Homo Deus

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Homo Deus title.jpg


Homo Deus: A Brief History of Tomorrow

Yuval Noah Harari
હોમો ડ્યુસ

આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ
યુવલ નોઆ હરારી


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: રાજ ગોસ્વામી


લેખક પરિચય:

Yuval Noah Harari-2.jpg

યુવલ નોઆ હરારી જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે કામ કરે છે, અને વિશ્વ અને લશ્કરી ઇતિહાસમાં વિશેષતા ધરાવે છે. તેમણે આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક ‘સેપિયન્સ : માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પણ લખ્યું છે.

પુસ્તક વિશે:

2015માં પ્રકાશિત પુસ્તક ‘હોમો ડ્યુસ’ એ સમજાવે છે કે આપણે કેવી રીતે પૃથ્વી ગ્રહની પ્રબળ પ્રજાતિ બન્યા. પુસ્તક માનવજાતિના ભવિષ્યની પણ એક ઝાંખી કરાવે છે. તે આપણી વર્તમાન મનુષ્યવાદી અવસ્થા, વ્યક્તિગત પસંદગીની ધારણા અને આપણે કેવી રીતે વ્યક્તિને મહત્વ આપવાનું ચાલુ રાખ્યું છે તેની છણાવટ કરે છે; તેમાં એ પણ અનુમાન છે કે કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી છેવટે માણસને કમ્પુટર અલ્ગોરિધમનો (ગાણિતીક નિયમોનો) ગુલામ બનાવશે.

આ પુસ્તક કોના માટે છે?

• જે લોકોને માનવજાતની પ્રગતિનો ઇતિહાસ સમજવો હોય તેમના માટે. • ભવિષ્ય બાબતે વધુ સમજવા માગતા હોય તેવા ટેકનોફિલે (ટેકનોલોજીના પ્રેમીઓ) માટે. • આપત્તિનો સામનો કરવા માગતા ટેકનોફોબે (ટેકનોલોજીથી ડરેલા) માટે.

પૂર્વભૂમિકા:

આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત : એમાં એ જાણવા મળશે કે આ ધરતી પર મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું. સાચે જ, આજે વિજ્ઞાન અને ટેકનોલોજી, કમ્પ્યુટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વેગીલી પ્રગતિને જોતાં એવું લાગતું નથી કે કોઈ આપણને રોકી શકે, પરંતુ એવું તો નથીને કે જે ડાળ પર આપણે બેઠા છીએ તેને જ આપણે કાપી રહ્યા છીએ? એમાંથી જ મનુષ્યોની અને મનુષ્યની સર્વોપરિતાની ઉન્નતિ સમજમાં આવે છે. આપણે આગળ જોઈશું કે કેવી રીતે આપણે આ ગ્રહ પર વર્ચસ્વ જમાવી શક્યા અને કેમ આપણે એવું માનીએ છીએ કે સર્વે જીવોમાં આપણે વિશિષ્ટ છીએ. જો કે, આપણે એવું ભવિષ્યમાં પણ જોઈશું, જ્યાં આપણી શ્રેષ્ઠતાનો આ મુગટ કેવી રીતે જોખમમાં મૂકાવાનો છે અને કેવી રીતે આપણા પતનની શરૂઆત થવાની છે. આપણે આ પણ સમજીશું : • વૈજ્ઞાનિકો કેવી રીતે ઉંદર પર પ્રયોગ કરીને નિષ્કર્ષ કાઢે છે. • યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે માણસની સર્વોપરિતા સાબિત કરે છે; અને ઉદારવાદ અને રાષ્ટ્રવાદ કેમ ધર્મ ગણાય છે

અગત્યના મુદ્દાઓ:

૧. આપણે કેટલી ઊંચાઈ પર આવી ગયા છીએ! માનવજાતની મહત્વાકાંક્ષા દિવસે દિવસે બદલાતી જાય છે.

