‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સંપાદક-પરિચય
રતિલાલ કા. રોહિત ગુજરાતી વિષયના સંનિષ્ઠ અધ્યાપક અને અભ્યાસી છે. તેઓએ પ્રો. પરમ પાઠકના માર્ગદર્શનમાં ‘ગુજરાતી લોકસાહિત્યનાં સંશોધન-સંપાદનમાં પારસીઓનું પ્રદાન’ વિષય પર Ph.D. (૨૦૧૦-૨૦૧૬) નિમિત્તે શોધકાર્ય કર્યું છે. આ દરમિયાન પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં ગુજરાતી વિષયના વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક તથા મદદનીશ શિક્ષક તરીકે પાંચ વર્ષ કામ કર્યું. ત્યાર બાદ GPSC દ્વારા લેવાયેલ પરીક્ષા પાસ કરીને એપ્રિલ, ૨૦૧૮થી આસિસ્ટન્ટ પ્રોફેસર (ગુજરાતી) તરીકે સરકારી કૉલેજમાં ફરજ બજાવે છે. હાલ તેઓ સરકારી વિનયન કૉલેજ, ગાંધીનગરમાં કાર્યરત છે. એમને ભાષાવિજ્ઞાન, સંશોધન, સંપાદન, વિવેચન, સૂચીકરણ જેવા વિષયોમાં કામ કરવાનું વિશેષ ગમે છે. એટલે અધ્યાપનની સાથે-સાથે વાચન-લેખન અને સંશોધન-સંપાદનનું કામ પણ થતું રહે છે. આ વાચન-લેખન, સંશોધન-સંપાદનનાં પરિણામ રૂપ એમના ૪૫ જેટલા સંશોધન-વિવેચન લેખો ગુજરાતીનાં વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયા છે. એમનાં પાંચ પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે: ૧. શિક્ષણયાત્રાના સાથી, ૨. વાત આપણાં દલિત સાહિત્યની, ૩. શબ્દશુદ્ધિ, ૪. જૉસેફ મેકવાનકૃત ‘વ્યથાનાં વીતક’: નવ રેખાચિત્રો - અભ્યાસ અને આસ્વાદ, ૫. વ્યવહારભાષા અને ભાષાસજ્જતા, તથા ૬. ગુજરાતી ભાષા-વ્યાકરણ સંગ વ્યક્તિનામ (પ્રકાશ્ય).