમાર વગેરે. બાકી કેટલાક ઘરબારી છતાં સંસારવ્યવહાર ત્યજીને વસ્તીની સહાય પર રહેનારા હતા : જેવા કે ભાણ સાહેબ, ખીમ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ વગેરે. કબીરજીની માફક તેઓ સંસારીઓ હતા, છતાં ભેખધારીઓ કહેવાતા.” ઉપલું અવતરણ આજથી ઓગણીસ વર્ષો ઉપર બહાર પડેલ મારા ‘સોરઠી સંતો’ના પ્રવેશકમાંથી મેં ઉતાર્યું છે. ‘જ્યાં પ્રેમભક્તિનાં ગાન ભક્તજને ગાયાં’ એ ગીતપંક્તિથી કવિ ન્હાનાલાલે ઓળખાવેલા આ સોરઠ દેશના સંતોની તવારીખના થરો ઉકેલતાં મારા હાથમાં જે પ્રચુર સામગ્રી મળી આવેલ છે, તેમાંથી દોહન કરીને મેં ‘સોરઠી સંતો’માં બિન-ભજનિક લોકસંતોની કથાઓ સંઘરેલી, અને વિશેષ સંગ્રહ કર્યે જતો હતો. તેવામાં શાંતિનિકેતનવાળા શ્રી ક્ષિતિમોહન સેનનો ‘મધ્યયુગનો ભક્તિપ્રવાહ’ નામક વ્યાખ્યાન-લેખ જોયો. એ વ્યાખ્યાનમાં ક્ષિતિબાબુએ ગુજરાતના જે સંતોનાં નામ ગણાવેલ છે, તેમાં સૌરાષ્ટ્રના ફક્ત નરસિંહ, નિષ્કુલાનંદ, મુક્તાનંદ, ભોજો આદિ ત્રણ–ચારનો જ ટૂંકો ઉલ્લેખ હતો. સોરઠની અત્યારની નષ્ટપ્રાય: હાલતમાં, લોકજીવનનો પ્રવાહ અનેક રીતે કલુષિત થઈ ગયો છતાં, અત્યાર લગી, લગભગ આ દેશને ગામડે ગામડે તેમજ નેસડે નેસડે જે સેંકડો ભજનોની ધૂન ટકી રહી છે તે તરફ જોતાં, એ ભજન-સાહિત્યમાં વાણી ને ભાવની જે વિશિષ્ટતા પડી છે તે ધ્યાનમાં લેતાં, અને એવી ચોટદાર વેધક કાવ્યવાણી રચી ગયેલ સંતોની સંખ્યા તરફ નજર કરતાં ‘મધ્યયુગનો ભક્તિપ્રવાહ’માં સોરઠને નામે ઘણું ઘણું વિશેષ જમા થવું જોઈએ તેમ લાગે છે, અને તે કારણે જ એ બહોળા સંતસમૂહનો સંક્ષિપ્ત પરિચય અત્રે આપવામાં આવે છે. સ્વામી આનંદે સોરઠના સંતોને ઉદ્દેશીને એક સમયે સરસ રીતે કહેલું કે પ્રાન્તપ્રાન્તના આવા લોકસંતો પેલા સમગ્ર ભારતવર્ષના જીવનને પ્રચંડ આઘાતો આપનાર વિભૂતિવંત નાનક, કબીર, રામદાસ અને ગૌરાંગ વગેરેના ‘રીટેઈલ ડીલર્સ’ અર્થાત્ પરચૂરણિયા વ્યાપારીઓ હતા. તેઓ પેલા મહાન તત્ત્વચિંતકોના નવોપદેશોને લઈ ગામેગામ ગયા અને જાણે કે નાની હાટડીઓ માંડીને પોતપોતાની સરળ વાણી માટે નવું ધર્મતત્ત્વ ઘેરઘેર પહોંચાડી દીધું. સોરઠી સંતો એ રીતે મુખ્યત્વે કરીને કોના પરચૂરણિયા આડતિયા હતા? કબીર સાહેબના. કારણ સ્પષ્ટ છે. સોરઠી મધ્યયુગના ઘણાખરા તમામ જીવનપ્રવાહો ઉત્તર તરફથી જ વહ્યા છે. સોરઠની અનેક જાતિઓનું પ્રયાણ (‘માઈગ્રેશન’) પંજાબ, સિંધ અને કચ્છને માર્ગે જ થતું આવેલ છે. ઉપરાંત, સૌરાષ્ટ્રનાં પ્રજાજનો ઉપર બ્રાહ્મણ સંસ્કૃતિનું પરિબળ પ્રથમથી જ અલ્પ હોવાને કારણે ધર્મ તેમજ પંથોના ભેદાભેદે લોકમાનસમાં દુર્ગમ રૂઢિની દીવાલો ન ચણી હોવાને કારણે, જ્ઞાતિબંધન આદિની કડકાઈ નજીવી હોવાને કારણે કબીરના ઉદાર વિચારોથી ભરપૂર સમન્વયલક્ષી કવનનો પ્રભાવ ઝટ ઝટ પડી ગયો હોવો જોઈએ. કબીર પોતે સોરઠ ધરામાં આવ્યા હોવાનું કશું પ્રમાણ જડતું નથી; તેમ એનો કોણ સમર્થ પ્રતિનિધિ અહીં ઊતરેલો તે પણ જણાયું નથી. પણ એના બે પંથો ચાલ્યા : રામકબીરિયા અને સતકબીરિયા. કબીરને રામનો અવતાર માનનારા રામકબીરિયા પંથના દીક્ષિતો ભગવાં વસ્ત્રો પહેરે, માથે ટોપો ઓઢે, કાનમાં શ્રવણીઓ નાખે, ડોકમાં માળા ઘાલે. એ પંથના સોરઠી આદ્ય ભક્ત તરીકે ભાણ સાહેબનું નામ બોલાય છે. ભાણ સાહેબ ભાણ સાહેબ સંવત 1754માં [સન 1698માં], એટલે કે કબીર પછી લગભગ 200 વર્ષે, થયા. (એ વચગાળાની કશી તવારીખ મળતી નથી.) પિતાનું નામ કલ્યાણ ભક્ત અને માતા અંબાબાઈ; જાતે લોહાણા; વતન કનખીલોડ. જીવતાં સમાધિ લઈને પરલોક સંચર્યા સંવત 1811માં [સન 1755માં]. એના ગુરુ કોઈ આંબો છઠ્ઠો નામે ભરવાડ હોવાનું કહેવાય છે. ભાણ કબીરનો અવતાર ગણાય છે. પોતે ઘરસંસારી હતા. એને ખીમદાસ નામે એક પુત્ર પણ હતો. ચાલીસ શિષ્યો એની સાથે ફરતા. એને ‘ભાણ ફોજ’ નામથી ઓળખે છે. એ ભાણ ફોજની નામાવલિનું જાણીતું પદ છે :

સુણ અનહદ કી ઠોર, ભાણફોજ નિરભે ચડી,
પ્રથમ કુંવરજી સરદાર, ગુરુસેં ગુરુગમ જડી,

રવિ રામ રણુંકાર, નામકી નોહબત ગડી,
જીવણદાસ જુગજીત, મંછાકી તોડી કડી,

ખરો ખેલ ખીમ સાબ, સુરત નિસાણે ચડી,
સત નામી સામદાસ, ભજનમેં લાગી ઝડી,

ઉદાસી ઓંકાર, સુરત જઈ બ્રહ્મમાં ભળી,
શંકરદાસ સન્મુખ રહે, માધુ મંગળ ગાવે,

ચરણદાસ નિરગુણ, હરિદાસ શંખ બજાવે,
દયાલદાસ દિલમાંય, કલમકી નાદ સુનાવે,

ગરીબદાસ ગુલતાન તે, નિતહીં કાવડ ફિરાવે,
હરખ શોક દો હારકે, સંત ચરણ રજ જડી,
કરજોડી કૃષ્ણદાસ કે’ ભાણફોજ નિરભે લડી.

એ ચાલીસ શિષ્યોની સાથે ગુજરાત–સૌરાષ્ટ્રમાં વિહરતાં વિહરતાં ભાણને અનેક પરિસહો સહવા પડેલા. કોઈ ચોર લોકોએ પોતાના ચોરીના બળદ ભાણ સાહેબના ગાડાના બળદો સાથે અદલ બદલ કરી લીધેલ, તેને પરિણામે એમને વડોદરાની જેલમાં જવું પડેલું. જેલમાં એમણે આખી રાત જાગીને ગાયેલું ભજન આ કહેવાય છે :

અસૂરાંને મન દયા આણો, એમ ભણે લુહાણો ભાણો રે,
મીરાંબાઈને મારવા જે દી રાણો રાય રીસાણો રે,
કંઠડે જાતાં અમરત કીધાં, તે દી વીખનો પ્યાલો પીવાણો રે,
હોલો રાણો હરિને ભજવો, ચંડાળની નજરે ચડાણો રે,
પારાધીને પગે વશિયર ડસિયો, શિર માર્યો સિંચાણો રે. — અસૂરાંને.

ઊંડા જળમાં જે દી’ ગજને ગરાયો, તે દી’ ઝુંડ થયો જમરાણો રે,
વારે ચડી પ્રભુ વેલા પધાર્યા, આયાં આવ્યાનો છે ટાણો રે. — અસૂરાંને.

કહેવાય છે કે પછી ત્યાંના મુસલમાન રાજકર્તાએ ભાણને પોતાના મુરશિદ કરી માનેલા. જામનગરમાં પણ ભાણને એના ઉદાર સિદ્ધાંતોવાળા ઉપદેશને કારણે, ‘સાબ’નો દરજ્જો એના નામ પછવાડે જોડવાને કારણે, તેમજ જામખંભાળિયા ગામમાં એનું જબરદસ્ત સામૈયું લોકોએ કર્યું તે કારણે, તેજોદ્વેષથી અથવા તો પછી પૈસા લેવાની દાનતથી અત્યારે ‘ભાણ વીરડી’ નામે ઓળખાતી એક મીઠા જળની વીરડી મોજૂદ છે, તેના સંબંધમાં ભાણનો પ્રભાવ થવાથી ખારું જળ મીઠું બન્યું હોવાનું બોલાય છે. ભાણનું સહુથી મોટું જીવનકાર્ય તણછા નામે ગામના એક રવજી નામના ધૂર્ત, વ્યાજખોર અને હરિવિમુખ વણિક વેપારીને ‘ટોપી ઓઢાડી’ તે કહેવાય છે, કેમકે એ ‘રવિ સાહેબ’ નામે સુપ્રસિદ્ધ બનેલ સમર્થ શિષ્યના જીવનપલટામાંથી અનેક મસ્ત ભજનોનું સાહિત્ય નીપજ્યું છે. ખરેખરા ઘાયલ આત્માની એ વાણી છે. ભાણનો મૃત્યુપ્રસંગ એક રીતે જોઈએ તો ભવ્ય છે. પોતે કમીજડા ગામમાંથી વિહાર કરીને નીકળતા હતા. લોકોના અતિ આગ્રહને ઠેલીને ચાલ્યા હતા, તેમાં બરાબર ગામઝાંપાની વચ્ચોવચ્ચ આવતાં જ પછવાડેથી પોતાની યજમાન ભરવાડણ બાઈએ પુકાર્યું : ‘એ ભાણસાબ, હવે ત્યાંથી ડગલું ભરો તો તમને રામદુહાઈ છે’. ‘રામદુહાઈ’ દેવાતાં જ ભાણ ત્યાં ને ત્યાં સ્તબ્ધ બની ગયા, કહે : ‘મારે આગળ કે પાછળ ક્યાંયે ડગલું દેવું નથી. માટે મારી આસપાસ, ઝાડને ડાર દે છે તે પ્રમાણે ખાડો ખોદો’. એમ ત્યાં ઊભાં ઊભાં જ ખાડો ગળાવી પોતે જીવંત સમાધિ લીધી. એણે સ્થાપેલી જગ્યા ગુજરાતમાં શેડકી ગામે છે. બાજવા સ્ટેશન થઈને શેડકી જવાય છે. આ રીતે ભાણનો ઉદ્ભવ ગુજરાતમાં થયો, વસવાટ પણ ગુજરાતમાં, છતાં એની વાણીનો વધુ પ્રચાર સોરઠમાં થયો. એના સાહિત્ય પર સોરઠી સંસ્કારોની છાપ છે. ભાણની ભજનવાણી બહુ બહોળી નથી, કદાચ એમની જગ્યામાં અપ્રકટ પદોનો સંગ્રહ પડ્યો હોય. એનાં પ્રચલિત પદો પૈકીની આ પંક્તિઓ લાક્ષણિક છે :

સ્વપ્ન ગયા ને સાહેબ પાયા, ભાણ ભયા સમાસી.

