સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ઘેલોશા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભાઈબંધી
[જન્મ : સં. 1826: મૃત્યુ : સં. 1883]

સોરઠમાં એ સમે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણભર થઈને વોળદાનને બિરદાવી રહ્યો છે કે — “ભલો! ભલો વોળદાન! વોળદાન, તેં તો કોઈથી ન થાય તેવો કામો કર્યો. નગર લૂંટ્યું. અરે —


નગરહુંદી નારિયું, કુંજ્યું જીં કરલાય,
વાઢ દિયે વોળદાનિયો, માઢ બજારાં માંય.

[રંગમતીને કાંઠે, વોળદાન! તેં જે ટાણે હાથ કર્યો, તે ટાણે આખા નગરની અસતરિયું નાતી-ધોતી કુંજડિયું જેવી કલ્પાંત કરતી નાઠી; અને, વોળદાનિયા! તેં તો મોટી બજારે જઈને તરવાર્યુંના વાઢ દીધા પણ જામની ફોજ તુંને પોગી નહિ. બાપ! બાપ વોળદાન!]


કે જલમ્યા કે જલમશે, ભોમ અનેરી ભાત્ય,
(પણ) કે’ દિ’ ના’વે કાઠીઓ! રેફડિયારી રાત્ય.

[અરે બાપ! કૈંક કાઠીઓ જન્મ્યા, કૈંક હજી જન્મશે; કૈંક એના પરાક્રમની રૂડી ભાત્ય આ ભોમકાને માથે પાડશે; પણ, ઓ કાઠીઓ! વોળદાન જે રાતે જન્મ્યો, એ રાત હવે ફરી આવી રહી!] કસુંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે, અને વોળદાન પોતાના મનમાં પોરસાતો, મૂછે વળ દેતો સાંભળ્યે જાય છે. તે ટાણે એક વટેમાર્ગુએ આવીને એને રામરામ કર્યા. “રામ!” વોળદાને સામા કહ્યા: “ક્યાં રે’વાં?” “રે’વાં તો બરવાળે.” “બરવાળે? લીંબડીવાળું બરવાળું કે?” “હા, આપા. ઘેલાશાનું બરવાળું.” ‘ઘેલાશાનું બરવાળું’ કહેતાં તો વોળદાને દાંત કાઢ્યા અને ચારણે પણ ટપકું મૂક્યું —


તારા જે ચાચરિયા તણો, (કેથી) ભાગ જ ભરાય ના,
સીમાડે ગેલોશા, વાઢે ખડ વોળદાનિયા.

[ઓ વોળદાન! તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ઘેલોશા આવી શકે નહિ. એ ઈ તો તારે સીમાડેથી ખડ વાઢે ખડ! તારાં ખળાં તો ઈ ભરી રિયો!] ઘેલાશા નામના વાણિયાની આવી ફજેતી સાંભળતો સાંભળતો વોળદાન હસે છે. દારૂના સીસામાંથી એક પછી એક પ્યાલીઓ ભરાતી આવે છે. પોતે પીએ છે. દાયરો રંગમાં છે. તેમાં વટેમાર્ગુ ઊઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઊપડતે પગે બરવાળે પહોંચી ગયો.

બાપનું નામ માધાશા; માનું નામ લીલબાઈ : અસલ વતની મૂળીના : ત્યાંથી માધાશા લીંબડી આવી વસ્યા; રાજના કામદાર નિમાયા : એમ કરતાં લીંબડી ઠાકોરે પોતાનાં બાર ગામ બરવાળા પંથકનાં હતાં તેનો વહીવટ કરવા માધાશાને બરવાળે મોકલ્યા. આ બરવાળું ગામ અસલમાં નાનું ગામડું હતું. બોટાદથી આઠ ગાઉ ઉપર ભાલને કાંઠે એ ગામનાં તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા ને માલ ચારતા. એક વાર દુકાળ પડ્યો. ચારણો પાડોશના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ સાથે માળવા પંથકમાં ઊતરી ગયા. વળતી સાલ સોરઠમાં મે સારો થયો સાંભળીને ચારણો માલ હાંકીને પાછા વળ્યા. આવીને જુએ ત્યાં પાડોશી કાઠીઓએ ગામ પચાવી પાડેલું. ઝાંપામાં એમને દાખલ થવા જ દીધા નહિ. ચારણોએ ઘણા કાલાવાલા કર્યા, ધા નાખી, પણ કાઠી માન્યા નહિ. છેવટે એ ગામેતી ચારણનાં સ્ત્રી, દીકરો અને દીકરાવહુ — ત્રણેયે ત્યાં ત્રાગું કરીને ઝાંપે લોહી છાંટ્યાં, જીવ કાઢી દીધો. (ત્રણેયના પાળિયા આજે પણ બરવાળાના દરબારગઢમાં મોજૂદ૰ છે.) વાંસેથી કાઠીઓ ઘસાઈ ગયા, ગામ લીંબડીને માંડી આપ્યું. એ કાઠીનો વંશ અત્યારે બોટાદ પાસે નાગલપરમાં જીવે છે. એ બરવાળું માધાશાના હાથમાં આવ્યું, એટલે સંવત 1835માં એણે અંદરનો ગઢ બંધાવ્યો. તે વખતે તો ગામ નાનું હતું, ગઢમાં જ સમાઈ જતું. અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણ હતું. એ વહેણની એંધાણી તરીકે ખીજડો ને ખજૂરી અત્યારે ઊભાં છે. આ માધાશાને ઘેર ઘેલોશા પાક્યો. જેવી છીપ હતી તેવું જ મોતી નીવડ્યું. વાણિયો સમશેર બાંધી પટા શીખ્યો. ભાલો ઉપાડ્યો. ભેટમાં કટાર, જમૈયો અને પીઠ પર ઢાલ બાંધ્યાં. આસપાસના કાળઝાળ કાઠીઓમાંથી કંઈકને ધરતી સાથે જડી દીધા. વસ્તીને જમાવી બરવાળાનો તાલુકો બારમાંથી બાવીસ ગામનો બનાવ્યો. બરવાળું વેપારવણજનું અડીખમ મથક બન્યું. ઘેલાશાની ફે ફાટી ગઈ. કંઈક સાંઢડાને નાથ્યા. અણનાથ્યો રહ્યો એક વોળદાન રેફડિયો. એમાં આજ પોતાની હીણપના દુહા માયલું —


સીમાડે ગેલોશા વાઢે ખડ, વોળદાનિયા!
— આ વેણ સાંભળીને જુવાન ઘેલાશાની ભુજાઓ કળવા લાગી.