માનવજાત માટે પ્રગતિ અને ઇનોવેશન (સ્થાપિત પ્રણાલિકાઓમાં વધારે સારા ફેરફાર) કોઈ નવી બાબત નથી. આપણે તારા માટે કૂદકો મારીને ચંદ્ર સુધી પહોંચી ગયા છીએ. આપણે દુકાળ, બીમારી અને યુદ્ધ પર વિજય મેળવવા માટેના ઉપાયો શોધ્યા છે, પરંતુ આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આપણી મહત્વાકાંક્ષાઓ બદલાતી રહે છે. તો, આપણે પહેલાં એ જોઈએ કે આપણે કેટલે દૂર સુધી આવ્યા છીએ. આજે આપણે દુકાળ અને રોગોના ફેલાવાને રોકવા સક્ષમ છીએ. ભૂતકાળમાં એમાં જ સેંકડો લોકો માર્યા ગયાં હતાં. ઉદાહરણ તરીકે, ફ્રાન્સમાં 1692 અને 1694ની વચ્ચે, દુકાળમાં કુલ વસ્તીના 15 ટકા (લગભગ 25 લાખ) લોકો માર્યા ગયાં હતાં. 1330ના દાયકામાં, યુરેશિયામાં બ્લેક ડેથની કુખ્યાત રોગચાળામાં 15થી 20 કરોડ લોકો ભરખાઈ ગયાં હતાં. જે તેની કુલ વસ્તીનો લગભગ એક ચતુર્થાંશ ભાગ હતો. જો કે, વર્તમાનમાં આપણે દુકાળ અને બીમારી પર મોટાભાગે વિજય મેળવ્યો છે. હકીકતમાં, આજે તમારી ભૂખ કરતાં સ્થૂળતાથી મરવાની સંભાવના વધુ છે. 2010 માં, મેદસ્વીતાથી વિશ્વભરમાં 30 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. એનાથી વિપરીત, કુપોષણ અને દુકાળે મળીને કુલ વસ્તીના ત્રીજા ભાગનો જ નાશ કર્યો હતો. આપણે એટલા અદ્યતન છીએ કે આપણે આપણા વિનાશને એક અલગ સ્કેલ પર માપીએ છીએ. ઇબોલા સંકટનો જ દાખલો લો. આમ તો તેને એક ગંભીર આધુનિક રોગચાળો ગણવામાં આવે છે, છતાં તેમાં માત્ર 11,000 લોકો જ માર્યા ગયાં હતાં. યુદ્ધમાં પણ એવું જ છે. યુદ્ધ અપવાદરૂપ ઘટના છે, નિશ્ચિત નહીં. તમારી યુદ્ધમાં મરવાની શક્યતા કરતાં ( 2012માં 120,000 લોકો) ડાયાબિટીસથી મરવાની શક્યતા વધુ હોય છે.(2012માં 15 લાખ લોકો). એમાં શું સમજવાનું? વેલ, આના પરથી એક પ્રજાતિ તરીકે મનુષ્યને તેના ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદ મળે તેમ છે. આપણે કાં તો લાંબુ જીવી શકીએ અથવા સુખી અને બળવાન બની શકીએ. આપણે એ દિશામાં છીએ. વીસમી સદીની દવાઓએ આપણી જીવન રેખાને લગભગ બેવડી કરી દીધી છે. અમુક લોકો તો એવું માનતા થયા છે કે અમરત્વ હાથવેંતમાં છે. આપણને પણ હવે એવો ભરોસો છે કે આપણે વધુ સુખેથી જીવી શકીએ છીએ. એટલા માટે જ, 2013માં ડ્રગના ઉપયોગ અને આરોગ્ય પરના એક સર્વેક્ષણ મુજબ, 1.7 કરોડ અમેરિકનો ‘એક્ટસી’ ડ્રગનો ઉપયોગ કરે છે. ટેકનોલોજીનો ઉપયોગ શરીરને બળવાન બનાવવામાં પણ થઈ રહ્યો છે. હવે એવી ટેકનિક વિકસી છે કે વિચાર માત્રથી લકવાગ્રસ્ત દર્દીઓ બાયોનિક અંગોનું સંચાલન કરી શકે છે અને બાયોનિક અંગોને નિયંત્રિત કરે છે જો કે, આ માત્ર શરૂઆત છે. આપણે હજુ ઘણા આગળ જઈ શકીએ છીએ.

૨. મનુષ્યોએ પ્રાણીઓ કરતાં સર્વોપરિ હોવાનો દાવો કર્યો અને સામૂહિક સહકાર દ્વારા સાબિત કર્યું છે.