એક નિરંજન નામ જ સાથે, મન બાંધ્યો હે મારો.

સો સો વરસ રહે સિંધુમાં, ભીતર નહીં ભીંજાણા,
જળનું તો કાંઈ જોર ન ચાલ્યું, પલળ્યા નહીં એ પાણા.

સતગરુ મળિયા સેજમાં, જેણે સતનો શબદ સુનાયો,
ચોરાશીનો રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો — સત.
પંથ હતા તો થિયા પરિપૂરણ, નવધા નામ મિટાયો,
દશમદશા આવી દલ ભીતર, એકમેં અનેક સમાયો — સત.
અનેક હતા સો અખંડ સમાયો, નહીં જાયો નહીં આયો,
જીકર કરંતાં ગઈ જામની, સોહં સાહેબ પાયો — સત.
જપ જપ તીરથ જોગ ન ધરતાં, સળંગ સેરડો પાયો,
ખટ દરશનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર જ આયો — સત.
અનંત ક્રોડમાં આગેં ઊભા, સમશ્યામેં સાધ કહાયો;
કહે ભાણો, હરિ ભીતર ભેદ્યા, જ્યોતિમેં જ્યોતિ મિલાયો — સત.

આ ભાણ-વાણીમાં નિરંજનની એકોપાસના, બાહ્ય જપતપતીર્થાદિની બેતમન્ના, જ્યોતિમાં જ્યોતિનું મળી જવું એ જ સાચી દશા હોવાની માન્યતા વગેરે તત્ત્વજ્ઞાન તરવરી રહે છે. ભીતરમાં ભેદાઈ જવું, રૂંધાઈ જવું, નિર્ભય નામનું સુણવું, ઇત્યાદિ વાક્યપ્રયોગો નર્યા પાંડિત્ય અને જ્ઞાન પ્રત્યેનો અભાવ સૂચવે છે. પરમની પ્રાપ્તિ એ ભાણની દૃષ્ટિએ ભીતરનો વિષય છે.
ખીમ સાહેબ
સંત ખીમદાસ તે ભાણ સાહેબનો પુત્ર તેમજ શિષ્ય હતો. અનુયાયી લોકો એને ‘ખલક દરિયા ખીમ સાહેબ’ કહે છે, તે એવી માન્યતાથી કે ખીમ દરિયાપીરના અવતાર હતા, અને એનાં ‘નયનોમાં નૂરનો દરિયો’ દેખાતો. પોતાના પિતાને પોતાના કરતાં રવિદાસ ઉપર વધારે સદ્ભાવ હતો તેથી ખીમનું હૃદય દુભાયેલું રહેતું. પિતા ડાહ્યા હોવાથી કશું બોલ્યા વગર કાળના પરિપાકની રાહ જોઈ બેઠા. આખરે ખીમને અનુભવથી પ્રતીતિ થઈ કે રવિ તો યોગમાં તેમજ આંતર દર્શનમાં ક્યાંય ચડિયાતો છે. ત્યારે એનો ગર્વ ગળી ગયો. પિતા તે દિવસે એને પૂરેપૂરા સુજ્ઞ દેખાયા. એનાં પદોમાં ગુરુ પદની શ્રદ્ધા અને ભીતરના શુદ્ધ યોગની લહેરના ધ્વનિ ગાજે છે. જેમ કે —
મુને ભેટ્યા સતગુરુ ભાણ, દિયા મોહર છાપ પરવાના,
અમરપટા લિખ દિયા અગમ, ગગન-ઘરમેં જાનાં;
જલમલ જ્યોત અખંડ અજવાળાં, ઠીક તીયાં ઠેરાણાં. — મુને.
એ અખંડ અજવાળું પાથરનાર ઝલમલ જ્યોતના આંતર દર્શન થકી કેવો અનુભવ થયો?
દર્શન દેખી ભયા મન મગના, સહેજે સૂન સમાના,
નેનું આગે નૂર નિરખિયા, નહીં મોટા નહીં નાના. — મુને.
એ જ ભાવ વડે પ્રેરાઈને આ ભક્ત વારંવાર એની એ આતમ-ઓળખાણને વ્યક્ત કરવા મથે છે :
કોઈ જુવોને ગગનાં હેરી, બજ બંસરી ગહેરી.

ગગન મંડલમેં કર લે વાસા, વાં હે જોગી લહેરી,
સદ્ગુરુએ મુને સાન બતાઈ, જાપ અજંપા કેરી. — કોઈ જુવોને.

જી રે ગગનાં મંડળ ધૂન જાગી રે.
ગડગડ ગડગડ ગગનાં બાજે, બાજે અનહદ તૂરા,
લાગરિયા ઝણકાર ગગનમેં, વરસે નિરમળ નૂરા. — ગગના.
આ બધી ભાષા આનંદ-સમાધિની છે. આ ગગનમંડળ, ઝણકાર-ઝામરી, અનહદ તૂરના નાદ વગેરે પરિભાષા યોગની હોવાનું કહેવાય છે. આ માનવ-દેહમાં નાભિથી મસ્તક સુધી છ કમલ છે, અને ધ્વનિ કુલ દસ છે : ખંજરી, વાંસળી, મોરલી, ઝાલરી, ઢોલ, પાવા, મૃદંગ વગેરે. હવે, યોગી અમુક કમલ ઉપર શ્વાસ ચડાવે ત્યારે તે દસ માયલો અમુક ધ્વનિ સંભળાય છે. અર્થાત્ અમુક ભવિષ્ય ભાસે છે. કમલ ઉપર શ્વાસ ઠેરવવો એને ‘કમલ ભેદવું’ કહેવાય છે. એ બધી યોગની ક્રિયાઓ અને તેને લગતી પરિભાષા સમજીએ ત્યારે જ આવી વાણીનો સંકેત સ્પષ્ટ થાય છે. દાખલા તરીકે —
પાંચ તત્ત્વ કા દેવળ બનિયા, તામેં હે દસ દ્વારા,
નવ દરવાજે નોહબત બાજે, દસમે મો’લ દિદારા.
ઉસ દેવળ મેં દેવ બિરાજે, આરતી અખંડ ધારા,
ચંદ સૂરજ કી જ્યોત જલત હે, ઝિલમિલ નૂર અપારા.
મતવાલા જોગી સૂન પર બેઠા, ખેલ રમે ચોધારા,
ગગનમંડલ મેં રમતા દેખ્યા, ભીતર જોઉ ત્યાં બારા.

એવી ભજનવાણીનો શબ્દાર્થ લઈએ તો કશું સમજાતું નથી. પણ આ યોગમાર્ગના સંતોની એ યોગ વિશેની, દેહરચનાને લગતી સંકેતવાણી હોવાનું કહેવાય છે.
પરંતુ વધુ સુગમ્ય, અને તેથી કરીને વધુ પ્રચલિત, ખીમ-વાણી તો આ છે :

આ કાયામાં પરગટ ગંગા, શીદ ફરો પંથ પાળા,
એ રે ગંગામાં અખંડ નાઈ લ્યો, મત ન્હાવ નદિયું નાળાં,
— સંતો, ફેરો નામની માળા.
આ દિલ અંદર બુદ્ધિસમુંદરા ચલત નાવ ચોધારાં,
એ રે નાવમાં હીરા માણેક હે, ખોજે ખોજનહારા. — સંતો.

અથવા એ જ ભાવના :
તપ તીરથ ઓર દેવી દેવતા, વેદ કુરાન વિસ્તારા,
પીર પેગમ્બર સિદ્ધ ઓર સાધક, ઇ ઉરલા વહેવારા —
કોઈ સરજનહારા ન્યારા.

એવાં એવાં પદો, મૂર્તિપૂજા, તીર્થયાત્રા, બાહ્ય ક્રિયાઓ આદિની સામે બંડ પોકારે છે; અને ‘ગુરુગમ ખોજો રે ઘટ માંહી’ એ ધ્વનિ વારંવાર ઉલટાવી ઉલટાવીને પ્રજાને આંતરમુખ થવા પ્રેરે છે. ખીમની વાણીએ કબીરજીના ઉદાર તત્ત્વબોધને એ પ્રકારે ઠીક ઠીક જોર દીધું છે.
રવિ સાહેબ
શ્રી ક્ષિતિમોહન સેનના વ્યાખ્યાનમાં મીરાંબાઈના ગુરુનું નામ ‘રવિદાસ’ આપેલ છે. મને લાગે છે કે કદાચ અનુવાદની જ આ ભૂલ છે. મીરાંબાઈના ચમાર જાતિના ગુરુ ‘રઈદાસ’ નામે કાશી તરફ, અને આપણે ત્યાં ‘રોઈદાસ’ નામે સુપ્રસિદ્ધ છે. એ સૌરાષ્ટ્રમાં સારી પેઠે રહી ગયા મનાય છે. ગિરકાંઠાના અગતરાઈ નામે ગામમાં રોઈદાસ ચમારનો ચામડાં ધોવાનો ચમત્કારી કુંડ અત્યારે બતાવવામાં આવે છે, અને એના નામે ચડેલા અન્ય પરચાઓ ગામેગામ જાણીતા છે. મીરાં–રોઈદાસનો સંબંધ સૂચવતું એક સોરઠી ભજન પણ ગવાય છે :
એ જી તમે મારી સેવાના શાલીગરામ!
મીરાં, તમે ઘેર જાવને!
તમે રે રાજાની કુંવરી ને અમે છૈયેં જાતના ચમાર,
જાણશે તો મેવાડો કોપશે ને ચિત્રોડો ચોંપે દેશે ગાળ,
મીરાં, તમે ઘેર જાવને!

કાશી રે નગરના ચોકમાં રે ગુરુ મને મળ્યા રોઈદાસ,
મીરાં, તમે ઘેર જાવને!
આ રોઈદાસ ચમાર સંતથી રવિદાસ (કબીરપંથી રવિ સાહેબ) તદ્દન જુદા છે. પોતે જ પોતાના પદમાં ગાયું છે કે —

વારાહી શહેર લોહર વંસ,
પ્રગટે ભાણ ટાળણ ફંસ,
વાકા બાળક રવિદાસ,
અનભે કથ્યો દૃઢ વિશ્વાસ.

એ તણછા ગામના વ્યાજખાઉ, રક્તશોષક વણિકને ગુરુ ભાણના પ્રતાપે પોતાનાં પાપકર્મ પર ધિક્કાર ઊપજ્યો અને —

રવિદાસ રંગ લાગિયા, અખંડ જ્યોતિ અપાર


દિલ ખોજી દેશી મળ્યા, પ્રેમ ઉદાસી જન,
રવિરામ વિછડે નહીં, જ્યું જલ સેતી મીન.

