A Room of One's Own

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


A Room of One's Own-Title.jpg


A Room of One's Own

Virginia Woolf


An Essential Literary and Feminist Text

મારો પોતાનો ઓરડો, એ મારી પોતાની દુનિયા


વર્જિનિયા વુલ્ફ


* એક નારીનું પોતાનું જગત
* એક સ્ત્રીનું સ્વ-વિશ્વ
* (એક આવશ્યક સાહિત્યિક અને નારીવાદી કથની)



ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખિકાનો પરિચય

Virginia Woolf1.jpg
વર્જિનિયા વુલ્ફ (૧૮૮૨-૧૯૪૧) વીસમી સદીની પ્રારંભિક આધુનિકતાવાદી ચળવળની અગ્રણી બ્રિટીશ લેખિકા છે. એમની નવીન વર્ણનાત્મક પ્રવિધિઓ અને સર્જકચેતનાનાં ઊંડાણ તાગનારાં આ સુખ્યાત લેખિકા, આપણા સમયનું એક અતિ પ્રભાવી અને પ્રતિભાશાળી સાહિત્યિક વ્યક્તિત્વ છે. એક જાણીતા બૌદ્ધિક પરિવારમાં જન્મીને, સાહિત્ય-કલાપ્રેમ પોષક વાતાવરણમાં ઉછેર પામ્યાં.

વુલ્ફની સાહિત્યિક કારકિર્દી-માનવીય વર્તનમાં મનોવૈજ્ઞાનિક પાસાનું નિરીક્ષણ, વર્ણન પ્રવિધિઓમાં પ્રયોગશીલતા, સામાજિક અને લૈંગિક મુદ્દાઓ ચર્ચવાની તેમની પ્રતિબદ્ધતાથી ઝળહળે છે. તેમની કૃતિઓમાં માનવીય સંબંધોની સંકુલતા, પાત્રોનાં આંતરજીવન, વ્યક્તિગત દૃષ્ટિકોણ અને બહિર્ વાસ્તવના તાણાવાણા ગૂંથાયેલા જોવા મળે છે. એમની અન્ય કૃતિઓમાં પણ અલગ ભાત પાડતી ગદ્યશૈલી, બાહ્યનિરીક્ષણ અને આંતરદર્શનનું સુભગ સંયોજન જોવા મળે છે: જેવી કે, To the Lighthouse, Orlando, Mrs. Dalloway વગેરે... ૨૦મી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશ કલ્ચરલ લાઈફ ઉપર પ્રભાવ પાડનારી બૌદ્ધિકો-કલાકારોની મંડળી બ્લૂમ્સબરી ગ્રુપનાં તેઓ ચાવીરૂપ સદસ્ય હતાં.

નારીવાદી વિષયવસ્તુ અને સામાજિક ધારા ધોરણોનું વિવેચન એમના આ ‘પોતાના ઓરડા’માં પડઘાતું સંભળાય છે; જેમાં લૈંગિક સમાનતા, સર્જનાત્મકતાની અભિવ્યક્તિ, સ્ત્રીની વૈયક્તિતાનાં આવર્તન-આંદોલિત થતાં જણાય છે. કમનસીબે, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી જીવનભર ગ્રસ્ત રહેવા છતાં, વુલ્ફની સર્જનયાત્રાએ સાહિત્ય જગતમાં અમીટ, અનેરી છાપ છોડી છે અને જગતભરના વિચારકો અને સર્જકોનાં તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યાં છે.

વિષય પ્રવેશ :

સુખ્યાત નારીવાદી લેખિકા વર્જિનિયા વુલ્ફની સ્વ-અભિવ્યક્તિ અને લિંગભેદ વિષયક વિશિષ્ટ પરિપ્રેક્ષ્યયુકત સ્મૃતિ કથા છે. એક સ્ત્રીને કલા-સર્જન કરતી અવરોધતાં સામાજિક અને માળખાગત પરિબળોની ચર્ચા કરતો આ એક પ્રલંબ નિબંધ ગણી શકાય.

પ્રસ્તાવના :

એક સ્ત્રીનું સ્વ-વિશ્વ અથવા એક નારીનું પોતાનું સર્જક જગત- એ વર્જિનિયા વુલ્ફની નારીવાદી વિચારણાની સીમાચિહ્નરૂપ વિસ્તૃત અભિવ્યક્તિ છે. જેને લિંગભેદ, સર્જનાત્મકતા, સ્ત્રીની કલાત્ત્મક અને બૌદ્ધિક ક્ષમતાને અવરોધતાં સામાજિક-સાંસ્કૃતિક નિયંત્રણો વગેરે અંગેની વિચારોત્તેજક ચોપડી તરીકે વધાવવામાં આવી છે. લેખિકા અહીં સ્વાનુભૂત-ચિંતન, સાહિત્યિક પૃથ્થકરણ અને કલ્પનોત્થ વાર્તાકથનના ત્રિવેણી-સંગમ દ્વારા, લેખિકાને ‘એક વિચારશીલ-બુદ્ધિજીવી મહિલાના લેખિકા અને વિચારક તરીકેના પૂર્ણ પ્રગટીકરણ માટે એક અલાયદો ભૌતિક ઓરડો તથા સામાજિક બંધનોથી મુક્તિવાળી એક સાહિત્યિક ને વળી રૂપાત્મક જગ્યા-અવકાશ જોઈએ જ છે’—આ વિચારને વિષદતાથી વાગોળે છે. કલાકૃતિના સર્જન માટે કેવી પરિસ્થિતિ-વાતાવરણ એને જોઈતાં હોય છે—આ ચાલાક પ્રશ્ન વર્જિનિયા વુલ્ફ્ને A Room of One’s Own બાંધવા માટે દોરી ગયો છે. અને લેખિકા નારીવાદી વિચારધારાની પારસમણિરૂપ કૃતિ લઈને પ્રસ્તુત થયાં છે... આ પુસ્તકનાં પ્રકરણો લિંગભેદ, સમાજ અને વૈયક્તિક સિદ્ધિ વચાળે વસેલાં સંકુલ જોડાણો અને સમીકરણોને એક કેન્દ્રવર્તી દૃષ્ટિકોણથી સમજાવે છે. એક આશાસ્પદ મહિલા કલાસર્જકને તેની ઈશ્વરદત્ત ક્ષમતાના પૂર્ણ પ્રગટીકરણમાં, એનાં સામાજિક, આર્થિક અને રાજકીય રોડાંઓ, લગામો બેડી-બંધનો કેવાં રોકે છે તે વાચક જોઈ શકશે. એની સામે રૂપાળા નામે રીતસર કાવતરાં જ થાય છે જે નારી સર્જકને ઊગવા-પાંગરવા દેતાં નથી... માત્ર બંધનોથી ગભરાઈને ઘરમાં ભરાઈ ન રહેતાં નારી કેવી રીતે એ વિઘ્નોને વીંધીને બહાર આવે છે એવા રસ્તા પણ અહીં ચર્ચાયા છે, જે ભવિષ્યમાં મુક્તિ માટે મથનારી મહિલાને માટે માર્ગદર્શક નીવડશે. સમાજ એમની શક્તિ સિદ્ધિ જોઈને સામેથી એને પ્રગતિનો પંથ કંડારી દેશે. એવી પ્રચૂર શક્યતાપૂર્ણ આ પથપ્રદર્શક કૃતિ વાંચ્યે જ છૂટકો ! બોલો બહેનો(અરે, ભાઈઓ પણ) તમે વાંચવા તૈયાર છો ને?

