સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/આલમભાઈ પરમાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આલમભાઈ પરમાર


રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીના વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીનો એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘોડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તો એમણે સાહેબજીનાં ગામડાં પણ દબાવવાનું શરૂ કર્યું. સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દતા ભગતની મોલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈ રહ્યા. એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે. એમના દિલમાં થયું કે ‘મારો ભાઈ નીકળે છે!’ દૂધના કેસરિયા કઢા લઈને, સાકર અને બદામ લઈને, રહીમજીની બરદાસ્ત કરવા સાહેબજી પોતાના કાઠી મિત્રોનો ડાયરો ભેળો કરી મોલડીને પાદર જઈ ઊભા. રાતી આંખવાળા રહીમજી ઘોડા ઉપર બેસી પોતાના ઘોડેસવારોની સાથે નીકળ્યા. સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો, ને ભાઈના ઘોડાની લગામ ઝાલી સાહેબજી વીનવવા લાગ્યા : “ભાઈ! ઊતરો, સાથે બેસીને રોટલા ખાઈએ.” “એલા, તું હજી મરી નથી ગયો?” એમ બોલીને રહીમજીએ પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાંપી દીધી. વીંધાઈને સાહેબજી ભોંય પર પડ્યા. બે પળ પહેલાંની પ્રીતિભરી આજીજી એમના ભક્તિમય, ભોળા મોં ઉપર એમ ને એમ છવાયેલી રહી ગઈ. લાગણી બદલવાનો વખત જ ક્યાં હતો? ‘દગો! દગો! દગો!’ કરતા કાઠીઓ એ ખૂની ઉપર હાથ ઉગામવા તૈયાર થયા, ત્યાં તો હસતે મુખે મરતા સાહેબજીએ તરફડતી જીભે સમજાવ્યું : “ના, મારી છેલ્લી ઘડી બગાડશો મા.” મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયો. સાહેબજીના મુડદાને દફનાવવા માટે એનાં ઠકરાણી ગાડાં જોડાવીને રાતોરાત રાણપુર આવ્યાં. પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય. આખરે એમને નોખી જગાએ દફનાવવામાં આવ્યા. રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી એ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે. સાહેબજીના કુલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ. સાહેબજીના એકના એક બેટા આલમભાઈનો જીવ જોખમમાં છે એવો વહેમ એમની નિરાધાર વિધવા માતાને પડ્યો. આલમભાઈને ક્યાંય બહાર કાઢવામાં આવતો નથી. માએ પુત્રને પૂછ્યું : “બેટા, આપણી બહેન માણેક બાઈને ઘેર વીરમગામ જઈશ?” બહેનને ઘેર જવાની હોંશમાં ને હોંશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉંમર હજુ અગિયાર જ વરસની છે. એ બોલ્યો : “માડી, ખુશીથી. ઘોડો આપો, હું જઈશ.” અગિયાર વરસના એકના એક દીકરાને અંધારી રાતે માએ મીઠડાં લઈને પરગામ વળાવ્યો. સાથે માણસ મોકલે તો શત્રુ ઓળખી જાય, એટલે આલમભાઈ રાતદિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો. અને બહેનને ગામ પહોંચ્યો, ત્યાં તો રાજબાળની એકેય એંધાણી એના દીદાર ઉપર ન રહી. બનેવી સાલેભાઈ વીરમગામના અમીર હતા. ડેલીએ આરબોની એવી ચોકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે. ચીંથરેહાલ આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા. જે અંદર જાય તેની સાથે કહેવરાવે : “બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું.” સાંભળીને લોંડાં હસતાં જાય. પણ બહેનની સાથે રાણપુરથી બે વડારણ ગઈ હતી. એણે આલમભાઈને ઓળખ્યો. સોનાની હીંડોળાખાટે હીંચકતી બહેનને ખબર આપ્યા : “બા, ભાઈ આવ્યા છે. પણ બહુ બૂરે હાલે બેઠા છે.” બીજાં ગોલાં હસીને બોલી ઊઠ્યાં : “ઓલ્યો રાંકો ડેલીએ બેઠો છે એ બેગમસાહેબનો ભાઈ?” બહેનને લાગ્યું કે મારા ભાઈએ મારી હાંસી કરાવી. ભાઈને મળવાની એણે ના કહી. ખાવા માટે શકોરામાં કઢી અને જુવારનો રોટલો મોકલ્યાં. આલમભાઈએ આંખનાં પાણી લૂછીને રોટલાને પગે લાગી કહ્યું : “અન્નદેવ! બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તરછોડાય.” બટકું રોટલો ખાધો, બાકીનો ત્યાં જ દાટ્યો, અને ઘોડે ચડી પાછો ચાલી નીકળ્યો. પાછળથી બનેવી ગામતરેથી આવ્યા. એણે પોતાના સાળાને જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહિ. રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો.

