સ્વરૂપસન્નિધાન/જીવનકથા-મણિલાલ પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જીવનકથા

મણિલાલ પટેલ

જગત સાથે વ્યવહાર કરતો માણસ જે આઘાત-પ્રત્યાઘાત અનુભવે છે, જે ભાવ-પ્રતિભાવ કે સંવેદના અનુભવે છે એ એનું જીવન સાહિત્યની સામગ્રી છે. સાહિત્યનાં વાર્તા, નવલકથા, નાટક ઇત્યાદિ સ્વરૂપો કાલ્પનિક માનવોની કલ્પિત જીવનલીલાની વાતને નિરૂપે છે; જીવનકથા ચોક્કસ સ્થળકાળમાં જીવી ગયેલાં ચોક્કસ માનવીઓની જીવનચર્યાનું શક્ય એટલા વિસ્તારથી સાહિત્ય-ભાષામાં વર્ણન કરી આપે છે. જીવનને શણગારીને, વધારી-વિસ્તારીને અહીં એનું fiction રચવામાં આવે છે. એનાંય અન્ય સ્વરૂપોમાં હોય છે તેમ ચોક્કસ સર્જકધ્યેયો હોય છે. એમાંય અ-પૂર્વ સંયોજનાઓનો,નિરૂપણરીતિની નવીનતાનો મહિમા હોય છે. જીવનકથામાં જીવનને એના નર્યા કે નરવા, જેવું હોય કે હતું તેવા સ્વરૂપમાં, વાસ્તવિકતાની ભોંય ઉપરથી નિરૂપવામાં આવે છે. સર્જક એમાં કશા પ્રપંચો કરતો નથી, રચનાની માયાજાળ ઊભી કરતો નથી, મોટેભાગે સીધી કથનપદ્ધતિએ બધું વર્ણવતો જાય છે. પણ આ કામમાં હંમેશાં સરળતા હોતી નથી. ને લેખકને એની સર્જનાત્મક આયોજનાનો અધિકાર તો અહીં પણ આબાધિત હોય છે. મૅથ્ય આર્નોલ્ડે –

“Literature is the criticism of Life.” – કહેલું એ માત્ર લલિત વાડ્મયને કે fictionને જ લાગુ પડે છે એવું નથી, જીવનકથા માટે ય એ એટલું જ, બલકે વધારે સારું છે. કારણ કે જીવન અને સત્ય ઉભયની સમીક્ષા, પ્રત્યક્ષ અને પ્રમાણભૂત સમીક્ષા જીવનકથામાં હોય છે એવી ને એટલી સાહિત્યના બીજા સ્વરૂપમાં તો ભાગ્યે જ હોય છે. ૧૬૮૩માં જ્હોન ડ્રાયડને Biography એવો શબ્દપ્રયોગ જીવનકથા માટે કરેલો. આપણે ત્યાં નર્મદે ‘જન્મચરિત્ર’ કે ‘ચરિત્ર વિદ્યા' જેવા શબ્દો અને નવલરામે ‘જીવનચરિત્ર' શબ્દ પ્રયોજ્યા હતા. આપણી ‘જીવનકથા’ને એક સદી માંડ માંડ થઈ છે. આમ તો એ નવલકથાની લગભગ સાથે સાથે પશ્ચિમમાંથી આવી, સ્વીકારાઈને લખાવા માંડી. પણ નવલકથાના વિકાસ કરતાં એનો વિકાસ ઘણો ઓછો, નબળો ને લગભગ નગણ્ય રહ્યો છે. આમ કેમ? સાહિત્યપ્રકાર તરીકે એ સક્ષમ છે, એના લેખકે ઝિલવાના પડકારો પણ ઘણા નોંધનીય છે ને વિષયક્ષેત્ર પણ અમર્યાદ છે છતાં એ એક શુષ્ક સાહિત્ય સ્વરૂપ લાગે છે. જો કે આવી શુષ્ક કૃતિઓ એના લેખકની અલ્પસમૃદ્ધ ભાષા શક્તિ કે આયોજનશક્તિનું પરિણામ રહી છે એમજ કહેવું ઘટે. બાકી જીવનકથામાં પણ નવલકથાની જેમ રસાત્મકતા, આનંદ, નિરુપણશક્તિ, સમજણ, વિવેક, ભાષાપ્રયોજના ઈત્યાદિ ગુણોની અપેક્ષા હોય છે ને એ સારી કૃતિઓમાં સંતોષાયેલી જોવા મળી છે પણ ખરી. નવલકથામાં માણસને જે રીતે માણસમાં રસ પડે એ જ રીત જીવનકથાના વાચક એવા માણસને પણ માણસમાં માણસને રસ પડે એવો જ રસ પડતો હોય છે. નવલકથા આખરે જિન્દગીને નિરૂપતું જ પુસ્તક છે. જેમ્સ અને લોરેન્સના જમાનામાં નવલકથાના સ્વરૂપને ખૂબ આવકાર મળેલો એ ઉક્ત કારણે. નવલકથાનું સ્થાન ઊચું હતું એવા એ દિવસોમાં નવલકથાને કાલ્પનિક એટલે કે નહીં જન્મેલા પાત્રોની જીવનકથા તરીકે જોવામાં આવેલી. નવલકથા અને જીવન વચ્ચે સો ગાલ્લાનો ભેદ છે, પણ ઉક્ત સંદર્ભમાં એ બે વચ્ચે સામ્ય તો સમજવાની વસ છે અને એ સમજ્યા પછી સામાન્ય રીત એટલું સ્પષ્ટ થાય છે કે નવલકથા ખૂબ વિકસી ત્યારે જીવનકથાઓ અનિવાર્યપણે લખાઈ હોય તો જ, અને તેટલી જ મળવાની. જીવનકથાનો લેખક fictionના લેખકની જેમ પોતાની ગરજે કે સર્જક કૃતિ રચવાની કલ્પનાથી લખતો નથી. વિષયની યોગ્યતા, સમાજ અને સમયની અનિવાર્યતા – આ ત્રણે પરિબળોમાંથી એકાધિક પરિબળ એને પ્રેરે ત્યારે જ એ જીવનકથા લખવાનો, ને એવી અનિવાર્યતામાંથી જન્મેલી જીવનકથાનું જ મૂલ્ય હોવાનું. પ્રસંગોપાત, જુદાં જુદાં કારણોસર, જુદાં જુદાં ક્ષેત્રોની સામાન્ય વ્યક્તિઓ વિશે નર્યા પરિચયાત્મક જીવનકથાનકો લખાય એનું ઝાઝું મૂલ્ય હોતું નથી. એવાં કથાનકો બધે જ લખાય છે કેમકે એનો કેળવણીપરક અને ઉપદેશ-બોધ વિષયક ઉપયોગ હોય છે. પણ આવાં કથાનકોને ભાગ્યે જ જીવનકથા કહેવાશે. ડ્રાયડને જીવનકથાને – “History of particular men's lives.” કહ્યાનું ડને નોંધ્યું છે.2 એમાં વિશિષ્ટ વ્યક્તિઓનું જીવન કે જીવનનો ઇતિહાસ એવો નિર્દેશ પડેલો છે. પણ ‘વિશિષ્ટ વ્યક્તિ’વાળી વાત અગત્યની છે. કાકાસાહેબ કાલેલકરે પણ ‘સ્મરણયાત્રા'ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે કોઈપણ, નાનો કે મોટો માણસ પોતાની આત્મકથા લખી શકે છે, શરત એટલી જ કે એને એ રસિક રીતે કહેતાં આવડતી હોય. જીવનકથા માટે પણ આ વાત કોઈને લાગુ પાડવાનું મન થાય. પણ આ સો ટકા સ્વીકાર્ય ન પણ બને. સામાન્ય રીતે જીવનકથા એવી વિશિષ્ટ વ્યક્તિની લખાય છે જેની પાસેથી દુનિયાએ શીખવાનું હોય છે. જેને વિશે દુનિયાએ જાણવાનું હોય છે ને જેને વિશે લખવું, એ સમય અને સમાજના સંદર્ભમાં અનિવાર્ય પણ હોય છે. વળી એવી વ્યક્તિના જીવન નિરપણથી ‘જીવનકથા’નું સાહિત્ય સ્વરૂપ પણ ગજું પ્રગટાવી શકે છે. સર્જકની કસોટી પણ આવા જ નાયકોના આલેખનમાં થતી હોય છે. “A true biography is the narrative from birth to death of one man's life in its outward manifestations and inward workings.” ડનની આ વ્યાખ્યામાં બાહ્ય આવિષ્કારો અને આંતરિક વૃત્તિવ્યાપારો સમેતના જન્મથી મૃત્યુ સુધીના સમગ્ર જીવનને આવરી લેવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિનું સમગ્રજીવન, એની પશ્ચાદ્ભૂ, એનાં સ્થળકાળ, એનાં વાણીવર્તનો, આચારવિચાર, પરિસ્થિતિઓ અને સંઘર્ષો, દુઃખદર્દ અને એની સુખાવસ્થાઓ, એના પરિચયમાં આવેલી વ્યક્તિઓ, એણે ઝીલેલી અસરો અને દાખવેલી પ્રતિભા – એમ સર્વ કંઈ જીવનકથામાં પ્રવેશવા તત્પર હોય છે અને એમાં એ બધાંને સમાવી પણ શકાય. ઉપરાંત એમાં યુગની છબી પણ ભળવાની, કારણ કે વ્યક્તિનું જીવન સમાજથી જૂદું નથી પાડી શકાતું, બલકે એ અકાટ્ય હોય છે. આપણે આગળ જોઈશું કે સામગ્રી તો અઢળક હોય છે પણ જીવનકથા-લેખકે મોટો વિવકે કરવાનો હોય છે. આન્દ્ર મોર્વા કહે છેઃ “Biography is the story of the evolution of a human soul”4 અહીં માનવઆત્માના વિકાસની વાતનું સૂચન જીવનકથાનાયકની આંતરિક સમૃદ્ધિને ચીંધે છે. જીવનકથાનાયકનું બહિર્ગત જીવન જ નહીં એની હૃદયશ્રી, ભાવશ્રી પણ બરાબર પ્રગટવી જોઈએ, એવું અહીં સૂચન છે. માણસ નખશિખ સારો જ કે નખશિખ ખરાબ જ હોય છે એમ તો ભાગ્યે જ બનવાનું મહાન માણસમાં પણ કેટલીક મર્યાદાઓ હોય છે. ઘણી વાર તો મોટા પર્વતોની વચ્ચે મોટી ખીણો પણ હોય છે. માણસને મર્યાદા તો હોવાની જ. એની આવી મર્યાદાઓના વર્ણન વિના જીવનકથા પૂર્ણ કેમ થઈ શકે? નાના કે નિર્બળ માણસમાં કેટલીક મહાનતાઓ પણ હોવાની, એમની આવી માનવીય સમૃદ્ધિ પણ અનિવાર્યપણે વર્ણવાતી હોય છે. માણસનું ભીતરી જીવન, એનાં મનઃસંચલનો, એની આંતરિક સંવેદનાઓ, સંઘર્ષો વિના જીવનકથા અધૂરી જ ગણાવાની, બાહ્ય પરિસ્થિતિઓ સામે ટકરાતા કે સમાધાન કરતા કથાનાયકની મન:સ્થિતિ જાણવી પડે છે. જાણીને એનું વિશ્લેષણ કરવાનું ને પછી નાયકની વિશેષતા કે મર્યાદા તારવી બતાવવાનું કામ પણ જીવનકથા-લેખકે કરવું પડતું હોય છે. "Biography is the faithful portrait of a soul in its adventures through life."5 જીવનમાં જીવતા, સહન કરતાં કરતાં માણસ ઘડાય છે. એનાં સાહસો, એની ભૂલો, એનાં ઉત્તમ કાર્યો ઇત્યાદિથી એની એક છબી ઉપસી આવે છે. જીવનકથાકારે કથાનાયકની, એના આત્માની આવી સાચુકલી છબી ઉપસાવવાની હોય છે. છબીમાં જેમ છાયાપ્રકાશનું મહત્ત્વ હોય છે એવું વ્યક્તિજીવનમાં પણ બને છે. નાયકની ઉજળી અને કાળી બંને બાજુઓ મળીને એનું જીવન બને છે, જેમ છબી પણ છાયાપ્રકાશની બેવડીભાતથી જ આકર્ષક ને સંપૂર્ણ બને છે તેમ જીવનકથા પણ કથાનાયકની વિલક્ષણતાઓ અને મર્યાદાઓના યોગ્ય વર્ણનથી આકર્ષક અને પૂર્ણ બનવાની, નાનામાં નાના પ્રસંગનું મૂલ્ય હોઈ શકે, ને મોટામાં મોટી ઘટના વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર કશોય પ્રકાશ પાડવામાં નિરર્થક પુરવાર થાય, એમ બને. એટલે જીવનકથા લેખકે સોનું શોધવા બધી