લેખિકા આ રીતે પોતાની વાત ઉઘાડે છે— મહાન અંગ્રેજી નાટ્યકાર શેક્સપિયરની બહેન હોવાનું કેવું લાગે? ફાંસીવાદી પરિબળો કેમ ખરાબ કલાકૃતિ સર્જે છે? Androgynous mind ઉભયલિંગી મન કેવી રીતે પ્રાપ્ત થાય?

મુખ્ય વિચારબિંદુઓ :

(૧) કલાક્ષેત્રે મહાન બનવા નારીને બધા જ પ્રકારની આઝાદી જોઈશે.

૧૯૨૦ના દાયકાનાં અંતિમ વર્ષોમાં, એક પાનખરના દિવસે, લેખિકા વર્જિનિયા વુલ્ફ, એક કૉલેજ કેમ્પસમાં થઈને વહેતી નદીની સાથોસાથ ચાલતાં આંટો મારી રહ્યાં હતાં. નદીના પ્રવાહની જેમ એમનો વિચારપ્રવાહ પણ, હરિયાળા ઘાસ ઉપર થઈને વહેતો હતો. એક ઊંડા બૌદ્ધિક દીવાસ્વપ્નમાં તેઓ ડૂબ્યાં અને કોઈક તીવ્ર તેજસ્વી આંતરદૃષ્ટિનું પ્રકાશદર્શન તેઓ કરવામાં જ હતાં, ત્યાં એકાએક એક માણસે એમનું શાંત આંતરદર્શન ખળભળાવી નાખ્યું....

“માફ કરજો, મોહતરમા ! આ નદી કિનારાની હરિયાળી ઘાસની ચાદર આ મહાવિદ્યાલયના વિદ્ધાનો માટે અનામત રાખવામાં આવી છે, આપ એના ઉપર ન ચાલી શકો. તો કૃપા કરી અહીંથી બહાર જશો?” થોડાં ઝંખવાણાં પડીને વુલ્ફ તો બીજા રસ્તે વળી ગયાં, પેલાની વિનંતીને માન આપીને... પરંતુ કમનસીબે એમની વિચારશ્રુંખલા તૂટી ગઈ-એમનું આંતરદર્શન ચાલતું હતું તે- જે થયું તે સારા માટે ! પરંતુ આ નાનકડી ઘટનાએ એમને ઊંડા વિચારે ચડાવી દીધાં—લિંગભેદ અને સર્જનાત્મકતાના આંતરસંબંધ વિશે તેમના મનમાં એક વિચારવલોણું ચાલ્યું. અહીં ચાવીરૂપ ખ્યાલ એ છે કે કલાત્મક અભિવ્યક્તિ ક્ષેત્રે મહાનતા પામવા નારી પાસે આર્થિક સ્વાતંત્ર્ય અને સ્થાનની મોકળાશ હોવી જોઈશે. પેલી સહેજ અપ્રિય અને કંઈક અપમાનજનક ઘટના પછી વુલ્ફ્ને સતત વિચાર આવતા રહ્યા કે સ્ત્રીને પોતાની કલાત્મક અભિવ્યક્તિની આઝાદી છે કે નહિ? એમણે ઇતિહાસ પર નજર કરી અને વળી તે દિવસની ઘટનાથી ડઘાઈને તેમણે જોયું કે ‘હા, ખરેખર, સ્ત્રીઓને શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં સામેલ કરવામાં નથી આવતી.’ (વાચકો, આ ૧૯૨૦ની સ્થિતિ હતી, આજની નહિ). એમણે યુનિવર્સિટી ગ્રંથાગારમાં જઈને મિલ્ટન અને થૅકરેની કૃતિઓ સ્વહસ્તે શેલ્ફ પરથી લઈને વાંચવી હતી, પણ ના...એમની જોડે કોઈ પુરુષ સ્કોલર ન હોય તો તે ત્યાં જઈ શકે નહિ એવો નિયમ હતો. પછી છતાં વુલ્ફ તો રળિયામણા કૉલેજ કેમ્પસ ઉપર આંટો મારતાં મારતાં ત્યાંનાં ભવ્ય મકાનો નિહાળીને ખુશ થતાં રહ્યાં, વિચારતાં ગયાં કે સદીઓનાં સમય, સંપદા અને શ્રમના સરવાળાસમાં આ વિદ્યાભવનો રાજવીઓ દ્વારા સ્થપાયાં, વેપારી-મહાજનો દ્વારા પોષાયાં અને અસંખ્ય મઝદૂરોના પસીનાથી બન્યાં હશે... એમાં કોઈ મહિલાનું યોગદાન હશે જ નહિ? મજૂરણોએ તગારાં નહિ ઊંચક્યાં હોય? રાણી-મહારાણીઓ આના ઉદ્ઘાટનમાં નહિ આવી હોય?—અને ત્યાર પછી આ બધું જ માત્ર પુરુષોનું અધિકારક્ષેત્ર થઈ ગયું? અમને સ્ત્રીઓને ઘાસ પર ચાલવા પણ ન દે? પુસ્તક પણ જાતે ન જોવા દે? આ તે કેવું વળી? તે દિવસે સાંજે, થોડા અન્ય બૌદ્ધિકો સાથે વુલ્ફ ભવ્ય ડિનર પાર્ટીમાં ગયાં. ત્યાં મોટા ભાગના લોકો સાહિત્ય-કવિતા વગેરેની ચર્ચામાં વ્યસ્ત હતા, પણ વુલ્ફ તો સમાજમાંથી સ્ત્રીની બાદબાકી-અવગણના-ઉપેક્ષા ઉપર જ વિચારતાં રહ્યાં. તેમણે તેની મિત્ર મેરી સેટનને સ્થાનિક મહિલા કૉલેજ વિશે વાત કરી કે પુરુષોની યુનિવર્સિટીને સારું ફંડ મળે છે જ્યારે મહિલા કૉલેજ તો ઑક્સિજન પર જીવે છે—તેને માટે દાન ઉઘરાવવાના કાર્યક્રમો કરવા પડે છે... આ તે કેવું? બસ, વુલ્ફ તો આ જ વિચાર-વમળમાં ફસાયાં—પુરુષોને તેમની બૌદ્ધિક-સંશોધક પ્રવૃત્તિ-અભ્યાસો કરવા માટે કેવાં સરસ નિવાસ-સાધન સગવડો અપાય છે, જ્યારે સ્ત્રીએ પૈસા-પાઉંડ-પેની માટે કોઈના મોહતાજ રહેવાનું? આર્થિક અસલામતી અને સામાજિક ડરમાં જીવવાનું? સ્ત્રીની કલાત્મક, બૌદ્ધિક અભિવ્યક્તિનું શું? જો સ્ત્રીને પણ પુરુષો જેવાં સગવડ-સંશોધનો-સ્થાન-માન મળે તો તે પણ પુરુષો જેવી સિદ્ધિની પ્રાપ્તિ નહિ કરી શકે શું? સ્ત્રીઓને શાથી ઓછી આંકવામાં આવે છે?