આપણે નિઃશંકપણે વિશ્વના સૌથી સફળ જીવો છીએ, પરંતુ શું આપણે આ અવસ્થા જાળવી રાખી શકીશું ખરા? આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તે જો જાણવું હોય, તો આપણે જાણવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ, અને કેવી રીતે આટલા શક્તિશાળી બની ગયા. શિકારીઓએ જ્યારથી સંગ્રહખોર બનવાનું બંધ કર્યું, ત્યારથી આપણે અન્ય પ્રાણીઓ પર સર્વોપરિ બની બેઠા હતા. આશરે 12,000 વર્ષ પહેલાં, આપણે કૃષિ તરફ વળ્યા, તે જ સમયે આપણે પશુધનને પાળવાનું શરૂ કર્યું. અત્યારે, મોટાં કહી શકાય તેવાં 70 ટકાથી વધુ પ્રાણીઓ પાળેલાં છે. તેનું નકારાત્મક પાસું એ છે કે પાળેલાં હોવાના કારણે એ પ્રાણીઓ અત્યાચારનો ભોગ બને છે. ઉદાહરણ તરીકે, ભૂંડણોને બચ્ચાં પેદા કરવા માટે એવા વાડાઓમાં પૂરી રાખવામાં આવે છે જેમાં હાલવાની પણ જગ્યા નથી હોતી અને જયારે તેની મર્યાદા આવી જાય ત્યારે તેમની કતલ કરવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, મોટા ભાગના લોકોને આનો કોઈ વાંધો નથી હોતો, તેમને તો સસ્તું અને મબલખ માંસ મળે છે એટલે ખુશ થાય છે. આપણામાં એવું તે શું ખાસ છે કે આપણે આ રીતે પ્રાણીઓ પર અત્યાચાર કરીએ છીએ? આ પ્રશ્નને આ રીતે જોવાય: તાત્ત્વિક રીતે આપણે અન્ય પ્રાણીઓથી અલગ છીએ. આપણે ભિન્ન છીએ તેવું માનવાનું આપણને એટલા માટે મન થાય છે કારણ કે આપણામાં ‘માનવીય આત્મા’ છે. એકેશ્વરવાદીઓનો દાવો છે કે આવો આત્મા ધરાવવામાં આપણે અનન્ય છીએ. જો કે, આવી ચીજ હોવાના ન તો કોઈ પુરાવા છે કે ન તો આપણે તેના અસ્તિત્વ દ્વારા આપણી અને પ્રાણીઓની વચ્ચે તફાવત કરી શકીએ છીએ. કદાચ પ્રાણીઓમાં ચેતના ઓછી હશે? વેલ, આપણને હજુ એ ખબર નથી કે માનવ ચેતના પ્રાણી ચેતનાથી અલગ છે. એમ તો, આધુનિક વિજ્ઞાન તો હજુ એ પણ સમજાવી શકતું નથી કે અસલમાં ચેતના શું છે! કદાચ આપણે આપણી વૈશ્વિક સરસાઈને જુદી રીતે સમજવી પડશે. તેના માટે આપણે વિશાળ સ્તર પર સહકાર સાધવાની આપણી ક્ષમતા પર વિચાર કરીએ. ઉદાહરણ તરીકે, અમેરિકાની ચૂંટણીમાં 4 કરોડ લોકો એક નિર્ધારિત દિવસે વોટ આપવા માટે બહાર નીકળે છે. તે સૌ એ દિવસ સાથે, વોટિંગના એક સમાન નિયમોનું પાલન કરવા અને તેનાં જે પરિણામો આવે તેની સાથે સંમત થાય છે. વિશાળ સંખ્યામાં, અને તે પણ એકબીજાથી અજાણ્યા લોકો, સર્વસંમતિથી બનાવેલા નિયમોનું પાલન કરીને આવી રીતે એકબીજા સાથે સહકાર સાધે તે માત્ર મનુષ્યોમાં જ શક્ય છે. સ્પોર્ટ્સ કે લશ્કરનાં પણ આવાં જ ઉદાહરણો છે.

૩. ધર્મે આપણને કિસ્સા-વાર્તાઓ આપ્યાં છે અને તેમાં નૈતિક દુવિધાઓ વ્યક્ત થાય છે.