એવો વૈરાગ્યનો પાકો રંગ લાગી ગયો. એને લાગેલી પ્રભુલગની જે અનેક ભજનોમાં ઉચ્ચારણ પામી છે, તે ભજનો આજ સુધી સમસ્ત ભજનસાહિત્યનાં શિરોમણિ મનાયાં છે. પ્રથમ તો પોતે પોતાનાં આતમદર્શનને સારુ વાણી શોધવામાં જ મૂંઝવણ અનુભવે છે :

કોઈ કેહંદા રે, કહત ન આવે મોઈ!
દેખે વાકું વાચા નહીં, વાચા દેખત નાંહિ;
ગૂંગેકી ગત ગૂંગા જાને, સમજ સમજ મુસકાઈ. — કોઈ.
સૂરેકી ગત સૂરા જાને, કાયરકું કલ નાંઈ;
કથણી બકણી કામ ન આવે, આપમેં આપ સમાઈ. — કોઈ.
મરજીવા સો મોતી લાવે, ઉપર રહે સો તારા;
ઘીકા સ્વાદ હીં જીભ્યા જાને, ક્યું કહે મીઠા ખારા. — કોઈ.
કહે રવિરામ ભાણ પ્રતાપે, ઈગમ અગમ અપારા;
લૂણકી પૂતળી ગિર ગઈ જળમાં, ક્યું કર નિકસે બારા. — કોઈ.

આ પદ રવિદાસનું લાક્ષણિક છે. ભીતરમાં અનુભવાતી આતમ લહેરને એ વાણીથી પર માને છે. ‘यतो वाचः निवर्तन्ते’ના સૂત્રને આ લોકસંત લોકવાણીમાં વ્યક્ત કરે છે : કોઈ કહો રે કહો, મને કહેતાં નથી આવડતું, દેખે છે તેને વાચા નથી, અને વાણીના બબડાટ કરનારને એ દર્શન નથી : મૂંગું માનવી પોતાના મનોનુભવને પોતે એકલું એકલું જ સમજીને મૂંઝવણ અનુભવે છે; શૂરવીર પોતાના શૌર્યના તનમનાટો એકલો પોતે જ સમજે છે; ભીરુને એ સુખાનુભવ ન હોય; જીભ બિચારી ઘીના સ્વાદની લજ્જત લઈ શકે છે પણ એ સ્વાદ કેવો છે તે કહી શકે શી રીતે? એ બધું તો નીમકની પૂતળી જેવું છે. એક વાર પાણીમાં ઓગળી ગયા પછી એ બહાર નીકળી શકતી નથી. બ્રહ્મજ્ઞાનને આત્માનું નિમજ્જન પણ એવા જ પ્રકારનું છે. સાચી આનંદ-સમાધિ તો એકલ અનુભવનો જ વિષય છે —

મેં માનુની રે મેં ભેદન પરિહાર!
મેં પનિહારી રામકી, છીલર જળે ન ન્હાઉં.
પડદા તોડ પિયાળે પહોંચું, નિરમલ જલ ભરી લાઉં. — મેં.

આમ સાચા પ્રભુરસનો શોધક (‘સીકર’) પોતાને ‘રામની પનિહારી’ કહી ઓળખાવે છે, અને છીછરાં નીરમાં નાહતાં છેક પાતાળના પડદા તોડીને નિર્મળ નીરની હેલ્ય ભરી લાવવાના કોડ દર્શાવે છે.
પોતાની આ મનોદશાને રવિદાસ વારંવાર —
રવિરામ ગેબી ગુલતાના, પતિવ્રતા પટરાની

મેં પતિવ્રતા નાર પિયાકી, બાહેર કબહુ ન જાઉં

રવિદાસ પતિવ્રતા પિયુકી, સ્નેહ સુતરિયે જોડ્યા.
એવી એવી પંક્તિઓમાં વ્યક્ત કરે છે. મીરાંબાઈના સખીભાવ કરતાંય વધુ સુગમ એવો પત્નીભાવ અથવા સુંદરીભાવ આ સંત કવિએ પોતાનાં અનેક પદોમાં આલેખ્યો છે. જેમ કે —
વાલપણાની વાતડી, કેવાય નહીં ક્યાંઈ રે,
ગંગાહંદી ગોઠડી, સમઝી રેવું મન માંઈ રે.
ચંદન મલ્યાગર રૂખડું, આપે રહ્યું છુપાઈ રે,
છત એની છાની નહીં રહે, સુગંધી શીતળાઈ રે. — વાલપણા.

ઓચિંતા પિયુને પકડિયા, રાખ્યા નેનુમેં છુપાઈ રે.
રવિદાસ હરિની સુંદરી, પિયુ મારો અળગો ન જાઈ રે. — વાલપણા.
રવિદાસની વિવિધતાભરી અને પ્રચુર વાણીમાં પણ ક્યાંયે કોઈ સાંપ્રદાયિક ઉચ્ચાર નથી. એને તો કેવળ નિરંજન નિરાકાર અને અનામી જ્યોતિનાં આંતરદર્શન થયાં છે, તેના ઉપર એ વારંવાર ભાર મૂક્યા કરે છે :
સંશય સરવે સમાઈ ગિયો, વિશ્વાસે વરોળું;
રવિરામ બ્રહ્મ અગાધમાં કરે ઝાકમઝોળું.
સતગરુ સાથે ગોઠડી, બીજાસેં નહીં બોલું.
એ રીતે રવિનાં તમામ પદો આંતરમુખ બનવાની જ હાકલ કરે છે.
બોલે છે માંઈ એકતારો એકતારો.
માંઈ હેરે હેરણહારો. — બોલે છે.

માઈ ભભકું દિયે તેને ભાળો. — બોલે છે.
તે સિવાય સીધો નીતિધર્મનો ઉપદેશ કરતાં પદો પણ એમનાં ઘણાં છે. પાખંડ ઉપર એમણે ખૂબ પ્રહારો કરેલ છે. ‘ચડી ખુમારી ન ઊતરે’. ‘આઈ પ્રેમ કેરી લહેર’ એવી ‘ખુમારી’ રવિને પ્રિય છે. એમનો બીજો પ્રિય શબ્દ છે ‘અનભે’. ‘અનભે’ એટલે નિર્ભયતા : ભયનો નાશ.
જ્ઞાનીપણાનો ગર્વ રવિદાસને કડવો ઝેર જેવો લાગે છે. નરભેરામ નામના એક મહાજ્ઞાની પુરુષની ખ્યાતિ એને કાને આવેલી. મેળાપ કરવા બહુ મન હતું. ઘણી ઘણી વાર નિમંત્રણ મોકલેલ, પણ જ્ઞાનગર્વી નરભેરામને આ ભજનો ગાનાર સાધુડા પ્રતિ તિરસ્કાર હતો. ગિરનારના મેળામાં રવિ સાહેબ પોતે એને મળવા આવ્યા, પણ મેળાપ ન થઈ શક્યો. પછી રવિ સાહેબ ખાસ મળવા સારુ નરભેરામના વતન કચ્છ-અંજારમાં ગયા, અને જ્ઞાનપિપાસા છિપવવા વિનંતી કરી. ગુમાની નરભેરામે પાણીનો ભર્યો લોટો બતાવીને મૂંગી સમશ્યા કરી કે ‘હું આ ભરપૂર લોટા જેવો જ્ઞાનપૂર્ણ છું’. આના પ્રત્યુત્તરમાં રવિ સાહેબે હસીને સાકરના થોડા ગાંગડા લઈ લોટામાં નાખ્યા. સાકર ઓગળી ગઈ એટલે રવિએ કહ્યું, ‘ગુરુ નરભેરામ, હવે ચાખી જુઓ. આ છલોછલ લોટામાં કશું સમાઈ શક્યું છે કે નહીં?’
પ્રસંગનો ધ્વનિ એ હતો કે પરિપૂર્ણ જ્ઞાન પણ અધૂરું ને લૂખું છે. એમાં પણ પ્રભુરસને સમાઈ જવાનો અવકાશ છે. નરભેરામ જ્ઞાની પોતાના ઘવાયેલા અભિમાન સાથે ત્યાંથી ચુપચાપ ચાલ્યા ગયા. રવિ સાહેબનું મેળાપ વિશેનું માર્મિક પદ આ રહ્યું :
નિજ જ્ઞાની નરભેરામ, તમને રવિ કરે પ્રણામ,
તમારી વાણીમાં બહુ વા’લ, એવી શુદ્ધ ચાલજો ચાલ. — નિજ.
મળ્યા હતા ગિરનારને મેળે, બેઠાં રતિ ન ફાવ્યું,
વરતિ ઠરી નહીં વણ નેઠે, ચરચાનું સુખ ના’વ્યું. — નિજ.
ઉતાવળા અંજારે આવ્યા, મન મળવાને તરસ્યું,
જાણ્યું, હેતે હરિજન સાથે, મનની વાતું કરશું. — નિજ.
વેદ સંતમુખ એમ કહે છે, શ્રીમુખ બોલ્યા સાવું,
સતિ સનેહી કાને સાંભળી તુરત ત્યાં કે જાવું — નિજ.
આ કળજુગનું કારણ એવું માને માન બૂડ્યાં,
આવરણમાં અંજાઈ ગિયા, અનુભવ ન ફળે ઊંડા. — નિજ.
પ્રેમ શુદ્ધ પરગટિયો જેને, હિરદા ચક્ષુ ખુલી
ગોપી ગોકુલની સબ સખિયું, દેહી દશા ગઈ ભૂલી. — નિજ.

વગેરે પંક્તિઓ જ્ઞાનથી ચડિયાતે દરજ્જે શુદ્ધ પ્રેમને તેમજ હૃદય-ચક્ષુને મૂકે છે.
પરંતુ રવિ સાહેબને પોતાને પણ હજુ બાહ્ય જગતનો થોડો મોહ રહી ગયો હતો. એ મોહાવરણ ભેદ્યું લીંબડીના સંત કવિ મીઠા ઢાઢીએ. ઢાઢી એ ઘણી ઊતરતી પંક્તિની મુસલમાન કોમ છે. એ લોકો રાજરજવાડાંની બિરદાવળ ગાવાનો ધંધો કરે છે. પરંતુ મીઠાએ તો —

કાંધ રવાજ કરી
ગઢપત કોઈ ગાયો નહીં,
ઢાઢી! ધ્યાન ધરી
મોહન લડાવ્યો તેં મીઠિયા!