(૨) મહિલાઓથી પોતાની જાતને ઊંચી દેખાડવા પુરુષો તેમની શક્તિનો ઉપયોગ કરે છે.

ચાલો, બ્રિટીશ લાયબ્રેરીમાં આંટો મારીએ. આ પ્રાચીન ને પ્રતિષ્ઠત પુસ્તક પ્રાંગણ પુસ્તકો, પેમ્ફલેટ્સ, ગ્રંથસૂચિઓ, સામયિકો, જર્નલ્સ, એન્સાયક્લોપીડિયા આદિનો વિશાળ ભંડાર ધરાવે છે. જાહિર સી બાત હૈ-કે આ વિશાળ સંગ્રહમાં બધી મહત્ત્વપૂર્ણ માહિતી અને તથ્યો સમાવિષ્ટ હશે. અહીંથી વુલ્ફ પોતાનું સંશોધન શરૂ કરે છે કે સમાજમાં પુરુષ અને સ્ત્રીને આટલી અલગ રીતે કેમ જોવામાં આવે છે? એમની વચ્ચે આવાં ભેદ-વર્તન-વ્યવહાર શા કારણે છે? લેખિકા હોવાને નાતે એમણે તો પુસ્તકાલયનાં અભરાઈ-પાટિયાં-પૂઠાં-પુસ્તક ઉથલાવી જોયાં અને એમને એક વિચિત્ર અસંતુલન સાંપડ્યું ! એક વિસ્મયકારી તથ્ય સામે આવ્યું કે સ્ત્રીઓ ઉપર હજારો હજારો પુસ્તકો લખાયેલાં છે—સ્ત્રીના જીવવિજ્ઞાન, સ્વભાવ, મનોવિજ્ઞાન, ઇતિહાસ-બધું મહિલા વિશે ભરચક માહિતીપૂર્ણ છે, પણ આ બધું લખે છે કોણ?—પુરુષો !! અરે? આ તે કેવી વિચિત્રતા, વિધિની વક્રતા કે સ્ત્રીના શરીર-મન-જીવન-કવન બધાં વિશે સ્ત્રી પોતે તો કંઈ બોલતી-લખતી-વિચારતી નથી ને પુરુષો જ આ બધું (એના વતી) લખે છે? આની સામે સ્ત્રીઓએ પુરુષો વિશે લખ્યું હોય એવું તો કાંઈ જડ્યું જ નહિ.

આનો અર્થ એવો લાગે છે કે પાશ્વાત્ય કલ્પનામાં સ્ત્રી હંમેશા એક તપાસ-વિષય(object of scrutiny) રહી છે પરંતુ તેને વસ્તુલક્ષી સંશોધક(objective scrutinizer) તરીકે ક્યારેય ગણવામાં-સ્વીકારવામાં નથી આવી. અહીં ચાવીરૂપ ખ્યાલ એ છે કે મહિલાઓથી પોતાની જાતને સવાઈ સાબિત કરવા પુરુષો એમનું પુરુષાતન પ્રયોજે છે. પુસ્તકાલયના સંગ્રહમાં આ લિંગભેદ-gender gap- જોઈને વુલ્ફ તો નિરાશ થયાં, તોયે તેમણે સ્ત્રીઓ ઉપરનાં પ્રાપ્ય પુસ્તક-પાનિયાં ફેંદવામાં સવારનો સમય ફાળવ્યો. તેમણે જોયું કે પુરુષો- સ્ત્રીઓ અંગેના દરેક પ્રકારના ખ્યાલો-અભિપ્રાયો ધરાવે છે. કેટલાક સ્ત્રીને બાળકબુદ્ધિવાળી, ડીમ, શીખવાને અક્ષમ એવી ગણે છે. તો કેટલાક વળી સ્ત્રીને રહસ્યમય, પારલૈકિક દેવી મૂર્તિ ગણી મહત્તા પણ આપે છે...પણ આ બંને અંતિમો સ્ત્રીઓ અંગે સાચાં નથી. પુસ્તકાલયમાં વધુ ખાંખાખોળાં કરતાં વુલ્ફ્ને એક આઘાતજનક પુસ્તક હાથ લાગ્યું : The Mental, Moral and Physical Inferiority of the Female Sex—જેના લેખક સુખ્યાત પ્રોફેસર હતા. એનો સૂર એટલો તો વાહિયાત અને હાસ્યાસ્પદ હતો કે એના લેખક કેવા મનના હશે તેનો વુલ્ફ્ને અંદાજ આવી ગયો, કે તે સ્ત્રીને ઘરકૂકડી માનનાર, લચકતા ઘુવડ જેવા શિકારીવૃત્તિવાળા અને ઊંડી લઘુતાગ્રંથિથી પીડાતા પુરુષ હોવા જોઈએ. ભૂતકાળમાં તેઓ મહિલાઓથી તિરસ્કૃત થયા હોવા જોઈએ જેથી આવું પુસ્તક લખીને તેમણે તેનો બાલિશ બદલો લીધો છે. તોયે જગતની મોટા ભાગની સ્ત્રીઓ કરતાં, આ દયનીય પ્રોફેસરનું સ્થાન ઈર્ષ્યાયોગ્ય છે. વુલ્ફે અખબારનાં પાનાં ફેરવ્યાં ને જોયું કે મોટા ભાગની ઘટનાઓ, સમાચારો પુરુષકેન્દ્રી હતા.. સરકાર તો પુરુષો જ ચલાવે, બ્રોકરેજ-બિઝનેસ ડીલ મરદો જ કરે, રમતજગતમાં પણ છોકરાઓ જ આગળ આવે—એવી વિગતોથી પેપર છલકાતું હતું. જાણે કોઈ પરગ્રહવાસીને તો એમ જ લાગે ને કે ધરતી ઉપરની સ્ત્રીઓ ઉપર પુરુષોની જ સત્તા કે આધિપત્ય ચાલે છે ! આવી અસમાનતા ભાળીને, વુલ્ફ્ને એવું વિચિત્ર લાગ્યું કે સ્ત્રીઓને અને તેનાં સ્થાન કે કાર્યને નીચું બતાવવામાં, તિરસ્કારવામાં જ પુરુષો રચ્યાપચ્યા છે કે શું? આથી તેણે તારવ્યું કે આ સ્ત્રી-તિરસ્કાર-વૃત્તિનાં મૂળ પુરુષોની અસલામતી-વૃત્તિમાં અને જગતમાં તેમના સ્ટેટસને સ્થાપવાની ઈચ્છામાં રહેલાં છે. તેણે કલ્પ્યું કે પુરુષોને એવી ખાતરી થવી જોઈએ કે તે સ્ત્રી કરતાં-તેની ઘરની સહનિવાસી કરતાં બહેતર હોઈ કોઈપણ રૂમમાં તે જવાને-ફરવાને હક્કદાર છે. વુલ્ફ્ને આશ્ચર્ય આ જ વાતનું છે કે પુરુષોના આવા માઈન્ડસેટને લીધે કેટલી બધી(લગભગ બધી જ) સ્ત્રીઓનાં દક્ષતા, કૌશલ્ય-કલાઓ દબાઈ જતાં હશે, ઢંકાઈ જતાં હશે, હાંસિયામાં-પુરુષના પડછાયામાં ધકેલાઈ જતી હશે !

