સોરઠી સંતો/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિવેદન

જાહેરાત કર્યા પછી ઘણે લાંબે ગાળે આ ‘સંતો’ની જીવનકથાઓ હાથમાં લઈ શકાય છે. આ વૃત્તાંતોમાં વર્ણવાયેલા પરચાઓની સામે ઘણા વાચકોને કદાચ મનદુઃખ થશે એમ માનું છું. એ પરચાને લગતી મારી જે વિચારણા તેમ જ જે ફરજ મેં પ્રવેશકમાં સમજાવી છે, તે વાંચી ગયા પછી જ વૃત્તાંતોમાં ઊતરવાની સર્વને મારી વિનંતી છે. સોરઠી કથાવાર્તાના સાહિત્યમાં મને સહુથી પ્રથમ પ્રવેશ કરાવનાર વ્યક્તિ તે હડાળાના દરબાર શ્રી વાજસૂર વાળા છે. ‘રસધાર’ના આરા પર એ માનવંત નામ પ્રથમથી જ અંકિત થઈ ચૂક્યું છે. પરંતુ તેમાંયે આ ‘સંતો’ના પ્રદેશમાં મને તેડી જવાનો તેમનો ઉપકાર તો વિશિષ્ટ છે. એમના મધુર સહવાસથી જ આ બધો રસ લાગી શક્યો છે અને એમના ખંત થકી જ આમાંની ઘણી ઘણી સામગ્રીઓ એકઠી કરી શકાઈ છે. એમનો આભાર માનું તો એમના આત્મીય ભાવને મેં અપમાન્યો ગણાય. આ બધું સાહિત્ય લખવાની ઉમેદ તેમની જ હતી. પોતે પ્રવૃત્ત પણ થયા હતા. પરંતુ આખરે તો એમણે નિર્લેપ ભાવે મને પોતાની સેવાનું માધ્યમ બનવા દીધો છે. આ લખાવટ મારી પોતાની છે. લખીને હું એમની નજર તળેથી આ કથાઓને કઢાવી નથી શક્યો, એટલે ભાષા વગેરેના જે દોષો રહી ગયા હોય તેનો જુમ્મેદાર મને એકલાને સમજવો. રાણપુર : 22-9-1928 ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

આ પુસ્તકનો ઉઠાવ ઝડપી થયો છે; અને એના પ્રવેશકમાં ‘પરચાઓ’ની ભ્રમણા ટાળવા માટે લેવાયેલી મહેનત ફળી છે. પરચાના જૂઠા મહિમા અને પરચાને નામે ચલાવાતા ઢોંગ પરત્વે આટલું સ્પષ્ટ લખાણ થવાથી વાચકોએ પુસ્તકને સવિશેષ લાગણીથી વધાવ્યું છે, એ બદલ અમે આભારી છીએ. વાચકોને પુન: પણ એ જ વિનંતી છે કે સંતો–મહંતો પ્રત્યેનું લોકવલણ બુદ્ધિયુક્ત અને વિશુદ્ધ બનાવવાના પ્રયત્નો ચાલુ રાખજો. અંધશ્રદ્ધાએ આપણો દાટ વાળી દીધો. પુસ્તકનાં પાનાં વધવાને પરિણામે તેમ જ બીજા કારણે મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો છે. વૈશાખી પૂર્ણિમા : સં. 1985 [સન 1929]ઝ. મે

[ત્રીજી આવૃત્તિ]

ભજનો તેમ જ જીવનપ્રસંગો વગેરે ઘણી સામગ્રી મારી પાસે એકઠી થઈને પડી છે. ‘સોરઠી સંતો’નો નવો ખંડ રચવા માટે મેં ‘બુદ્ધિપ્રકાશ’માં એક લેખમાળા પણ ચાલુ કરી હતી. એ બધું અત્યારે તો અસ્થિર મનોદશાની ખાટમાં પડેલું છે; ક્ષમા ચાહું છું. મુંબઈ : 21-12-’33 ઝ. મે.

[ચોથી આવૃત્તિ]

પ્રવેશકમાં મેં લોકસંતોના પરચા સંબંધી આપેલા વિચારો આજથી ચૌદ વર્ષ પૂર્વેના છે. વચગાળામાં આધ્યાત્મિક વિદ્યાની અંદર રહેલાં વૈજ્ઞાનિક રહસ્યો, યૌગિક શક્તિનાં નિગૂઢ તત્ત્વો ઇત્યાદિ વિષયોમાં ઘણી ઘણી નવી શોધો થઈ છે. ઘણા અભ્યાસીઓએ પૂર્વ તેમ જ પશ્ચિમની બન્ને દુનિયામાં પ્રત્યક્ષ અનુભવો મેળવીને બહાર પાડેલ છે. ભૌતિક જગત કરતાં ઘણું વધુ બહોળું ને ઊંડું અદૃશ્ય જગત અજવાળે આવતું જાય છે; એટલે ‘પરચા’, ‘ચમત્કારો’ ઇત્યાદિ વિષે મારા જેવા અલ્પાભ્યાસીએ અધકચરાં મંતવ્યો ફેંકવાં એ અનુચિત હતું એમ આજે લાગે છે. વિશેષ સંત-કથાઓ તેમ જ ભજનવાણી માટે મારું ‘પુરાતન જ્યોત’ નામનું પુસ્તક જોઈ જવું. સંતોની ભજનવાણીનું અન્વેષણ કરી રાખ્યું છે, તે પ્રગટ કરવાનો સુયોગ સત્વર આવો! 1-3-’42ઝ. મે.