જ રેતી ચાળવાની, બધા જ પ્રસંગોમાંથી પસાર થવાનું ને પછી પરીક્ષણને અંતે યોગ્ય પ્રસંગોનું યથાર્થ નિરૂપણ કરવાનું હોય છે. જીવનકથાકારનું કામ ધીમે ધીમે મુશ્કેલ બનતું જતું હોય છે. એ દુષ્કર કાર્યને પાર પાડવા મથતો હોય છે. જીવનકથામાં કથાનાયકની સિદ્ધિઓ, એ સિદ્ધિઓ મેળવતાં પડેલી વિટંબણાઓ; અન્ય વ્યક્તિઓ કે ઘટનાઓ તરફના કથાનાયકના પ્રત્યાઘાતો કે પ્રતિભાવો વગેરે નિરૂપવાનાં હોય છે. “A Biography may be defined as the story an individuals life in its objective reactions as well as its subjective realisations.” જીવનકથાનો ઉદ્દેશ પણ એવો જ હોય છે કે જીવનકથાનાયકે શી શી સિદ્ધિઓ કેવી કેવી રીતે મેળવી છે એમાં એને કઈ કઈ મુશ્કેલીઓ નડી છે, એને અવરોધક વ્યવધાનો કેવાંક હતાં, એ બધાંને એ કેવી રીતે પાર કરે છે તે દર્શાવી આપવાનું જીવનકથાકારનું લેખક તરીકે પાયાનું કર્તવ્ય બની રહે છે. સિદ્ધિ અને અસિદ્ધિનું મૂલ્યાંકન કૃતિ અને નાયક ઉભયને પૂર્ણ સ્વરૂપે રજૂ કરે છે. કથાનાયકની અગ્નિપરીક્ષાઓનું વર્ણન જો એમાં ન હોય, એની મર્યાદાઓનું કે એના પડછાયાઓનું વર્ણન જો એમાં ન હોય તો જીવનકથા એટલે અંશે અધૂરી અને ભ્રાન્ત લાગવાની. ઉક્ત આગ્રહો અને શરતોને અંતે, જીવન કથા પણ સાહિત્યસ્વરૂપ છે એ મુદ્દો ભુલાવો ન જોઈએ, બલકે એ મુદ્દો ઘણો જ મહત્ત્વનો છે. જીવનકથાને “The history of the lives of individual men as a branch of li-rerature.” કહીને પણ ઓળખાવવામાં આવી છે. અહીં ‘બ્રાન્ચ ઑવ લિટરેચર’ શબ્દો ઘણાં જ મહત્ત્વના છે. જીવનકથા સાહિત્યસ્વરૂપ છે. જીવનકથાને સાહિત્યિકતાનો દરજ્જો આપવા માટે એના લેખકમાં સર્જકકર્મની ગુંજાયેશ હોવી ઘટે. રસાત્મકતા લાવવા માટે એણે રચનાગત અને શબ્દગત પ્રયુક્તિઓ કરવી પડે. પ્રસંગોને પસંદ કરવા, એને પ્રમાણી જોવા, અને યોગ્ય રીતે ઘાટ આપીને અસરકારક ભાષામાં વર્ણવવા, એમનો ક્રમ કથાનાયકના ભિન્ન ભિન્ન વિશેષો ક્રમશઃ ઊપસી આવે એમ ગોઠવવો, સ્થળકાળના સંદર્ભોનો ઉચિત પરિપ્રેક્ષ્ય રચવો, – આવી આવી ટેકનિકનો આશ્રય લઈને જીવનકથાને સાહિત્યકૃતિ બનાવવાની હોય છે. ભાષાને સર્જકસંસ્પર્શ અપાય એ પણ આ માટે જ જરૂરી બની જાય છે. પ્રમાણભૂતતા અને પ્રમાણસરતા, વર્ણનોની સચ્ચાઈ અને રસજ્ઞતા જીવનકથાને સાહિત્યકૃતિ બનાવે જ, કેમકે આ જ તો કળાની શરતો છે. ટૂંકમાં, જીવનકથાને કળા બનાવવા લેખકે એવી સઘળી શક્તિ અને સૂઝબૂઝને જોતરવાનાં રહે છે. આને માટે કશા નિયમો અંતિમ નથી હોતા, એ તો લેખકની પોતાની ગુણવત્તા અને શૈલી ઉપર આધારિત બાબત છે. ગુજરાતીમાં જીવનકથા સાહિત્ય ઉપર શોધપ્રબંધ લખનાર ઉપેન્દ્ર ભટ્ટે રજૂ કરેલી આ સ્વરૂપની એક વ્યાખ્યા આ પ્રમાણે છેઃ ‘જીવનચરિત્ર એટલે વ્યક્તિના જીવન અને વ્યક્તિત્વનું તેના બાહ્યાંતર વિકાસ અને સિદ્ધિ-સિદ્ધિ સાથે તેના જ યુગની પશ્ચાદભૂમિકા ઉપર, સાહિત્ય બની શકે એવી શૈલી વડે કરાયેલું કળાયુક્ત જીવંતચિત્રણ.’૮ આપણે આગળ જોઈ ચૂક્યા એ સૌ વ્યાખ્યાઓનો સાર આ વ્યાખ્યામાં છે એમ નોંધવું ઘટે. જીવનકથાકાર પાસે સર્વસાધારણ રીતે આટલી અપેક્ષાઓ રહે છે— ૧. એની પાસે નાયકના જીવનને અંગેની તેમજ સ્થળકાળને અંગેની સંપૂર્ણ સામગ્રી હોય. ૨. સામગ્રીનું પરીક્ષણ કરવાની ને પસંદગી કરી નિર્ણય કરવાની વિવેકશક્તિ હોય. ૩. કથાનાયકને એ નિકટથી જાણતો હોય તો ઉત્તમ. પણ જો ના જાણતો હોય તો એના તમામ સ્રોતો દ્વારા – સ્વજનો, પત્રો, લખાણો ઈત્યાદિ દ્વારા શક્ય એટલો એ નિકટ પહોંચ્યો હોય. ૪. એ પૂર્વગ્રહમુક્ત એટલે કે તટસ્થ હોય. કેમકે એવા તાટસ્થ્ય વિના સાચી જીવનકથા લખાવી સદંતર અસંભવ છે. સત્ય, નિખાલસતા, નિર્ભયતા, સમભાવ ઇત્યાદિ પૂર્વગ્રહમુક્તિ વિના શક્ય જ નથી. ૫. સમભાવ હોય પણ એ પક્ષપાતમાં ન પરિણમતો હોય. ૬. તથ્યો એ હકીકતોમાંથી મેળવે ને એને આધારે સત્યને તારવે. ૭. એ સારો સર્જક હોય, અથવા ભાષાને સાહિત્યિક રીતભાતે પ્રયોજી શકવાનું એનામાં સામર્થ્ય હોય. ૮. કથાનાયકની યથાર્થ છબી ઉપસાવવાની એની ઝંખના હોય. સત્યની સમીપ પહોંચવા માટે જીવનકથાકાર અનેક ગુણોથી સંપન્ન હોય એ આવશ્યક છે. છતાં એની મુશ્કેલીઓ તો અનેક છે. શ્રી મોહનભાઈ પટેલ આ સંદર્ભમાં નોંધે છે— ‘ચરિત્ર સાહિત્યના તત્ત્વને પામવા ચરિત્રકારને સતત ખો રમ્યાં કરવી પડતી હોય છે. જીવનની હકીકતો ભેગી કરવી, એનું સંકલન કરવું, ને એમાંથી સાવયવ સપ્રમાણ મનુષ્ય ઊભો કરવો. જે શ્વાસ લેતો હોય, જેની રક્તવાહિનીઓમાં ઉષ્ણ રક્તનો સંચાર થઈ રહ્યો હોય, જેની જ્ઞાનેન્દ્રિયો સતેજ હોય. ને એ મનુષ્ય વાસ્તવિક જગતમાં એના જેવાં અનેક બે પગાં કરતાં કંઈક વિશિષ્ટ પણ હોય.’9 જીવનકથાકારનું ક્ષેત્ર ખાસ્સું વિશાળ છે. આ સ્વરૂપ પણ લેખકની શક્તિઓને જોબ અપાવે એવું છે. અન્ય સ્વરૂપો સાથે એને, કંઈક અંશે નવલકથા જેવાં fiction પ્રકારને બાદ કરતાં, નિકટનો સંબંધ નથી. પણ એક સાહિત્યસ્વરૂપ લેખે એની સીમાઓનો વિસ્તાર પણ અન્ય સ્વરૂપોની જેમ અનિવાર્યપણે વિસ્તરેલો છે. ઓછેવત્તે અંશે વ્યક્તિશિક્ષણ માટે આ સ્વરૂપ વધુ અપેક્ષિત છે. કેમકે એમાં જમાનો નિરુપણ પામે છે અને કથાનાયકના સંદર્ભમાં ભાવકના મનમાં એક ભાવાત્મક આદર્શપૂર્ણ ભાવજગત રચાતું હોય છે. “જીવનકથા વ્યક્તિના જિવાયેલા જીવનની સત્યકથા છે, એમાં જીવનની બધી જ વિગતો હોય. સારી અને નરસી સત્ય ઘટનાઓને પણ પ્રમાણિત કરવાનું રહે છે. સત્ય અને પ્રમાણ, આમ, જીવનકથાકારના આદર્શો જેવાં છે. હકીકતો એકઠી કરવામાં એણે પ્રમાદ કરવાનો નથી. નાની કે ઝીણી વિગતો પરત્વે ય એણે ગાફેલ રહેવું ન પાલવે. એકાદ નાનકડો પ્રસંગ જાણવા, કશોક પત્રવ્યવહાર મેળવવા, નોંધો કે લખાણો મેળવવા જીવનકથાકારે ભારે શ્રમ ઊઠાવવો પડે છે. પ્રેમાનંદ વિશે હકીકતો મેળવવા માટે આપણા આદ્ય કવિ નર્મદા વડોદરામાં કલાકો સુધી ભટકેલા એવી નોંધ છે."૧૦ જીવનકથા-નાયક હયાત હોય તો એની પાસેથી ઘણી હકીકતો જાણવા મળે જ, પણ આ હકીકતોનો ઉપયોગ કરતાં પહેલાં જીવનકથાકારે એને ચકાસી લેવી જોઈએ. કથાનાયક કહે એના કરતાં ક્યાંક કશુંક જુદું જ બન્યું હોય, કોઈ વાત અંતિમેથી કહેવાતી હોય છે કે કોઈ વાતનું વતેસર થતું હોય અથવા કોઈ વાત આછી કે અધૂરી – રહી જતી હોય, વિકૃત કરીને રજૂ કરાઈ હોય, આ માટે કથાનાયકનાં સગાંઓ, અંતેવાસીઓ, મિત્રોને મળવાનું જરૂરી બને છે. પ્રમાણો મેળવવા એમના પત્રવ્યવહારો, હોય તો ડાયરી કે નોંધો તપાસવાનું જરૂર પડે તો કથાનાયકના પરિચિતો, દોસ્તો ને દુશ્મનો, સાથે નોકરી કરનારાઓ ને એનું ઘસાતું બોલનારાઓ સુધ્ધાંની તપાસ કરવાનું કર્તવ્ય પણ લેખકે બજાવવાનું હોય છે. એણે જાતે જ સવાલો ને શંકાઓ ઊભાં કરવાનાં હોય છે ને પ્રમાણિત તથા વધુમાં વધુ સંભાવ્ય ઊકેલ પણ એણે જાતે જ મેળવવાનો હોય છે. આવા ટાણે ઘણી વખત લેખકે ધારણાઓનો આશ્રય લેવો પડે છે ને ત્યારે જીવનકથા નવલકથાના સ્વરૂપની સમય પહોંચી જતી લાગે છે; તેમ છતાં પણ એણે વિવેકની મર્યાદામાં જ રહેવાનું છે. Marilynના જીવન વિશે લખતાં Norman Mailer લખે છે “It is possible there is no instrument more ready to capture the elusive quality of her nature than a novel. Set a thief to catch a thief and put an artist on an artist. Could the solution be noth-ing less vainglorious than a novel of Marilyn Monroe? Written in the form of biography?"12 નવલકથા અને જીવનકથાની નિકટતાનો અને એમના લેખકોના કર્તવ્યનો ખ્યાલ, આ ઉપરથી, સ્હેજેય આવે છે. Lyton Streachyએ લખેલી જીવનકથાઓ તો નવલકથા સુધી પહોંચેલી પુરવાર થયાની વાતો તો ઘણી જાણીતી છે. લીટન સ્ટ્રેચી કથાનાયકના જીવનની સંપૂર્ણ તપાસ કરે છે, પછી પોતાની ધારણાઓને આધારે એ સત્ય તારવે છે, આ સત્યનો આધાર લઈને પછી એ જીવનકથાની રચના કરે છે. ને એટલે એની જીવનકથાઓ નવલકથાની સરહદોને સ્પર્શી રહે છે. લેખકે કથાનાયકનાં પ્રતિસ્પર્ધીઓનો પણ સંપર્ક કરવાનો રહે છે. લિખિત પ્રમાણો અને સાંભળેલાં સત્યો-અસત્યોને એણે ચાળી જોવાનાં રહે છે. ડૉ. જ્હોનસનની જીવનકથા લખનાર બોઝવેલે એના ઘણાં લખાણો, પત્રો, નોંધો