“એલા, કયે ગામ રહેવું?” “આંહીં ચાચરિયે.” “આપો વોળદાન ઘેરે છે?” “હા.” “એને કે’જે કે ઘેલોશા કાલ સવારે પાછા નીકળશે. માટે સીમાડે સાબદો રે’જે. તારે સીમાડે ઘેલોશા ખડ વાઢવા આવે છે.” આટલું કહેવરાવીને ઘેલોશા ઘોડીએ ચડી ચાચરિયાનું પાદર વટાવી ગયા. પોતાની દીકરીને ધોળકે પરણાવ્યાં હતાં તેનું આણું વળાવવું હતું. તે માટે લૂગડાં અને દાગીના લેવા પોતે બોટાદ જતા હતા. ભેળો એક અસવાર હતો. માથે ઘણાં ઘણાં વેર હોવા છતાં ખાનગી ગામતરામાં વધુ અસવારો પોતે ન રાખતા. બીજા દિવસે પ્રભાતે વોળદાન રેફડિયો એકલો હથિયાર બાંધી ઘોડીએ ચડ્યો; પોતાને સીમાડે મારગને કાંઠે મહેમાનની વાટ જોતો બેઠો. થોડી વાર થઈ ત્યાં તો ભળકતે ભાલે પડછંદ અસવારને ઘોડો રમાડતો દીઠો. લગોલગ આવતાં એ થોભાળો નર વરતાણો : અગાઉ કદી દીઠેલ નહિ, પણ કરડે ચહેરે ચાચરિયાને સીમાડે બીજો કોણ બે-માથાળો નીકળે? આવો હેમર બીજા કોની રાંગમાં રમતો હોય? અને આવા થોભા!


તું થોભા તાણીને મૂછે હાથ નાખછ મરદ!
(તે દી) ગઢપતિયાંને ગામ, ગાઢ વછૂટે, ગેલિયા!

[ઘેલાશા! તું જે દિવસ થોભા તાણીને તારી મૂછે હાથ નાખે છે, તે દિવસ રાજાઓને ગઢવાળા ગામે પણ ત્રાસ છૂટી જાય છે કે આજ નક્કી ઘેલાશા કોઈકને માથે પડશે.] એવા થોભા બીજા કોના હોય? નક્કી ઘેલોશા : નજીક આવતાં અસવારે પડકાર્યું : “રામ રામ! કોણ, આપો વોળદાન કે?” “હા, રામ રામ! તું ઘેલોશા કે?” “હા, હું જ ઘેલોશા, આપા વોળદાન! આવ્યા ખરા. વચને પળ્યા ખરા.” એમ કહીને પોતે ઘોડીનું પાઘડું છાંડી નીચે ઊતર્યો. ઉપરથી ગાદલી ઉપાડીને ભોં માથે પાથરી ઉપર બેઠો. ખડિયો લઈને અંદરથી અફીણ કાઢ્યું : “લ્યો, આપા વોળદાન! આજ હું તમારો મે’માન થયો. આ લ્યો, કાઢો કસુંબો, પ્રેમથી પીયેં.” વોળદાન નીરખી રહ્યો. આ તે કઈ જાતનો શત્રુ! આ ટાણે કસુંબો પીવા બેસે છે! આવી ખાનદાની દેખીને વોળદાનનું અડધું જોર નીતરી ગયું. ફરી ઘેલોશા બોલ્યો : “આપા વોળદાન! બેઠા કાં? કાઢો ઝટ કસુંબો. પીધા વગર કાંઈ ચાલશે? આપણી આજ પ્રથમ પહેલી ઓળખાણ કહેવાય. ને વળી હું તમારે સીમાડે મે’માન.” કસુંબો નીકળ્યો. બેય જણાએ સામસામી અંજળિઓ ભરી પિવરાવી. બેયની આંખો ઘેઘૂર બની ગઈ. ઠીકાઠીકનો કૅફ આવી ગયો ત્યારે ઘેલાશાએ હાકલ કરી કે “હાં આપા વોળદાન! હવે ઊઠ્ય, ચડ્ય ઘોડીએ. આજ તારે સીમાડે બેમાંથી કોણ ખડ વાઢે છે એ નક્કી કરવું છે.” “ત્યારે હવે માટી થાજે, વાણિયા!” આવી સામી હાકલ કરીને વોળદાન રેફડિયે ઘોડી પલાણી. બેય અસવાર થયા. ભમ્મર ભાલે ઘોડીઓ કૂંડાળે નાખી. ચક્કર બંધાઈ ગયું. ઘોડીની તડબડાટી બોલી ગઈ. બરાબર જમાવટ થઈને પડ ગાજ્યું ત્યાં ઘેલાશાની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યું. સમજાયું કે ઘોડીનો તંગ ઢીલો પડી ગયો છે. એમ ને એમ કૂંડાળે ફરતા ફરતા પોતે નીચે ઊતર્યા. દોટ દેતી ઘોડીની સાથે પોતે પણ દોડતા દોડતા કસકસીને તંગ તાણ્યો :


ઘોડાંની ઘમસાણમાં, તંગ લીધેલ તાણી,
ફોજુંમાં લાડો ફરે, ગેલો માધાણી.