સહકાર સાધવાની ક્ષમતાએ આપણને અન્ય પ્રાણીઓ પર સ્પર્ધાત્મક સરસાઈ આપી છે એ તો દેખીતું છે, પરંતુ આપણે ખભેખભા મિલાવવા સુધી પહોંચ્યા કેવી રીતે? એક ઉદાહરણથી સમજીએ. બારમી સદીના અંતમાં યુરોપિયન નેતાઓ ત્રીજા ધર્મયુદ્ધ (Third Crusade) માટે એક થઈ ગયા હતા. તેમનો હેતુ શું હતો? જેરુસલેમ પર ફરીથી કબજો કરવો. એમાં સમગ્ર યુરોપમાંથી લોકો સહયોગ કરવા આવ્યા હતા. એમાં ફ્રેન્ચ અને ઇંગ્લીશ લોકો પણ તેમનું અંદરોઅંદરનું યુદ્ધ ખતમ કરીને ધર્મયુદ્ધમાં જોડાઈ ગયા હતા. આ કેવી રીતે શક્ય બન્યું? સરળ રીતે કહીએ તો, તેઓ એક જ કેથોલિક ધાર્મિક કથામાં માનતા હતા. પરિણામે, તેમને લાગ્યું કે ધર્મયુદ્ધમાં સહયોગ કરવાથી તેમને શાશ્વત મુક્તિ મળશે. ધાર્મિક કથાઓ આજે પણ એટલી જ શક્તિશાળી છે, પરંતુ તે કેટલાંક આશ્ચર્યજનક સ્વરૂપોમાં રૂપાંતરિત થઈ ગઈ છે. આજે કોઈ વ્યક્તિ પોપે કહ્યું છે એટલે બીજા દેશને જીતવાના અભિયાનમાં જોડાઈ ન જાય. એનો અર્થ એ નથી કે આપણી વચ્ચે ધર્મ રહ્યો નથી, બલ્કે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આપણે પાયામાંથી વાત કરીએ. ધર્મ એટલે શું? સમજવા માટે કહીએ કે ધર્મ શું નથી. જવાબ છે: અંધશ્રદ્ધા. ધર્મનો અર્થ અલૌકિક જીવોમાં વિશ્વાસ નથી. ધર્મ એટલે માનવીય વ્યવહારોને નિયંત્રિત કરવા, તેને દિશા બતાવવા માટેના નિયમોની સંહિતામાં મને વિશ્વાસ છે. એનો અર્થ એ થયો કે માણસોને ઉદારવાદમાં વિશ્વાસ હોય કે રાષ્ટ્રવાદમાં, તેઓ ખ્રિસ્તીઓ અથવા મુસ્લિમોની જેમ ધાર્મિક જ કહેવાય. એ લોકો પણ, ધાર્મિક લોકો જેમ પ્રાકૃતિક નિયમોમાં માને છે, તેવી રીતે નૈતિક નિયમોમાં માને છે. આ નિયમો ભગવાને આપેલા નથી, પરંતુ તેની ઉત્પત્તિ મનુષ્યો દ્વારા પણ થઈ નથી. તેથી તેઓ પણ ધાર્મિક છે. આપણને હજુ પણ ધર્મની જરૂર છે. વિજ્ઞાન દરેક વસ્તુનો જવાબ આપી શકતું નથી, અને તે આપણી નૈતિક દુવિધાઓનો જવાબ પણ આપી શકતું નથી. ધારો કે તમારે નદી પર ડેમ બાંધવો છે. તેનાથી હજારો લોકોને વીજળી મળવાની સંભાવના છે, પરંતુ તેના બાંધકામથી અનેક પરિવારો વિસ્થાપિત થઈ જવાના છે. વિજ્ઞાન તમને એ કહી શકે કે અસરકારક રીતે ડેમ કેવી રીતે બનાવાય, પરંતુ એમાં જે નૈતિક પ્રશ્નો છે તેનો જવાબ તેની પાસે નથી. જેમ કે, શું ડેમ બાંધવો જોઈએ કે નહીં? આવા પ્રશ્નના જવાબ માટે આપણી પાસે નૈતિક નિયમો હોવા જોઈએ. એટલા માટે જ આપણને હજુ પણ ધર્મની જરૂર છે.