ને વ્યાખ્યાનો તેમજ વાર્તાલાપો તપાસ્યાં હતાં. અંગત લખાણોમાં વ્યક્તિનું વ્યક્તિત્વ આબેહૂબ ઝિલાયેલું જોવા મળતું હોય છે. મહાદેવ દેસાઈ જીવ્યા હોત તો એમની ડાયરીના આધારે એ ગાંધીજીની, કદાચ સર્વોત્તમ, જીવનકથા લખી શક્યા હોત. કેટકેટલી, પ્રમાણિત થયેલી સામગ્રી છે એમાં કલાપી અને કાન્ત જેવા સર્જકોના પત્રો એમની જીવનકથા લખવામાં અત્યંત ઉપયોગી અને અનિવાર્ય એવી સામગ્રી કેમ ગણવામાં આવે છે એ વાત સમજી શકાય છે. ડૉ. જ્હોનસન, શેલી, નર્મદ, નંદશંકર, દલપતરામ વગેરેની જીવનકથાઓના લેખકોએ શ્રમપૂર્વક સામગ્રી એકઠી કર્યાનાં ઉદાહરણો મોજૂદ છે. એકાદ તારીખની ખાતરી કરવા બોઝવેલ પત્રો લખતા કે અડધું લંડન ખૂંદી વળતા. ‘આવારા મસીહા’ના લેખક વિષ્ણુ પ્રભાકર સામગ્રી માટે શરદબાબુ જ્યાં જ્યાં રહ્યા ત્યાં ત્યાં વારંવાર ગયા હતા.13 કથાનાયકના મૃત્યુ પછી જો થોડાંક જ વર્ષોમાં એની જીવનકથા ના લખાય તો માહિતીના સ્રોત ઓછા થઈ જાય છે ને માહિતી પણ સત્યથી દૂર જતી જાય છે. શ્રદ્ધેય સામગ્રી વગર વિશ્વાસે વહાણ તરતું મૂકવાનું લેખકને પાલવવું ન જોઈએ. સામગ્રીની ચકાસણી તો એણે બધી જ વખતે કરવાની જ રહે છે – નાયક જીવતો હોય કે ન હોય. લેખકે તો વ્યક્તિના વિકાસની કે રકાસની, વ્યક્તિની મહત્તાની અને મહત્ત્વાકાંક્ષાની ગલીકૂચીઓમાં ફરતા રહેવાનું છે. તપાસનો દોર ચાલુ હોય, ધારણાનું અજવાળું હોય અને રજૂઆતની દિશા હોય – આ બધાને આધારે કથાનાયકના જીવનનો પિંડ બંધાઈને આકાર પામતો હોય છે. આપણા આદ્ય વિવેચક નવલરામ પંડ્યાએ ‘ચરિત્રનિરૂપકમાં શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણ અવશ્ય હોવા જોઈએ એમ કહેલું.14 હકીકતો અને સામગ્રીની શોધ કોણ, કોની જીવનકથા ક્યારે ને કેમ લખે છે એના ઉપર પણ આધારિત છે. કથાનાયકના સ્વજનોમાંથી કોઈ એક એની જીવનકથા લખે તો હકીકતો લગભગ પૂરતી મળવા સંભવ છે, પણ સ્વજન નિર્મમ તટસ્થતા દાખવે નહીં તો શું થાય? એટલે માત્ર હકીકતો જ અગત્યની છે એવું નથી! એ હકીકતોનો ચોક્કસ દૃષ્ટિબિંદુથી અને તટસ્થભાવે વિવેકયુક્ત ઉપયોગ થવો ઘટે. બોઝવેલ અને જ્હોનસન ખૂબ નિકટના મિત્રો હતા. બોઝવેલને સામગ્રીની મર્યાદા નહીં નડી હોય એ કબૂલ, પણ તટસ્થભાવે એનું વર્ણન કરતાં એણે નિર્મમ થવું પડ્યું છે. સત્યને એણે પૂર્વગ્રહદૂષિત થવા દીધું નથી એ વિવેકની આપણે નોંધ લઈએ. લેખક બોઝવેલ માટે કથાનાયક જ્હોનસન સાથે તદ્રુપ થવાનો પ્રશ્ન જ નહોતો! તદ્રુપતા અને સમભાવ છતાં એણે પક્ષપાત કર્યો નથી, એ તો હમેશાં સત્યના પક્ષે રહ્યો છે. આપણે ત્યાં ન્હાનાલાલ (‘કવીશ્વર દલપતરામ’માં) અને વિનાયક મહેતા (‘નંદશંકર જીવનચિત્ર’માં) ઘણી વાર પક્ષપાતમુક્ત બની શક્યા નથી. એટલે અંશે એમની કૃતિઓ શિથિલ બનેલી છે. જીવનકથાલેખન કોઈની માત્ર પ્રશસ્તિ કે માત્ર ટીકાઓ માટે થતું નથી. એમાંથી મહાન માણસોની મહાનતા પ્રગટે છે, તો એ સાથે જ એમની માનવીય મર્યાદાઓનું તેમજ શૂદ્રતાઓનું પણ સમ્યક દર્શન થાય છે. તો વળી સામાન્ય માણસની કશીક સત્ત્વશીલતા પણ એમાંથી પ્રગટે છે, કુત્સિત આત્માની કશીક મહાનતા પણ સારી રીતે લખાયેલી જીવનકથામાંથી જ પ્રગટી આવતી હોય છે. વિદ્યમાન કે અવિદ્યમાન નાયક માટે પણ જીવનકથાકારે અતિકથન કે અલ્પકથન કરવાનું નથી હોતું. બદનક્ષીથી દૂર રહેવાનું છે ને કશા ય પડદા કરવાથી ય અળગા રહેવાનું છે. એણે તો વિકૃત કે અર્ધસત્યોને રદિયો આપવાનો છે ને નિર્ભયતાથી નિખાલસપણે સત્યકથન જ કરવાનું છે, ગોપન કે આચ્છાદનથી તો એણે સ્વાભાવિક જ અલિપ્ત રહેવાનું હોય છે. આ બધામાં નાયકની જાતીયવૃત્તિ વિશે કે એના જાતીય સંબંધો વિશે બોલવું વધારેમાં વધારે જોખમી વસ્તુ છે. અહીં સત્ય હોય એ ભલે રજૂ થાય, પણ સાધાર નહીં હોય એવું કશું પણ વાચક આ બાબતમાં તો નહીં જ ચલાવી લે. આ આખો પ્રશ્ન જ નાજુક છે. આત્મકથામાં તો લેખક અને નાયક અભિન્ન હોય છે. જ્યાં ગાંધીજી કે મણિલાલ નભુભાઈ જેવા લેખકોને પોતાની જાતીયવૃત્તિ વિશે કે એવા પ્રસંગો વિશે યથાતથ લખ્યું છે, વાચકોને એમાં સત્યની પ્રતીતિ પણ થઈ છે. છતાં એક વસ્તુ યાદ રહે કે ગાંધીજીએ ઔચિત્યપૂર્વક એવા પ્રસંગો નોંધ્યા છે, જ્યારે મણિલાલમાં ઔચિત્ય અને વિવેકનો અભાવ કહે છે. આવું નિરૂપણ સાહિત્યિક ન લાગતાં સાહિત્યેતર લાગે છે. જીવનકથામાં તો લેખક અને નાયક બંને ભિન્ન છે એટલે આવી હકીકતોના કથનવર્ણનમાં જીવનકથાકારે તો સો ગળણે ગાળીને પાણી પીવાનું હોય છે. જરૂર પૂરતા જ જાતીયતાના પ્રસંગો લેવામાં જ ઔચિત્ય છે. કેટલીક જીવનકથાઓ માત્ર ઉપયોગીતાવાદી દૃષ્ટિથી જ લખાતી હોય છે. કોઈ ભાવના કે વિચારસરણીની સ્થાપના, સંપ્રદાયો કે સંસ્થાઓ અથવા રાજકારણમાં પડેલી વ્યક્તિઓની જીવનકથાઓ બહુધા તો ખુશામતખોરીનું જ પરિણામ હોય છે. આ પ્રકારની જીવનકથાઓ અશુદ્ધ જીવનકથાઓ છે કેમકે એમાં માનવીનું, એની સાથે જીવતા સમાજનું અને એના આત્મવિકાસનું સાચું ‘ચરિત્ર’ ઊપસતું નથી. ઘણી વાર આવી જીવનકથાઓ સત્યને ગોપવીને અસત્યનું જ નિરુપણ કરે છે. આપણને તો માણસાઈથી ભરેલા મનુષ્યનો આત્મવિકાસ દર્શાવતી જીવનકથામાં જ વિશ્વાસ અને રસ છે. જીવનકથા એ જીવતાને માન આપવા અને મરેલાંની નિંદા કરવા માટે તો લખાતી જ નથી. એ તો માણસની અંદર અને બહારની જીવનસૃષ્ટિના દર્શન માટે લખાય છે એ યાદ રહેવું ઘટે. જીવનકથાકારે વિજ્ઞાનીની ચોકસાઈ અને ઇતિહાસકારની સત્યાસત્ય પરખનારી દૃષ્ટિથી કામ લેવાનું હોય છે. આપણે હમણાં જ હકીકતોની શોધની વાત કરી એ પછી પણ વિચારવાનું તો એ જ રહે છે કે જેમ કશુંય અંતિમ સત્ય નથી હોતું, ને સમય જતાં ઇતિહાસ પણ ઝાંખો પડે છે એવું માણસની કથા વિશે પણ બનવાનું જ ને! છતાં લેખક સત્યને ઇતિહાસકારની રીતે જુવે છે ને વિજ્ઞાનીની જેમ ચકાસે છે. ને એમ છતાં ય એ તો માનવીનું મન પામવાની વાત છે. એક માણસ વિશે બીજો માણસ ક્યારેય સંપૂર્ણપણે જાણવાનો દાવો કરી શકે ખરો? ને એવો દાવો જો જીવનકથાકાર કરે તો એની એ પણ મર્યાદા જ બનેને! એલન શેલ્ટનની આ વાત યાદ રાખવા જેવી છેઃ૧૫ ઘણી વખત અતિ વિશ્વાસમાં જ માણસ માણસ વિશે ભૂલ કરી બેસે એવો વધારે સંભવ છે, પછી કથાનાયક અને લેખક દૂરના હોય કે નિકટના હોય. સજાગતા એ લેખક માટે અનિવાર્ય છે. નવલરામે પણ જીવનકથાકારની બાબતમાં એક બે વાતો નોંધી છે. એ કહે છે કે ‘જેની જે વિષયમાં મસ્તી નથી તેનાથી તે વિષય સારો લખાતો નથી.’16 અહીં તાદાત્મ્ય અને તદ્રુપતાના સંદર્ભમાં સારી વાત થઈ છે. લેખક જો કથાનાયકનો ‘સાથી અને સમઉદ્દેશી’ હોય તો સારું એમ નવલરામ માને છે. બોઝવેલ અને જહોનસનની બાબતમાં બન્યું તેમ આવું હોય તો સારું પરિણામ જરૂર આવે. પણ બંને સાથી કે સમઉદ્દેશી ન હોય તોય સારાં પરિણામ લાવી શકાય. કેમકે આ પણ એક સાહિત્યસ્વરૂપ લેખે કળા-પ્રવૃત્તિ જ છે. ‘ચરિત્રલેખક મોટું મન’ રાખે, તેમજ ‘દયા અને પ્રીતિ બતાવે’ – નવલરામની આ વાત જીવનકથાકાર પાસે વધારે પડતી અપેક્ષા રાખવા બરાબર છે. ઉક્ત બંને વાના જીવનકથાકારને સત્ય અને તાટસ્થ્યમાંથી વિચલિત કરનારાં છે. જીવનકથાલેખનના આદર્શમાં આવા આગ્રહો વિઘાતક ગણાય. આવી જ એક બીજી વાત નવલરામ નોંધે છે. નિરૂપકમાં નિરૂપ્ય તરફ ગુરુભાવ હોવાની જરૂર જણાય છે. પણ નર્યો ગુરુભાવ હોય તો દોષદર્શનમાં ચોરી થવા સંભવ છે. બાકી લેખક કથાનાયકને વિશિષ્ટ વ્યક્તિ તરીકે તો અપનાવતો જ હોય છે. એ વિશિષ્ટ છે માટે તો એ એનો લેખન-વિષય બને છે. લેખકને કથાનાયક પ્રત્યે ઓછોવત્તો પૂજ્યભાવ પણ હોય છે, નહીં તો એ એની જીવનકથા શા માટે લખે? સમોવડિયા મિત્રો હોય તો પણ વિષય બનનારામાં કશુંક તો વિશેષ છે જે વિષય બનાવનારને મન ગૌરવપ્રદ છે. આવા જ ભાવથી બોઝવેલે જ્હોનસનને વિષય તરીકે ચૂંટ્યા હશે! નાયકના આંતર – વ્યક્તિત્વ પ્રત્યે અને એની હૃદયશ્રી વિશે લેખકને પૂજ્યભાવ હોઈ શકે છે પણ સત્યકથનની, નિખાલસતા અને તદ્રુપતાની તેમજ તાટસ્થ્યની મુખ્ય વાત પૂજ્યભાવની આડે ભુલાવી ન જોઈએ એ અગત્યનું છે. હકીકતો એકઠી કર્યા પછી એનું પરીક્ષણ થાય. પણ આટલેથી વાત પૂરી થઈ જતી નથી. સામગ્રીમાંથી યોગ્ય પ્રસંગોનું કે સંવેદન, વિચારોનું