ઘોડાંની ઘમસાણ વચ્ચે તંગ તાણીને માધાશાનો બહાદુર બેટડો ઘેલાશા વરલાડડા જેવો દીપતો ફરવા લાગ્યો અને ધીંગાણું જામતાંની વાર લગોલગ થયા કે તુરત જ ઘેલાશાએ વેરીને પહેલો વારો દીધો : “હાં વોળદાન! ઘા કરી લે, પે’લો ઘા તારો! જા, પછે મનની મનમાં ન રહી જાય!” “આ લે ત્યારે! પે’લો ઘા સવા લાખનો.” કહી વોળદાને ભાલાનો ઘા કર્યો. કોઈ દિવસ નિશાન ન ભૂલેલો એ અચૂક ભાલો આજ નિશાન ચૂકી ગયો. ઘેલાશાએ ઘોડી ગોઠણભેર કરી દીધી. ભોંઠો પડીને વોળદાનનો ભાલો ભોંમાં ખૂંત્યો. ઘેલાશાએ ગર્જના કરી : “એ વોળદાન! એમ ઘા ન થાય : જો, ભાલું આમ ફેંકાય.” એમ કહી ભાલું ફેંક્યું. ઘોડીના તરિંગ વીંધીને ભાલું ભોંયમાં ગયું. ઘોડી પૃથ્વી સાથે જડાઈ ગઈ. વોળદાન નીચે પડ્યો. ઘેલાશાએ તરવાર ખેંચીને કહ્યું કે “તને મારવો હોય તો આટલી જ વાર! પણ ના. હું ઘેલોશા! તુંને એમ ન મારું. મારે તો તારો ગર્વ જ ઉતારવો’તો.” દિગ્મૂઢ બનીને વોળદાન ઊભો રહ્યો. ઘેલાશાએ કહ્યું : “પણ આપણા મેળાપની નિશાની લેતો જા.” એમ બોલીને વોળદાનના વાંસામાં તરવારની પીંછી (અણી) વડે ચરકા (ઉઝરડા) કર્યા. એવામાં બરવાળાના રસ્તા પર નજર કરે ત્યાં આંધી ચઢેલી દેખાઈ. ઘોડેસવારોનું સૈન્ય આવતું લાગ્યું. એ ઘેલાશાનો જમાદાર ભાખરજી પોતાના માલિકની મદદે ચડી દોટાવ્યે આવતો હતો. વોળદાન થરથરી ઊઠ્યો. ઘેલાશાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વોળદાનને મારી નાખશે. એ બોલ્યો : “વોળદાન! હવે નાસી છૂટ.” વોળદાન કહે : “શી રીતે નાસું? મારી ઘોડી તો નથી.” “આ લે, આ મારી ઘોડી. જા, નાસી જા.” ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું : “પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તરવાર કાઢીને એક કોળી ખડ (ઘાસ) કાપી લે તો?” બીજો ઇલાજ ન હતો. વોળદાને તરવારથી ખડ વાઢ્યું.[1] પછી નાસી છૂટ્યો. આ પ્રસંગને અમર રાખવા કેટલાએક ચારણો અસલનો દુહો ઉથલાવીને આ રીતે પણ કહે છે :


તારા જે ચાચરિયા તણો, (બીજે) ભાગ જ ભરાય ના,
(પણ) સીમાડે ગેલોશા, વઢાવે ખડ વોળદાનિયા.

[હે વોળદાનિયા! બીજા કોઈથી તો તારા ચાચરિયાની નીપજમાંથી રાજભાગ નથી લેવાતો. પણ તારે જ સીમાડે ઘેલોશા તારી પાસે ખડ વઢાવી શકે છે.] અસવારો આવી પહોંચ્યા, પૂછ્યું : “કાં દાજી! ક્યાં ગયો વોળદાન?” (ઘેલાશાને સહુ ‘દાજી’ કહેતા.) “માળો કાઠી લોંઠકો! મારી ઘોડી લઈને ભાગી ગયો!” દાજીએ જવાબ દીધો. અસવારો સમજી ગયા. દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઈ ગયા. વોળદાનને મા’ત કરવાના પોતે જે સોગંદ લીધેલા તે બરાબર પાળ્યા. એવી રીતે પોતે જે જે બોલતા, તે પાળ્યે જ રહેતા. એ ગુણનો ચારણોએ દુહો ગાયો છે કે —


બોલછ ઈ પાળછ બધું, તું મધરાજ તણા!
પાછા પેસે ના, ગજ દંતૂશળ ગેલિયા!

[હે માધાશાના પુત્ર (મધરાજ તણા) ઘેલાશા (ગેલિયા)! તું જે બોલે છે તે બધું પાળે છે. જેમ હાથીના દંતૂશળ એક વાર બહાર નીકળ્યા પછી પાછા અંદર ન પેસે, તેમ તારા મોંમાંથી પડેલાં વચન પણ અફળ ન જાય.]

દુશ્મનો વધતા ગયા, એટલે બરવાળાના રક્ષણ માટે દાજીએ ગામ ફરતો કિલ્લો બાંધવાનું શરૂ કર્યું. એવા નમૂનાનો કિલ્લો કોઈએ કદી જોયો નહોતો. ગામ-પરગામનાં લોકો ગઢ જોવા આવવા લાગ્યાં ને સ્ત્રીઓએ તો રાસડા પણ ગાયા :


હાલો, બાઈયું હટાણે જાઇં રે
ઘેલોશા ગઢ ચણાવે.
ગઢ ચણાવીને કાંગરા મેલ્યા,
પૂતળીનો નઇં પાર. — હાલો

ગઢ જોવા જેવો બન્યો. એવી બાંધણી ફક્ત એક અલવરના કિલ્લાની જ કહેવાય છે. ગઢને ત્રણ દરવાજા મૂક્યા : રોજીતનો દરવાજો, ખમિયાણાનો દરવાજો ને કુંડળનો દરવાજો. દરવાજે દરવાજે ગઢની દોઢ્ય વાળી છે. આ પ્રકારની રચના છે. ગામમાં જવાના ત્રણ રસ્તા : પણ દરવાજા બરાબર રસ્તાની સામા સીધા નથી, રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે. દરવાજો રસ્તાની એક બાજુ ઉપર રહી જાય. દરવાજાની સામે પણ ગઢની બીજી બાજુ હોય. એવી રીતનો ખાંચો પાડેલો છે કે અગાઉના વખતમાં ઊંટને દરવાજા સાથે ઊભું રાખી, હાથી દોડાવીને ઊંટને હડસેલી દરવાજો તોડાવી નાખતા એવું એ સાંકડા ખાંચામાં ન બની શકે. છતાંયે કદાચ જો એ દરવાજો તૂટે ને લશ્કર અંદર જાય તો અંદર એક નાનું ચોગાન વાળી લઈ બીજા દરવાજા મૂકેલ છે. ચોગાનમાં શત્રુ-સૈન્ય પ્રવેશ કરે કે તરત ગઢની રાંગ ઉપરથી તોપો-બંદૂકો છૂટે, ને એ સાંકડા ચોગાનમાં સૈન્ય જીવતું રહે જ નહિ. સૈન્ય બચે તો અંદરનો બીજો દરવાજો તોડવો બાકી રહે. ત્રણ દરવાજે આ બાંધણી છે. ચોથી એક બારી છે. દુશ્મનો વિષ્ટિ કરવા અંદર આવવા માગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ દાખલ થઈ શકે. એ પહોળી અને બળવાન દીવાલ હજુ મોજૂદ છે. એના કોઠા ઉપર ગોઠવાયેલી અનેક તોપોમાંથી આજે માત્ર થોડીક જ રાખી બીજી લીંબડી લઈ જવામાં આવી છે. હજુ કેમ જાણે ગઈકાલે જ ત્યાં લડાઈઓ ખેલાયેલી હોય એવું આપણને ભાસે છે.