૪. આધુનિકતા એટલે આપણા જીવનને આકાર આપવાની આપણી ક્ષમતા, પણ આપણે અર્થ ગુમાવી દીધો છે?

પરિવર્તનની ગતિ ઝડપી છે. હવે આપણે સહેલાઈથી આપણું જીવન સુધારી શકીએ છીએ તે પણ સાચું, પરંતુ એ પ્રક્રિયામાં આપણે કંઈક ગુમાવી દીધું છે? આધુનિક યુગમાં આપણે અર્થને નકારીને શક્તિ મેળવી છે. ભૂતકાળમાં, આપણે દૈવી જીવોમાં માનતા હતા અને એવું પણ મનાતા હતા કે વિશ્વ એક માસ્ટર પ્લાન હેઠળ રચાયું છે. આવી ‘સ્ક્રિપ્ટ’માં વિશ્વાસ રાખવાથી આપણા જીવનને એક અર્થ મળ્યો હતો, પરંતુ તેનાથી કર્મ કરવાની આપણી શક્તિ પણ સીમિત થઈ ગઈ હતી. એટલા માટે જ આપણે એવું સ્વીકારી લીધું હતું કે દુકાળ જેવી આપત્તિઓ ભગવાનની ઇચ્છાને કારણે થાય છે. તે વખતે, તેનાં કારણોની ઊંડી તપાસ કરવાને બદલે આપણો એક માત્ર પ્રતિભાવ ભગવાનની પ્રાર્થના કરવાનો રહેતો હતો. આજે આપણે એવી કોઈ સ્ક્રિપ્ટના અસ્તિત્વને નકારી કાઢ્યું છે. આજે આપણને ખબર છે કે દુકાળ એકબીજા સાથે સંકળાયેલી અને દેખીતી ઘટનાઓને કારણે પડે છે. આજે આપણે એટલી શક્તિ પ્રાપ્ત કરી છે કે આપણી સ્ક્રિપ્ટ આપણે જાતે લખી શકીએ છીએ. આપણે જો ધારીએ, તો ભવિષ્યમાં દુકાળ ન પડે તેવી ટેકનોલોજી વિકસાવી શકીએ છીએ. પરંતુ, તેનું એક અનપેક્ષિત સામાજિક પરિણામ આવ્યું છે; આધુનિક સમાજ અનંતકાળ સુધી વૃદ્ધિના પાયા પર રચાયો છે. ઉદાહરણ તરીકે, ભંડોળ આધારિત સંશોધન સમાજમાં સુધારો કરી શકે છે. ધારો કે એક કંપનીને નવા પ્રકારનું ખાતર બનાવવું છે. તેના સંશોધન માટે, કંપનીને બેંક ક્રેડિટની જરૂર પડશે, પરંતુ બેંક માત્ર ત્યારે જ મદદ કરશે જો તેને લાગશે કે તે લાંબા ગાળાનો નફો કરી શકે છે. બેંકને આ વિશ્વાસ અપાવવા માટે, અર્થતંત્રનો વિકાસ થતો રહેવો જોઈએ. જો પૂરતા લોકો નવા ખાતરની ખરીદી ન કરે, તો બેન્કર્સને સવાલ થશે કે તેઓ આવા રોકાણ પર ક્યારે વળતર મેળવશે? આ આધુનિક માનવ શક્તિ સ્ત્રોત છે: સતત વૃદ્ધિ અને અનુગામી ટેકનોલોજીકલ સુધારાઓ. આપણે એક જ ક્ષણમાં સમગ્ર વિશ્વમાં સંદેશાઓ મોકલી શકીએ છીએ. પ્રાચીન સમયમાં આવી શક્તિ માત્ર દેવતાઓ પાસે હતી! હવે, આપણે મૃત્યુ પર વિજય મેળવવાનો પ્રયાસ પણ આદરી શકીએ તેમ છીએ. તમે જો ઈચ્છો તો તમારા ડીએનએને ફક્ત 100 ડોલરમાં અનુક્રમિત કરી શકો અને આ આનુવંશિક માહિતીના ઉપયોગથી રોગ નિવારક સારવાર કરી શકો તેમજ લાંબા સમય સુધી જીવી શકો. પરંતુ તેમાંથી એક પ્રશ્ન ઊભો થાય છે કે, આપણે ખરેખર શું મેળવ્યું છે? શું આપણે શક્તિ માટે આપણો અર્થ ગુમાવી દીધો છે?