“અમ્મા, આમ બીતાં બીતાં ઘરને ખૂણે ક્યાં સુધી સંતાઈ રહું? આજે તો ચોરે જવા દે. ખુદા જે કરે તે ખરું, મારી નાખશે તો છુટકારો થશે.” એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયાળે ચોરે ડાયરામાં આવ્યો. એ ચોરાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બેસતો, અને બીજામાં અભુભાઈ કુરેશીનો. બુઢ્ઢા અભુભાઈનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઈના કુળમાં દોઢસો-દોઢસો ઘોડેસવાર રાખીને ચાકરી કરતું. આજ રાણપુર તાલુકો રહીમભાઈના હાથમાં ગયો છે, પણ અભુભાઈએ રહીમભાઈની તાબેદારી સ્વીકારી નથી. એનું બેસણું પણ નોખું જ છે. એકાંતમાં બેસીને અભુભાઈ પાણીડાં પાડે છે : “શું કરું? મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું બધું કૌવત હરી લીધું છે, નહિ તો મારો બાળ ધણી કાંઈ આમ રઝળે?” “આવ, બાપ આલમભાઈ! આવ, મારા ધણી!” એમ કહીને બુઢ્ઢા અભુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી લીધો; અને માથે ને મોઢે પોતાનો ધ્રૂજતો હાથ ફેરવ્યો. સામી પરસાળેથી રહીમભાઈ બોલ્યા : “ત્યારે તો તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને, મિયાં!” “તમારા મોંમાં સાકર, રહીમભાઈ! એલા કોઈ છે? જાઓ, ઓરડેથી એક ચાકળો લઈ આવો.” ચાકળો આવ્યો. આલમનું કાંડું ઝાલીને અભુભાઈએ એને ચાકળે બેસાડ્યા, પોતાની તરવાર એના સામે ધરીને તાજમ કરી : “બાપુ, સલામ.” રહીમભાઈએ પણ સામી પરસાળે મશ્કરીમાં ઊઠીને કહ્યું : “બાપુ! સ....લ્લા...મ!” અભુભાઈ બોલ્યો : “બાપુ, રહીમભાઈની સલામ લ્યો.” આલમભાઈએ સલામ લીધી. તે દિવસે અભુભાઈને ઘેર લાપસીના રંગાડા ચડ્યા. આખા ગામને અભુભાઈએ જમાડ્યું. આલમભાઈ અભુભાઈના રમકડા જેવા રાજા થયા! તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ ફરતી. દર વરસે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા આંહીં આવતા. તેમને ધોળકાથી લઈ હરીણા નીનામા ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબારો ઉપર હતી. અભુભાઈ કુરેશી પોતાના બાળારાજાને સાથે લઈને ધોળકે ગયા. જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી. દામાજી રાણપુર આવ્યા. એમની આજ્ઞાથી મરાઠાઓ રહીમભાઈને પગે રસ્સી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા. દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો : “મારે એનું મોં નથી જોવું. એને કાંધ મારો.” “ન બને, એ ન બને.” કરતો જુવાન આલમભાઈ આડો પડ્યો. દામાજીએ કહ્યું : “બચ્ચા, એણે તો તારા બાપને કાપી નાખ્યો છે. એના ઉપર દયા હોય?” “મહારાજ, મરેલો બાપ હવે જીવતો નહીં થાય, પણ મારા કાકાના મૉતથી તો અમારી સો પેઢી લગી વેર જીવતું થશે. ગમે તેવો તોયે એ મારો કાકો છે.” રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા. આલમભાઈની ચોવીસી પાછી આલમભાઈને ઘેર આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂક્યું. એના ખર્ચ બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું. આંહીં આલમભાઈનો દિવસ ચડ્યો, ને વીરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની હીંડોળાખાટના મીઠા મીઠા કિચૂડાટ બંધ પડ્યા. લાજીને બહેન-બનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાર્યા વિના આલમભાઈએ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એના વંશજો ખાય છે.