(૩) ઇતિહાસ ગવાહ છે કે પ્રતિભાશાળી સ્ત્રીઓને સમકાલીન સમાજે આગળ આવવા દીધી નથી, તક આપી નથી.

શેક્સપિયરની નાટ્યસૃષ્ટિ અદ્ભુત અને કાલાતીત છે. એની ભાષા એવી તો પ્રવાહી-તરલ અને કાવ્યાત્ત્મક છે કે પ્રત્યેક દૃશ્ય અને સંવાદ જાણે જાદુઈ અને કોઈ અન્ય લોકમાંથી સીધાં સ્ટેજ ઉપર ઊતરી આવ્યા હોય ! એ મહાન નાટ્યવિદની મહત્તાને નમન, પરંતુ એ સમયે માત્ર શેક્સપિયર જ એકલા એવા સાહિત્યકાર નહોતા, એલિઝાબેથન યુગમાં ઇંગ્લેન્ડના અન્ય પુરુષ લેખકો, કવિઓ, નાટ્યવીરો સરસ સર્જન કરતા જ હતા... આથી વિપરીત, કોઈ મહિલા સર્જકનો અવાજ કે શબ્દ ત્યારનો નોંધાયેલો નથી એ કમનસીબ બાબત છે. બાકી સ્ત્રી સર્જકો ન હોય એમ બને નહિ.

તો આ અસંતુલન શું સૂચવે છે? પુરુષોમાં જ સર્જકતાનો જાદુઈ ચમકાર-ઝબકાર હોય અને સ્ત્રીઓમાં તેવું તેજ નહિ હોય શું? હોય જ વળી; પરંતુ પુરુષપ્રધાન માનસિકતાની બલિહારી કે નારીને આગળ આવવાની બારી જ ન બતાવી, એમને તક ન આપી, તેમને શિક્ષણ, આર્થિક આઝાદી ને પ્રોત્સાહન ન આપ્યાં જેથી સ્ત્રીની તેજસ્વિતા સમાજને જોવા ન મળી. અહીં ચાવીરૂપ ખ્યાલ એ છે કે ભૂતકાળમાં સમકાલીન સમાજે સ્ત્રીઓની પ્રતિભા ખીલવવાની તક નથી આપી. તમે ઇતિહાસ અથવા સાહિત્યનો ઇતિહાસ તપાસો તો જુદું જ ચિત્ર જોવા મળશે. કથા સાહિત્યજગતમાં, લેખકોની કલ્પનામાં પણ ઢગલાબંધ આદર્શ સ્ત્રીપાત્રો મળશે. પ્રાચીન ગ્રીક નાયિકાઓ-એન્ટીગોનીથી માંડીને શેક્સપિયરની લેડી મેકબેથથી લઈને ૧૯મી સદીની અન્ના કેરેનિના સુધી સાહિત્યનાં પાનાંઓમાં કેટલીયે પ્રતિભાશાળી સ્ત્રીઓ ચિત્રિત થઈ છે. તેમ છતાં, ઇતિહાસગ્રંથોમાં સ્ત્રીને ગૌણ ભૂમિકામાં ભંડારી દેવાઈ છે. તો પછી સાહિત્ય-કલા સર્જનની દુનિયામાં સ્ત્રી આટલી મહત્ત્વપૂર્ણ હોય છતાં તેને વ્યવહાર જગતમાં શા માટે સાઈડલાઈન કરવામાં આવે છે? મને લાગે છે કે સ્ત્રીને પુરુષો જેવી સ્વાયત્તતા ભાગ્યે જ અપાઈ છે. પ્રમાણમાં નજીકના ગણાય એવા એલીઝાબેથન યુગમાં-૧૯મી સદીમાં ઇંગ્લેન્ડમાં પણ સ્ત્રીઓ ભાગ્યે જ સુશિક્ષિત હતી. તેમને ભણાવવા કરતાં જલ્દીથી પરણાવી દેવાતી અને તે પણ તેમની ઈચ્છા કે પસંદગીની પરવા કર્યા વિના ! અને પુરુષપ્રધાન સમાજ એની પાસે માત્ર બાળઉછેર અને ગૃહસંચાલનની મોટી ખોટી અપેક્ષા સેવતો.. આવામાં સ્ત્રીની કલાત્મક સર્જનાત્મકતા ક્યાંથી ખીલે? એ તો ઘરના ખીલે બંધાયેલી હતી. વર્જિનિયા વુલ્ફ આ જ ચિંતનચકડોળે ચઢી અને તેણે કલ્પના કરી કે શેક્સપિયરને પણ જુડીથ નામની એક બૌદ્ધિક-સર્જકસંપદા-યુક્ત બહેન હોત તો? તેનું જીવન-કવન એના ભાઈ શેક્સપિયર જેવું (થવા દીધું) હોત ખરું? વાસણ-કપડાં ને રસોઈ રાંધણ, ઘોડિયાંની દોરી હીંચતાં તેને ભણવા-ગણવાનું મળ્યું હોત ખરું? જો તે બુદ્ધિશાળી હોત તો અંગત સ્તરે પણ આગળ વધી હોત? તેણે છાનાછપનાં વાર્તા-કવિતા લખવાં પડ્યાં હોત; અને તોયે તેના પિતાજીએ તેના સાહિત્યપ્રેમને ચોક્કસપણે વધાવ્યો તો ન જ હોત, ઉલટાની તેને હતોત્સાહ કરી હોત...છતાં જૂડીથ ડગી ન હોત અને તેણે તેનાં કલાઅભિવ્યક્તિનાં સ્વપ્ન પૂરાં કરવાં હોત તો તેણે ઘર છોડીને જતા રહેવું પડ્યું હોત. ૧૬મી સદીની સર્જકતા-શક્યતા સંપન્ન સ્ત્રીની આ (અવ)દશા હોત! આથી લાગે છે કે શેક્સપિયરની આવી કાલ્પનિક બહેનને કદી પણ ખીલવા ને વિકસવાની તક જ ન મળી હોત... આ તો આપણે કાલ્પનિક બહેનની વાત કરી, પણ વાસ્તવમાં આવી ઘણી પ્રતિભાશાળી સ્ત્રીઓ ત્યારે હતી, જેમને અભિવ્યક્ત થવાનો અવસર ને અવકાશ ક્યારેય ન મળ્યા.. આથી ઘણી એવી ગૂંગળાતી સ્ત્રીઓ માનસિક તાણ અને ક્યારેક આત્મહત્યાનો ભોગ બનતી.. તદ્ઉપરાંત, નહીવત્ સ્ત્રીઓને લેખક-સર્જક-કલાકાર થવાની તક મળી તેથી સમકાલીન યુવતીઓ-કન્યાઓને પોતાના રોલમોડેલ મેળવવાની પણ તંગી વર્તાઈ. સમાજ માટે આ શરમજનક જ ગણાયને? કેટલી ખોટ ગઈ માનવજાતિને કે સમાજે તેના અડધા વર્ગ (પુરુષવર્ગ)ને જ મહત્ત્વ આપ્યા કર્યું અને બીજા અડધા (સ્ત્રી)વર્ગની સર્જનાત્મકતાની ઉપેક્ષા જ કર્યે રાખી ! નહિ તો કેટલી સારી ઉત્કુષ્ટ કૃતિઓ સ્ત્રી સર્જકો પાસેથી મળી શકી હોત !