મીટે નર ફાટી મરે, પડ ચડિયા પેલાં;
(એવો) ગઢ સજિયો, ગેલા! તેં મારકણા માધાઉત!

[હે માધાશાના સુંદર પુત્ર ઘેલા (ગેલા)! તેં તો એવો ગઢ બનાવ્યો કે હજુ તો તું સૈન્ય લઈને યુદ્ધે ચડ્યોયે ન હોય, ત્યાં તો એ ગઢ જોતાં જ માણસો ફાટી પડે!]


તેં માંડ્યા, માધાતણા! કોઠા આઘા લઈ કોય,
(બીજાને) હૈડાં સામા હોયે, ગઢપતિયાંને ગેલિયા!

[હે માધાશાના પુત્ર! તેં એવા તો જુક્તિદાર કોઠા બનાવ્યા છે કે એ તારા ગઢના કોઠા બીજા બધા ગઢપતિઓને (રાજાઓને) વસમા થઈ પડ્યા છે.]

માત્ર નાના કાઠીઓની જ જમીન નહિ, ભાવનગર રાજ્યની જમીન પણ ઘેલાશાએ દબાવવી શરૂ કરી.


બુડી વા બરવાળા તણો, (કે’થી) ચાસે ચંપાય ના,
(પણ) શત્રવના સીમાડા, તેં ગળગટિયા ગેલિયા!

[હે ઘેલાશા! બરવાળાની સીમમાં તો એક બુડી જેટલી જમીનનો ચાસ પણ કોઈથી ચંપાય નહિ, એટલે કે જરા જેટલી જમીન પણ કોઈ દબાવી ન શકે, પણ બીજા શત્રુઓના (શત્રવના) સીમાડા તું દબાવી બેઠો છે.] એક દિવસ ભાવનગરના ઠાકોર વજેસંગની કચેરીમાં એક ચારણ રિસાઈને ટૂંટિયાં વાળી સૂતેલો. ઠાકોરે પૂછ્યું : “કાં ગઢવા, શું થયું છે? કેમ ટૂંટિયાં વાળીને સૂતા છો?” ચારણ બોલ્યો : “અન્નદાતા, બરવાળાને સીમાડે મારા પગ ઠબે છે.” એ મર્મવાક્ય કહીને ચારણ એમ સમજાવવા માગતો હતો કે ભાવનગરની સરહદ દબાવતો દબાવતો ઘેલોશા બહુ નજીક આવી ગયો છે. ઠાકોરને એ વેણ છાતી વીંધી આરપાર નીકળી ગયું. એને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન દબાવી લીધી. તરત જ ફોજ તૈયાર થઈ. બરવાળાના ગઢને ઘેરીને ફોજ પડી છે, પણ ગઢ તૂટતો નથી. ઉપરથી તોપો છૂટે છે; ફોજમાં ખળભળાટ થાય છે. બરવાળું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ ઘેલાશાને વિષ્ટિનાં કહેણ મોકલ્યાં. બારીમાં થઈને વિષ્ટિ કરવા માણસો ગામમાં પેઠાં. છેવટે એમ નક્કી થયું કે દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો. દાજી દુશ્મન હતો તોય એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો, કેમ કે દાજી કૂડ કરતા નહિ. દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી ત્રણ ગાઉ દૂર ખળખળિયા નામનો વૉંકળો છે તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળખળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય, ને આ કાંઠે બરવાળાની સરહદ ઠરી છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. ચારણોએ ગાયું :


સખ કરી સૂવે નહિ, રૈયત ને રાણા,
(એવો) માંડ્યો તેં માધાણા, ગોરખ-ધંધો ગેલિયા!

[હે ઘેલાશા! તેં એવું શૌર્ય બતાવ્યું છે, બધાના મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબળશાળી રાજા કે પ્રજાજનો હવે સુખે સૂઈ શકતા નથી.] એમ ધીરે ધીરે એક બરવાળાની નીચે એણે તરવારને ઝાટકે બત્રીસ ગામડાં આણી મૂક્યાં. એ બધી જહેમત પોતાના માલિક લીંબડી દરબારને ખાતર ઉઠાવી. બરવાળાની આસપાસ બેલા, ચારણકી વગેરે ચારણોનાં ગામો ઉપર ઘેલાશાની આંખ હતી. ચારણોને પણ ધાસ્તી પેસી ગઈ હતી, એટલે બેલાના ચારણ કાળા સઉએ ઘેલાશાની સમક્ષ ઠપકાનો દુહો કહ્યો :


ખસનો તો તુંને ખટકો નઈં, ખોળછ ખેતરડાં,
ગલઢો શીં ગેલા! મારછ દેડક માધાઉત!

[હે માધાશાના દીકરા! તારા મનમાં ગરાસિયા લોકોનું ખસ ગામ નથી ખટકતું. એને તું રંજાડતો નથી; અને અમારી થોડી થોડી જમીન (ખેતરડાં) ઝૂંટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે! સિંહ (શીં) ઘરડો થાય, મોટા શિકાર કરવાની તાકાત ન રહે, પછી જેમ દેડકાં મારીને ખાય એવું તું શું કરી રહ્યો છે?] એ દુહો સાંભળ્યા પછી ચારણોનાં ગામ ઉપર દાજીએ કોઈ દિવસ નજર ન નાખી.