૫. ઉદારવાદી સમાજો ભગવાનમાંથી નહીં, માનવીય અનુભવોમાંથી અર્થ મેળવે છે.

તો, આપણે આપણાં દિવ્ય શાસ્ત્રોને ખારીજ કરી તો નાખ્યાં, પણ હવે આપણે ખરેખર ક્યાંથી વધારે સાર્થકતા પ્રાપ્ત કરીએ છીએ? અત્યારે તો માનવીય અનુભવો વિશ્વને અર્થપૂર્ણ બનાવે છે. તેને માનવતાવાદ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક સમાજનો એ મુખ્ય ધર્મ છે. માનવતાવાદમાં મનુષ્ય કેન્દ્રમાં છે. બીજા શબ્દોમાં કહીએ તો, સાર્થકતાનો અહેસાસ કરવા માટે આપણે આપણી ભીતર ઝાંખવું જોઈએ. પરિણામે, માનવતાવાદ સમાજમાં સત્તાના આધાર તરીકે એક વ્યક્તિના અનુભવને માને છે. ચૂંટણી કોણ નક્કી કરે છે? મતદાર. સુંદરતા ક્યાં છે? જોનારની આંખમાં. માનવતાવાદના ઘણા પ્રકારો છે. તેનું કારણ એ છે કે કોઈ એક પ્રકારમાં સર્વગ્રાહી ઉકેલ નથી. દાખલા તરીકે, 'શું તમારે તમારા દેશ માટે લડવું જોઈએ’ એવા પ્રશ્નનો તમે શું જવાબ આપશો? રાષ્ટ્રવાદીઓનો જવાબ હકારમાં હશે. તેનું કારણ કે તેઓ વિદેશીઓના જીવન કરતાં તેમના મૂળ રહેવાસીઓના જીવનને વધુ મૂલ્યવાન ગણે છે. ભૂખ્યાઓને ખવડાવવા માટે શ્રીમંતો પાસેથી ધન લઈ લેવું જોઈએ? સમાજવાદીઓને તે વાત બરાબર લાગશે કારણ કે તેઓ વ્યક્તિગત કરતાં સામૂહિકને વધુ મહત્વ આપે છે. તેનાથી વિપરીત, ઉદારવાદીઓ બંને પ્રશ્નોના જવાબ નકારમાં આપશે. તેનું કારણ એ કે તેઓ તમામ માનવીય અનુભવને સમાન મહત્વ આપે છે. આજકાલ, ઉદારવાદ માનવતાવાદનો પ્રબળ પ્રકાર છે. 1970ના દાયકાના પ્રારંભથી, ઉદારવાદ ઉત્તર-પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. તે સૌ પ્રથમ એશિયા અને લેટિન અમેરિકામાં અને 1991માં સોવિયત યુનિયનના પતન પછી, પૂર્વીય યુરોપમાં ગયો હતો. વાસ્તવમાં, વર્તમાનમાં ઉદારવાદના સિદ્ધાંતનો કોઈ વાસ્તવિક વિકલ્પ નથી. આપણે તેના માપદંડોની અંદર રહીને કામ કરીએ છીએ. કથિત ક્રાંતિકારી આંદોલનો પણ વાસ્તવમાં ઉદારવાદની જ હિમાયત કરે છે. ઓક્યુપાય વોલ સ્ટ્રીટ આંદોલનની જ વાત કરો. તેના દેખાવકારોની ફરિયાદ હતી કે બજારો પર અમુક ધનિકોનો ભારે પ્રભાવ છે. તેમણે સાચા અર્થમાં મુક્ત બજારની માંગ કરી હતી. એ ઉદારવાદનું જે બીજું નામ હતું! સવાલ એ છે કે શક્તિશાળી તકનિકો સામે ઉદારવાદ ટકી શકશે?

૬. આધુનિક વિજ્ઞાનનો ઉદારવાદના મર્મસ્થાન પર જ ખતરો છે.