(૪) હજી આજે પણ સફળ લેખિકાઓ હાલની વિષમ સામાજિક વાસ્તવિકતાથી ગૂંગળાઈ રહી છે.

મળીએ લેડી વિન્ચીલ્સીને. ૧૬૬૧માં સંસ્કારી ઘરાનામાં જન્મેલી વિન્ચીલ્સી એ સદીમાં પ્રમાણમાં સારું કહેવાય તેવું શિક્ષણ પામી હતી અને સર્જનાત્મકતા ધરાવતી હોઈ કવિતા લખવામાં આયખું વીતાવી શકે એટલી સાધન સંપન્ન હતી... પણ કમનસીબે તેના સર્જકઝનૂનને, કલાત્ત્મક ઊભરાને ગંભીરતાથી લેવામાં ન આવ્યો.. પુરુષાધિપત્યની માનસિકતાએ તો આમ કર્યું જ, પરંતુ એ લેડીના ભદ્રવર્ગીય વર્તુળમાં પણ તેની આ લેખનકળા કે સર્જકશોખને વિશિષ્ટ, જુદો ચીલો ચાતરનારો ચક્રમ, ખિન્ન, એકલવાયો, સ્વપ્નસેવી ગણી લેવામાં આવ્યો. નારીવર્ગે પણ નારીને નકારી, હતોત્સાહ કરી. જાણે તે જુદા ગ્રહનું પ્રાણી હોય તેમ એનો સામાજિક બહિષ્કાર થયો, જેથી એક સર્જક સ્ત્રીનું મન કડવું અને ખાટું થઈ ગયું. આ કડવાશ, અવમાનના, સર્જકતાની સામજિક સ્વીકૃતિનો સંઘર્ષ તેની એક કવિતામાં પડઘાયો :

“મારી કાવ્યપંક્તિઓ-મારું માનસ સંતાન-અવગણના ને અવમાનના પામ્યું... મારી કલાત્મક અભિવ્યક્તિ-પ્રવૃત્તિને વ્યર્થ-નિરર્થક મૂર્ખાઈ ગણી લેવાઈ અથવા જાણે મેં કોઈ અહંકારવશ ભૂલ કરી હોય એવું ચિત્ર ઉપસાવ્યું. મારા જ સમાજે.” બિચ્ચારી લેડી વિન્ચીલ્સી ! નારીના કલ્પના જગતની, તેની અભિવ્યક્તિ ઝંખનાની કેવી ઉપેક્ષા ! સ્પષ્ટ દેખાય છે કે લેડી હજી પણ સમાજિક બેડી-બંધનોમાં જકડાઈને ઘૂંટાઈ રહી છે. એની સરસ્વતી સૂકાઈ રહી છે... આજે મહિલા સર્જકોને ગંભીરતાથી લેવામાં આવે છે ખરી, પરંતુ તેનું સર્જન સમાજિક છાયા-પડછાયામાં થાય છે, એને વિશાળ ગગનની મોકળાશ ને સૂર્યપ્રકાશનું તેજ ક્યાં સાંપડે છે? અહીં ચાવીરૂપ સંદેશ છે કે હજી આજે પણ સફળ લેખિકાઓ સામાજિક સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકતી નથી. અને વળી એવું નથી કે લેડી વિન્ચીલ્સી પ્રથમ સર્જક હતી. વાસ્તવમાં, જયારે તે પોતાનાં ઘૂટન અને ક્રોધાવેશને કવિતામાં ઊતારી રહી હતી ત્યારે બીજી એક લેખિકા-નાટ્યકાર,નવલકથાકાર આફ્રા બૅન એક સફળ સર્જક તરીકે પાંગરી-પ્રસરી રહી હતી, કલમસેવી અને કલમજીવી બની અન્ય મહિલા સર્જકો માટે આગળ આવવાની કેડી કંડારી રહી હતી. એની દુર્લભ અને ચમત્કારિક સફળતાએ બતાવી આપ્યું હતું કે લેખન-સર્જન નારીઓ માટે નફાકારક પ્રવૃત્તિ બની શકે છે અને નફાકારકતાની પાછળ સન્માન આપોઆપ ચાલ્યું આવે છે...જાગો જગતજનની નારીઓ ! અને ખરેખર, આફ્રા બૅનના દૃષ્ટાંતને જોઈને વધુ ને વધુ કામિનીઓએ કલમ ઉપાડી પોતાની કેદ-કલ્પનાને મુક્તિની ઉડાન આપી હતી.. અને પછી તો લાઈન લાગી ગઈ-નારી ચલ પડી... ૧૯મી સદી સુધીમાં જેઈન ઑસ્ટીન, જ્યૉર્જ ઇલિયટ, બ્રોન્ટી સીસ્ટર્સ ક્લાસીક નવલકથા લેખનયાત્રામાં ઝંપલાવી ચૂકી હતી. હા, એટલું ખરું કે આ બધી લેખિકાઓનાં સર્જનમાં કેટલાંક લક્ષણો એકસમાન જોવા મળતાં.. એ બધી સર્જકોને પ્રમાણમાં ઘણો સારો ઉછેર, શિક્ષણ અને પારિવારિક પ્રોત્સાહક માહોલ, સંપન્નતા અને સંતાન-વિહીન સર્જનની મોકળાશ મળી હતી.. પણ તોયે જરા વક્રતા જુઓ કે ઇલિયટે પુરુષનામના ઉપનામનો આંચળો ઓઢવો પડ્યો હતી. એ શ્રીમાન જ્યોર્જ ઇલિયટ નહોતાં, પણ મેરી ઍન ઈવાન્સ હતી ! લ્યો, બોલો ! કારણ કે બાહ્ય વાસ્તવ અને સામાજિક વાતાવરણ તેમને હજી અસર કરતું હતું. આ બધી લેખિકાઓ નવલકથા લખતી હતી. વુલ્ફ અહીં નોંધે છે કે નારીને માટે ઘરકામના ચકરાવા અને અન્ય અવરોધકોની વચ્ચેથી થોડો સમય ચોરી લઈને કથનકળાને વિસ્તારતો નવલકથા પ્રકાર વધુ માફક આવી ગયો હતો. એમના સમય-સંજોગોને એ અનુકૂળ હતું. બાકી એમિલી બ્રોન્ટીનો ઝૂકાવ કવિતા તરફ અને ઇલિયટનો ઇતિહાસ તરફ હતો, તોયે બંને લેખિકાઓ નવલકથાપંથની સફળ યાત્રીઓ બની રહી. કારણ કે, તેમની સમકાલીન સમાજરચના અને યુગ-પરિસ્થિતિએ પણ તેમની નવલકથાઓને બાંધવાનો ઘણો કાચો માલ પૂરો પાડ્યો. એ સમયગાળામાં પુરુષો, સાહસપ્રિય પ્રાણીઓ જગ જોવા ને દુનિયા ખેડવા નીકળી પડ્યા હતા. કાઉન્ટ લિયો ટોલ્સટોય જેવા લેખકોની સર્જનસૃષ્ટિ આવા પુરુષોને માટે સાહસિક પ્રેરણાની ખાણ નીવડી હતી, અને તેઓ ઊંબરો ઓળંગી અવનીને ખોળે ઊપડ્યા, આથી મહિલાઓને પોતાનું ગૃહજીવન, સંજોગબદ્ધ અસ્તિત્વ, ઐહિક જીવન ઝીણવટથી જોવા-નાણવાનો મુક્ત અવસર મળી ગયો. અને એ બધું એમની નવલકથાઓમાં ડોકાયું... અને આ લેખિકાઓએ એ દૈનિક પરિચિત વાસ્તવને પણ કલ્પનાનાં રંગબેરંગી વસ્ત્રો પહેરાવી પેશ કર્યું. પણ વિચારો કે આનાથી પણ વધુ મોકળાશ અને ચિંતનાવકાશ તેમને મળ્યો હોત તો એમના ચિદાકાશને તેઓ હજી વધુ તેજલિસોટાથી ખોલી શકી હોત, ખરું કે નહિ?