ચયન કરવાનો પ્રશ્ન અઘરો છે. ઉપયોગી અને ગૌણ, લેવી અનિવાર્ય અને ત્યાજ્ય સામગ્રી કઈ છે એ લેખકે આત્મસૂઝથી કથાના આયોજનસૂત્ર પ્રમાણે નક્કી કરવાનું રહે છે. યુગની ભાવનાઓ નંદવાય નહિ, અન્ય વ્યક્તિઓને નુકસાન થાય નહિ ને કથાનાયક વિશે સારું કહેવા જતાં ક્યાંક વિકૃતિ આવી જાય નહિ એની કાળજી રાખીને ચયન અને નિરૂપણ કરવાનાં છે. આવી પળોમાં એણે સત્યને ઠરડ્યા કે મરડ્યા વિના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકીને કથાનાયકને અને સંદર્ભિત વ્યક્તિઓને ન્યાય મળે એ રીતે વર્ણન કરવાનું છે. આમ કરવા જતાં જીવનકથાકાર તરીકેની એની કોઈપણ કુશળતાને નુકસાન ન થઈ બેસે એ પણ એણે સાચવવાનું રહે જ છે. કથાનાયકના વ્યક્તિત્વનું સમરેખ અને સંપૂર્ણ પ્રગટીકરણ ઘણો અગત્યનો મુદ્દો ગણાય. આ માત્ર પ્રસંગોને પ્રમાણીને ગોઠવી દેવાથી થઈ જતું નથી! જીવનકથા-લેખક ચોપડા લખનારો મુનીમ કે દફતર રાખનારો તલાટી નથી. એ તો લેખક છે. એણે એની યોજના પ્રમાણે સામગ્રીનું સંકલન કરવાનું હોય છે, ને પોતે જે રગમાં નાયકનું ચરિત્ર પ્રગટાવવા માગતો હોય એ ધ્યાનમાં લઈને એણે સ્પષ્ટ બનીને ચાલવાનું રહે છે. ‘વીર નર્મદ’ કે ‘નર્મદ અર્વાચીનોમાં આદ્ય' આવી રીતે લખાયેલી કૃતિઓ લાગશે. આવી કૃતિઓનું વાચન આપણને, રસાત્મકતાનો સંતર્પક અનુભવ કરાવ્યા વિના રહેતું નથી. કથાનાયકને ઘડનારાં પરિબળો, એનું ખાનગી અને જાહેર જીવન, એનાં રુચિ, ટેવો અને જીવનદૃષ્ટિ ઇત્યાદિનું જેટલું સુરેખ, સ્પષ્ટ, યોગ્ય પ્રમાણમાં લાંબું કે ટૂંકું વર્ણન લેખક આપી શકે એટલા પ્રમાણમાં વાચક કથાનાયકના વ્યક્તિત્વનો આસ્વાદ કરી શકે છે. આવાં વર્ણનોની ભાષા સચોટ, સઘન, સંકેતપૂર્ણ અને રસાળ હોય તો નાયકનું ભીતર, એનાં સંવેદનો ઈત્યાદિને પામવાનું પણ સુગમ થઈ પડે. કથાનાયકના જીવનનાં ચાલકબળો અને વ્યક્તિત્વ બરાબર ન પકડાય તો કૃતિ ઊણી રહેવાની. લેખકમાં એટલા માટે જ જનસ્વભાવની પરખ હોવી જોઈએ, વળ માનવહૃદયના ભાવોનું અને ભાવનાઓનું યોગ્ય પૃથક્કરણ કરવાની એનામાં શક્તિ હોવી જોઈએ. ઇતિહાસકારની જેમ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનું જ્ઞાન આ લેખક પાસે પણ હોય એ ઉક્ત સંદર્ભમાં જરૂરી છે. કથાનાયકના વ્યક્તિત્વને પ્રગટાવવા લેખકે એને જ સતત કેન્દ્રમાં રાખવાનો છે. કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે અન્ય મોટી વ્યક્તિની વાત આવે તો પણ નાયક કૃતિના કેન્દ્રમાંથી ખસવો ન જોઈએ. ઘણી વખત નાની લાગતી ઘટનાનું મૂલ્ય વધારે હોય છે. ફિલિપ સિડનીએ પોતાના જીવનની છેલ્લી ક્ષણોમાં પોતાને મળેલો પાણીનો પ્યાલો વધારે જરૂરિયાતવાળા, પોતા કરતાં કૈંક વધુ જીવી શકે એવા સૈનિકને મારા કરતાં તારે વધારે જરૂર છે કહીને આપી દીધો હતો. અહીં ફિલિપની માનવતા પ્રગટી ઊઠેલી જણાશે. આવા પ્રસંગ વિનાની એની જીવનકથા કેટલી ઊણી લાગે? ગાંધીજીના બાળપણમાં બનેલા નાના નાના પ્રસંગો વિના એમનું વ્યક્તિત્વ બરાબર ઉપસાવી શકાશે નહિ. જીવનકથાને હૃદ્ય બનાવવા માટે આવી ઘટનાઓ અનિવાર્ય ગણાય. મહર્ષિ દયાનંદે પોતાને દૂધમાં ઝેર આપનાર રસોઈયાને પૈસાની મદદ આપીને નસાડી મૂકેલો, એમાં એમની ક્ષમાવૃત્તિ જોઈ શકાશે. સહજાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રના એક ગામડામાં વરસાદમાં બેસી જતા મકાનનો મોભ ખભે ઊંચકીને મૂંગા પશુઓને બચાવી લીધા હતા. આવા પ્રસંગો જીવનકથામાં હોવા જોઈએ, આનું મૂલ્ય હોય છે. આવું જ મૂલ્ય નાયકની ઉક્તિઓ કે વિધાનોનું હોય છે. કેમકે એ એના મનનો તાગ મેળવી આપે છે. લિટન સ્ટ્રેચી જેવા જીવનકથાકારના મનમાં તો ‘માનવ્ય'ને ઉપસાવવાની જિકર હોય છે. આ માટે એ કથાનાયકના શારીરિક દેખાવનો, એની વિચિત્રતાઓનો તેમજ એની માનસિક વિલક્ષણતાઓનો પણ પરિચય આપે છે. માણસને કુટુંબમાંથી, શાળામાંથી ને છેલ્લે સમાજમાંથી શિક્ષણ મળે છે. પોતાનાં કુટુંબીજનો–પૂર્વજો સમેત–ની સિદ્ધિ-મર્યાદાઓના પરિપ્રેક્ષ્યમાં કથાનાયકના સંસ્કારો અને છાપોને મૂલવવાનાં હોય છે. મીરાંબાઈ ઉપર વૃદ્ધ પિતામહ રાવદુદાજીની કૃષ્ણભક્તિનો ભારે પ્રભાવ હતો, કેમકે એ બાળપણમાં એમની પાસે ઘણો વખત રહેતાં હતાં. શિક્ષકો, મિત્રો વગેરેની અસરો પણ વ્યક્તિત્વ ઘડતરમાં ભાગ ભજવે છે. ખાસ તો લેખકો, ચિંતકો, સંતો અને નેતાઓની અસરો પણ નોંધવા જેવી હોય છે. ગાંધીજી ઉપર એ રીતે જ તોલસ્તોય, રસ્કીન, રાજચંદ્ર, રાનડે વગેરેની અસરો પડેલી. શ્રવણ અને હરિશ્ચન્દ્રની વાતો અને નાટકથી એ પ્રભાવિત થયા ને જિંદગીભર સેવા અને સત્યને વળગી રહ્યા! કામવાળી રંભાએ આપેલો રામનામનો મંત્ર એમને શ્રદ્ધા ભણી દોરે છે. આમ સાદા કે સામાન્ય પ્રસંગોનું તેમજ એવી ઉક્તિઓનું ઘણું મૂલ્ય હોય છે. વાચન પણ વ્યક્તિત્વ ઘડતરનું મોટું પરિબળ છે. માનવીનું મન જોઈ જોઈને શીખે છે, એ તરલ છે, અનેક ભાવાશ્રયી હોય છે. એટલે એણે ઝીલેલા સંસ્કારોનું પૃથક્કરણ કરી શકાય છે. પોતાના જમાનાની સાચી ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ, પોતાની આસપાસના વાતાવરણની સારી માઠી અસરો – પોતાના સંસ્કારો પાડ્યા વિના નથી રહેતી. બાળમાનસ વધારે તીવ્રતાથી ગ્રહણ કરે છે. યુવાનીમાં અમુક વૃત્તિઓના છાકમાં કેટલાંક સારાંમાઠાં કાર્યો થતાં હોય છે. દેશકાળની તત્કાલીન પરિસ્થિતિઓની પણ ભારે પકડ હોય છે. આમ વ્યક્તિત્વનું ઘડતર જેમ સંકુલ પ્રક્રિયા છે એમ એની તપાસ પણ બધી સંકુલતાઓને ઉકેલી જોવાના સંદર્ભમાં થાય. ને તો જ વ્યક્તિત્વનું યથાતથ પ્રગટીકરણ શક્ય બને. સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક, વૈશ્વિક અને રાષ્ટ્રીય સંદર્ભોનો અને શિક્ષણ તથા કળાવિષયક પરિવર્તનો કે પરંપરાઓનો પણ વ્યક્તિના જીવનઘડતરમાં પ્રત્યક્ષ ફાળો હોય છે. આ બધાની સાધાર તપાસ થાય છે અને એનું વિશેષ નિરુપણ થાય છે. આ પાસાને લીધે જીવનકથાને એનું દસ્તાવેજી રૂપ મળતું હોય છે. જીવનકથાકારે આ સંદર્ભમાં કશાયની ઉપેક્ષા કરવાની નથી હોતી. એ તો ડગલે ને પગલે અસંખ્ય પ્રશ્નો અને સંદર્ભથી ઘેરાયેલો હોય છે. ને એમાંથી યોગ્યાયોગ્યની પસંદગી કરતો કરતો એ પોતાનો રસ્તો કાપતો હોય છે. વિ. મ. ભટ્ટે વીર નર્મદમાં નર્મદના જમાનાનાં જડતા, અજ્ઞાન ને ભીરુતા વર્ણવ્યાં છે તે ઉક્ત સંદર્ભમાં નોંધવા જેવું છે, દલપતરામ અને નંદશંકરની જીવનકથાઓમાં પણ એમના જમાનાનાં વહેમ, અંધશ્રદ્ધા અને કૂપમંડુકતા વર્ણવાયા છે, તદ્ઉપરાંત સામાજિક ને ધાર્મિક પીઠિકા પણ નિરુપાઈ છે. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કરવા પ્રેરનાર પરિબળોમાં આગગાડીના અપમાનજનક અનુભવોનો ફાળો મહત્તમ છે! માણસનું માણસના હાથે અપમાન થાય, શોષણ થાય, વળી સામાજિક અવદશા અને ગરીબાઈ જોઈને એ ભારતવાસીઓ પ્રત્યે પ્રેમદયાથી કંપી ઊઠ્યા! ને એમણે જિંદગી દેશના કલ્યાણ માટે ખર્ચી નાખવાનો નિર્ણય કર્યો! અહીં સામાજિક પરિવેશોએ માણસનું ઘડતર કર્યું છે એમ સ્પષ્ટ દેખાશે. નાયક આવી પરિસ્થિતિઓની વચ્ચે કેવી રીતે આગળ વધે છે એ જીવનકથામાં નોંધનીય મુદ્દો ગણાય. નાયકની સિદ્ધિઓની પાછળ પડેલો એનો પુરુષાર્થ પણ વ્યક્તિત્વ ચિત્રણનો જ એક ભાગ છે. નાયકનું જીવનકાર્ય, પ્રેરણાસ્રોત અને જીવનદર્શન પણ લેખકે શોધીને નિરુપી આપવાનાં હોય છે. નાયકના જીવનનું મુખ્ય પ્રવર્તકબળ અને અભિગમ મળી જાય પછી એની જીવનફિલસૂફી આપોઆપ મળી રહે છે. આ બધાંના વર્ણનને અંતે નાયકના વ્યક્તિત્વનું આવિષ્કરણ લગભગ સંપૂર્ણ બને છે. જીવનકથાની ઉત્તમતા તો એના નિરૂપણના આધારે નક્કી થતી હોય છે. જીવનકથા એ આલેખનની કળા છે. હકીકતોનું સંશોધન, એનું આકલન થઈ જાય પછી એમાં રજૂઆત અગત્યની બાબત બની જાય છે. લેખક પ્રસંગોને કેવા ક્રમમાં કેવી રીતે રજૂ કરે છે એ મુદ્દો નિરૂપણનો મુદ્દો છે. કથાનાયક જો સર્જક હોય તો એના અનુભવો જે એની કૃતિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિરૂપણ પામેલા હોય છે એનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને લેખક નિરૂપણને કળાત્મક બનાવી શકે છે. નાયકનું જીવનદર્શન પણ એનાં સર્જનોમાંથી ઝટ હાથ લાગતું હોય છે. આર્થર