અર્થાત્, ખભે રવાજ નામનું વાદ્ય લઈને કોઈ ગઢપતિ (રાજદરબાર)ની ખુશામતો ન ગાઈ પણ મોહનને — પ્રભુને — ભજનો ગાઈને લાડ લડાવ્યા. એવા એ પ્રભુભક્ત મીઠા કવિએ રવિ સાહેબનાં પદોનો ઉત્કૃષ્ટ પ્રેમરસ ચાખ્યો હતો. પોતાને રવિનાં દર્શનની ઘણી પ્યાસ હતી. એવે એક દિવસ એણે સાંભળ્યું કે રવિ સાહેબ તો એનાં ત્રણસો સાધુડાંની મંડળી લઈને વૃંદાવન રાસલીલા જોવા જાય છે! મીઠાને અતિ અચંબા સાથે આઘાત લાગ્યો. રવિ સરીખાનેય શું હજુ વૃંદાવન સુધી રાસલીલા જોવા જવાનું બાકી રહ્યું છે? લીંબડીને પાદર ઊતરેલા રવિની સમીપે જઈને એણે ભજન ઉપાડ્યું કે હે રવિ! સાચી કૃષ્ણબંસી તો ભીતરમાં, અંતરના વૃંદાવનમાં વાગી રહી છે :
બંસરી વાગી રહી બનમાં
સુરતા લાગી રહી સૂનમાં.
ત્રણ ભુવન રણુંકાર અધર ધુન વચન સુણાયો,
સોહં વચનકી માંય બ્રહ્માએ વેદ બનાવ્યો,
ઇ વેદમાં ભેદ છે, સમજે તે નર સંત,
ઓર સકલ પરપંચ હે, તમે મત ભૂલો ગુણવંત.
— બંસરી વાગી રહી બનમાં.
સુણ બંસીકો નાદ વિવેકકો વધે વધારો,
ટળશે દેહ અભિમાન, અંતરનો મટે અંધારો.
હુવા અંજવાળા ગેબકા વણ ચંદે વણ સૂર,
રોમે રોમે રંગ લાગી ગિયો, નખશિખ પ્રગટ્યાં નૂર. — બંસરી.
થિયો આનંદનો ઓઘ, પ્રેમની લાગી તાળી,
કર્યાં સંતનાં કામ, બડે બડે કુંજ વિહારી.
આ બંસીકી બીચમેં મોહ્યા સકલ સંસાર,
બ્રહ્મા વિષ્ણુ મહેશ મોહિયા, કહેતાં નાવે પાર. — બંસરી.
મેં નિજ નામી નામ, નામ પર સુરતાધારી,
ઉલટ અજંપા માંય, ખુલ ગઈ બ્રહ્મકી બારી.
અણી અગરની ઉપરે નર પોઢ્યા નિરધાર,
જળહળ તીયાં જ્યોતું જલે, ઝીણો હુવો ઝણકાર. — બંસરી.
એ બંસી શ્રીકૃષ્ણકી, ફેર રચાયો શે’ર,
મીઠો ભગત કે’ મોજ કરી લ્યો, નહીં પ્રીત નહીં લેર. — બંસરી.
આ પદ સાંભળ્યા પછી રવિસાહેબ વૃંદાવન જતા અટકીને પાછા વળ્યા હતા એમ કહેવાય છે.
મોરાર સાહેબ
રવિનાં પદોનો ઊંડો પ્રભાવ એ છેક મારવાડની મરુભોમમાં જઈ પહોંચ્યો. મરુભોમના થરાદ નામે રજવાડાના યુવાન રાજકર્તા માનસિંહજીએ રવિદાસના ભક્તિરસે સિંચાઈ જઈને લગ્નજીવનમાં પડવા ના કહી. વિધવા માતાને એણે સમજ પાડી કે ભીતરમાં પોતે રવિની હાકલ સાંભળી છે. વૈરાગ્ય લઈને ચાલી નીકળવાના પોતાના ઊંડા મનોરથ એણે માતા કને આ રીતે ગાયા :

મૈયા મારો મનવો હુવો રે વિરાગી,
મારી લે’ તો ભજનમાં લાગી રે,
મૈયા, મારો મનવો હુવો રે વેરાગી.
સંસાર વેવાર મને સરવે વિસરિયો,
બેઠો સંસારિયો ત્યાગી રે — મૈયા.
કામ ને કાજ મુને કડવાં લાગે,
મારા મનડાની મમતા લાગી રે — મૈયા.
મંત્ર સજીવન શ્રવણે સાંભળિયો,
માંહીં મોરલી મધુરી ધૂન વાગી રે — મૈયા.
રાજ મોરારને રવિ ગુરુ મળિયા,
ભગતી ચરણની માગી રે — મૈયા.

કહેવાય છે કે વૈરાગ્યમાં ગળી પડેલ એ રાજપુત્રને માતા પોતે જ રવિદાસ પાસે તેડી ગયાં અને જામનગર શહેરમાં રવિની પાસે ભેખ અપાવ્યો. ભેખધારી માનસિંહજીનું નામ તે દિવસથી મોરાર સાહેબ પડ્યું, અને ગુરુઆજ્ઞાથી એણે જામખંભાળિયા નામના ગામમાં જગ્યા બાંધી. મોરાર સાહેબના પદોમાં નવીનતા નથી, પૂર્વપુરુષોને પગલે જ એની વાણી વિશેષ કારુણ્યવાળી બનીને વહે છે. એમણે પણ જીવતાં જ મૃત્યુસમાધિ લીધી હતી. સંવત 1905માં [સન 1849માં] એ સમાયા હોવાનું કહેવાય છે. ભાણથી માંડીને મોરાર સુધીની ત્રણ પેઢીમાં આ કબીરપંથીઓએ નીચા ગણાતા વર્ગોમાંથી માત્ર બે જ સંતો નીપજાવ્યાનું જણાય છે : એક હતા ખીમ સાહેબના શિષ્ય ત્રિકમ, અને બીજા મોરારના ચેલા હોથી ત્રિકમ ‘ઢેઢગરૂડા’ની અસ્પૃશ્ય કોમમાંથી આવ્યા, ને હોથી મુસલમાન હતા. સંત હોથી નેકનામ ગામના સંધી મુસલમાન સિકંદરના એ પુત્ર થાય. મોરારની ભજનમંડળીમાં એની ઊઠબેઠ વધતી ગઈ, તેમ તેમ એના પિતાને અત્યંત આઘાત થતો ચાલ્યો કે, જુવાન દીકરો તરવાર બંદૂક બાંધવાને બદલે તંબૂરા વગાડવામાં લપસી પડ્યો. બાપે બેટાને નમાલો–નમાલો કહી નિત્ય મેણાં દેવા માંડ્યાં, પણ હોથીને રામતાળી લાગી ગઈ હતી. એણે હિંદુ–મુસલમાન ધર્મોના ભેદ ટાળ્યા હતા. પછી એક વાર મોરારનું ભજનમંડળ ઢેઢવાડે બેઠક કરવા ગયું. સિકંદરે હોથીને અંત્યજોના વાસમાં જતો રોકવા બહુ કહ્યું, છતાં હોથી ગયો, ને મોડી રાતે મંડળ વિખરાયું ત્યારે રસ્તે ચાલ્યા જતા લોકોને મોંએથી સિકંદરે ઘરમાં બેઠાં બેઠાં તારીફ સાંભળી કે ‘વાહ, હોથીનું ગળું ક્યાંય થાવું છે! શા દિલભેદક ભજનો ગાયાં હોથીએ!’ કહેવાય છે કે પિતાને આ પ્રશંસાનો એટલો મર્મઘાત થયો કે એણે અફીણ ઘોળ્યું, અને પુત્રને કહ્યું, ‘કાં તો તું પી ને કાં તો હું પીઉં; કેમકે આવું બદનામ જીવતર સંધીની કોમમાં હવે નથી સહેવાતું’. ‘તમે શીદ પીવો, મારે જ પીવું જોવે,’ એમ કહીને હોથી વિષપાન કરી ગયો, અને ઓરડો બંધ કરી કામળો ઠાંસી સૂઈ ગયો. પણ પરચામાં શ્રદ્ધા ધરાવનારી જનતા કહે છે કે રાતે પણ ઢેઢવાડાની ભજન-મેદની ચાલુ હતી ત્યારે શ્રોતાઓ હોથીની ભજન ગાવાની હલક વખાણતા વખાણતા નીકળ્યા, અને પિતાએ તપાસ કરતાં હોથીની હાજરી ઓરડામાં સૂતેલ દેહે, અને ઢેઢવાડે કીર્તન ગાતો જાગ્રત હાલતમાં, એમ બન્ને સ્થળે દીઠી. પિતા પગમાં પડી ગયો. એ તો ગમે તે હો, તોપણ સંત હોથી જીવ્યા અને ‘દાસ હોથી’ના નામચરણથી અંકિત અનેક ભજનો રચી ગયા. પોતાના સતગુરુ પ્રત્યેની અહેસાનમંદીનાં પદોમાં એમનું અંતર આર્દ્ર બની વહ્યું છે :

ઘણા દિવસ મન મસ્તાનું ફરતું રે
ઘર નવ જોયું જાગી રે,
પુરુષ મળ્યા મને અખર અજીતા
સુરતા સુનમાં લાગી રે,
તેણે મારી ભે ભાગી રે ભે ભાગી.

સતગુરુ મુજ પર કરુણા કીધી રે
અંતર પ્રેમ પ્રકાશી રે,
દાસ હોથીને ગુરુ મોરાર મળિયા રે
કાટી જનમ કેરી ફાંસી રે,
તેણે મારી ભે ભાગી રે ભે ભાગી.

ભય ભાંગી ગયો યમદૂતનો, અને પુનર્જન્મનો ફાસલો ટળી ગયો, એ એનું તત્ત્વજ્ઞાન છે; અને ભાવભીની ભક્તિ વગરની લૂખી જ્ઞાનબુદ્ધિને, ભક્ત હોથી ‘દુબધ્યા’ (દુર્બુદ્ધિ) કહી ઓળખાવે છે, નરી બાહ્ય ધર્મક્રિયાને ધિક્કાર આપે છે :

દિલડામાં દુબધ્યા, ભીતર ન ભીંજ્યા રે
પીર થઈને પુંજાવે રે,
ગુરુગમ ક્યું પાવે, ક્યું પાવે.
ભક્તિ તો ભાવ વિના નવ આવે રે —
ગુરુગમ ક્યું પાવે, ક્યું પાવે.

ઉપલા ભજનમાંનો ‘દુબધ્યા’ શબ્દ સોરઠી ભજનોમાં લૌકિક ફિલસૂફીનો પારિભાષિક શબ્દ બની ગયો છે. શાસ્ત્રોના વાદવિવાદ અને શાબ્દિક બ્રહ્મજ્ઞાનની ઠેકડી કરતો દાસ હોથી ભાખે છે કે — આતમ ચીન્યા વિના કથણી કથે રે, કુડાં બ્રહ્મ ગન્યાન, ભક્તિ તણો જેને ભેદ ન લાધ્યો રે, મેળે ઢુંસાની પરાણ,

વાદ તો વદીને રે, કાઢે હડિયા હડી,
આ રંગ શેનો રે, બીબે બીજી ભાત પડી.