છૂટો થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો. એના હાથમાં વઢવાણનો ઝાલો રાજા સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને એણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જિતાડું. સબળસિંહની સવારી ચડી. સીમાડે બુંબાડ પડ્યા. આલમભાઈ કિલ્લો છોડી ગામમાં આવ્યા. વસ્તીને કહ્યું : “પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાઓ.” વસ્તી કિલ્લામાં પેસવા લાગી. આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા. સબળસિંહની સેનાનો ડમ્મર ચડ્યો તોય આલમભાઈ ન ખસ્યા. ઘોડાના ડાબલા ગાજ્યા તોય આલમભાઈ કોઈ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા. એ કોની વાટ જોતા હતા? એક ડોશીની! ડોશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી, ને કહેતી હતી : “એ બાપુ, જરા ઊભા રહેજો! જરા ખમજો!” આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી. આલમભાઈને અને સેનાને ભેટંભેટા થઈ. સૈન્યને મોખરે અગરસિંગ નામનો સરદાર ચાલતો હતો, તેને જોઈને આલમભાઈએ પોતાના મછા નામના યોદ્ધાને કહ્યું : “હે મછા! તારી બરછી ફરી ક્યારે કામ આવશે? માર અગરસિંગને.” પોતાના ધણીની છેલ્લી આજ્ઞા પાળીને મછો રાણપુરની બજારમાં જ મૉતની રાતીચોળ પથારીમાં સૂતો. આલમભાઈ અને એના સાથીઓએ કિલ્લાનું શરણ લીધું. ધબોધબ દરવાજા બંધ થયા. સબળસિંહે રાણપુર ગામમાં જ માટીનો કિલ્લો કરી મોરચા બાંધ્યા. આલમભાઈના કિલ્લાને તોડવાનું એનું ગજું નહોતું. એક દિવસ આલમભાઈ નાઠાબારીએ થઈને ધોળકા પહોંચ્યા. દામાજી ગાયકવાડને વાત સંભળાવી. દામાજીનું સૈન્ય ચડ્યું. એ સાંભળીને સબળસિંહ રાણપુરથી બે ગાઉ દૂર પોતાના નાગનેશ ગામના કિલ્લામાં જઈને ભરાયો. દામાજીરાવે નાગનેશને ઘેરો ઘાલ્યો અને ગઢ તોડવા માટે અમદાવાદથી મહાકાળી ને મહાલક્ષ્મી નામની બે તોપો મંગાવી. બળદનાં સો-સો તરેલાં જોડાય ત્યારે જ તાણી શકાય એવી એ બે તોપો નાગનેશની નદીમાં આવીને અટકી ગઈ. પછી દામાજીરાવે બન્નેની પૂજા કરી. સિંદૂર અને ફૂલ ચડાવ્યાં. તોપો સડેડાટ સામે કાંઠે ચડી. તોપો વછોડવાનું મુરત જોવરાવ્યું. બરાબર પૉ ફાટવાનો સમય મુરતમાં નક્કી થયો. દામાજીરાવે હુકમ કર્યો : “ધોળી ધજા લઈને ગામના ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપો ચાલશે. ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન વછૂટી જાય માટે કાનમાં સૂંઠનાં પૂમડાં કરીને ઘાલે. ખબર આપો બાળકોને, બુઢ્ઢાઓને કે થડકે નહિ.” બીજી બાજુ સબળસિંહને એક વધુ ખબર પડી. ગઢના ચારેય કોઠાની અંદર, થાળીઓમાં મગ મુકાવ્યા હતા તે મગના દાણા, એક દિવસ થરથરવા મંડ્યા. સબળસિંહ સમજ્યો કે દરબારગઢની નીચે સુરંગ ખોદાય છે. ઉપરથી બાકોરું પાડી, પાણી રેડી, સુરંગને નકામી કરી નાખવા તૈયારી થઈ; પણ ગામની વસ્તીએ ખાણો કરી કરી જાર ભરી હતી તે ટળી જાય, માટે લોકોએ ના પાડી. ભળકડું થયું. બધા કહે : “મહારાજ, હવે તોપો વછોડો.” મહારાજ કહે : “ના, હજુ ઝાડ ઉપર પંખી નીંદર કરે છે. એને ફડકો નહિ પડાવું. સૂરજને ઊગવા દ્યો.” સૂરજ ઊગ્યો ને તોપો ગડેડી : ધુબ્બાંગ! ધુબ્બાંગ! ધુબ્બાંગ! અને નાગનેશનો