એક વખત લીંબડી-ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની જાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા આવતાં લીંબડી-ઠાકોર જામનગરમાં જસાજી જામના મહેમાન બન્યા. જામસાહેબે ઘેલાશા કામદારની કીર્તિ સાંભળી હતી. એ બહાદુર વાણિયાને એક વાર મળવા જસો જામ આતુર હતા. પોતે શૂરવીર હતા. શૂરવીરને જોવાનું મન કેમ ન થાય? જામસાહેબે લીંબડી-ઠાકોરને વિનંતી કરી : “ઘેલાશાને દરબારમાં તેડી લાવો.” લીંબડી-ઠાકોરે ઉત્તર દીધો : “મહારાજ! એ વાણિયો વતાવ્યા જેવો નથી. એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહિ સાચવી શકો. કેટલીક ખોટી આદતો છે કે જે આંહીં જામના દરબારમાં ન શોભે.” “એવી તે વળી કઈ આદતો છે, ઠાકોર?” “કોઈ પણ દાયરામાં કે રાજકચેરીમાં એ જાય ત્યારે એક તો ખોંખારો ખાય; બીજું, મૂછોના થોભા ઝાટકે; ત્રીજું, પલોંઠી ભીડીને બેસે; ચોથું, હોકો પીએ; પાંચમું, લીંબડીના તખત સિવાય કોઈને નમે નહિ.” “કાંઈ વાંધો નહિ. તમે તમારે એને આંહીં તેડી લાવજો, આપણે જોઈ લેશું.” દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સહુએ એને ચેતવ્યા કે કાં તો ન જવું, અને જવું તો જામની અદબ રાખવી. મોં મલકાવીને દાજી તૈયાર થયા. ગામમાંથી ભેટ વાળવાની દસ-બાર પછેડીઓ મગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી લીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોંખારો ખાઈ, મૂછે હાથ નાખી, જામને સાદા રામરામ કરી, પછેડીની પલોંઠી ભીડીને બેઠા. જામના મોં પર કોપ દેખાણો. એણે ચોપદારને ઇશારત કરી. ચોપદારે ઘેલાશાની પછેડી ઝૂંટવીને ફેંકી દીધી. દાજીએ બીજી પછેડી લઈ પલોંઠી ભીડી. બીજી પણ ઝૂંટાઈ. ત્રીજી, ચોથી, એમ પછેડીઓ ઝૂંટાવા લાગી. આખી સભા સડક બની ગઈ. દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઊઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા. જામની સામે પણ એમણે ન જોયું. જામસાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થઈ ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. ત્રાંબાનું પતરું અને કરગરો હાજર રાખેલાં. જામે કહ્યું : “ઘેલાશા, નગરની નોકરીમાં આવો તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારાં પાંચ ગામ ‘જાવચંદર દિવાકરા’ [‘યાવચ્ચન્દ્ર દિવાકરૌ’ : ચંદ્રસૂર્ય તપે ત્યાં સુધી] લખી આપું.” ઘેલાશાએ જવાબ વાળ્યો : “મહારાજ! એ આપનો પાડ થયો. પણ માગાં તો દીકરીનાં જ હોય, વહુનાં ન હોય. મારે માથે તો લીંબડીનું ઓઢણું પડ્યું છે. મારાથી બીજે જવાય નહિ — પાંચ શું, પચાસ ગામ આપો તોયે નહિ.”

“કામદાર, બાકરસાહેબ આપણી બરવાળાની બત્રીસીની પેશકશી બાંધી ગયા.” “જોઉં ઈ દસ્તાવેજ, દરબાર!” દાજી ચમક્યા. દાજીએ ઠાકોર હરિસંગ પાસેથી દસ્તાવેજની નકલ લઈને વાંચી. વાંચીને માથું ધુણાવ્યું. દરબારને ઠપકો દીધો : “મને તેડાવવો’તો તો ખરો! આટલી ઉતાવળ શીદ કરી?” “કાં?’ “કાં શું? આ તો ‘ફરતી પેશકશી’ માંડી દીધી. વારે વારે વધાર્યા જ કરશે. અંગ્રેજની બાદશાહી જ્યારે આંહીં જામશે ત્યારે આપણાથી ચૂં કે ચાં નહિ થાય. દરબાર! તમે ગજબ કર્યો.” “હવે?” “હવે હું જોઉં છું.” ઘોડીએ ચડીને ઘેલોશા ચાલી નીકળ્યા. વૉકરસાહેબની છાવણી પડી હતી ત્યાં જઈને મુલાકાત લીધી. કહ્યું : “હું લીંબડી દરબારનો બરવાળા ખાતેનો કામદાર છું. પેશકશીના દસ્તાવેજ ઉપર મારી — કામદારની — યે સહી જોશે. માટે લાવો સહી કરી દઉં.” ભોળવાઈને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધો. વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી, મોંમાં નાખી, દાજી પેટમાં ઉતારી ગયા; અને ‘હવે તો દસ્તાવેજ લેવા બરવાળે આવજો, સાહેબ!’ એટલું કહીને ઘોડીએ ચડ્યા. બરવાળામાં દાખલ થઈ ગઢના દરવાજા માથે ભોગળ ભિડાવી. ફોજ લઈને વૉકર બરવાળા ઉપર ચડ્યો. ગઢ સામી તોપો ચલાવી. પણ એ જુક્તિદાર ગઢ ઉપર કાર ન થઈ શક્યો. વૉકરે વિષ્ટિનું કહેણ મોકલ્યું. સાહેબ અને દાજી બેય જણા ઠરાવ કરવા બેઠા. સાહેબે પૂછ્યું : “તારી શી માગણી છે, ઘેલાશા?” “બરવાળાની બત્રીસીની ‘ફરતી જમા’ નહિ, પણ કાયમી જમા રૂ. 22,000 બાંધી આપો.” વૉકરે દાજીને લાલચો દીધી : “ઘેલાશા, જીદ કર મા. આ બત્રીસી તેં તારા બાહુબળથી ઘેર કરી છે. તારાં દસ ગામ જુદાં તારવી દઉં, તારા નામ પર ચડાવી દઉં, અને તું લીંબડીનાં ગામની ‘ફરતી જમા’ બાંધવા દે.” દાજીએ જવાબ દીધો કે “ન ખપે, સાહેબ, મારે મારા ધણીને લૂણહરામ નથી થાવું. જે ધણી મેં ધાર્યો છે, તેનું જ હું ભલું ચિંતવીશ. મને ભરોસો છે કે મારી સાત પેઢીને પણ મારો ધણી પાળ્યા કરશે. રજપૂત નગુણો નહિ થાય.” ઘેલોશા ન બદલ્યો. તમામ ગામડાં લીંબડીના નામ પર મંડાવી ફક્ત રૂપિયા બાવીસ હજારની ‘કાયમી જમા’ લખાવી લીધી. આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એ-ની એ જ રહી છે. તે દિવસ સાહેબની સલાહ માની હોત તો આજ ઘેલાશાના વારસોને ઘેર એક સોનામૂલો તાલુકો હોત. પણ ઘેલાશા કૂડ કેમ રમે?

અદાવતિયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સૂરતના કલેક્ટરનું વૉરંટ કઢાવ્યું છે. હથિયાર-પડિયાર બાંધીને દાજી સૂરતમાં આવેલ છે. પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાયે સકંજામાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢ્ઢી માતા લીલબાઈ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે. ઓચિંતા સૂરત શહેરમાં ગોકીરા થયા કે “દોડો! મિયાણા જાય! સરકારી તિજોરી લૂંટીને જાય!” લૂંટારાના નામના રીડિયા સાંભળતાં જ રણઘેલા ઘેલાશાનાં રૂંવાડાં છમ! છમ! છમ! બેઠાં થઈ ગયાં. એણે હાક મારી કે “ભાઈ! ઝટ મારી ઘોડી છોડો!” માણસોએ સમજાવ્યા : “અરે દાજી! આ તો સરકારી તિજોરી લૂંટાણી છે, અને લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેના સારુ આપણે શીદ મરવા જાવું?” “અરે, બોલો મા! લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું? હું ઘેલો માધાણી! મારાં માવતર કોણ?” એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડાં નીકળતા પહેલાં તો ઘોડીને દોટાવી લૂંટારાનો પીછો લીધો, ભેળાં કર્યાં; એકલે હાથે તરવાર વાપરીને ધીંગાણે રમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા. ઘેલાશાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો. કલેક્ટરને આ વાતની ખબર પડી. બહાદુર ઘેલાશાને એણે શાબાશી આપીને છોડી મૂક્યા. અહીં બરવાળામાં માતા લીલબાઈને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા; કહ્યું કે “લીલબાઈ, તારે દીકરે તો મિયાણા માર્યા, સરકારી તિજોરી બચાવી, અને હવે છૂટીને ઘેર આવે છે.” ડોશીની આંખ ઊઘડી ત્યાં દીકરો સામે ઊભો હતો. ડોશીના કહેવાથી ઘેલાશાએ ‘ભીમનાથ’ નામના શંકરની જગ્યામાં ચારસો વીઘાં જમીન બક્ષિસ૰કરી.

શેઠ-કુટુંબ લીંબડીનું ઊંચું ને આબરૂદાર કુટુંબ ગણાય : પૈસેટકે જોરાવર એટલે માથાભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક દીકરો ધાંધલપુર ગામે વરાવેલો, તે ગુજરી ગયો. કન્યાના બાપ લીંબડી ખરખરે આવ્યા. બહુ અફસોસ બતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણાં-લૂગડાં ચડાવેલ તે બધાં પાછાં સોંપ્યાં. આ વખતે શેઠ-કુટુંબવાળા બોલી ગયા કે “શેઠ, તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યાને હવે આંહીં લીંબડીમાં તમારે ન પરણાવવી. નહિ તો આપણે સારાવાટ નહિ રહે, સમજ્યા?” સાંભળીને કન્યાનો બાપ તો આભો જ બની ગયો. પોતે સમજુ હતો. એક વાર પાછી ફરેલી કન્યાને એ-ના એ ગામમાં દેવાથી એને દેખીને આગલાં સાસરિયાંનાં અંતર રડે. મરેલો દીકરો સાંભરી આવે. એટલા માટે ત્યાં ને ત્યાં સંબંધ ન બાંધવો જોઈએ એમ માવતર હમેશાં વિચારે. આ વેવાઈ પણ શાણો હતો. ભૂલ ન કરત; પણ આવાં મદભર્યાં વેણથી તો એના માથામાં ચસકો નીકળી પડ્યો. એનું અંતર ઘવાઈ ગયું. એણે જવાબ દીધો કે “શેઠ! ત્યારે તો હવે મારી દીકરી લીંબડીમાં જ વરશે; બીજે ક્યાંય નહિ વરે.” એટલું કહીને એ ચાલી નીકળ્યો. વિચાર કર્યો કે લીંબડીની અંદર આ શેઠ-કુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે-માથાળો તો એક ઘેલોશા જ છે. પણ ઘેલોશા શી રીતે માને? વિચારીને એ વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા. ઠાકોરને અને ઘેલાશાને પણ અત્યંત સદ્ભાવ હતો. કન્યાના પિતાએ એ કામ ઠાકોરસાહેબને ભળાવ્યું. ઠાકોરસાહેબે ઘેલાશાને બોલાવ્યા, વચન માગ્યું. ઘેલાશાએ કહ્યું : “બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો.” ઠાકોરે માગ્યું : “તમારા દીકરા મોરભાઈનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો.” ઘેલાશાને ફાળ પડી કે શેઠકુટુંબ સાથે વૅર થશે. પણ વચને બંધાયા! શું કરે? લીંબડી આવીને દાજીએ શેઠકુટુંબ કને પોતાની લાચાર દશા રજૂ કરી, હાથ જોડીને રજા માગી; બોલ્યા કે “હું આપને ખાતરી આપું છું કે આંહીંથી નહિ, બરવાળેથી જાન જોડીશ.” પરંતુ શેઠકુટુંબવાળાએ એની નમ્રતાની કાંઈ કદર ન કરી. એ તો ઊલટા કોપાયા અને અઘટિત આકરાં વચનો કાઢવા મંડ્યા. પછી તો દાજીની ધીરજ ખૂટી. એ બોલ્યા : “મારી લાચારી આપના કાંઈ હિસાબમાં ન આવી. તો હવે જુઓ, આંહીંથી જ જાન જોડીશ : મારા ઘરની દીવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મુકાવીશ; ત્યાં બેઠી બેઠી મારી દીકરા-વહુ મોતી પરોવશે અને હાલતાંચાલતાં તમે તે જોશો.” આટલું કહીને દાજી ચાલ્યા અને પછી —


ધાંધલપુરની ઢેલડી, ને બરવાળાનો મોર,
હાથી આવે ઝૂલતા, ને શરણાયુંના શોર.