કસ્તર (Arthur Koestler)ની જીવનકથાના લેખક ઈયાન હેમિલ્ટને કસ્તરની ચારેક સર્જનાત્મક કૃતિઓ- જે વિશેષ આત્મકથાત્મક છે- નો ઉપયોગ કર્યો છે એ ઉક્ત સંદર્ભમાં જોવા જેવું છે. નાયકનાં વિચારો, મંતવ્યો, પ્રવચનો ને પત્રવ્યવહારો જો મળી આવે તો એના સંદર્ભો આપીને જીવનકથામાં નિરૂપણને વધારે રસપ્રદ બનાવી શકાય. ભાષા, વાક્યરીતિઓ, વર્ણનો માટે પસંદ કરેલા સમય-સ્થળો, એ માટે વપરાયેલા શબ્દો વગેરે જીવનકથાના સૌંદર્યપાસાને ઉપસાવી આપે છે. ટૂંકમાં ક્યાંક સંકેતોથી તો કયાંક વર્ણન વિવરણથી કથાનાયકની સમગ્ર છબિ ઉપસાવવાની હોય છે. કથાનાયકના જમાનાની પશ્ચાદ્ભૂનો પણ અહીં આધાર લેવો ઘટે. જીવનકથાકાર કથાનિરૂપણ વખતે સમાજશાસ્ત્રી પણ બને છે, કેમકે એ કથાનાયકના જીવનને અને સમાજજીવનને પણ નિરૂપે છે. કથાનાયકના મનનું, એની એવી પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરતાં એ મનોવિજ્ઞાની પણ બનતો હોય છે. ક્યારેક એ કવિ, ક્યારેક વાર્તાકાર, નિબંધકાર કે નવલકથાકારની ઢબે પણ કૃતિ નિરૂપણ કરતો હોય છે. હકીકતો ફંફોસતાં એ ઇતિહાસકાર બને છે, ને એની ચોકસાઈ તથા પ્રમાણભૂતતા માટે એ વિજ્ઞાની જેવી દૃષ્ટિ રાખે છે – આમ એ એકસાથે ઘણા પાઠ ભજવતો દેખાય છે, પણ સર્વોપરી છે એનામાં રહેલો જીવનકથાનિરૂપક. એનો વિહાર એ તો સાહિત્યકારનો વિહાર હોય છે. ભાષા પ્રયોજવા ઉપરાંત જીવનકથાકારની આવી દૃષ્ટિ જીવનકથાને સાહિત્યકૃતિ બનાવે છે. જીવનકથા એટલા માટે જ ‘સત્ય’ની કૃતિ છે એટલી જ ‘સુન્દર’ની કૃતિ છે. જીવનકથામાં નાયકની બુદ્ધિમત્તા, વ્યક્તિત્વ, સંવેદનશીલતા, સમગ્ર પ્રતિભા પામી શકાય છે એમ એની નિરૂપણરીતિમાં લેખકની નિષ્ઠા, અભિવ્યક્તિ-શક્તિ; સ્વસ્થ, તટસ્થ નિખાલસતા; શ્રમ અને વિવેક પણ પમાયા વિના રહેતાં નથી. એનું સૌંદર્યદર્શન જીવનકથામાં વખતોવખત એની ભાષારચના દ્વારા આસ્વાદવા મળે જ – જો લેખક એવું સબળ નિરૂપણ આપી શક્યો હોય તો! કથાનાયક વિદ્યમાન હોય કે અવિદ્યમાન, એના જીવનની આસપાસ તર્કવિતર્કનું જાળું બાઝેલું હોય છે. કહો કે એનું સાચું ને સત્ત્વશીલ જીવન તો કોશેટોમાં પડેલું હોય છે. લેખક આ જાળાને, કોશેટોને નિરૂપણ દરમ્યાન ખોલે છે, ને આપણને વિષયના કેન્દ્ર સુધી લઈ જાય છે. આ કેન્દ્રગામી ગતિમાં લેખકની કુશળતા અને કલાત્મક દૃષ્ટિની જરૂર હોય છે. જીવનકથાને સર્જનાત્મક કૃતિ બનાવનારો લેખક અહીં સામગ્રી સાથે સર્જકછટાથી કામ પાડતો હોય છે. મોર્વાએ શેલી, બાયરન અને ડીઝરાયલીના વ્યક્તિત્વને ઉપસાવવા એમના માનવીય અભિગમોને ખાસ ઉપસાવ્યા છે. કથાનાયકના માનવ્યને ઉપસાવવા લેખક પ્રસંગોને આકારવાના; ગોઠવવાના, સ્થપતિ શિલ્પો ઉપર શિલ્પો ગોઠવીને મંદિર રચે એમ ગોઠવવાના રહે છે. ભાષા વડે આ પ્રસંગોને અને એની રીતિને સાર્થ પ્રકાશિત કરવા પડે છે. આ બધો સર્જકશ્રમ ‘ઉત્તમ જીવનકથા’ માટે આપણને ખાતરી આપતો હોય છે. જીવનકથામાં ભાષાનો પ્રયોગ નવલકથાની જેમ નર્યો સર્જનાત્મક નથી હોતો. અહીં હકીકતોનાં તથ્યોનું સત્યમાં રૂપાંતર કરવા પૂરતી ભાષાની સર્ગશક્તિ લેખે લાગે છે. નર્યું કાલ્પનિક વર્ણન ન હોવાથી ભાષાની અવનવી છટાઓ અહીં યદૃચ્છાથી આવતી નથી. નવલકથામાં તો એક નવું જ જીવન રચવાનું છે. ભાષામાં અને ભાષાની સહાયતાથી રચવાનું છે એટલે ભાષા એની સર્વ શક્તિઓ સાથે પ્રયોજાય એમ બને. જીવનકથામાં ભાષા ઘટેલી ઘટનાઓને યોગ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરીને આસ્વાદ્ય લાગે એ રીતે રજૂ કરવા લેખે લગાડાય છે. એમાં દષ્ટાંતો હોય, ઊર્મિસંવેદનને કાવ્યાત્મક રીતે વ્યક્ત કરી શકે એવી ભાષાભંગિઓ હોય, પ્રસંગોચિત કહેવતો, રૂઢિપ્રયોગ, રૂપકો કે પ્રતીકો પણ એમાં પ્રયોજાતાં હોય; વળી એમાં નર્મમર્મયુક્ત કથનરીતિ પણ હોય. જીવનકથામાં ભાષા આવા સંદર્ભો નિપજાવવા પ્રયોજાય છે; અહીં આથી જ ભાષા વ્યવહારથી ઉફરી જઈને સાહિત્યિક બને એ અનિવાર્ય લાગે છે. જીવનકથામાં કલ્પનાશક્તિનો સ્પર્શ હોય અને ચિંતનનો પાસ હોય તો કૃતિને નવું પરિમાણ મળી શકે. ચિત્રાત્મક વર્ણનો દ્વારા ઘટના કે પ્રસંગોને વધારે જીવંત બનાવીને મૂક્યા હોય તો જીવનકથા વધારે આસ્વાદ્ય બને છે. જીવનકથાનાયકનાં સંવેદનો, નાજુક પ્રસંગો વગેરેને નિરૂપતાં વધારે અસરકારક અને કાવ્યત્વપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવામાં બાધ નથી. ક. મા. મુનશી અને વિ. મ. ભટ્ટે અનુક્રમે ‘નરસૈયો અને નર્મદની જીવનકથાઓ’ વીર નર્મદ નામક જીવનકથાઓ લખતાં આવી ભાષાનો પ્રયોગ કરેલો. વિષ્ણુ પ્રભાકરની 'આવારા મસીહા' કૃતિ શરદબાબુના જીવનને કાવ્યાત્મક શૈલીમાં અને નવલકથાની પદ્ધતિએ વર્ણવે છે એ પણ નોંધવું ઘટે. જીવનકથા ગદ્યસાહિત્યનો પ્રકાર છે. ગદ્યમાં પ્રગટાવી શકાતી બુદ્ધિમત્તા ઉપરાંત હૃદયશ્રીને, લાગણીને દર્શાવવા કાવ્યની ભાવાત્મકતા, કલ્પકતા અને રમણીયતાને પણ પ્રગટાવે એવી ભાષા જીવનકથાકારે વાપરવાની રહે છે. વિજ્ઞાન પણ ભાષાનો ઉપયોગ સ્પષ્ટ પ્રત્યાયન પૂરતો સીમિત રાખે છે. દાર્શનિક એથી આગળ વધીને ભાષાની શક્તિ તાગે છે ને પછી પોતાના ચિંતન-દર્શન સંદર્ભમાં એને પ્રયોજે છે. કવિ ભાષાને જ સાધ્ય ગણીને એને જ રસરૂપ કરતો રહે છે. હકીકતો અને ચોકસાઈમાં ઇતિહાસ અને વિજ્ઞાનને અનુસરતો જીવનકથાકાર ભાષાની બાબતમાં સર્જક અને દાર્શનિકને નજરમાં રાખીને આગળ વધતો દેખાય છે, પ્રસંગોની કાટછાટ કરવામાં ને એને આકારિત કરવામાં જીવનકથાકાર સર્જકની દૃષ્ટિ અને સર્જકની ભાષાને પોતાનું લક્ષ્ય બનાવીને ચાલે છે. જીવનકથા આમ શાસ્ત્ર જેવી છે, એમાં એવા સંદર્ભો આવે તો એનું શાસ્ત્રીય વિશ્લેષણ થાય, સત્યાસત્યની વાત હોય તો વૈજ્ઞાનિક ચોકસાઈ અને ઇતિહાસ દૃષ્ટિથી એની તપાસ થાય ને આ સર્વ બાબતો પતે પછી બધી સામગ્રીને છેલ્લે, સર્જકદેષ્ટિથી ગોઠવીને કળાત્મક રીતે નિરૂપવાની રહે છે. જીવનકથાને સાહિત્યિક બનાવવી એ પ્રત્યેક પગલે કેવી તો દોહ્યલી વસ છે, એ, આ રીતે, પ્રત્યેક મુદ્દાની ચર્ચામાંથી ફલિત થાય છે. માણસને સંપૂર્ણપણે પામી શકાય ખરો? પ્રસંગે પ્રસંગે એ બદલાયો હોય, પ્રત્યેક વ્યક્તિસંદર્ભમાં અને સંબંધોને વિશે એ જુદો હોય છે. ઉપરાંત એના ભીતરની વાતો કોણ જાણી શકે છે? એણે ય પોતાના જીવન વિશે ઢાંકપિછોડા નથી જ કર્યા એની ખાતરી શી? એના લખાણોમાં એ હંમેશાં વફાદારી બતાવતો જ હોય એવું ન પણ બને! જેને સર્વથા, સર્વાંગીણ પામવાનું અઘરું છે એવી માનવજાતને પામવાનો દાવો કરવો આમ તો હાસ્યાસ્પદ છે. માનવજાતના પ્રતિનિધિ એવા કથાનાયકને પામવા માટે લેખકે, માટે જ ભારે પુરુષાર્થ કરવો પડે છે. ને તેમ છતાં એ એને સંપૂર્ણ તો ક્યાંથી પામી શકવાનો હતો? આવા સૂક્ષ્મ અર્થમાં તો જીવનકથાઓ હમેશાં અધૂરી જ રહેવાની. પણ સામાન્ય રીતે સારી જીવનકથાઓ ઓછી કે પાંખી નથી હોતી, ખાલીખમ તો નથી જ હોતી! એક માણસને અંદર-બહારથી પામવો એ સરલ નથી, એમાં સૌ સંમત થશે. બધા જ માણસો સરખા નથી હોતા. ઘણા ઓછાબોલા હોય, ઘણા ભાગ્યે જ મનની વાત કળાવા દેતા હોય છે, કેટલાક ઘણું બોલીને પણ ભીતરને ગોપવી જ રાખે છે. કોઈની મનીષા જાણીતી જ ન હોય, કોઈ દંભી, તો કોઈ મહત્ત્વાકાંક્ષી હોય! આવા માણસને તાગવો એ સંપૂર્ણપણે શકય નથી. એક નવલકથા લખવી, કદાચ, સરળ છે. કેમકે એમાં પાત્રો લેખકનાં સ્વ-નિર્મિત હોય છે, લેખક પોતાની પહોંચનું વિશ્વ એમાં રચે છે. પણ ભગવાને સર્જેલાં માનવોને, એમની આસપાસ વેરવિખેર પડેલા પ્રસંગોને આધાર બનાવીને એક જિવાતા કે જીવાઈ ચૂકેલા જીવનનો પરિચય આપવો, એ જીવનને આબેહૂબ નિરૂપવું ખરેખર મુશ્કેલ કાર્ય છે. કેટલાક પ્રસંગો ખાનગી હોય છે, જે વિશે કથાનાયક સિવાયનાંને અલ્પ માહિતી જ હોવા સંભવ છે! વળી વ્યક્તિને આવતાં સ્વપ્નો પણ અગત્યનાં બનતાં હોય તો એની માહિતી ક્યાંથી મેળવીશું વારુ? એટલે કથાનાયક વિશે તો મબલખ વાતો હોવાની. પણ એમાંથી જેટલી ઉપલબ્ધ થાય એટલી ખરી. ને ઉપલબ્ધિ પછી એને ચકાસી જોવાની શક્યતા દરેક પ્રસંગના સંદર્ભમાં ન પણ હોય, ત્યારે કેટલુંક તો ‘હવાઈ’ રીતે જ નિરૂપવું પડે એમ બને. આમ સત્યને આધારે રચાતી જીવનકથામાં પણ દસ ટકા જેટલો ભાગ તો ધારણાઓના