આ પદમાં ‘મેળે ઢુંસાની પરાણ’ એ લોકભાષાનો લાક્ષણિક અને ચોટદાર પ્રયોગ છે. ‘પરાણ મેળવી’ એટલે દોરડું વણવું. દાણા ઉપરનાં ઢુંસાં (ફોતરાં)માંથી નહીં પણ રેસામાંથી જ વળ ચઢાવીને રસી વણાય છે, તે રીતે વાદવિવાદમાંથી બ્રહ્મજ્ઞાન નથી મળતું, અંતઃકરણની ભક્તિ વડે લાધે છે. આમ ‘દાસ હોથી’ની કાવ્યવાણી આગળના સંતોની રચના કરતાં વધુ સીધી, નિરાડમ્બરી ને પરિણામે વેધક છે; ને જોઈ શકાશે કે બીજા પદોની માફક આ મુસ્લિમ સંતના ઉદ્ગારોની પણ વિશિષ્ટતા એ છે કે એમાં અનામી એકોપાસનાનો જ બોધ છે. ઈશ્વરનાં કશાં નામવિશેષ આવતાં નથી. પંથસંપ્રદાયનો ઇશારો પણ નથી, તેમ જ હિન્દુ પૌરાણિક કથાઓની કોઈ ઘટનાનો, દેવદેવીનો કે વ્યક્તિનો પણ ઉલ્લેખ નથી. ત્રિકમ સાહેબ ‘વાડીના સાધુ’ તરીકે ઓળખાતા જે અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા સંતોનો સમુદાય, તેનો આરંભ આ ત્રિકમ સાહેબથી થાય છે. આદ્યપુરુષને હમેશાં સહેવી પડતી સતામણીના ભોગ આ ત્રિકમ સાહેબ પણ થઈ પડ્યા હતા. રામવાવ નામે ગામના ઢેઢગરૂડા (ઢેડ લોકોના ગોર) જાતિમાં જન્મીને એણે રવિ સાહેબનો ગુરુમંત્ર લીધો હતો. રવિએ પોતે એના પ્રતિ કેવું વર્તન રાખેલું તેનો તો કોઈ કિસ્સો જડતો નથી, પરંતુ રવિ જ્યારે શિષ્યમંડળને લઈ સોરઠમાંથી કચ્છ જતા હતા, વચ્ચે દરિયો પાર કરવાનો હતો, ત્યારે ત્રિકમની આભડછેટ બેસે તે કારણે એ બિચારાને સાધુઓએ પોતાના મછવામાં બેસવા દીધો નહોતો. બીજો મછવો પણ એ અસ્પૃશ્યને બેસારે તેમ નહોતું. એને કહેવામાં આવ્યું કે ‘ત્રિકમ, તું પગરસ્તે રણમાં થઈને પાછળ આવી પહોંચજે.’ પછી તો એમ બોલાય છે કે ટૂંકે જળમાર્ગે થઈને મછવો જ્યારે રાત્રિએ કચ્છને કિનારે પહોંચે છે, ત્યારે ત્રિકમના ભજન-સૂર ત્યાં સંભળાય છે ને તપાસતાં એ ત્યાં પહોંચીને બેઠા જણાય છે; પછી એણે બળતા હુતાશનમાં બેસીને પોતાનો દેહ ચીરી બ્રાહ્મણોને જનોઈ બતાવી હતી. આવી પરચાકથાઓમાં શો ગૂઢાર્થ પડ્યો હશે તેની આપણને ગમ નથી પડતી, પરંતુ એક વાત તો ચોક્કસ ઠરે છે કે ત્રિકમ જેવા અંત્યજની દીક્ષા સામે બ્રાહ્મણોનો વિરોધ અતિ ઉગ્ર હતો. કેમ કે ત્રિકમ જ્યારે આખરે કચ્છના સાપર ગામને પાદર ગુરુ ભાણની જગ્યામાં જીવતી સમાધિ લેવા ગયા ત્યારે લોકોએ એના ઉપર પથ્થરો ફેંક્યા હતા, જગ્યા નહોતી આપી. પરચાના શ્રદ્ધાળુઓ કહે છે કે પછી ત્રિકમે ત્યાં ઊભેલી આંબલીને કહ્યું કે ‘બાઈ, તું ખસીને મને જગ્યા દે!’ ને એ મુજબ એ ખસેલી આંબલીને સ્થાને એણે સમાત્ લીધેલી. એનું લોકપ્રિય પદ આ છે :

તરવેણીના તીર જ ઉપર
છે રે મોતીડાંની હાર રે.
હંસ રે હરિજન સાધુજનને
એ રે મોતીડાંનો આહાર રે — તરવેણીના.
સુરતા સિંહાસન પ્રેમનાં પાથરણાં ને
અવલ ઓસીકડાં ઓછાડ રે,
તા પર મારો સતગુરુ બેઠા, એને
નીરખીને થઈ છું નિયાલ રે — તરવેણીના.
અખેમંડલમાં રાસ રચ્યો હે
થઈ રિયો થેઈ થેઈકાર રે,
રોમે રોમે રામ રમતો રે દેખ્યો એ તો
અધ્ધર ખેલે નિરાધાર રે — તરવેણીના.
જમનાજીને કાંઠડલે કાંઈ
કિસન ભયા કિરતાર રે,
મોહનજીએ મોરલી વગાડી એ તો
મધુરી કરે છે મલાર રે — તરવેણીના.
ભવસાગરમાં બૂડતાં રે મારો
સતગુરુ તારણહાર રે,
ત્રિકમ સાહેબ ગેબી ગાવે
ખીમ ખલક કિરતાર રે — તરવેણીના.

આ બધી પરિભાષામાંથી મુખ્ય ધ્વનિ તો એક જ ઊઠતો ભાસે છે, કે માનવદેહની અંદર જ બધું બ્રહ્મ સમાયું છે; નિરંજન નિરાકાર આત્મા એ જ સાચો કૃષ્ણ છે; ભીતરમાં જ એનાં રાસ નૃત્ય ખેલાઈ રહેલ છે; ને સાચું અનાહત સંગીત અંદરથી જ બજી રહ્યું છે. આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યક્ત કરનારી આ બધી શબ્દરચના છે. બાકી સરળ પદરચના તો ત્રિકમની એ છે, ને એ વાણી પૈકી ખરેખરી લોકભોગ્ય પણ એ જ છે કે જે ત્યાગવૈરાગ્યનું સાચું હોવું જોઈએ તેવું સ્વરૂપ આલેખે છે :

વસતી મેં રેનાં અબધૂત માગીને ખાનાં… એ જી
ઘરોઘર અલખ જગાના મેરે લાલ!
લાલ! મારા દિલમાં સંતો લાગી વૈરાગી. — માન.
માન સરોવર હંસા ઝીલન આયો જી!
ઇંદરીકા બાંધ્યા અબધૂત! જોગી ન કે’નાં એ જી!
જબ લગ મનવો ન બાંધ્યો મેરે લાલ!
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. — માન.
કપડા બી ધોયા અબધૂત! અંચલા બી ધોયા એ જી
જબ લગ મનવો ન ધોયો મેરે લાલ!
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. — માન.
ખીમ કેરા ચેલા અબધૂત! ત્રિકમદાસ બોલિયા જી
સાધુડાને જુગતિમાં રેનાં મેરે લાલ!
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. — માન.
લાગી વૈરાગી સંતો, જોયું મેં તો જાગી રે,
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. — માન.

દાસી જીવણ સંખ્યાને હિસાબે, વ્યાપકતાને હિસાબે અને લોકપ્રિયતાને હિસાબે સહુથી પ્રથમનું સ્થાન ‘દાસી જીવણ’નાં પદો ભોગવે છે. એની વાણીથી મુક્ત એક નાનું નેસડું પણ નહીં હોય. ગિર, બરડા કે ઠાંગા ડુંગરના માલધારીઓના માઝમ રાત્રિઓના એકતારાને તારે તારે ‘દાસી જીવણ’નાં ડોલાવણ ભજનો વધુમાં વધુ મીઠાશથી ગવાતાં હોય છે. સોરઠનાં ભજનપ્રેમીઓ ‘દાસી જીવણ’ની વાણીને ‘બાઈ મીરાં’ની કવિતાના જેટલી જ પ્રસન્નતાથી સેવે છે, અને ‘દાસી જીવણ’ વિશેની ભ્રાંતિ ચાલુ જ છે. ઘણાખરા ભજનપ્રેમીઓ એમ જ સમજે છે કે એ પણ કોઈ સ્ત્રીભક્ત થઈ ગયાં છે. અથવા ‘દાસી જીવણ’ પુરુષ હોવાનું જાણનારા પૈકી ઘણા જ અલ્પને ખબર હશે કે એ પુરુષનું નામઠામ શું છે. સંત જીવણદાસજી ગોંડળથી ત્રણ ગાઉ પર આવેલ ઘોઘાવદર નામે ગામના ચમાર હતા. એમના પિતાનું નામ જગાભાઈ, ને એમનાં માતાનું નામ સામબાઈ. સાખે દાફડા. એમના વિશેની પ્રચલિત સાખીઓમાં ગવાય છે કે —

જીવણ જ્યોતું જાગિયું, ભીમ પ્રગટિયા ભાણ;
દાફડા ઘેર દીવો હુવો, જીવણ પંડે જાણ.

‘ભીમ’ નામે એમના ગુરુ હતા. ચારણ જાતિમાંથી વટલીને અંત્યજ બન્યા હોવાની કથા આ આમરણ ગામના સંત ભીમને વિશેની જ લાગે છે. ભીમ હતા ત્રિકમના શિષ્ય. જીવણદાસજીએ એક પછી એક સત્તર ગુરુઓ બદલ્યા કહેવાય છે. સત્તરમાં એકેયની ઉપર એનું અંતર ન વિરમ્યું. પ્રત્યેકને જુઠ્ઠો સિક્કો દેખી આખરે સંત ભીમની ભેટ થતાં એનાં જ્ઞાનચક્ષુ ઊઘડી ગયાં, અને એમણે એ પ્રાપ્તિના ગુલતાનમાં ગાયું કે —

અજવાળું હવે અજવાળું,
ગુરુ, આજ તમ આવ્યે રે મારે અજવાળું

દાસી જીવણ સંત ભીમ કેરાં ચરણાં
અવર દુજો હું ધણી નહીં ધારું. — ગુરુ.

એક સૈકા જેટલો સમય એમને થયે વીત્યો હશે. ઘોઘાવદર ગામના ચમારવાડામાં જ્યાં એમનું ઘર છે, ત્યાં આંબલીઓની ઘોરગંભીર ઘટા છે. એમના વિશેની સાખીમાં ગવાય છે કે —

દિન આંબલીએ દાયરા, કાસીરા ઠણકા થાય,
તણ પાદશાહી જગા તણા, જીવણ મોહોલ જમાય.

મતલબ કે એ આંબલીઓની ઘટામાં સંત જીવણનાં ભજનોની ઝૂક બોલતી. પોતે ચમારનો જ ધંધો કરતા. ઘરબારી હતા. બે પત્નીઓ હતી, પોતાની મુખમુદ્રા અતિ નમણી હતી. એ મૂછોના મોટા કાતરા રાખતા. માથા પર રૂમાલ બાંધતા. મસ્તાન હતા. કાવ્યરચનાની લહેર એમને ક્યાંક અંતરિયાળ વનની અંદર ચડી આવતી તો ખાખરાનાં પાન તોડી, તેના ઉપર કાંટાની શૂળ વડે શબ્દો ટપકાવી લઈ ઘેર આણતા. મુવેલાં ઢોરને ચીરી, ચામડા ઉતારીને ધોવા-રંગવાનો ધંધો કરનાર આ પુરુષે કવિતાની સાથે હૃદયવીણાના તારનો જે સંવાદો સાધ્યો તે આપણો સહુનો પૂજાર્હ બને છે — વધુ વંદનીય એટલા માટે બને છે, કે એક અસ્પૃશ્ય તરીકે એમને આ ભક્તિજીવનમાં અનેક સતામણીઓના ભોગ બનવું પડ્યું હતું. રવિ સાહેબે ‘રવિદાસ હરિની સુંદરી’ એ ભાવ પોતાનાં કેટલાંક પદોમાં મૂક્યો. જીવણદાસજીનાં તો કુલ ભજનોમાંથી પોણા ભાગનાં પદો ‘દાસી જીવણ’ને ભાવે ઈશ્વરને સંબોધાયાં છે. આ સખીભાવ અથવા દાસીભાવ શું વૈષ્ણવ સંપ્રદાયના જ પ્રભાવનું પરિણામ હશે? આ કબીરપંથી સંતોએ ક્યાંથી વૈષ્ણવભક્તિનો રંગ પકડ્યો? તપાસ કરતાં માલૂમ પડે છે કે કબીર સાહેબે પોતે જ વિરહ-વાણી ગાયેલી છે. ‘વિરહ નિવેદન’ નામના એમના ભજન વિભાગમાં —

બાલમ આઓ હમારે ગેહ રે, તુમ બિન દુઃખિયા દેહ રે સબ કોઈ કહૈં તમારી નારી, મોકો યહ સંદેહ રે એકમેક હ્યે સેજ ન સૌવે, તબલક કૈસે નેહ રે. અન્ન ન ભાવૈ નીંદ ન આવૈ, ગૃહ વન ધરે ન ધીર રે, જ્યોં કામી કો કામિની પ્યારી, જ્યોં પ્યાસે કો નીર રે. હૈ કોઈ ઐસા પર ઉપકારી, પિયસે કહૈ સુનાય રે, અબ તો બેહાલ કબીર ભયે હૈ, બિન દેખે જિઉ જાય રે.