(૫) સમકાલીન નારી નવીનતર વાસ્તવિક ભૂમિકાઓ સર કરવા કથાસાહિત્યનો ઉપયોગ કરી શકે છે.

ચાલો, તમને ભૂતકાળની સફર ઘણી કરાવી, હવે ૧૯૨૦ના દાયકામાં અંત તરફ-આધુનિક કાળ તરફ આવીએ... તમે આ સમયનાં બુકશેલ્ફ જોશો તો નવાઈ પામશો, અરે તમને ખુશી થશે કે પુરુષ સર્જકોની કૃતિઓની લગોલગ જ તમને લેખિકાઓની ચોપડીઓ પણ એટલી જ હાથમાં, નજરમાં આવવા માંડશે. તેમનો વિષયવસ્તુ વ્યાપ પણ હવે વૈવિધ્યપૂર્ણ જોવા મળશે, માત્ર ઘરેલુ-સામાજિક જ નથી રહ્યો...જુઓ તો ખરા, એનાં નામો-મથાળાં :- જેઈન હેરિસનની Greek Archeology (પુરાતત્ત્વ), વર્નન લીનું Art and Aesthetics ઉપરનું લખાણ, ગર્ટ્રૂડ બેલ વળી પર્શિયાનો ઇતિહાસ ઉખેળે છે... પેલું કથાસાહિત્ય પણ વિવિધતાનો સ્પર્શ પામ્યું છે—રોમાન્સીસ, ફેન્ટસી સ્ટોરીઝ, કઠોર વાસ્તવની નવલકથાઓ વગેરે જોવા મળશે.. હવે તમે તે યુગની લેખિકાઓના સર્જન વિશે શું કહેશો? ચાલો એકાદ રેન્ડમ ટાઈટલ ઉપાડો અને જુઓ : Life’s Adventure by Mary Carmichael…. આ તો રસપ્રદ લાગે છે !

તો વાતનો સાર એ જ કે સમકાલીન લેખિકાઓ નવું નવું વિવિધતાભર્યું લખી શકે છે. વુલ્ફ્ને લાગે છે કે નવલકથા વાંચવાનો એકમાત્ર સારો રસ્તો એ છે કે પ્રત્યેક કૃતિને એના બૃહદ સાહિત્યિક ઇતિહાસયાત્રાનો આખરી ને અદ્યતન પડાવ ગણીને વાંચવી. તેથી મેરી કાર્માઈકલની પ્રથમ નવલને પણ ભૂતકાળની નવલકથાઓના સંદર્ભમાં મૂલવી જોવી. તો તમને Life’s Adventure કેટલાક નવા આયામો ઉઘાડી આપનારી રસિક કથા લાગશે. એની શૈલીગત વિશિષ્ટ પસંદગી એ તો હજી શરૂઆત છે. એની ગદ્યગરિમા તેને અન્ય પૂર્વસૂરીઓ કરતાં (ઓસ્ટીન અને બ્રોન્ટી) સંક્ષિપ્ત છતાં સબળ, ચોટદાર ને ચિત્રાત્મક લાગશે. વુલ્ફ તો તેના એક જ વાક્ય આગળ અચંબાથી અટકી પડ્યાં: ‘Chole liked olivia’—આ નાનકડા શબ્દપ્રયોગે સંભાવનાઓની નવી સૃષ્ટિ ઉઘાડી આપી. આ પૂર્વે, સ્ત્રીઓ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આટલી સૂક્ષ્મતા અને સંવેદનાપૂર્વક ભાગ્યે જ વર્ણવાયા હતા. તે વખતે તો કાં તો સ્ત્રીને સ્ત્રીની દુશ્મન કે પુરુષની સ્પર્ધક તરીકે ચિતરાતી રહી હતી. પરંતુ કાર્માઈકલે બે સ્ત્રીઓ વચ્ચે working relationship ઉપર કેમેરો મૂકીને સાહિત્યમાં એક જ નવી જ બારી ખોલી આપી છે. એ પણ ધ્યાનાર્હ છે કે ચોલે અને ઓલિવિયા બંને માત્ર સ્ત્રી મિત્રો જ નહિ પણ સહકર્મીઓ છે. એક પ્રયોગશાળામાં (જીવનની પણ) વૈજ્ઞાનિકો તરીકે સાથે કાર્યરત છે. અહીં પણ લેખિકા નવો પ્રદેશ ખેડે છે. આધુનિક નારીનું લેખન-આલેખન હવે માત્ર ઉચ્ચવર્ગીય મહિલાઓનાં સુગંધિત પાર્લર કે ફેશનજગતમાં કેદ નથી રહ્યું. આજ સુધી પુરુષ લેખકો કરતા આવ્યા’તા તેના કરતાં જુદેરું-અદકેરું, વિશિષ્ટ મહિલા કર્મચારીઓથી માંડી ગણિકાઓ સુધીની વ્યાપક રેન્જના તેમના જીવન અનુભવોનું ચિત્રણ નારી લેખિકાઓ આપી રહી છે. હજી આ દિશામાં ઘણું સંશોધન કરવાનું છે. એક ચીજ માટે નારીએ તેની કલમને કેળવવાની છે તે એ કે પુરુષના મનને પણ તટસ્થતા ને તજજ્ઞતાથી તાગવાની. જો કે કોઈના મનને માપવાનું અશક્ય લાગે, પણ પુરુષ પણ પોતાનો તાગ પોતે ન પામી શકે તેટલી દક્ષતાથી સ્ત્રીએ એ કામ કરવા જેવું છે, એણે પુરુષ પાત્રો જોડે સ્પર્ધક કે શત્રુભાવને બાજુ પર રાખી, પુરુષ કે સ્ત્રી ઊભયના આંતરજગતને અદ્ભુત રીતે ખોલી આપે તેવી કૃતિઓ આપવાની છે.

