૮૬મે/શું તમારું મન મેલું નથી?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શું તમારું મન મેલું નથી?

હૃદયથી કહો, શું તમારું મન મેલું નથી?
જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે એ ઘેલું થાય તો યે તમે તો ક્હેશો,
‘ના, એ ઘેલું નથી.’

જો જે ને તે એને તરડતું હોય,
જેને ને તેને એ ખરડતું હોય;
તો એને ગંગાજળથી ધોવાનું, કમલપત્રથી લ્હોવાનું કંઈ સ્હેલું નથી.

જો કોઈની કાયા-છાયા જોઈ હોય,
કોઈની આંખોમાં આંખો પ્રોઈ હોય;
તો એ કળણમાં ખૂંપવામાં ને એ કાદવમાં છૂપવામાં શું એ પ્હેલું નથી?

૨૦૧૨