— આવી વિરહગાથાઓ આવે છે. કબીર-વાણીમાં એ પિયુ–પ્રિયાનો ભાવ સારી પેઠે જલદ અને જોશીલો બની વહે છે : મારા દિન કેવી રીતથી વિતાવવા, એની જુક્તિ તમે બતાવીને જજો! આ પાર ગંગા ને સામે પાર યમુના છે, વચ્ચે મને એક મઢી છજાવી દઈને પછી જજો! અંચળો ફાડીને મેં કાગળ બનાવ્યો છે, તે ઉપર તમારી સૂરત આલેખાવીને જજો! કબીર કહે છે કે મારી બાહ્ય પકડીને રસ્તો બતાવી જજો!

નૈન થકિત ભયે પથ ન સૂઝે, સાઁઈ બેદરદી સુધ ન લિયા, કહત કબીર સુનો ભાઈ સાધો, હરો પીર દુઃખ જોર કિયા.

આ બધાં કબીર-પદોમાં વિરહભાવની પ્રેરણા મૂકનાર વૈષ્ણવી ભક્તિ હો વા ન હો, પણ એક વાત દેખાઈ આવે છે કે કબીરના વિરહ-નિવેદનમાં ક્યાંય રાધા-કૃષ્ણના નામનું સંબોધન નથી આવતું. ભક્તાત્મારૂપી ચિરવિરહિણી કેવળ કો અનામી પરમાત્મ-પિયુને સારુ પુકારી રહે છે કે —

</poem>

તલફે બિન આલમ મોર જિયા
દિન નહિ ચૈન રાત નહિ નિંદિયા
તલફ તલફ કે મોર કિયા.

અથવા તો —

પિયા મિલન કી આસ રહૌં કબલૌં ખરી.
ઊંચે નહિ ચઢિ જાય મને લજ્જા ભરી.
પાઁચ નહી ઠહરાય ચઢૂં ગિર ગિર પરું
ફિર ફિર ચડહૂં સમ્હારિ ચરન આગે ધરું.


અંતરપટ દે ખોલ શબ્દ ઉર ભાવરી.
દિલ બિચ દાસ કબીર મિલૈ તોહિ બાવરી.

પરંતુ અહીં ‘દાસી જીવણ’ની આરજૂઓ તો સ્પષ્ટ રાધાની કૃષ્ણ પ્રતિની વિરહગાથાઓ જ છે. જીવણને વિશે લોકમાન્યતા પણ એ જ છે કે —
જીવણ જગમાં જાગિયા, નરમાંથી થિયા નાર,
દાસી નામ દરસાવિયું, એ રાધા અવતાર.
અર્થાત્ જીવણદાસજી રાધાનો અવતાર હતા. એ ભાવ એમનામાં નૈસર્ગિક બનીને નીતરી રહેલ છે. કોઈક જાણે કેફમાં ચકચૂર બની ગાય છે કે —
કોક તો વિલ્યાતીડે મુજને કેફ કરાયો રે
ફરું છું હું તો ઘેલીતૂર —
બાઈયું મુને સામળીએ કરી છે ચકચૂર.
મંત્ર તો પઢીને કોઈકે અમ પર મેલ્યો રે
ઘડી યે રેવાતું નથી દૂર. — બાઈયું.
સામું જોતાં મારી શુધબુધ ભૂલી રે
રાખી છે મુને ઉરાઉર. — બાઈયું.
દાસી જીવણ સંત ભીમ કેરાં શરણાં રે
ધણી આગળ ખડી છું હજૂર. — માડી.
પણ એ વિરહ-પદમાં ય વહે છે તો એકોપાસના :

એ રે કામણિયાં મારે પિયુજીએ કીધાં રે
દૂજાં કામણ મારી નજરુંમાં ના’વે.
ચૌદ વિદ્યાયું મારો સતગુરુ જાણે રે
કુડિયું વિદ્યાયું કેનીં કામ ન આવે. — એ રે.
લખી દિયો રે મુંને કટકો કાગળિયો રે
મોહન વર મારે મોલે આવે. — એ રે.
દાસી જીવણ કે’ સંત ભીમ કેરાં શરણાં રે
ગરીબ થઈને ગુણ તોરા ગાવે. — એ રે.

અથવા તો —

મીઠાજી, મેં જાણ્યો ઈ તારો મરમ
બીજાની બોલાવી બોલું નહીં
મારા નાથજી આગળ રુઈયું નરમ —
બકીને બોલું તો જગ બધું જાણે
ભર્યો રાખું છું તારો ભરમ,
પરઘર પાણીડાં નહીં ભરે રે
પાદશાહ કેરી હુરમ રે —
મારે મોલે માવા પધારો.

એ જ પિયુ-પ્રિયાનું રૂપક વાપરીને જીવણદાસજી જડ-બાહ્ય ક્રિયા–વિધિઓને અવગણે છે —

મારા નાથજીનાં નૈણાં ઉપરેં હું તો ઘડીયે ઘોળી જાઉં.
શીદ કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં,
નાથજીનાં નૈણાં નીરખી, ભાવનાં ભોજન પાઉં. — મારા.
આંગણે ગંગા ગોમતી, હું શીદ રેવાજી જાઉં,
અડસઠ તીરથ આંગણે, હું તો નિત્ય ત્રિવેણી નાઉં. — મારા.
બાકી તો સાદાં વિરહનાં પદો, જેવાં કે —

મનાવીને મોલે લાવ રે
મેરમને કોઈ તો મનાવો!
લલચાવીને મોલે લાવ રે
મેરમને કોઈ તો મનાવો!


મારો જગનો જીવણ, એ હાલ્યો જાય રે
કામણિયા કોઈ તો કરી


નાથજી નિવેડો રે,
ઓધાજી ઉકેલો રે. — કરસન કાજ સુધારો.
ભીડ્યું પડ્યે આવવું જોશે,
ધોરી વિણ ધર કોણ લેશે
ઓર્યા ને ઉગાળો રે. — કરસન કાજ સુધારો.


આવો વાલા! કરીએં વાતું,
તમ વિણ નથી રે’વાતું
આવી છે એકાંતું રે — કે’જે તારા કાનુડાને!
માતાજી મોહનને રે — કે’જે તારા કાનુડાને!
જોઈ જોઈ વોરીયે જીત્યું
બીબાં વિણ ન પડે ભાત્યું
ઝાલે ભાર ભીત્યું રે — કે’જે તારા કાનુડાને!
ભીમ સત્ગુરુએ દીધી દાત્યું
વરસી છે ઈ સ્વાંત્યું રે — કે’જે તારા કાનુડાને!


દાસી જીવણ ભીમને ભાળી
વારણાં લઉં વાળી વાળી
દાસીને દીવાળી રે — કે’જે તારા કાનુડાને!

— એવાં અનેક વિરહપદો જ્યારે અસલ પરજના ઢાળમાં ગવાય છે ત્યારે એની ખરી ગ્રામ્ય દર્દેદિલી નિષ્પન્ન થાય છે. એમનું દાસીભાવનું એક પદ એમના સાંપ્રદાયિક ઔદાર્યની સાક્ષી પૂરે છે : સકલ પંથોની ભાવનામાં રમણ કરતા ભેદમુક્ત આત્માની એ પરમાત્મા-પિયુ પ્રત્યે આજીજી છે કે —

દાસીને તેડી રે જાજો તમારા દેશમાં!
ધોળુડાં વસ્તર મારે અંગડે વિરાજે
મારે ફરવું કાપડીઓના વેશમાં —
વેશમાં રે વેશમાં. — દાસીને.

ખલકો ને ટોપી માને અંગડે વિરાજે
મારે ફરવું અતીતોના વેશમાં. — દાસીને.

લીલુડાં વસ્તર મારે અંગડે વિરાજે
મારે ફરવું ફકીરોના વેશમાં — દાસીને.

અપરાધી જીવડો તારે આશરે આવ્યો છે
લાખો ગુના સામું જોશ મા. — દાસીને.

દાસી જીવણ કે’ સંત ભીમ કેરાં શરણાં
મારે રે’વું સદા બાળાવેશમાં. — દાસીને.

એ ઉપરાંત એમનાં કેટલાંક પદો પ્રાસંગિક છે. એક પ્રસંગે એમની મુખમુદ્રા અને મીઠી વાણી પર મુગ્ધ બની એક ગામની સ્ત્રી એમની પાછળ ચાલી નીકળી, અને સુલતાનપુરને માર્ગે મળીને પોતાનો સંકલ્પ જણાવ્યો, ત્યારે પોતે ત્યાં ને ત્યાં ગાયું હતું કે —

એવાં શું કરવાં સુખ પારકાં, બાઈ!
કરમે માંડેલ હોય તે જ થાય જી.

સામે રે મંદિરિયે મઈડાં રે ઘૂમે,
ભૂખ્યા તણું મન જાય જી.
દીઠેથી તૃષણા ન છૂટે,
પત પોતાની જાયજી. — એવાં.

પારકો પૂતર પામીએ, બાઈ,
પોતા તણો ન કે’વાય,
એને હાથે પરિયાં ન પામે
મર કાશીએ જઈ સરાય. — એવાં.

રૂપ દેખી નવ રાચીયેં, બાઈ!
પત પોતાની જાય. — એવાં.
નબળો સબળો પુરુષ પોતાનો
ઈશ્વર કહ્યો ન જાય — એવાં.
દાસી જીવણ કે’ દિલમાં વિચારો,
રામને ભજો છો સુખ થાય. — એવાં.

બીજા એક પ્રસંગે પાળિયાદના કાઠી સંત વીસામણે મોટો મંડપ (હરિમેળો) કરેલો. નિમંત્રણ પામીને ત્યાં ગયેલા સંત જીવણદાસજીની પાસે વીસામણ ભક્તે આત્મપ્રશંસા કરી કે આવો મંડપ તો કોઈ બીજાએ કર્યો નથી વગેરે. સાચુકલા દિલના સંત જીવણદાસે એ સમયે આ મિથ્યાભિમાની ભક્તને આ પદ ગાઈ સંભળાવ્યું હતું —

એક દા’ડે જાવું એક દા’ડે
આવો મોંઘામૂલો મનખ્યો મેલીને જાવું એક દા’ડે
ઉછી ઉધારાં તારાં કેટલા દી રડશે રે,
ખોળિયું લીધું છે માગી માંડ ભાડે. — આવો.
ઢળિયા ડુંગર તારા ધર નહીં ઝાલે રે,
બંધ બાંધશે લઈ કાચે નાડે. — આવો.
જમરા આવ્યે કે’નું જોર નહીં ચાલે રે,
જોઈ તો રે’શે સહુ ફાટે જાડે. — આવો.
જનુની વેળાવે તુંને ઝાંપલા સુધી રે,
મિતરું મેલીને જાશે ઉજડ પહાડે. — આવો.
દાસી જીવણ સંત ભીમનાં શરણાં રે,
હરિનાં વોળાવ્યાં પાછાં કોણ વાળે. — આવો.

આવા સંસારની અસારતાનાં એમણે ગાયેલાં પદો એ પ્રકારનાં અન્ય સંતોનાં રચેલાં પદોથી જુદાં પડે છે. કારણ કે જીવણની વાણીમાં વિશિષ્ટ સરલતા ને મીઠી પ્રવાહિતા છે. પોતાની યાત્રાએ આવતાં કોઈક યાત્રિકો એક દિવસ એમને મુસાફરીમાં સામાં મળ્યાં ત્યારે કોઈએ યાત્રિકોને આ સંતની પિછાન આપી. યાત્રિકો સંદેહમાં પડ્યાં કે આવો તે કંઈ ‘દાસી જીવણ’ હોય? એક બાઈ બોલી ઊઠી કે ‘આ તો કોઈ મસ્તાનો ઘોડેસવાર લાગે છે’. સાંભળતાં જ જીવણદાસજીએ પદ ઉપાડ્યું —

મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દર્શન કા, ખમિયા ખડગ હાથ લઈ ખેલું, જીત તણા અબ દઉં ડંકા. — મેં.