(૬) સાચો સર્જક પુરુષ-સ્ત્રી જેવી ભેદરેખાથી ઉપર ઊઠી વિચારી શકવા સમર્થ હોય છે.

કલ્પના કરો કે તમે શિયાળાની સુંદર સવારે લંડનમાં તમારા ઘરની બારીની બહારનું જગત જોઈ રહ્યા છો. ગલીઓમાં ચહલપહલ છે, લોકો ફૂટપાથ ઉપર આવ-જા કરે છે, એક રીતે બધું ગતિશીલ છે. કોઈ તમને એવો ઈન્સાન નજરે ચઢે છે કે જે કલા-સાહિત્ય-સંસ્કૃતિ સર્જનાત્મકતા કે સાહિત્યના ભવિષ્ય વિશે ઊંડું વિચારતો-આચરતો હોય?

અને એવામાં એક પુરુષ અને એક સ્ત્રી—બે રાહદારીઓ ફૂટપાથ પર મળે છે અને એક ગાડી કરી અજાણી મંઝિલ ભણી હંકારી જાય છે. બંને વચ્ચે સુંદર, સરળ, સહજ, તરલ વાર્તાલાપ થાય... પછી આ જોડી સંપૂર્ણ રીતે સ્વસભાનતા વિના સહયોગ સાધે ને કંઈક કામ કરે. ચિંતન-કલ્પના-કલા-સંસ્કૃતિ-અભિવ્યક્તિનું ઈત્યાદિ... આવું દૃશ્ય તમારા મનમાં કંઈક જગાડે છે... પણ આપણે હજી એમને એકત્વના ભાવ કરતાં ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ના ભેદજનક વેશમાં જ જોઈએ છીએ જે ખેદજનક નથી? ‘પુરુષપણા’ અને ‘સ્ત્રીપણા’ના જડબેસલાક ચોકઠાંથી ઉપર ઊઠી ‘માનવપણા’ના શિખરનું દર્શન કદાચ સર્જક જ શ્રેષ્ઠ રીતે કરાવી શકે, લાગે છે એવું? વાતનો સાર એટલો જ કે ઉત્તમ સર્જક લિંગભેદની પર રહેલા માનવ્યને તાગી શકે છે. માનવમન અદભૂત રીતે સ્થિતિસ્થાપક અને નવ્યવિચારક છે. તે પોતાનો સમૃદ્ધ અને વિસ્તૃત આંતરસંવાદ સર્જી શકે છે, આનાથી યે વધારે તે કરી શકે—અન્ય પ્રતિ સહાનુભૂતિ ધરાવી શકે, નવા નવા દૃષ્ટિકોણથી જગત જોઈ શકે, વિચાર-કલ્પના કરી શકે, પોતાનાથી પારના અનુભવ કરી શકે. મનની આવી અપાર-અદ્ભુત ક્ષમતાના બટન ઉપર આંગળી મૂકીએ તો સર્જનાત્મક વિચારણાની વીન્ડો ઓપન થાય. આંગ્લ રોમેન્ટીક કવિ સેમ્યુઅલ ટેલર કૉલરિજ ‘androgynous mind’—ઊભયલિંગી મન-નો ખ્યાલ આપે છે, જે સ્ત્રી-પુરુષના ભેદરેખાજનક પ્રભાવથી પર હોય છે. તે સ્ત્રી અને પુરુષ બંનેના દૃષ્ટિકોણથી તટસ્થ રીતે દુનિયા-દર્શન કરી શકે છે. અને સમજે છે કે સર્જનાત્મક કલાનગરમાં સ્ત્રીગલી-પુરુષગલી નથી હોતી. સમગ્ર ઇતિહાસ પર વિહંગાવલોકન કરો તો જણાશે કે ઉત્તમ સર્જકો-કલાકારો-સાહિત્યકારો ‘ઊભયલિંગી મન’ના માલિક અને માણીગર હતા. જોકે ૧૯૨૦ના દાયકાનું જગમાનસ લિંગભેદ સભાન હતું. ખાસ કરીને, સ્ત્રીઓના રાજકીય રીતે હાવી થવાનો પુરુષોને ડર પેસી ગયો હતો. તેથી જ તેઓ સ્ત્રીઓને મતાધિકાર મળે તેની વિરુદ્ધ આંદોલન ચલાવતા હતા. સ્વ-સભાન પૌરુષત્વના આદર્શમાં પીછેહઠ કરીને ઘણા પુરુષો પૌરુષત્વની રક્ષા કરવાના પક્ષમાં હતા. આથી ખરાબ, નબળી કૃતિઓ સર્જાઈ એટલું જ નહિ, પણ ઈટાલીમાં ફાંસીવાદ જેવી ભયાનક અને અતિપૌરુષેય ઊર્જાયુક્ત રાજકીય ચળવળો જન્મી. વુલ્ફ એક સુંદર સંતુલિત સંવાદિત વિશ્વની કલ્પના કરે છે, જેમાં સ્ત્રી અને પુરુષ, પોતાની ઓળખને લિંગભેદના ત્રિપાર્શ્ર્વ કાચમાંથી વક્રીભૂત થવા દીધા વિના, પોતાનાં કલાત્મક-સર્જનાત્મક કે અન્ય લક્ષ્યોની દિશામાં સમાનપણે અગ્રેસર થતાં હોય. વુલ્ફ પ્રતિપાદિત કરે છે કે સર્જકે લિંગભેદના સાપેક્ષ લાભાલાભનાં ચિંતા-ચિંતન કે ચર્ચા કર્યા કરતાં સમગ્રની વાસ્તવિકતા સાથે, ઊભયના ઐક્યની સાથે પોતાને જોડવી જોઈએ. વુલ્ફ્ને લાગે છે કે આવો માઈન્ડસેટ, ભૌતિક સંસાધનોની સાથોસાથ, મહાન કલાને સર્જનારો રાજમાર્ગ બની રહેશે.