એવી ધામધૂમથી મોરભાઈને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ પડાવ્યો. [2] એનો દુહો પણ જોડાણો :


શેઠુંહંદાં છોકરાં ઉંયે કરતાં આળ,
મૂછે રંગ મધરાજતણ! ગેલા! ઉતારી ગાળ.

[શેઠકુટુંબનાં છોકરાં સહુની છેડ કરતાં. રંગ છે તારી મૂછોને, હે માધાશાના (પુત્ર)! તેં તારા પરથી એ મેણું મટાડ્યું.] આથી શેઠકુટુંબ રાજ્ય સામે રિસાણું. તેમને મનાવવા ખાતર, અને ઘેલાશા હથ્થુના વહીવટની તપાસણી થવી જ જોઈએ તેવો તેમણે આગ્રહ કર્યો તે ખાતર, ઘેલાશાનો વહીવટ તપાસવાનું ઠાકોર હરિસંગજીએ નક્કી કર્યું. આમ પણ કહેવાય છે : શેઠવાળાઓએ રાજ્યને એવી લાલચ આપી કે ‘જો ઘેલાશાને એક વાર કેદમાં નાખો તો અમારા રૂપિયા છ લાખ રાજ પાસે લેણા નીકળે છે તે છોડી દઈએ.’ હરિસંગજી ઠાકોર એ લાલચમાં લપટાણા. ઘેલાશાને બોલાવવા બરવાળે અસવાર મોકલ્યો. ઘેલાશા તૈયાર થયા. પણ એમનાં માતુશ્રી દેવી જેવાં હતાં. એમને માઠાં શુકન જણાયાં. દીકરાને એમણે બહુ સમજાવ્યો. પણ દીકરો કહે, “માડી, મારો ધણી બોલાવે ત્યારે મારાથી પાણી પીવાય રોકાવાય નહિ.” ઘેલાશા લીંબડી પહોંચ્યા. દરબારગઢમાં ગયા; સામે આવીને તો કોઈ એ સાવજને પકડી શક્યું નહિ. એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા. ઘેલાશા કહે કે “એક વાર મને ઠાકોરનું મોં જોવા દ્યો.” પણ ઠાકોર નીચે ઊતર્યા જ નહિ! ઘેલાશાએ અન્નજળનો ત્યાગ કર્યો. એ વખતે સનાળીના ચારણ કવિ કશિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડનાં કેટલાંયે રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહિ. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારગઢમાં આવ્યા. [3] દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં ઉપર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઊભાં ઊભાં ઠાકોરને ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે ‘એ બાપ હરિસંગ! હરપાળના પેટ હરિસંગે ઊઠીને આવી ખોટ ખાધી! રાજા હરિસંગ! સાંભળ સાંભળ!

[ગીત - જાંગડું]

1
દાવા બાંધણો ગોહિલ્લાં સામો, ચૂડાકો ભાંજણો ડોડ
અર્યાંકો મોડાણો માન, જંગકો અથાહ;
હિન્દવાંકો છત્ર ગેલો3 [4] ઝાલવો ન હુતો હરિ!
સતારા સું બઝારણો હુતો ગેલો શાહ!

[ગોહિલોના સામે પડી સમોવડિયો થઈને ઝૂઝનારો, ચૂડાસમાઓનાં અભિમાન તોડનારો, દુશ્મનોનાં માન મોડનારો, અને મેદાને જંગમાં બહાદુરીથી લડનારો — એવો હિંદુઓના છત્રરૂપ જે ઘેલોશા, તેને, હે રાજા હરિસંગ! તારે નહોતો પકડવો. ઉચિત તો એ હતું કે એને સતારાની ફોજ સામે લડવા મોકલવો હતો.]


2
નવે ખંડા માંય અસો કીણેરો પ્રધાન નાંહીં,
દાવદારાં લાગે અસાં કામદારાં દાય,
બોત ભૂલ આવી કાંઈ આવડી હભાણી બાબા!
માધાણાકું બેડિયાં મ હોય પાગાં માંય.

[નવ ખંડમાં કોઈને આવો પ્રધાન નથી મળ્યો. પોતાના દુશ્મનોને (સમોવડિયાને) હૃદયમાં સાલે એવું કામદારું કરનાર બીજો કોઈ ન મળે. હે બાપ! હે હરભમજીના પુત્ર (હભાણી)! આવી ભૂલ તું કરી બેઠો? માધાશાના પુત્ર ઘેલાશાના પગમાં કદી બેડીઓ ન શોભે.]


3
થાલ ઢાલ ચોરાશીકી, શત્રાંશાલ થાંકો શેઠ,
થાકાં શેઠ તણી ઘડી દુઝે કેમ થાય!
જાંબુરાય! કડી જેમ લીંબડી લોપાય જે દી’,
માધાણી ઉપાડ્ય તે દી, દીજે ક્રોડાં માંય!

[તારો શેઠ ઘેલાશા કેવો હતો? તારાં ચોરાશી ગામની ઢાલ જેવો ને તારા શત્રુઓનાં હૃદયમાં તીર-શલ્ય જેવો! તારા શેઠની ધડી બીજાથી ન થાય. હે જાંબુ [5] ના ધણી (લીંબડીના સ્વામી)! જેવી રીતે કડી શહેર ઉપર દુશ્મનોએ હલ્લો કર્યો તેવી રીતે તારી લીંબડી ઉપર કોઈ દિવસ હલ્લો થાય ત્યારે સુખેથી તું કરોડો શત્રુઓની સામે ઘેલાશાને ખડો કરજે. એ લીંબડીને લોપવા નહિ આપે.]


4
બીઆ વેરી તણી ધરા રાખણો સાંકળે બાંધી,
નવાલી કરી તેં વાત અનોધી નકાજ!
દોકડાકે લોભે રાજા લોકડાકે કહ્યે દામી,
અસા આદમીકી લાજ લેવે કેમ આજ?

[ઘેલોશા તો તારા બીજા દુશ્મનોની જમીનને સાંકળે બાંધીને કબજે રાખનાર હતો. એવા પ્રધાનને બંદીખાને નાખવામાં આજે તેં અતિશય અનુચિત કૃત્ય કરી નાખ્યું. હે રાજા! કોઈ હલકા શ્રીમંત લોકોની શિખવણીથી પૈસાના લોભમાં પડીને આવા પુરુષની આબરૂ લેવાનું તને કેમ સૂઝ્યું?]