રા અંગનમેં વાંસ રોપાવું, ધીરપ ઢોલ બજાઉંગા, નુરત સુરતકા નટવા ખેલે, અભય મોજ લઈ આવુંગા! — મેં.

પ્રીત પરવાના પટા પ્રેમકા, સંતચરણરજ મેં રંકા, કાળ ક્રોધ દુશ્મન કું ડરાવું, સત નામકા દઉં સંકા. — મેં. ચરણું તણી ચોહટ લઈ ચાલું, હુકમ ગુરુકા હલાવુંગા, રામનામકા અમલ પિલાવું, રસના નામ રટાવુંગા. — મેં.

બેઠા મોજ લેઉં બંદગીસે, કોટ વસાવું ગુરુ વંકા, દાસી જીવણ સંત ભીમને ચરણે, મેં સિપાઈ હું મેમરકા. — મેં.

પ્રભુનો હું સિપાહી જ છું, અને ઉપર ગાયાં તે મારાં લક્ષણો છે. બાઈ, તું સાચું જ કહે છે હું મસ્તાનો સિપાહી છું ખરો, પણ ભગવાનનો! અન્યનો નહીં. આ સિવાય એમનાં કેટલાંક બીજાં પ્રાસંગિક પદોની જોડે એમના જીવનની કેટલીક ઘટનાઓ સાંકળવામાં આવે છે. દાખલા તરીકે, એક વાર પોતે પરમાર્થ કાજે હદ બહાર ખર્ચ કરી નાખેલ હોવાથી ભામના ઇજારાની વાર્ષિક રકમ દરબારને ન ચૂકવી શક્યા અને રાજ્યની હેડ્યમાં કેદ પકડાયા, ત્યારે એમને પણ પોકારનું એક ભજન ગાતાં નરસિંહ મહેતાની માફક કોઈ ઈશ્વરી સહાય આવી પડેલી હોવાનું મનાય છે. પણ આ ભજનનો કોઈ વિશિષ્ટ ગુણ મને દેખાતો નથી. અમુક ઠેકાણે અમુક કૂવામાં પાણી નહોતું આવતું. તેથી સંત જીવણને જોરાવરીથી તળિયે ઉતારી ભજનો ગવરાવી કૂવો સજીવન કરાવ્યો. આવી આવી ઘટનાઓ લોકોમાં પ્રચલિત છે, પણ એની સાથે આ લેખને નિસ્બત નથી. ખરાં માર્મિક ભજનો પૈકી એક તો છે એમના અંતરની આધ્યાત્મિક વેદના પહેલી પ્રથમ ગુરુ ભીમ સમક્ષ રજૂ કરનારું ભજન —

સેજેં સાંયાજી, મારું દિલડું ન માને દૂબજાળું,
કહો રે ગુરુજી, મારું મનડું ન માને મમતાળું.
વાળી વાળી મનને હું તો વાડલે પૂરું વાલા!
પતળેલ જાય રે પરબારું. — સેજે.
ઘડી એક મન મારું કીડી ને કુંજર વાલા!
ઘડીક ઘોડે ને ઘડી પાળું. — સેજે.
તીરથ જઈને જાણે તપશા રે માંડું વાલા!
પંચ ધૂણી પરઝાળું. — સેજે.
કામ ને કાજ મુંને કાંઈ નવ સૂઝે વાલા!
ખલક લાગે છે બધું ખારું. — સેજે.
હવે તો ગુરુજી મારા ઓરડા ચણાવું વાલા!
રૂઠડા રામને રીઝાવું. — સેજે.
દાસી જીવણ સંત ભીમ કેરાં ચરણાં વાલા!
સરજ્યું હશે તો થાશે સારું. — સેજે.

આ મનોવેદનાના જવાબમાં ગુરુ ભીમે પાઠવેલું ભજન —

જીવણ! જીવને જિયાં રાખીએ,
વાગે અનહદ તૂર રે —
ઝિલમિલ જ્યોતું ઝળહળે ને
વરસે નિરમળ નૂર રે —

— વગેરે વગેરે. કહેવાય છે કે જીવણની દીક્ષાનું આ પદ છે. એ પદની શૈલીનાં પદો જીવણે પણ ગાયાં છે :

જા સુહાગણ! જા રે ગગનમાં જ્યોત જલત હે, જા!
જા સોહાગણ! જા સોહાગણ! ઓ ઘર કર લે વાસા!
સુગરા હોય સો ભર ભર પીવે, નુગરા જાય પિયાસા
ગગનામેં જ્યોત જલત હે, જા!

જીવનનો આત્મરસ નુગરાને નથી જડતો. સુગરો મનુષ્ય જ ‘આબે હયાત’ને શોધી કાઢી એ ભરકટોરે પીએ છે.
આ બધી મસ્તની ફિલસૂફી છે, પણ ‘દાસી જીવણ’ તો લોકપ્રિય છે એનાં લોકગમ્ય ભજનો વડે — જેવાં કે —
મોર, તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે
મોરલો મરતલોકમાં આવ્યો.
— એ ભજનમાં માનવ-અવતારનું મોર-સ્વરૂપ નિરૂપીને જીવણે મનુષ્યજન્મનો મહિમા અત્યંત ખૂબીથી ગાયો છે. એથી પણ વધુ લોકપ્રિય પદ છે જીવન-વાડીના ભમરાનું :

વાડી રે વેડીશ મા હો!
મારી રે વાડીના ભમરલા! વાડી વેડીશ મા!
મારી રે વાડીમાં માન સરોવર,
નાજે ધોજે પણ પાણીડાં ડોળીશ મા. — મારી.
મારી રે વાડીમાં ચંપો ને મરવો
ફોરમું લેજે પણ કળિયું તોડીશ મા. — મારી.
દાસી જીવણ કે’ સંતો ભીમ કેરે ચરણે,
સરખા સરખી જોડી રે તોડીશ મા. — મારી.

એવું માનવજન્મની વિવેકપૂર્વક લજ્જતનો વિવેક શીખવનારું અને —

બાણ તો લાગ્યાં જેને,
અંગડાં વીંધાણાં એનાં
નેણાં ઘુરે રે નિશાણ!
જીવો જેને લાગ્યાં શબદુનાં બાણ.

દીપક દેખીને અંગડાં મરોડે
ઈ તો પતંગિયાંને પરમાણ;
પંડ્ય રે પોતાનાં ઈ તો અગ્નિમાં હોમે ને
દિયે શરીરુંના દાન. — જીવો જેને.

પરતીવંતા જેનો પિયુ પરદેશે રે નિત્ય જપે એના જાપ. નાથ રે વિનાની એને નીંદરાયું નાવે ને સેજલડી સમશાન. — જીવો જેને. એવું સાચાં ભક્તિ-ઘાયલોને બિરદાવતું ભજન, એને છેલ્લે પોતાનું મૃત્યુ નજીક આવતાં પોતે ગાયેલું — હાટડીએ કેમ રે’વાશે મારા રામની રજા નહીં; બેસવા સારુ હાટડી કીધી, હાટડી ખડી થઈ, તેડાં આવ્યાં શ્રીરામનાં ત્યારે હાટડી પડી રઈ. — હાટડીએ.