હાથમાં જ હોય છે. જીવનકથા એટલે અંશે અધૂરી રહે છે. પણ એમાં લેખક તો નિસહાય હોવાથી નિર્દોષ છે એમ સ્વીકારવાનું છે. કોઈપણ જીવનકથા તેના લેખક અને વાચક બંને માટે આત્મઅભિવ્યક્તિનું સાધન બને છે. વાચક પણ લેખકની જેમ કથાનાયકનાં સંવેદનોને પ્રમાણે છે. એથી આગળ વધીને પોતાનાં સંવેદનો સાથે એનો જાણ્યેઅજાણ્યે તાળો મેળવે છે. પોતાના અનુભવોને, વિચારોને, મૂંઝવણોને અન્યનાં એવાં જ અનુભવો વગેરે સાથે સરખાવતાં ભાવકને સંતોષ થાય છે, આનંદ મળે છે તો વળી ક્યારેક એમાંથી પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે. વ્યક્તિપૂજા, સ્વજન ગુણગાન-જેવા ઉદ્દેશોથી પણ જીવનકથા લખાતી હોય છે. ક્યારેક મહાન માણસની મહત્તા જગતને જણાવવાનો, તો ક્યારેક સામાન્ય માણસની વિશિષ્ટ જિન્દગી લોકોને પ્રેરણારૂપ બને એ માટે નિરૂપવાનો ઉપક્રમ હોય છે. જીવનકથાએ આ સંદર્ભમાં સમાજસેવા કરેલી છે. બીજાં બધાં સાહિત્યસ્વરૂપો કરતાં જીવનકથા ઉપયોગીતાવાદ તરફ વધારે ઢળેલી હોય છે. કેમ કે એની પાછળ એવાં પરિબળો હોય છે, ને એવા ઉદ્દેશોથી એ લખાય પણ છે. માણસને માણસમાં રસ હોય છે. જિવાતા જીવનની જેમ, જીવાઈ ગયેલા જીવનમાં પણ એને રસ હોય છે. ને ભાવિના ઘડતરમાં ભૂત તથા વર્તમાનનો ઉપયોગ થઈ શકતો હોય તો આવી જીવનકથાઓ એમાં ઘણી મદદ કરી શકે છે. માણસ અનુકરણશીલ પ્રાણી છે. કથાનાયકની જિન્દગીમાંથી એ ઈચ્છે તો ઘણું શીખી શકે છે. લૉન્ગફેલોએ એના એક કાવ્યમાં કહ્યું છે “Lives of great men all remind us We can make our lives sublime, And departing leave behind us Foof-prints on the sands of time” (A Psalm of Life,)૧૭ બીજાં સાહિત્યસ્વરૂપો કરતાં, સવિશેષપણે, જીવનકથા નીતિ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે “Biography is a type of literature which, more than any oth-er, touches close on morality.”૧૮ જીવનકથાનું વાચન મિત્રની કે સ્વજનની જેમ દુ:ખમાં સાંત્વના આપે છે, સુખમાં સારી પ્રેરણા આપે છે. જગતને જોવાની દૃષ્ટિ કેળવાય છે ને જીવનના અગણિત પ્રદેશોનો પરિચય થાય છે. મનનાં ઊંડાણોમાં પ્રવેશવાની તક મળતાં એવી આવડત પણ કેળવાય છે. ક્યારેક આવી જીવનકથાઓ વાંચતાં કોઈ કથાનાયક આપણો માર્ગદર્શક આદર્શ કે ધ્યેય પણ બની જાય છે. માનો કે આવા પ્રયોજનથી જીવનકથા કોઈ ન વાંચે ને માત્ર જ્ઞાન કે આનંદ ખાતર વાંચે તો પણ સારી રીતે લખાયેલી જીવનકથાઓમાંથી એવો આનંદ મળતો હોય છે, જ્ઞાન તો મળવાનું જ છે. છતાં એક સંકેત કરવો જરૂરી છે કે જીવનકથાકાર નીતિબોધ માટે જ જીવનકથા નથી લખતો. એનું સ્વરૂપ જ એવું છે કે એ નીતિશાસ્ત્ર સાથે સામાજિક સન્દર્ભમાં સંકળાય છે. પણ નીતિબોધ તારવી આપવાનો એક માત્ર ઉદ્દેશ જીવનકથા માટે ઘાતક ગણાય. નીતિબોધ કે જ્ઞાનલાભ અહીં પણ પરોક્ષ રીતે ભાવકને ભલે મળતાં હોય, પ્રત્યક્ષપણે તો એક જિન્દગીને સાંગોપાંગ માયાનો આનન્દ જ મહત્ત્વનો હોય છે. જીવનકથાકારે રસનો વિશાળ પ્રદેશ તજીને નીતિની સાંકડી શેરીમાં પ્રવેશવાનું નથી હોતું. રસના પ્રદેશમાં વિહરતાં વિહરતાં એ નીતિનું દિગદર્શન ભલે કરાવે. કોઈપણ કૃતિ માટે સીધો બોધ તો વિઘાતક જ પુરવાર થાય છેઃ “All moral pre-occupation in a work of art whether it be a novel or a biography, kills the work of art.”૧૯ જીવનકથા પણ અન્ય કળાસ્વરૂપોની જેમ કળાપૂર્ણ નિરૂપણથી, એની રસશક્તિથી, ભાષાના સર્જનાત્મક ઉપયોગથી સાહિત્યકૃતિ બને છે, કળાકૃતિ બને છે, ને એ જ પર્યાપ્ત છે! આપણે જોઈશું કે આ સ્વરૂપના નિકટવર્તી અન્ય સ્વરૂપો સાથે તુલના કરવાથી પણ એનો પરિચય વધુ વિશદ થાય છે. જીવનકથા અને આત્મકથા વચ્ચે પાયાનો ભેદ એક જ છે તે એ કે જીવનકથામાં નાયક અને લેખક ભિન્ન હોય છે જ્યારે આત્મકથામાં લેખક એ જ નાયક હોય છે. આ ભેદમાંથી બીજી કેટલીક ભેદક લાક્ષણિકતાઓ જન્મે છે. જીવનકથાનું ઉદ્ભવબિન્દુ વ્યક્તિપૂજામાં પડેલું જોઈએ છીએ તેમ આત્મકથાનું ઉદ્ભવકેન્દ્ર આત્મઆવિષ્કરણની ઝંખનામાં જોઈ શકાય. માણસ અભિવ્યક્ત થવા ઝંખે છે. બંનેનું લેખન સમાજજીવનને લક્ષમાં રાખીને થાય છે. ભાવિ પેઢીના ઘડતરમાં બંનેનો ફાળો હોય છે, ને બંને પ્રકારનાં કથાનકો પોતાના સમયનું દસ્તાવેજી-ચિત્ર રજૂ કરતાં હોય છે. જીવનકથાના લેખક કથાનાયકનું બાહ્યવ્યક્તિત્વ તો એકઠી કરેલી સામગ્રીના આધારે બરાબર આલેખી શકે છે, પણ એનાં આંતરિક સત્યોને આખરી સ્વરૂપે રજૂ કરી શકતો નથી. કારણ કે એ જેટલું વધારે જાણે એટલું જરૂરી હોવા છતાં માનવના ભીતરને, એની સ્થિતિગતિને કે સંચલનોને કોઈ અશેષ તો ના જ જાણી શકે ને! આત્મકથાકાર પોતાના અંતરને સાફ અને યથાતથ જાણતો હોવાથી રજૂ કરી શકે છે. વળી આત્મકથાકારે હકીકતો માટે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી; બાળપણનાં બે-ચાર વર્ષો એમાં અપવાદરૂપ છે. ને એ કાળની વિગતો બહુ જરૂરી નથી હોતી, જે સ્વજનો પાસેથી મળી જાય છે. જીવનકથાકારને તાદામ્યનો પ્રશ્ન અને આત્મકથાકારને તાટથ્યનો પ્રશ્ન મૂંઝવે છે. આત્મકથાકારમાં નિખાલસતા અને સત્યકથન માટેની હિંમત જરૂરી છે. એ પોતા વિશે નર્યું સારું સારું લખે તો વાચકને એ કેમ ગમે? ને ઘસાતું લખે તો એ પોતાને કેમ ગમે? મુનશીની આત્મકથામાં અહમ્ અને આસક્તિ દેખાય છે, ત્યાં તાટથ્યનો અભાવ છે. નર્મદ, મણિલાલ અને ગાંધીજીએ આત્મકથાકાર તરીકે સત્ય, નિખાલસતા, હિંમત, નિર્મમતા જેવા ગુણો દાખવ્યા છે. જીવનકથાકારનો પણ બહુધા આ જ માર્ગ છે. બંનેમાં હકીકતોને સાધાર રજૂ કરવાની હોય છે. હકીકતોનું પરીક્ષણ કરીને પ્રમાણભૂતતા લાવવી પડે છે. એ પછી રજૂઆત અને પ્રયોજના વિશેની સૂઝનો અને ભાષાને સર્જનાત્મક રીતે પ્રયોજવાનો પ્રશ્ન બંનેની સામે આવે છે. આત્મકથાકાર અંતર્મુખ અને જીવનકથાકાર બહિર્મુખ હોય છે એ ખરું, પણ આત્મકથાકારે ઘણી વાર પરલક્ષી બનીને જાતને કડક પરીક્ષામાંથી પસાર કરી બતાવવી પડે છે. એ જ રીતે જીવનકથાકારે ઘણી વાર આત્મલક્ષીતાની હદ સુધી સમભાવ દાખવીને, કથાનાયકને ન્યાય કરવાનો હોય છે. જીવનકથાકાર નાયકના જીવનનું મૂલ્યાંકન કરી બતાવે છે, અંતે તારણો આપે છે. આત્મકથાકારે આવું મૂલ્યાંકન કરવાનું કામ બની શકે તો અને બની શકે એટલું કૃતિના હિતમાં ટાળવું જોઈએ. એનાં જીવન વિશેનાં બોધક તારણો એણે ભાવકો ઉપર જ છોડી દેવાં જોઈએ. જીવનકથા નાયકના જન્મથી મરણ સુધીની સંપૂર્ણ વાતો પોતાનામાં સમાવી શકે છે, આત્મકથા એ લખાય ત્યાં સુધીની ક્ષણો આગળ જ અટકી જાય છે, એટલે અંશે એ અપૂર્ણ છે. જીવનકથા કથાનાયકના જીવનનો ઇતિહાસ છે. જીવનકથા આમેય વ્યક્તિવિશેષના જીવનની વાત કરે છે, ઇતિહાસમાં એકાધિક વ્યક્તિઓના જીવનની વાતો હોય છે. ઇતિહાસ કોઈ પ્રજાની, રાષ્ટ્રની, જ્ઞાતિ-સમૂહની, રાજવંશ કે કોઈ શાસકોના સમયની, લોકનેતાઓની કારકિર્દીની વાતો કરે છે – જેમાં જમાનો આખોય ઉતરતો હોય છે. જીવનકથામાં વ્યક્તિ સાથે સંબંધિત વ્યક્તિઓ અને સમકાલીન સાંસ્કૃતિક સંદર્ભો વર્ણવાય છે. જીવનકથાનું ફલક મર્યાદિત અને ઇતિહાસનું ફલક વિશાળ હોય છે-એ તો બહુ જાણીતો, સહજ ભેદ છે. જીવનકથાકાર ને ઇતિહાસકાર બંને સત્યના ઉપાસક છે. હકીકતોના મૂળ સ્વરૂપમાં એમને રસ છે. ઇતિહાસકાર ઘટનાઓનો ક્રમ તોડી ન શકે, જીવનકથાકાર એ બદલી શકે છે, એમાં કાપકૂપ કરીને નવો ઘાટ આપી શકે છે, પણ તથ્યોમાં રહેલું સત્ય અળપાઈ ના જાય એ એણે જોવાનું રહે જ છે! બંનેને સ્થળકાળનાં બંધન છે. બંને, ચોકસાઈ ને શાસ્ત્રીયતામાં સરખાં હોય છે. હકીકતોની શોધ અને ચકાસણીનો પરિશ્રમ બંને સમાન રીતે કરે છે. હા, એમની રજૂઆતમાં, ભાષામાં, રચનાવિધાનમાં ફેરફાર હોય છે. જીવનકથા સાહિત્યકળાનો પ્રકાર છે એટલે એમાં સાહિત્યકળાને ઉપકારક લાક્ષણિકતાઓ લાવવાની હોય છે, ઇતિહાસ તો શાસ્ત્ર છે. ઇતિહાસનું કામ જ્ઞાન આપીને સમાજઘડતર કરવાનું છે. જીવનકથા આનંદ, જ્ઞાન અને બોધ આપે છે, પણ આસ્વાદ્યતા એનું સૌથી નોંધપાત્ર પાસું છે. જીવનકથામાં વ્યક્તિ જ કેન્દ્રમાં હોવાની, ઇતિહાસમાં એમ ન હોય. ઇતિહાસમાં તો નાની કે મોટી બધી જ વ્યક્તિઓનું હકીકતોના સંદર્ભમાં મૂલ્ય