5
ખત્રી વીર વિક્રમ જ્યું અબકો તેં કાગ ખાયો,
કબકો બતાયો જાયો અબકો કુસંગ!
નાથ લીંબડીકા! થાને નાણાંનો ખબકો નાયો,
સબકો ઠપકો આયો રાજા હરિસંગ!

[ક્ષત્રીવીર વિક્રમ રાજા મરવા પડેલો તે વખતે કોઈએ એને સલાહ દીધી કે ‘કાગડાનું માંસ ખાવાથી અમર રહી શકાય.’ એ વીર વિક્રમ જેવા સુજ્ઞ રાજાએ પણ જીવનના લોભમાં પડીને એ શિખવણીને વશ થઈ કાગડો ખાધો. એથી કાંઈ એ બચ્યો નહિ, ઊલટો ભ્રષ્ટ બન્યો. તેવી રીતે તેં પણ આજે કાગડો ખાધા જેવું કૃત્ય કર્યું. ઘણો વખત થયાં તને હલકાં લોકો આવો કુસંગ શીખવતાં હતાં, તે આજે તેં પ્રગટ કર્યો, હે લીંબડીના નાથ! એથી નાણાંની છોળો તારા ઘરમાં ન આવી પડી. (તારા મનમાં એમ હતું કે ઘેલાશાએ તારા રાજમાંથી ખૂબ દ્રવ્ય એકઠું કર્યું છે તે તને મળશે.) પણ ઊલટો તમામ લોકોનો ઠપકો મળ્યો.]


6
શામકો હરામી કામી ગામકો નહોતો શત્રુ,
ફજેતીઓ નાહીં કોઈ કામકો ફજેત,
માર્યા ડંડા જશો વે તો રામકી દુહાઈ માંને!
નાથ લીંબડીકા! થાને થબકો ન દેત.

[ઘેલાશા કાંઈ રાજ્યનો નિમકહરામ લાલચુ નોકર નહોતો, અથવા ગામનો શત્રુ પણ નહોતો, તેમ કોઈ કામમાં તને ફજેત કરે તેવો પણ નહોતો. જો એ મારવા લાયક કે દંડવા લાયક આદમી હોત તો હું રામદુહાઈ ખાઈને કહું છું કે તને હું ઠપકો ન દેત.] દરબારગઢ પડઘા દેવા લાગ્યો : આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઊતરવા મંડ્યા. પણ ગઢવી સામે મુખે થયા નહિ. રોટલા જમવાનું ટાણું હતું; પણ કવિ લીંબડીની ભૂમિમાં ન રોકાયા, ખરે બપોરે ચાલી નીકળ્યા; સામેના સૌકા ગામે જઈને જમ્યા. રાજાજીને વિમાસણ થઈ, ચારણનો ઠપકો વસમો લાગ્યો; પણ ઇજ્જત કેમ જવા દેવાય? ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાશાને છોડ્યા. એ નીતિવાન કારભારીના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઈ જાણી નહોતી. સાઠ હજાર રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આપેલું તે બીજા સાઠ હજારમાં માંડી આપ્યું. પોતાના બે છોકરાને ઘરાણે મૂકીને પોતાના મિત્ર વઢવાણ-ઠાકોર પાસેથી સાઠ હજાર ઉછીના મેળવ્યા! બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર-ઠાકોર પાસે ગયા. લીંબડી-ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યના હાથમાં પડી જઈ મારું સત્યાનાશ વાળશે! એ ડરથી એણે દાજીને પાછા બોલાવી લીધા, દંડ માફ કર્યો, રૂપિયા પાછા દીધા. પણ ગામ તો પાછું ન આપ્યું. ખરેખર ભાવનગર-ઠાકોરે દાજીને જામસાહેબની માફક જ લાલચ આપેલી. પણ નિમકહલાલ ઘેલોશા એમ નહોતા ડગ્યા. દાજી લીંબડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે વેંજારમાં ધીરુબા વાણિયાણીને ઘેર પોતે રોટલા જમવા રોકાણા. ધીરુબાને પોતે બહેન કરેલાં. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને પનાળીમાં ઝેર ખવરાવી દીધું. દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. [6] આજે [1923માં] એમના વંશની ચોથી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યાંગાંઠ્યાં વીઘાં જમીન છે.


  1. કાઠીઓ આ વાતનો ઇનકાર કરે છે.
  2. આ ગોખ સંબંધી હકીકત એવી બની હતી કે તે ગોખ સામે જ શ્રી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયનાં ઉર્ફે ઢૂંઢિયા ધર્મનાં સાધ્વીઓ માટેનો ઉપાશ્રય સ્થાનકવાસી સંપ્રદાયનાં ઉર્ફે ઢૂંઢિયા ધર્મનાં સાધ્વીઓ માટેનો ઉપાશ્રય હતો, તે ઉપાશ્રયના ગોખની સામે આ ઘેલાશાનો ગોખ બંધાવા માંડ્યો. ઘેલાશા પણ ઢૂંઢિયા હતા અને શેઠનું કુટુંબ પણ ઢૂંઢિયા ધર્મ પાળતું હતું. એ ઉપાશ્રય શેઠકુટુંબે જ બંધાવેલો હતો. ઘેલાશાનો ગોખ આ પ્રમાણે સાધ્વીઓ અને ધર્માર્થે બેસતાં બૈરાંઓની સામે જ ચણાય તે સામે શેઠકુટુંબે ઘણો વાંધો લીધો, પણ ઘેલાશા ન માન્યા અને ગોખ બાંધ્યો.
  3. કોઈ કહે છે કે કશિયાભાઈ પોતે નહિ ગયેલા, પણ ગીત રચીને કોઈ બીજા ચારણને કહી સંભળાવવા લીંબડી મોકલેલો. 2 અરિઓનો (દુશ્મનોનો).
  4. ગેલો : ઘેલોશા. (કાવ્યમાં ‘ગ’ ‘ઘ’ વચ્ચે અભેદ છે, ‘ર’ ‘સ’ વચ્ચે છે તે મુજબ.)
  5. જાંબુ લીંબડીનું ગામ છે. અસલ ગાદી ત્યાં હતી.
  6. આવા સ્વામીભક્ત શૂરાને લીંબડીના ઇતિહાસમાં બહુ સ્થાન નથી; કેમ જાણે એવી કોઈ વ્યક્તિ જ કદી હયાત નહોતી!