સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સૌરાષ્ટ્રનું મહત્ત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌરાષ્ટ્રનું મહત્ત્વ

ભાઈ પરમાનંદ કાપડિયા એના નિત્યના મધુર કટાક્ષોમાં મને સંભળાવે છે કે “સારું જ છે કે કુદરત પ્રતિની તારી આટલી પ્રબલ ઊર્મિલતાએ કાઠિયાવાડની બહાર જઈને પશ્ચિમ વગેરે બાજુનાં સૃષ્ટિસૌંદર્ય દીઠાં નથી. દીઠાં હોત તો ખરેખર તારું હૃદય ફાટી જ પડત. કાઠિયાવાડની આછીપાતળી પ્રકૃતિરચના અને સામાન્ય એવી પ્રાચીનતાઓ તને આટલો બહેકાવી મૂકે છે, તો પછી પશ્ચિમ તરફની ભવ્ય મૂર્તિઓ ને વનરાજીઓ સામે તારી છાતી સાબૂત રહી જ ન શકત!” આ વાત સાચી જ છે. સોરઠની લઘુતામાં પણ હું અતિશય રાચું છું. મમત્વનો માર ખરેખર વસમો છે. પરંતુ એ શું છેક મમત્વ જ છે? આંહીં ‘એભલ મંડપ’ અને સાણા જેવા પ્રાચીન બૌદ્ધ વિહારો પડ્યા છે તેનું કેમ? મારા એ પ્રવાસમાં સાણા નામના ડુંગરમાં અખંડ પહાડમાં જ કૈં વર્ષો પૂર્વે કોરી કાઢેલી પચાસ-સાઠ સરસ ગુફાઓ તથા મીઠાં મોતી જેવાં નિર્મળ પાણીનાં મોટાં ટાંકાં, અંદરના એક ખંડમાં ઊભેલો બૌદ્ધ ધર્મનો સ્તૂપ વગેરેનો બનેલો એ સુંદર બૌદ્ધવિહાર આ પત્ર લખતી વેળા મારાથી વિસરાતો નથી. આ જગ્યાનો મોહ તો મને ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ પાંચમો લખતી વેળાથી જ લાગ્યો હતો. ‘દેહના ચૂરા’ નામની એ પુસ્તક માંહેલી પ્રેમકથાના દુહાઓમાં રાણા નામનો રબારી પ્રેમિક સાણા ડુંગર પર રહેલો હોવાની વાત પૂછતાં, ચારણ મિત્ર દુલા ભગતે મને એ ગુફાઓનું વર્ણન આપેલું તે મેં એમના પરના વિશ્વાસે જ લખેલું; પરંતુ એમના વર્ણનમાં અતિશયોક્તિ રખેને હોય, એવી ઊંડી શંકા રહ્યા કરતી હતી. વળી ગીરના એ પ્રદેશની સાથે જડાયેલી અનેક સ્નેહકથાઓએ અને વીરકથાઓએ મને સ્વપ્નમય વાતાવરણથી કેટલાક દહાડાનો ઘેરી લીધેલો હતો. એટલે એ મોકો મળતાં ચારણ કવિ મિત્ર દુલા ભગતની નાનકડી સેનામાં શામિલ થઈ, રાજુલા ગામથી પરોઢનાં ચાંદરડાંને અજવાળે અમે અસવારી ઉપાડી.