ધર્મના કામને ઢીલ ન કરવી, વેળા જાશે વઈ, દાસી જીવણ ભીમ પરતાપે, નામની નોબત થઈ. — હાટડીએ. આવી વીતરાગ મનોદશામાં સંત જીવણદાસજીએ દેહ પધરાવ્યો, છતાં જ્યારે ગામમાં એના મૃતદેહની પાલખી નીકળી ત્યારે વૈષ્ણવજનોએ એ શબને પણ બજાર વચ્ચે ચાલવા ન દેવા સારુ તોફાન કરેલું! ભાણથી માંડી જીવણ સુધીની પરંપરા ઉપરાંત આ ‘સોરઠી સંતવાણી’ ખંડ પહેલામાં જેનાં પદો રજૂ કરેલ છે તે ભજનકારો દેવારામ, શેલર્ષિની ચેલી લોયણ, દેવાત પંડિત, મૂળદાસજી, મોડ શિષ્ય રવિદાસ, પીઠો, જેસલ–તોળલ, જેઠીરામ, રાજ અમર, દુલભ, લખમો માળી, ગંગાસતી વગેરેનો ઇતિહાસ, નામાંકામાં કે ઠામઠેકાણાંની તો વિશ્વસનીય હકીકત મળતી નથી, પણ વાણીને હિસાબે એ નામો સારી પેઠે લોકપ્રિય છે. પણ દરેક કૃતિ એમાં આવતા નામાચરણ મુજબ તે તે કવિની જ છે એમ પણ કહી શકાય નહીં : કારણ કે મુખપાઠ પર રહેલાં આ પદો હોઈ, કવિનામો આઘાંપાછાં થઈ ગયાં હોય. આવી કૃતિઓના વેરવિખેર સંગ્રહો બહાર પડ્યા છે, પણ તેનું શબ્દસ્વરૂપ અશુદ્ધ, અર્થો બેસે નહીં, પ્રયોજન ફક્ત ભજનમંડળીઓને ગાવામાં આધાર લેવા પૂરતું જ. મેં આ કૃતિઓને સાંભળી સાંભળી એકત્ર કરી છે, અને એનો શબ્દપાઠ બની શકે તેટલા શુદ્ધ રૂપમાં સ્થિર કર્યો છે : એટલું જ નહીં પણ એને કવિવાર નહીં આપી દેતાં વિષયવાર સાંકળ્યાં છે. આ પ્રથમ ખંડમાં આટલા પ્રદેશો પાડ્યા છે : (1) ધણી અને ધરતી, (2) ભક્તિનો માર્ગ, (3) નવધા ભક્તિ, (4) સતગુરુ, (5) માનવ અવતાર, (6) પ્રેમલક્ષણા ભક્તિ. આ વિભાગીકરણમાં સજ્જડ ખાનાં પાડવાનો નહીં પણ પ્રત્યેક વિભાગના પ્રધાન સૂરને પકડવાનો ઉદ્દેશ છે. એક ને એક ભજનમાં એક કરતાં વધુ ભાવોની આવ–જા થતી હોવાથી સજ્જડ ખાનાં તો પાડી શકાય પણ નહીં. હજુ બીજા કેટલાક પ્રદેશો જેવા કે ઉપદેશ, યોગ, શરણાગતિ, મૃત્યુ, કલિયુગ, સમાધ, પ્રભાતી, આખ્યાયિકાઓ, રામાયણ, તેનાં પદો બાકી રહે છે, અને તેનો બીજો ખંડ બનશે. આ સોરઠી સંતવાણીમાં ડગલે ને પગલે કેટલાક વિચિત્ર શબ્દો ને પ્રયોગો આવે છે. દૃષ્ટાંત તરીકે, શબ્દ, સૂન-ગઢ, સૂન (શૂન્ય), નૂરતી–સૂરતી, ઊલટાં નીર શિખર પર ચડિયાં, ત્રિકૂટી મહેલ, ધગ્લા, પિંગલા, સુખમણા, વચન, મૂળ વચન, ગગન-મંડળ, અલખ, નાદ-બુંદ, ઉનમૂન ઇત્યાદિ. ભક્તિમાર્ગમાં આવા પ્રયોગોનો વ્યવહાર આપણા ભારતવર્ષની અંદર કડીબંધ વહેતી આવેલી અનેકવિધ ચિંતનધારાઓની થોડીક માહિતી મેળવ્યા વગર સમજમાં આવશે નહીં. ઇતિહાસ એવો છે કે કબીરના ગુરુ રામાનંદે નીચલા થરોમાં આ નિર્ગુણ ભક્તિપ્રવાહને વહેતો અને ટપકતો કર્યો તેની પૂર્વે, યોગમાર્ગ નામનો એક પંથ સૌથી વધુ પ્રબળ મતવાદ હતો. એ મતવાદના આદ્યપ્રવર્તક આદિનાથ અર્થાત્ શિવ પોતે જ કહેવાય છે. (આ ભજનોમાં પણ મજકૂર ભજનિકોના આરાધ્ય નિજાર ધર્મ, મહાધર્મ, ધૂનાધર્મના મૂળ પ્રવર્તક શિવજીનો જ ઉલ્લેખ છે.) એ માર્ગ હતો હઠયોગનો ઉપાસી. એના પારિભાષિક શબ્દો જ માત્ર નહીં, પણ એની પદ્ધતિ પણ આ ભક્તિમાર્ગમાં ઝાઝે અંશે આવી ગઈ છે. કબીર સરખા નિર્ગુણવાદી સંતોની ને આ યોગમાર્ગી યોગી — એમની વચ્ચે, લોકો પર કાબૂ મેળવવાની તીવ્ર હોડ મચી ગઈ હતી. સંતોના પરચા–ચમત્કારો વિશેની આખી માન્યતાનું મંડાણ પણ આ બાબત પર થયું જણાય છે. યોગની ક્રિયાઓ વડે દેહશક્તિ પર કાબૂ મેળવીને યોગીઓનું આકાશમાં ઊડવું, દેહથી જીવને નિરાળો પાડવો વગેરે ચમત્કારોની લોકમાનસ પરની પકડ એટલી મજબૂત હતી કે ભક્તિમાર્ગી સંતોને પણ એવી સ્પર્ધા કરતા બતાવવા એવી મનોદશા પ્રવર્તતી હોવી જોઈએ. હવે આપણે ઉપર ટાંકેલા વિચિત્ર શબ્દપ્રયોગોનાં મૂળ તપાસીએ. એ છે યોગની પરિભાષાના પ્રયોગો. યોગમાર્ગવાળાઓની પદ્ધતિ એક સિદ્ધાંત પર મંડાઈ હતી. એમના સિદ્ધાન્તાનુસાર, મહાકુંડલિની નામે એક શક્તિ છે, કે જે સમગ્ર સૃષ્ટિમાં પરિવ્યાપ્ત છે. વ્યક્તિમાં પ્રકટ થાય છે ત્યારે આ શક્તિને કુંડલિની કહે છે. આ કુંડલિનીને સમજવા માટે માનવ-શરીરની રચનાની કલ્પના કરવી જોઈએ. બરડામાં ઊભેલો મેરુ-દંડ (સંતવાણીમાં બંકનાલ્ય) સીધો જઈને જ્યાં પાયુ અને ઉપસ્થના મધ્યભાગમાં લાગે છે ત્યાં સ્વયંભૂ લિંગ છે, કે જે એક ત્રિકોણ ચક્રમાં આવેલ છે. એને અગ્નિચક્ર કહે છે. આ ત્રિકોણ અથવા અગ્નિચક્રમાં આવેલા સ્વયંભૂ લિંગને સાડાત્રણ ગૂંચળાંમાં વીંટળાઈને સર્પાકારે કુંડલિની આવેલી છે. એના પર ચાર પાંખડીનું એક કમળ છે, જેને મૂલધાર-ચક્ર કહે છે. પછી એનાથી ઊંચે, નાભિની આગળ સ્વાધિષ્ઠાન-ચક્ર છે, જે છ પાંખડીના કમળના આકારનું છે. આની ઉપર મણિપુર-ચક્ર છે, અને એથી ઉપર હૃદયના ભાગની પાસે અનાહત-ચક્ર છે. આ બંને ચક્રો અનુક્રમે દસ અને બાર પાંખડીઓના પદ્મના આકારમાં છે. એથી પણ ઉપર જઈએ તો આંખોના ભમ્મરની વચ્ચે આજ્ઞા-ચક્ર છે, જેને બે જ પાંદડીઓ છે. આ છયે ચક્રને ષટ્-ચક્ર કહીને વારેવારે પાછળના કાળના સંતોએ ઉલ્લેખ કર્યો છે. આ ચક્રોને ભેદ્યા પછી મસ્તકમાં શૂન્ય-ચક્ર આવે છે, જ્યાં જીવાત્માને પહોંચાડવો એ યોગીનું આખરી લક્ષ્ય છે. આ સ્થાન પર જે કમલની કલ્પના કરવામાં આવી છે, તેને હજાર પાંખડીઓ છે, એથી એને સહસ્રાર-ચક્ર પણ કહે છે, શૂન્ય–સૂન–સૂનઘર–સૂન-મંડળ, એટલે ‘કંઈ નહીં’ એમ નથી, પણ એને જ ભક્ત દાદૂ હરિ-સરોવર કહે છે. ‘જલ બીચ કમલ, કમલ બીચ કલિયાં, તા બિચ હોજ ભરી’ એટલે આ સમાધિસ્થ અવસ્થા. હવે, મેરુ-દંડમાં પ્રાણવાયુનું વહન કરનારી કેટલીક નાડીઓ છે, જેનો આભાસ આપણને શ્વાસ લેતી વેળા થાય છે. જે નાડી જમણી-ડાબી છે, તેને ઇડા-પીંગલા કહે છે. સંતવાણીમાં એ ધગલા-પીંગલા નામે ઓળખાય છે. એ બંને વારાફરતી ચાલુ રહે છે. એ બેની વચ્ચે સુષુમ્ણા નાડી (જેને સંતવાણી સુખમણા કહે છે) આવેલ છે. આમાં થઈને કુંડલિની ઉપર તરફ પ્રવહમાન બને છે. મૂળ તો સુષુમ્ણાની અંદર બીજી પણ કેટલીક નાડીઓ છે. યોગનો સાધક વિધવિધ પ્રકારની સાધનાઓ દ્વારા કુંડલિની શક્તિને ઉપર તરફ એટલે કે ઊર્ધ્વમુખી કરે છે. સંતવાણીમાં ‘ઉલટા પવન ચલાયા’ અગર ‘ઉલટાં નીર શિખર પર ચડિયાં’ એ પ્રયોગોનો ગૂઢાર્થ આ પ્રમાણે થાય છે. અર્થાત્ કુંડલિનીની ગતિ ઊર્ધ્વમુખી કરવી એ યોગીનું કામ છે. સામાન્ય માણસોમાં એ અધોમુખ રહે છે, તેથી તેઓ કામક્રોધાદિના દાસ બની રહે છે. કુંડલિની જ્યારે ઉલટી ગતિએ ઉપર ચઢે છે, ત્યારે એનાથી જે સ્ફોટ થાય છે તેને ‘નાદ’ કહે છે. નાદને પ્રકાશ કહે છે, અને પ્રકાશનું પ્રકટ સ્વરૂપ ‘મહાબિંદુ’ કહેવાય છે. આ બિંદુ ત્રણ પ્રકારના હોય છે : ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા. યોગી લોકો પોતાની પરિભાષામાં આને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ કહે છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ કહે છે. હવે, આ જે નાદ અને બુંદ (બિંદુ) છે તે મૂળ અખિલ બ્રહ્માંડવ્યાપી અનાહત નાદ અનહદ નાદનું વ્યક્તિગત પ્રકટ સ્વરૂપ છે. અખિલ વિશ્વવ્યાપી અનાહત નાદ જ્યારે કોઈ પણ એક માણસમાં પ્રકટ થાય છે ત્યારે તેને નાદ-બુંદ કહે છે. સામાન્ય જીવની શ્વાસગતિ ઇડા-પીંગલા દ્વારા ચાલે છે. સુષુમ્ણાનો માર્ગ એને માટે બંધ હોય છે, એટલે એ જીવ બહિર્મુખ રહે છે, ને બ્રહ્મ-નાદ સાંભળી શકતો નથી. પણ ક્રિયાવિશેષ વડે જ્યારે સુષુમ્ણાનો માર્ગ ઊઘડી જાય છે, ત્યાર પછી એ વિશ્વવ્યાપી અનહદનાદનું મહાસંગીત સાંભળી તેની મજા માણે છે : આથી કરીને એનું મન વિશુદ્ધ બનીને સ્થિરતાને પામે છે. પણ આ બધી જટિલ ક્રિયા ગુરુ વિના નથી શિખાતી, એટલે જ ગુરુ પર સંતવાણીમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. યોગીજનોની મદદથી જ્યારે પ્રાણાયામ દ્વારા વાયુ બ્રહ્મરંધ્ર (શુન)માં પ્રવેશ કરે છે, ત્યારે જે આનંદપૂર્ણ સ્થિતિ મનને સાંપડે છે, તેને યોગી લોકો ‘લય’ અથવા મનોન્મની (કબીરના શબ્દમાં ‘ઉનમુનિરહની’) અગર સહજાવસ્થા કહે છે. સોરઠી સંતવાણીમાં ‘ઉન્મુન જોગી’ એવો જે પ્રયોગ છે, તેનું આ રહસ્ય છે. ‘સબદ’ અથવા ‘શબદ’ ભક્તિમાર્ગનો માનવી, નિર્ગુણ પ્રભુની જે પ્રેમસાધના કરે છે, તેના પરિણામે પ્રકટતા અસીમ આનંદને વ્યક્ત કરવા માટેનો આ પારિભાષિક શબ્દ છે. એમને સારુ વિશ્વ ‘શબ્દ’માં બંધાયેલું છે. બ્રહ્માંડની ઉત્પત્તિ, એ પણ પ્રભુના પ્રેમના અસીમ આનંદનું એક પ્રાકટ્ય જ છે. ‘શબદ’ નામના ભજનમાં આપણે જોઈએ છીએ કે પહેલે શબદે રણુંકાર થયો, જમીન આસમાન પ્રકટ્યાં. બીજે શબદે ઓહંકાર થયો, ને વિસ્મયકારી નૂરીજન પેદા થયા, એમ શબદે શબદે આ વિશ્વની લીલા વિસ્તરણ પામતી ગઈ. તારતમ્ય એ છે, કે ‘શબદ’નો અર્થ પ્રભુના, (તેમજ સાધક ભક્તના) નિઃસીમ આત્માનંદના પ્રાકટ્યની ક્રિયા — અનાદિ અનંત બ્રહ્મસંગીત. ‘નુતન–સુરત’ અથવા ‘નુરતી–સુરતી’ : શબદના આ અનાદિ બ્રહ્મ-સંગીતની તાનને ‘સુરતી’ કહે છે અને તાલ-લયને ‘વિરતી’ કહે છે. (આ ‘વિરતી’ અને સોરઠી વાણીનો ‘નુરતી’ શબ્દ એક જ હશે!) સૂરતી–વિરતી સાથે મળીને જ સર્વને પરિપૂર્ણ કરે છે. સૂર અસીમ છે. ‘તાલ’ સીમાબદ્ધ છે. તાલ વડે બદ્ધ બનીને જ ‘સૂર’ ચોક્કસ રૂપને — આકારને પામે છે. નિઃસીમ જે પરમાત્મા તે પણ સૂરતી વિરતીના સૂર-તાલમાં બંધાઈને પોતાને પ્રકટ કરે છે. નૂરતીમેં સૂરતી, સૂરતીમેં રમ લે : તો પુરણ પાયા તેની ખબર પડી. પહેલા જ ભજનની આ પંક્તિનો ભાવ હવે સમજી શકાય છે. પ્રભુના નિઃસીમ પ્રેમસ્વરૂપને માનવી ભક્તના સીમાબદ્ધ પ્રેમ વડે તાલબદ્ધ કરી દેવા થકી જ પૂર્ણને પમાય છે.