ગઢ ભાંગીને ભૂકો થઈ ગયો. સબળસિંહ પકડાયો. એ ટાણે બે રજપૂતોએ એને પડખે ચડીને કહી દીધું : “તમે તમારે કેદમાં જાઓ. અમે હમણાં વાણિયાને વેશે આવીને દામાજીને અને આલમભાઈને રેં’સી નાખશું.” સ્નાન કરતાં કરતાં દામાજીએ હુકમ દીધો : “સબળસિંહને ઝાડ નીચે લઈ જાઓ ને ઝાટકે મારો.” આલમભાઈએ ચીસ નાખી : “મહારાજ, ન બને, એમ ન બને.” “કેમ?” “શેતરંજની રમતમાં જે લાકડાનો રાજા હોય છે એને પણ મારવાની મના છે, તો પછી આ જીવતાજાગતા મનુષ્યાવતારને, આ લાખોના પાળનારને કેમ મરાય, મહારાજ?” બંદીવાન સબળસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોંની સામે જોઈ રહ્યા. દામાજીરાવનું દિલ પણ નરમ થયું. ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા, મારપીટ કરતા, બૂમબરાડા પાડતા ચાલ્યા આવે છે. મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે આવે છે. લગોલગ આવી પહોંચ્યા ત્યારે કૃતજ્ઞી સબળસિંહે રાડ પાડી : “મહારાજ! આ દગો છે, મારા રજપૂતો વાણિયાને વેશે તમને મારવા આવે છે.” દામાજીરાવ નહાતા હતા. શરીરે પૂરો પોશાક પણ નહોતો. આલમભાઈ પાસે પણ એક છરીયે નહોતી. રજપૂતો પોતાની જાંઘમાં છુપાવેલી કટારો કાઢી મહારાજની સામે દોડ્યા ત્યાં તો આલમભાઈએ દોટ કાઢી બેયની ગરદન અક્કેક હાથમાં ઝાલી, બેયનાં માથાં સામસામાં પટકીને ચૂરેચૂરા કરી નાખ્યાં. મહારાજ બોલ્યા : “રંગ છે, આલમભાઈ! અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલિયા છો; પણ ના, તમે શરીર પણ સાધી જાણ્યું છે.” આલમભાઈએ આસમાનની સામે જોઈને માથું નમાવ્યું. “આલમભાઈ, મારો જીવ બચાવ્યો તેની જુગોજુગ યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું.” “મહારાજ, એમ થાશે તો ભવિષ્યમાં કોઈક દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તો ધર્માદાનું ગામ ખાય છે. માટે જમાબંધી કાઢી નાખવા તો નહિ દઉં.” આખરે આલમપુરની જમાબંધી એક આંકડે રૂપિયા ચારસો બાંધી આપ્યા. તે જ જમા હજુ સુધી આબાદ છે. આલમપુરનાં તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યા. પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહે છે. આ આદમી હતો ખોજો નામે એક હજામ. અબોલ ખોજો મૂંગે મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો. પથારી પાથરતો, હોકો ભરી આપતો, મશાલ પેટાવતો, વાળુ કરાવતો. દાયરામાં આલમભાઈ કહેતા : “આ દુનિયા ફાની છે. મારી મગરૂરીને ખાતર મેં મારા નામનું ગામડું વાસ્યું છે, પણ મારાં સુખદુઃખોનો સાચો દોસ્ત આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભુલાઈ જાશે? મારા ભેળો ને ભેળો મૂંગો મૂંગો તડકાછાંયા વેઠનાર એ હજામ ભુલાઈ જાય તો પછી હું શા સબબથી યાદગાર રહું? ખોજા! તારા નામનું પણ એક ગામ વાસવું છે. આલમપર ને ખોજાપર ભેળાં જ બોલાશે; એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે; તને હું નહિ તજું.” ડાયરાએ હાંસી કરી : “બાપુ, હજામના નામનું ગામ! રાજરીત શું ઊંધી વળી ગઈ?” “ખુદાની રીત જ ખરી છે, ભાઈ! ખાવંદની નજરમાં કોણ છે આલમભાઈ, કોણ છે ખોજો હજામ?” આલમભાઈએ આલમપુરની સામે જ ખોજાપરનાં તોરણ બાંધ્યાં.