હોવાનું જીવનકથા વ્યક્તિવિકાસ, વ્યક્તિત્વઘડતરની કથા કહે છે. ઇતિહાસ રાષ્ટ્રવિકાસ અને સંસ્કૃતિ ઘડતરની વાત કરે છે. ઇતિહાસને વ્યક્તિના ચારિત્ર્યમાં રસ નહીં એટલો ઘટનાઓ અને એનાં કાર્યકારણોમાં રસ હોવાનો. જીવનકથાકાર નાયકનું બાહ્ય અને આંતરિક જીવન આલેખે છે જ્યારે ઇતિહાસ બહુધા વ્યક્તિના જીવનની બહિર્ગત ઘટનાઓની જ નોંધ લે છે. ક્યાંક વળી આંતરમનની વાત પ્રગટે, પણ એ તો જવલ્લે જ! ઘટનાના પ્રવાહો, યુદ્ધો, બાહ્યાચારો અને એના પ્રભાવોમાં ઇતિહાસ રાચે છે. જીવનકથા એટલી બધી સપાટી ઉપર કદી નથી રચાતી. એમાં ઊંચાઈ અને ઊંડાઈ- વ્યક્તિ અને સમાજ ઉભયની, બાહ્ય અને આંતરિક મથામણો બધું જ આવે છે. ઇતિહાસનો જે વિષય હોય છે એ જીવનકથામાં ઘણી વાર પશ્ચાદ્ભૂ તરીકે ટૂંકમાં વર્ણવાય છે. જીવનકથામાં સત્યોની સારવણી કરવા પૂરતી જ હકીકતો આવે છે, જ્યારે ઇતિહાસમાં માત્ર હકીકતોનું જ વર્ણન હોય છે. વળી જીવનકથામાં સત્ય ઇતિહાસની જેમ શુષ્ક સ્વરૂપે આવતું નથી, એને તો લેખકની સર્જકતાનો સંસ્પર્શ પણ લાગેલો હોય છે. જીવનકથાકારનો આરંભથી અંત સુધીનો અભિગમ બે સ્તરે ચાલે છે, સામગ્રી સંશોધન અને સંપાદનના સ્તરે એ વિજ્ઞાનીને અનુસરે છે. જીવનકથા આ અર્થમાં વિજ્ઞાન છે. એની ચોકસાઈ, એની રીતિ, એની ચકાસણી વૈજ્ઞાનિક હોય છે. સાધાર માહિતી હોય તોય એની ય સાબિતી હોય! જીવનકથાકાર આમ એક મોરચે વિજ્ઞાની બનીને આગળ વધે છે, એ ઇતિહાસકાર લાગે છે એ પણ આ અર્થમાં. આવશ્યકનો સ્વીકાર, અનાવશ્યકનો ત્યાગ, પૂર્વગ્રહયુક્ત તપાસ અને બૌદ્ધિક અન્વેષણ વૈજ્ઞાનિકોનાં આટલાં વલણો જીવનકથાકારમાં હોય છે. ઓછાવત્તાં પણ એ હોવા ઘટે! આ રીતે જોતાં જીવનકથા પ્રાથમિક દૃષ્ટિએ વિજ્ઞાન છે, ઇતિહાસ જેવું શાસ્ત્ર છે. પણ જીવનકથાકારનો બીજો અભિગમ – સમગ્ર રચનાપ્રક્રિયા દરમ્યાન બીજા સ્તર ઉપરથી ચાલતો અભિગમ, કહો કે બીજો મોરચો ચાલતો હોય છે તે રજૂઆત, રચનાપ્રપંચ અને ભાષાપરત્વેની સભાનતાનો. અહીં જીવનકથા કળાની ભોંય ઉપર ઊભી રહે છે. ને જીવનકથાકાર અહીં કળાકારની પરી સક્રિયતાથી કામ કરતો હોય છે. નવલકથાની જેમ જીવનકથામાં પણ માનવીનું અને માનવજીવનનું વર્ણન હોય છે. પણ એમાં વાસ્તવનો સંસ્પર્શ હોય છે, જીવનનો પરિવેશ તો ત્યાં પણ હોય જ છે. જીવનકથામાં યથાર્થ કથાવસ્તુ વાર્તાવસ્તુ હોય છે. એનો નાયક હાડચામમાં લોહીનો બનેલો ને જીવતો કે જીવી ચૂકેલો માણસ હોય છે. એની કથાને સૂઝબૂઝપૂર્વક કળાઘાટે આપવામાં આવે છે. નવલકથા વાસ્તવજીવનની કલ્પનાકથા જેવી લાગે છે. એમાં બધું કલ્પિત હોવા છતાં એ સર્વથા કલ્પિત નથી હોતું. એની વાર્તા, એના પ્રસંગો કે એનાં પાત્રો, સરવાળા બાદબાકી કરતાં, સમાજમાંથી મળી રહેતાં હોય છે, કોઈ ને કોઈ રૂપે એ ઓછાં કે વત્તો મળે જ છે. અર્થાત્ જીવન નવલકથામાં કાલ્પનિક રૂપે આવીને જીવનની નવી જ દિશા ઊઘાડે છે, અંધારિયા ખૂણાઓ બતાવે છે. જીવનકથા પણ માનવની જિદગીનો પરિચય આપે છે, વિશિષ્ટ જીવનનું વિશેષ રૂપેરંગે દર્શન કરાવે છે. હિન્દીમાં ‘જીવની’ (જીવનકથા)સાહિત્ય ઉપર લખનાર કૃષ્ણનારાયણ પ્રસાદે નવલકથા અને જીવનકથા વચ્ચેના ભેદમાં કલ્પનાનું આધિકય નવલકથાપો વધુ, આધારોની યથાર્થતા પણ નવલકથા પક્ષે વધુ હોવાનું નોંધ્યું છે.૨૦ જીવનકથા રચનારીતિમાંય નવલકથાની જેમ આગળ વધતી નથી હોતી એ ખ્યાલમાં રહેવું જોઈએ. જીવનકથાકાર સત્યને અને નવલકથાકાર સંભાવ્યને વળગી રહે છે. વાર્તાકથન, વર્ણન, પ્રસંગોની રજૂઆત કે ગૂંથણી તો બંનેમાં કળાપૂર્ણ અને વાચકોને બરાબર પકડી રાખે એવાં હોય છે, અથવા એવાં હોય એ બંનેના લાભમાં છે. નવલકથાકારને પાત્રો અને પ્રસંગોની પસંદગીમાં સ્વતંત્રતા હોય છે. જીવનકથાકારને આવું સ્વાતંત્ર્ય નથી હોતું. બંનેના લેખકો પોતાના નાયકનું વ્યક્તિચરિત્ર બરાબર રજૂ કરવા ઉત્સુક હોય છે. બંને ગૌણ પાત્રોને અને અન્ય સામગ્રીને લાવે છે, ઉચિત સંદર્ભમાં મૂકે છે, પણ કેન્દ્રમાં તો નાયક જ રહે છે. બંને વાતાવરણ, પશ્ચાદ્ભૂ, સાંસ્કૃતિક પરિવેશ ઇત્યાદિની વાતો કરે છે, બંને માટે એ અનિવાર્ય છે. જીવનકથાકાર આવી સામગ્રીને નામઠામ સાથે રજૂ કરે છે, જ્યારે નવલકથાકાર કાલ્પનિક નામઠામ આપે છે, પણ ભાવકને માટે એ અજાણ્યાં નથી રહેતાં. બંને મનોવ્યાપારોનું પૃથક્કરણ કરે છે, સંઘર્ષ નિરૂપે છે, જીવનની સિદ્ધિ-અસિદ્ધિઓ વર્ણવે છે. જમાનો અને જમાના પ્રત્યેના નાયકના પ્રતિભાવો કે પ્રત્યાઘાતો ચીતરવા બંને સર્જકકલ્પનાનો આશ્રય લઈને આયોજન કરે છે. આ રીતે લખાતી નવલકથાને જો આપણે કળા કહીએ તો જીવનકથાને પણ સાહિત્યના સ્વરૂપ લેખે સ્વીકારવી જ પડે. જીવનકથા અને નવલકથા બંને ‘નેરેટીવ’ અને ‘ડિસ્ક્રીપ્ટીવ’ કથાસ્વરૂપો છે. નવલકથા, નાટક ને વાર્તામાં નેરેશન અને ડિસ્ક્રીપ્શન જરા જુદી રીતે વિકસતાં હોય છે, જીવનકથામાં એ બહુધા પ્રસંગો પ્રમાણે આવ્યે જાય છે એટલું જ. આથી જ જીવનકથાકારનાં કથન-વર્ણન ક્ષમતાપૂર્ણ હોવાં જરૂરી બને છે. નવલકથા પણ નીતિ અને જીવનને વધારે સ્પર્શે છે. જીવનકથા પણ આ બે તત્ત્વોને વધારે નિકટતાથી નિરુપે છે. જીવનકથા મોટામોટા પ્રસંગો આપીને જ આવી વાતો કરે છે એવું નથી, નીતિની વાતો તો રોજિંદા જીવનમાંથીય સહજ રીતે મળી આવે છે. વર્જિનિયા વૂલ્ફ નોંધ્યું છે એ ઉચિત છે કે નવલકથાકાર અને જીવનકથાકાર બંને એકસરખી વાતનો સામનો કરે છે અને તે એ છે કે “It is the task of making order out of chaos.”૨૨ પશ્ચિમમાં નવ્ય જીવનકથા – New Biographyનું આંદોલન આવ્યું. જો કે આ શબ્દસંજ્ઞા પણ વર્જિનિયા વૂલ્ફની છે. એણે આ નામે નિબંધ લખેલો, ઉપરાંત The Art of Biography નામે પણ એણે નિબંધ લખેલો. જોકે લિટન સ્ટ્રેચી આ બંનેનાં સારાં ઉદાહરણો પૂરાં પાડીને New Biog-raphyના અગ્રયાયી ગણાયા. એમણે પુરોગામી જીવનકથાકારોએ જીવનકથા ઉપર લાદેલા વધુ પડતા નીતિના અને શુષ્ક જીવનના ભારને હળવો કર્યો. સર્જનાત્મક દૃષ્ટિએ એમણે જીવનકથાને પુનઃસ્થાપિત કરી આપી. આટલી ચર્ચા પછી નોંધવું છે તે એ કે જીવનનું સત્ય અને નવલકથાનું સત્ય તત્ત્વતઃ જુદાં નથી, પણ એથી કરીને જીવનકથાકારને નવલકથાકારની સ્વતંત્રતા મળી જતી નથી. બંનેનાં પાત્રોમાં ખાસ્સે અંતર હોવા છતાં એમાં સામ્ય પણ મળવાનું, વર્જિનિયા વૂલ્ફના "The New Biography” નિબંધમાં આની વિસ્તૃત ચર્ચા છે. કેટલાક અંશ અહીં ઉતારું છું “Truth of fact and truth of fiction are incompatible; yet he is more than ever urged to combine them. For it would seem that the life which is increasingly real to us is the fictitious life, it dwells in the personality rather than in the act. Each of us is more Hamlet, prince of Denmark than he is Johnsmith of the corn exchange. Thus the Biographer's imagination is always be-ing stimulated to use the novelist's art of arrangement, sugges-tion, dramatic effect to expand the private life.. Yet if he carries the use of fiction too far, so that he disregards the truth, or can only introduce it with incongruity, he loses both worlds; he has neither the freedom of fiction nor the substance of fact.” જીવનકથાના સ્વરૂપ સંદર્ભમાં વિસ્તારથી વાત કર્યા પછી એના સ્વ-તંત્ર ધરાવતા આંગવા સ્વરૂપ વિશે શંકા કરવાનું રહેતું નથી. એને સાહિત્ય બનાવનારાં તત્ત્વો વિશે પણ આપણે વાત કરી છે. અંતે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે જીવનકથાને વધુમાં વધુ આસ્વાદ્ય અને સાહિત્યિક કૃતિ બનાવવાનું કામ એના લેખકનું છે. પોતાની સર્જનાત્મકતાથી એ કરી શકે છે. દરેક સ્વરૂપની જેમ અહીં પણ કૃતિ રચનામાં જાડાંપાતળાં ચોકઠાં હોવાનાં. પણ પોતાની કૃતિને સિદ્ધ કરવા એનો લેખક ચોક્કસ દૃષ્ટિ અને યોજનાથી કામ લેવાનો. પેલાં ચોકઠાંને બદલી નાખીને એ એમાંથી એક સ્વરૂપ નિપજાવે છે. સામગ્રીનું રૂપાંતર કરીને એક કળાકૃતિ જન્માવી આપે છે. પાદનોંધ ૧. ઉપલબ્ધિ, યશવન્ત શુક્લ (આ. ૧૯૮૨) પૃ. ૨૮૬ ૨. ઇંગ્લિશ બાયોગ્રાફી, ડબલ્યુ. એચ. ડન, પ્રસ્તાવના ૩. એજન પૃ. ૧૫ ૪. આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી, આન્દ્રે મોર્વા પૃ. ૯૮ પ. એન્સાયકલોપીડિયા બ્રિટાનિકા (ગ્રંથ-૨) પૃ. ૫૯૪ ૬. લિટન સ્ટેચી, આર. કે. શ્રીનિવાસ આયંગર પૃ. ૧૪૧ ૭. શોર્ટર ઓક્સફર્ડ ઈંગ્લીશ ડિક્શનેરી (૧૯૩૯) પૃ. ૧૮૦ ૮. ચરિત્ર સાહિત્ય સ્વરૂપ અને વિકાસ, ડૉ. ઉપેન્દ્ર ભટ્ટ (૧૯૬૬) પૃ. ૪ ૯. ધૃતિ, મોહનલાલ પટેલ (૧૯૭૦) પૃ. ૨૦ ૧૦. બોઝવેલના પરિશ્રમનું ઉદાહરણ આ સંદર્ભમાં યાદ આવશે. ૧૧. જૂનું નર્મગદ્ય, પૃ. ૪૬૨ ૧૨. મેરીલીન: નોર્મન મેઈલર (૧૯૭૩) ધીસ રેફરેન્સ ઈઝ કવોટેડ બાય એલેન શેલ્ટોન ઈન બાયોગ્રાફી (૧૯૭૭) પૃ. ૧૪ ૧૩. આવારા મસીહા, વિષ્ણુ પ્રભાકર, પ્રસ્તાવના (૧૯૭૩) ૧૪. નવલગ્રંથાવલિ (સં. નરહરિ પરીખ. ૧૯૩૭) પૃ. ૧૧૯-૩૬ ૧૫. બાયોગ્રાફી,એલેન રોસ્ટોન પૃ. ૧૫ ૧૬ નવલગ્રંથાવલિ (સં. નરહરિ પરીખ, ૧૯૩૭) પૃ. ૧૩૬ ૧૭. લોંગફેલોની આ પંક્તિઓ ‘ચરિત્ર સાહિત્ય અને વિકાસ’ (ઉપેન્દ્ર ભટ્ટ)માં પૃ. ૧૭ ઉપરથી લીધી છે. ૧૮. આસ્પેક્ટ્સ ઑવ બાયોગ્રાફી, આન્દ્રે મોર્વા – ૧, પૃ. ૧ર૧ ૧૯. એજન પૃ. ૧ર૩ ર૦. હિન્દી સાહિત્ય:યુગ ઔર ધારા, કૃષ્ણનારાયણ પ્રસાદ માગધ’ સંવત ૨૦૨૨ પૃ. ૪૦૯ ર૧. ઉપલબ્ધિ યશવંત શુક્લ પૃ. ૨૮૧-૮૭ ૨૨. ‘બાયોગ્રાફી' માં ઉદ્ધત છે એમ પૃ. ૩૫ ર૩. એજન પૃ. ૬૫


=જીવનકથા વિશેની અન્ય સામગ્રી=
ચરિત્રલેખનનો આશય

માનવી જ વિચારતા અને લખતા માનવીના રસ અને અભ્યાસનો સનાતન વિષય છે. દેશદેશનું ચરિત્ર(biography) સાહિત્ય એની એક સાબિતી છે. કોઈ વિશિષ્ટ કે થોડીઘણી લોકોત્તર પ્રસિદ્ધ વ્યક્તિના જીવનકાર્ય અને સિદ્ધિઓથી આકર્ષાયેલા લોકોને એ વ્યક્તિ મનુષ્ય તરીકે કેવી હતી તે વિશે, એટલે કે તેના જન્મ, ઉછેર, ઘડતર, સ્વભાવ, ટેવો, જીવનના મહત્ત્વના પ્રશ્નો પરત્વે તેનું વલણ ઈત્યાદિ બાબતો વિશે જાણવાનું કુતૂહલ સ્વાભાવિક રીતે જ થાય છે. આ કુતૂહલને સંતોષવા ખાતર ચરિત્રસાહિત્યનો જન્મ થયો છે. ચરિત્રનાયક અને ચરિત્રનાયિકાનું જીવન અનેકોને પ્રેરણાદાયી, જીવનયાત્રામાં માર્ગદર્શક અને જીવનકલા શીખવનાર બની તેમના સંસ્કારઘડતરમાં મહત્ત્વનો ફાળો આપનારું છે એવી ચરિત્રલેખકની શ્રદ્ધા પણ તેને ચરિત્રલેખનમાં પ્રેરતી હોય છે. સમયની રેતીમાં પડેલાં વિશિષ્ટ રીતે જીવન જીવી જનાર વ્યક્તિઓનાં પદચિહ્નો પર વિસ્મૃતિના પવનથી સમયની રેતી ફરી વળી તેને ભૂંસી કે દાટી દે, તે પહેલાં તેને સ્થાયી કે અમર રૂપ આપી દેવાનો આશય પણ ચરિત્રલેખન પાછળ ખરો. – અનંતરાય રાવળ
‘ગંધાક્ષત’ પૃ ૧-૨

ચરિત્રલેખનનો અધિકાર

જીવન-ચરિત્ર જો ચરિત્રનાયકની હયાતીમાં લખાય તો એનો મોટામાં મોટો ફાયદો એ કે ચરિત્રકાર ચરિત્રનાયક વિષે પ્રમાણભૂત માહિતી મેળવી શકે અને તેથી ચરિત્રનાયકને તેના સત્ય સ્વરૂપે રજૂ કરી શકાય. તેમજ તેને કોઈ પણ પ્રકારે અન્યાય થવાનો સંભવ રહે નહિ. આ ઉપરાંત ચરિત્રકાર, ચરિત્રનાયક પાસેથી વિગતો મેળવી અથવા પોતાનું લખાણ તેને વંચાવી વિગતોની સચ્ચાઈની ચોકસાઈ કે ખાતરી તેની પાસે કરાવી શકે. આથી જ બબલભાઈ મહેતા તથા પુરાતન બૂચ રવિશંકર મહારાજનાં પ્રમાણભૂત ચરિત્ર આપી શક્યા છે. પણ ચરિત્રનાયકના જીવનકાળ દરમ્યાન રચાયેલી ચરિત્રકૃતિઓ તો હમેશાં અધૂરી જ રહે. ચરિત્રનાયકના દેહાન્ત પછી લખાતાં ચરિત્રો અધૂરાં ન રહે. ચરિત્રનાયકના દેહાન્ત પછી જો તરત એનું ચરિત્ર લખાય તો એ સમય જ એવો હોય છે કે ચરિત્રનાયકનાં સગાંવહાલાં, મિત્રો તેમજ તેને પરિચિત સમકાલીન માનવીઓ પોતાની પાસે હોય તેટલી માહિતી આપવા સામાન્યતઃ તત્પર બને એટલું જ નહિ, પણ અન્યજનો પાસેથી પણ સામગ્રી મેળવી આપવામાં સહાયક થાય. ચરિત્રનાયકના અવસાન પછી જેમ સમય વીતતો જાય તેમ તેને વિશે શ્રદ્ધેય હકીકતો પ્રાપ્ત કરવી એ અશક્ય નહિ, પણ અઘરું તો બનતું જાય છે. ચરિત્રનાયકનાં કુટુંબીજનો જો ચરિત્ર લખે તો ચરિત્રનાયક સાથે પોતે પરિચિત હોવાથી તેમને ચરિત્રનાયક વિશે વિગતો સારા પ્રમાણમાં મળી રહે. વિશેષ વિગતો કોની પાસેથી મળી શકે તે પણ તેઓ જાણે. એટલે હકીકતોની દૃષ્ટિએ ચરિત્ર પરિપૂર્ણ બનવાનો સંભવ રહે છે. કુટુંબીજનો ચરિત્ર લખે એનું મોટું ભયસ્થાન એ કે જો ચરિત્રકાર લાગણીના પૂરમાં તણાઈ જાય તો તે તટસ્થતા ગુમાવી બેસે અને તેથી નિષ્પક્ષ ચરિત્રકૃતિ મળવી મુશ્કેલ બને. ચરિત્રનાયકનાં સંબંધીઓમાં ચરિત્રકાર તરીકે ચરિત્રનાયક પ્રત્યે સહાનુભૂતિ અને તદ્રુપતા હોય પણ તેમનાથી વિવેક ગુમાવી અતિભક્તિ ન દેખાડાય પણ ચરિત્રનાયકનો મિત્ર, પ્રશંસક કે શિષ્ય હોય તો પણ તેણે આ બે ગુણ સહાનુભૂતિ અને તદ્રુપતા કેળવવા જોઈએ, અને તે સાથે પ્રાપ્ત વિગતોના સંપાદનમાં વૈજ્ઞાનિકના જેવી તટસ્થતાપૂર્વક સત્યની ચકાસણી કરવી જોઈએ. ચરિત્રનાયકના જીવન વિશેની હકીકતોનાં સત્યાસત્યની તારવણીમાં જ ચરિત્રલેખકની વિવેકશક્તિ ખલાસ થઈ જાય નહિ. એ હકીકતોમાંથી નાયકનાં જીવન, જીવનકાર્ય અને વ્યક્તિત્વને પ્રગટ કરવા કામની અને નકામી એનો, એટલે મુખ્ય-ગૌણ તેમ જ ત્યાજ્ય-સ્વીકાર્યનો નિર્ણય પણ તેણે કરવાનો રહે છે. તે પછી એ ‘વિવેક’થી એ પણ નક્કી કરવાનું રહેશે કે નાયક વિષે સંપૂર્ણ સત્યકથન કરવું કે કેમ ચરિત્રકારની નિરવશેષ સત્યોપાસના તેનાં સમકાલીનોનાં અંતરને કે તે યુગની શિષ્ટાચારની ભાવનાને દુભવે એમ હોય તો તેણે શું કરવું? તેમ જ અવિદ્યમાન વ્યક્તિઓ વિશે કરેલું સત્યકથન ‘આળ’ ગણાય અને વિદ્યમાન વ્યક્તિઓ વિશે કરેલું સત્યકથન ‘બદનક્ષી' કહેવાય એ જોખમ તો તેને માથે લટકતું જ હોય છે. ઉપરના પ્રશ્નનો જવાબ એ છે કે ચરિત્રકારે નિર્ભયતાથી અને નિખાલસપણે સંપૂર્ણ સત્યકથન કરવાનું છે, નહિ કે સત્યનું ગોપન કે આચ્છાદન. સત્યની પૂજા જ વિજ્ઞાનને માન્ય છે તેમ ચરિત્રનું પણ અંતિમ ઉપાસ્ય સત્ય જ હોય. આવી સત્યોપાસના માટે વૈજ્ઞાનિકમાં હોય તેવી તટસ્થતા અને સત્યપૂજા ચરિત્રકારમાં પણ જોઈએ. ચરિત્રકારે ચરિત્રનાયકના બાહ્યાંતર વ્યક્તિત્વને તેના સાચા સ્વરૂપમાં પ્રત્યક્ષ કરી આપવું જોઈએ. ચરિત્રકારે સત્યનું પ્રચ્છેદન, અલ્પોક્તિ કે અતિશયોક્તિ ન થાય તે પ્રત્યે ખાસ લક્ષ આપવું જોઈએ.

– ડૉ. ઉપેન્દ્ર ર. ભટ્ટ
‘ચરિત્ર સાહિત્ય : સ્વરૂપ અને વિકાસ’ – પૃ. ૧૦-૧૧

જીવનચરિત્ર અને આત્મચરિત્ર

જીવનચરિત્ર અને આત્મચરિત્ર વચ્ચે તફાવત છે. જીવનચરિત્રના વિષય અને લેખક જુદા જુદા હોય છે જ્યારે આત્મચરિત્રમાં ચરિત્રનાયક જ ચરિત્રલેખક પણ હોય છે. આ પાયાના ભેદને લીધે આત્મચરિત્રલેખનની કેટલીક ટાળી ટળે નહીં તેવી મર્યાદાઓ છે. એમાં સૌથી પહેલી મર્યાદા તે એ કે એનો લેખક પોતાના જન્મથી આત્મકથાની શરૂઆત ન કરી શકે, છતાં પણ જો એમ કરવાનો એનો ઉમળકો હોય તો જન્મ વિશેની માહિતી એણે બીજાઓ જેવી કહે તેવી સ્વીકારીને ચાલવું પડે. સ્મૃતિ ઉપર એને આધાર રાખવાનો હોઈ પોતાના ભૂતકાળના આલેખનમાં એની સ્મૃતિ જેટલી સાબથી તેટલો જ તે કાળના વર્ણનને તે ન્યાય આપી શકે. વળી પોતાના મૃત્યુ વિશેની વાત પણ એ આલેખી ન શકે. પરિણામે આત્મચરિત્ર એ લેખકના જીવનનાં અમુક જ વર્ષોની કથા બનીને અટકી જાય. આમ આત્મચરિત્ર એ જીવનચરિત્ર જેવું આદિ, મધ્ય અને અંતમાં સંપૂર્ણ ન બને. ડબલ્યુ. એચ. ડને તેથી English Biographyમાં એને ‘The true autobiography however, is but a torso’ કહીને ઓળખાવી છે. ચરિત્ર એટલે માથા અને હાથપગ વિનાની મનુષ્ય આકૃતિ – કબંધ. આત્મચરિત્ર એ ચરિત્રવાડ્મયનો એવો પ્રકાર છે કે એમાં પૂરેપૂરી સફળતા ભાગ્યે જ મળે. RT Hon. H. H. Asquith પોતાના Occasional Addresses નામના પુસ્તકમાં. એટલે જ જરા પણ ક્ષોભ વગર લખી દે છે કે 'It may, I think be laid down, as a maxim of experience..... that few auto biographies are really good literature. એનું કારણ એને મન ઘણું સ્પષ્ટ છે. આત્મ-સંપ્રજ્ઞતા એ કલા માત્ર માટે ઘાતક વૃત્તિ છે અને છતાં એ વૃત્તિના પ્રવર્તન વગર આત્મકથા શકય બનતી નથી. એકાગ્રચિત અહંતાપૂજક બન્યા વગર પોતાનું જીવનવૃતાન્ત પોત લખી શકી હોય એવી વ્યક્તિઓ ઘણી ઓછી હશે.

– કુંજવિહારી મહેતા અને જયન્ત પટેલ
સાહિત્ય સ્વરૂપ – પ૨ર-પર૩