ચાવીરૂપ ખ્યાલો :

(૧) બૌદ્ધિક સ્વાતંત્ર્ય અને સર્જનાત્મકતા:

વુલ્ફનાં અવલોકન અને તર્ક કહે છે કે સ્ત્રીઓને તેમની સર્જનક્ષમતા વ્યક્ત કરવા દેવામાં, શિક્ષણવંચિતતા, આર્થિક ગુલામી અને પોતાની ભૌતિક મોકળાશના અભાવ જેવાં પરિબળો પ્રભાવક રહ્યાં છે. સ્ત્રીને પોતાનો એક ઓરડો-સ્થાન હોય, આર્થિક સ્વાતંત્ર્ય હોય તો તે પોતાની કલાત્મક દક્ષતાઓને તાગી અને અભિવ્યક્ત કરી શકે.

(૨) ઐતિહાસિક મર્યાદાઓ: સાહિત્યક્ષેત્રે સ્ત્રીઓના પ્રદાનમાં અભાવ માટે કારણભૂત એવાં ઐતિહાસિક અને સામાજિક પરિબળો તપાસતાં વુલ્ફ્ને જણાય છે કે લેખિકાઓને તેમના સમકક્ષ પુરુષ લેખકોની છાયામાં કેવી રીતે ધકેલી દેવાય છે અને તેની સર્જનાત્મક પ્રવૃતિમાં સામાજિક અપેક્ષાઓ અને લિંગભેદ કેવો વિઘાતક રોલ ભજવે છે.

(૩) ઊભયલિંગી મનનો નવો ખ્યાલ રજૂ કરતાં વુલ્ફ સૂચવે છે કે મોટાભાગની મૂલ્યવાન સાહિત્યકૃતિઓ લિંગભેદની પાર જઈ, સ્ત્રીનાં ને પુરુષનાં ઉમદા તત્ત્વો ને તાકાતોને સંયોજી શકે છે. જાતિગત ધારા-ધોરણોની ઉપર ઊઠી, પોતાની સર્જનાત્મકતા ખીલવે તેવો ઊભયલિંગી દૃષ્ટિકોણને આશ્લેષમાં લે તેવા ભવિષ્યનું દર્શન કરે-કરાવે છે.

(૪) સાહિત્યિક પરંપરા અને નારી લેખન : પુરુષપ્રભાવી સાહિત્યિક પરંપરામાં લેખિકાઓને સહન કરવા પડતા પ્રશ્નો ને પડકારો વુલ્ફ તપાસે છે. ઇતિહાસમાં કે ભૂતકાળમાં સ્ત્રીઓના અવાજના અભાવની વુલ્ફ સમીક્ષા કરે છે અને સ્ત્રીઓને તેમની પોતાની વાતને વાર્તામાં ઢાળવા પ્રોત્સાહન આપે છે, સાહિત્યિક વારસામાં પોતાનું સ્થાન બનાવવા પ્રેરે છે.

ઉપસંહાર :

A Room of one’s ownમાં વર્જિનિયા વુલ્ફ, સ્ત્રીઓને તેમના સર્જનાત્મક ઉદ્યમમાં પ્રવૃત્ત થવા સ્ત્રીને ભૌતિક અને માનસિક બંને પ્રકારના અવકાશની આવશ્યકતા હોવાની રજૂઆત ઝનૂનથી કરે છે. સ્ત્રીઓના બૌદ્ધિક વિકાસ અને કલાત્મક અભિવ્યક્તિને અવરોધતાં-અવગણતાં ઐતિહાસિક અન્યાયો અને સામાજિક બંધનોને પણ લેખિકા પ્રકાશમાં લાવે છે અને નારીશક્તિને આહ્વાન કરે છે કે જાતિગત સમાનતા, આર્થિક સ્વાતંત્ર્ય મેળવી સર્જનાત્મક ક્ષેત્રે પોતાનું પ્રદાન કરવા આગળ આવો.

સૈકાઓ સુધી સ્ત્રીઓને પોતાની મૌલિક કલાત્મક અભિવ્યક્તિ કે સર્જનાત્મકતાથી વંચિત રાખવામાં આવી છે. કારણ કે મોટા ભાગના તત્કાલિન સમાજોમાં—સંપત્તિ, શિક્ષણ અને (મુક્ત)સમય-નો ભૌતિક લાભ માત્ર પુરુષોને જ આપવામાં આવતો હતો. સર્જક તરીકે સ્ત્રીને સફળ થવા માટે સ્થાયી આવક અને પોતાનો ઓરડો જોઈએ. આશા છે કે ભવિષ્યમાં આવી સગવડ-અનુકૂળતા પુરુષ-સ્ત્રી બંનેને સમાન રીતે મળી રહે અને બંને સુંદર સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકે, લિંગભેદ કે જાતિગત અસમાનતા, અન્યાયી દૃષ્ટિકોણનો છાંયો-પડછાયો એમના ઉપર ના પડે.

અવતરણક્ષમ વિધાનો :

(૧) સ્ત્રીએ લેખિકા થવું હોય તો સ્થાયી આવક અને પોતાનું અલાયદું સ્થાન(ઓરડો) જોઈશે.”

(૨) તમારે જોઈએ તો તમારાં પુસ્તકાલયોને તાળાં મારી દો (સ્ત્રીઓને પ્રવેશ નિષેધ હોય તો): પરંતુ દુનિયામાં એવો કોઈ બોલ્ટ, કોઈ તાળું કે કોઈ દરવાજો બન્યો નથી, જે અમારા સ્ત્રીઓના સર્જક મનની અભિવ્યક્તિને તાળાં મારી શકે!” (૩) હું એવું ધારવાનું સાહસ અવશ્ય કરી શકું કે Anon નામે સેંકડો કવિતા રચનાર કોઈ સ્ત્રી જ હોવી જોઈએ. (૪) ઈતિહાસમાં ઘણું બધું Anonymous-અનામી નામે ચાલ્યું તે સ્ત્રી જ હશે. (૫). જેણે સારી રીતે ભોજન નથી કર્યું, તે સારી રીતે વિચારી શકતો નથી, સારી રીતે સૂઈ શકતો નથી, સારી રીતે પ્રેમ પણ કરી શકતો નથી (ભૂખે ભજન, પ્રેમ, નિદ્રા, વિચાર ન હોય ગોપાલા.)

વર્જિનિયા વુલ્ફની આ રચના નારીવાદી વિચારણા, સાહિત્ય વિવેચન, જાતિગત સમાનતા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ઉપર એક મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. સમય અને સ્થાનાવકાશ, અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેના આંતરસંબંધો અહીં સરસ ચર્ચાયા છે, જે સ્ત્રીઓનાં અરમાન, કલાવિષયક આરોહણ ને ઉન્મેષો, તેને જન્માવતી સામાજિક પરિસ્થિતિઓ વિશે વાચકોને ભવિષ્યે પણ પ્રેરતું રહેશે.