“બાપુ! કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કંઈક ભેદ કળાય છે. દીવાલને કાન દઈને ઊભા રહીએ તો માલીપા રોવાના અવાજ આવે છે.” સૂકભાદર અને ગોમા, એ બે નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા, સામા કાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ. આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી. એમનો બીજો હાથ તુરત જ સમશેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર — મરદ, ઓરત અને બાળબચ્ચાં ઉપર — મરાઠો સૂબો સિતમ ગુજારી રહ્યો છે. સૂબાની બદલી થઈ છે. ગામના વાણિયાનું મોટું દેણું ચડેલું છે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સૂબાએ ખાલી ખિસ્સાં દેખાડ્યાં, એટલે વાણિયાએ એક બાજુથી ડારો દીધો કે૰ ‘હું ઠેઠ વડોદરા જઈને દાદ માગીશ.’ ને બીજી બાજુ તરકીબ બતાવી કે ‘આ જાય બોટાદનો લખપતિ વાણિયો : પકડ ને રસ્તામાંથી! માગીશ તેટલું મળશે!’ આ પરથી મરાઠા સૂબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે, પણ વાણિયો માનતો નથી. પછી બોલાવ્યાં છે એનાં બાયડીછોકરાંને. બાયડી અને બચ્ચાં ચોધાર પાણીડાં પાડતાં ઊભાં છે. સૂબાએ તો ધમકી બતાવી છે કે ‘તારાં છોકરાંને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઈશ.’ આલમભાઈ ઊભા થયા. પાછળ ચારેય દીકરા પણ ચાલ્યા. નદીને કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું : “દીકરાઓ, મારો આખો વંશ ચાલ્યો જવા નહિ દઉં. માટે બે જણા પાછા વળો.” લાખોજી અને ડોસુજી કચવાતા પાછા ગયા, તોગાજી અને બાપુજી સાથે ગયા. સૂબાને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે. સૂબાએ ગઢ બંધ કરાવ્યો, અને આલમભાઈ પોતાના પુત્રો સાથે દોઢીમાં દાખલ થયા કે તુરત જ દોઢીના દરવાજાને બંધ કરી, અંદરથી ખંભાતી તાળું મારી, ગઢની હૈયારખી ઉપર થઈને દરવાન અંદર ચાલ્યો ગયો. દોઢીમાં કેદ થયેલા ત્રણેય પરમારો ઉપર કિલ્લાના મોરચામાંથી બંદૂકોનો મારો ચાલ્યો. ત્રણેય જણા ઘાવાખાનામાં [1] પેસી ગયા. બંદૂકોના ધુબાકા સાંભળતાં તો ગામમાં એક સ્વામી આવેલા તે પોતાના સાઠ ચેલાઓને લઈ આલમભાઈની વહાર કરવા બહાર નીકળ્યા. એ ભગવા વસ્ત્રની પાછળ આખી વસ્તી નીકળી. કિલ્લાની બહારથી હાકલા-પડકારા થવા માંડ્યા : “બાપુ! મૂંઝાશો મા. હમણાં બારણાં તોડીએ છીએ.” પણ એ તોતિંગ બારણાં કેમ કરી તૂટે! અંદરથી ગોળીઓનો વરસાદ ઝીંકે છે તેમાં થઈને દરવાજામાં જવું શી રીતે? આલમભાઈ મૂંઝાયા છે. તે વખતે દીકરો તોગાજી બોલ્યો : “બાપુ, હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા, વખત આવે ત્યારે જોર બતાવજે. આજ એ વખત આવી પહોંચ્યો છે. આપને મોંએથી ‘ફતેહ’ ઉચ્ચારો, ને પછી જુઓ, હું તાળું તોડું છુ કે નહિ!” “જા બેટા, ફતેહ કર.” માથા ઉપર ગેંડાના ચામડાની ઢાલ ઢાંકી, હાથમાં તરવાર લઈ તોગોજી દરવાજામાં આવ્યો. અંદરથી ભડોભડ ગોળીઓ ઢાલમાં લાગી, પણ તોગાજીને ઈજા ન થઈ. પોતાના બે પગ ભરાવીને એણે દરવાજાના ખંભાતી તાળાને બે ભુજાથી એવું મરડ્યું કે આંકડિયો નીકળી પડ્યો. ધબ દઈને તાળું નીચે પડ્યું. સાંકળ ખોલી નાખી ને આખી મેદની ‘મારો! મારો!’ એવો દેકારો કરતી અંદર દોડી આવી. ‘રંગ તોગુભા! રંગ તોગુભા!’ કરતા જ્યાં બધા તોગાજી સામે જુએ ત્યાં તો તોગાજીની આંખોનાં બેય રતન બહાર લબડતાં હતાં, ને એને રૂંવાડે રૂંવાડે લોહી ટપકતું હતું. “ભાઈને ઘેર લઈ જાઓ,” એવા પોકારો સાંભળીને તોગાજી બોલ્યો : “અંદર જે નિર્દોષ પુરાણાં છે એમને છોડાવ્યા વિના હું આંહીંથી નહિ ખસું. હું આલમભાઈ પરમારનો દીકરો છું. આંહીં જ મરીશ.” અંદર શું થઈ રહ્યું છે? એક આરબ સરદાર પોતાના સો સવારો સાથે કિલ્લામાં મહેમાન આવેલો. એની એ સો સાંઢ્યો બહાર દોઢીમાં બાંધી રહી છે. આરબોને બીક લાગી કે ગામલોકો સાંઢ્યોને હાંકી જશે. સૂબાને એણે કહ્યું : “મારી સાંઢ્યોને અંદર લેવા દે, નહિ તો બંદૂકો હાજર છે, હું ધીંગાણું કરીશ. મારી જીવ સાટેની મોંઘી સાંઢ્યોને હું નહિ ગુમાવું.” સૂબો ડર્યો. દરવાજા આડાં તરવારો, બંદૂકો ને ભાલાં ગોઠવ્યાં. પછી અર્ધું કમાડ ઉઘાડ્યું. જ્યાં પહેલી સાંઢ્યને અંદર દાખલ કરી, ત્યાં આલમભાઈએ સાંઢ્યને ઓથે રહીને પોતાના માણસો સાથે ધસારો કર્યો. સાંઢ્ય ભાલામાં વીંધાઈ ગઈ, માણસો બચ્યાં. સૂબો ભાગ્યો. આલમભાઈએ સૂબાને પકડી, પછાડી, છાતી ઉપર ચડી, તરવાર કાઢી કહ્યું : “જો, આટલી વાર લાગે. પણ જા, કમજાત! તારે ખંભે જનોઈ ભાળીને હું ભોંઠો પડું છું!” નિર્દોષ વાણિયાનાં બાળબચ્ચાંને છોડાવી પરમારો ઘેર ગયા. દીકરો તોગાજી જિંદગીભર અંધ રહ્યો.



  1. દોઢીના ચોકીદાર આરબોને કાવો કાઢવાની ઓરડીઓ.