આપણે એ જોયું કે ઉદારવાદ માનવ અનુભવ અને વ્યક્તિગત સ્વતંત્રતાને મહત્વ આપે છે, પરંતુ, આપણે આપણાં વિષે, એક વ્યક્તિ વિષે, ખરેખર કેટલું જાણીએ છીએ? આધુનિક વિજ્ઞાન કહે છે કે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. એથીય વધુ, આપણે જે જાણીએ છીએ તે ભાગ્યે જ ઉદારવાદના સિદ્ધાંતોને સમર્થન આપે છે. પહેલી વાત તો એ કે, સ્વતંત્ર ઈચ્છા (free will) માત્ર એક ભ્રમ છે. ઉદારવાદ સ્વતંત્ર ઈચ્છા ખ્યાલ પર આધારિત છે. તે કહે છે કે વ્યક્તિઓની પસંદગીઓ પૂર્વનિર્ધારિત નથી, પરંતુ સ્વતંત્રપણે આપવામાં આવે છે. એટલા માટે જ, વ્યક્તિગત પસંદગી (જેમ કે મતદાન)ને નોંધપાત્ર ગણવામાં આવે છે. જો કે, આધુનિક ન્યુરોસાયન્સ મુજબ, નિર્ણયો મગજમાં માત્ર બાયોકેમિકલ પ્રક્રિયાઓ જ છે. આ પ્રક્રિયાઓ એટલી જ સ્વતંત્ર ઈચ્છાનું પરિણામ છે, જેટલી પાચનક્રિયા અથવા વાળની વૃદ્ધિ સ્વતંત્ર ઈચ્છાશક્તિનું પરિણામ છે. રોબો-ઉંદરો સાથે પ્રયોગમાં આની સાબિતી મળે છે; જ્યારે આપણે પ્રત્યારોપિત ઇલેક્ટ્રોડ્સ દ્વારા ઉંદરના મગજના ચોક્કસ ભાગોમાં સંકેતો મોકલીએ, ત્યારે આપણે તેના વતી નિર્ણયો લઈ શકીએ છીએ. આપણે ઉંદરને ડાબે અથવા જમણે વળવા માટે કહી શકીએ, અથવા ઊંચાઈથી કૂદકો પણ મરાવી શકીએ, જેવો તે સામાન્ય રીતે પ્રયાસ કરતો નથી. આ બધા ઉપરાંત, તેનામાં “એક સાચા સ્વ” જેવી કોઈ વસ્તુ નથી. ઉદારવાદમાં આ એક ચાવીરૂપ વિચાર છે: તે માને છે કે આપણા સૌની અંદર ઊંડે એક પ્રમાણિક વ્યક્તિ છે. આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આ એક ભ્રમ છે. આપણા મગજમાં ડાબે અને જમણે બે ગોળાર્ધ છે, જે એક જ ન્યુરલ કેબલ દ્વારા જોડાયેલા હોય છે. તે બંનેનાં કામકાજને જાણવા માટે, મનોવૈજ્ઞાનિકોએ એવા લોકોનો અભ્યાસ કર્યો હતો જેમના બે ગોળાર્ધ વચ્ચેનું જોડાણ તૂટી ગયું હતું. તેમાં ખબર પડી કે બંને બાજુઓની તદ્દન અલગ ભૂમિકાઓ છે. એવા એક પ્રયોગમાં,એક દર્દીના જમણા ગોળાર્ધને અશ્લીલ છબી બતાવવામાં આવી હતી. આ અશ્લીલ દૃશ્ય દર્દીની માત્ર ડાબી આંખ મારફતે બતાવાયું હતું, માટે દૃશ્યમાન બનાવીને કરવામાં આવી હતી, કારણ કે જમણો ગોળાર્ધ ડાબી આંખથી અને ડાબો ગોળાર્ધ જમણી આંખથી દૃશ્યના સંકેતોનું અર્થઘટન કરે છે. વાત હવે રસપ્રદ છે. જ્યારે છબી બતાવવામાં આવી, ત્યારે દર્દી શરમાઈને હસી પડ્યો, પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે શા માટે હસે છે, તો તેને કારણ ખબર નહોતું. કારણ કે ડાબા ગોળાર્ધે, જે તર્કસંગત સ્પષ્ટીકરણો માટે જવાબદાર છે, તેણે છબી જોઈ ન હતી એટલે દર્દી તેના વ્યવહારને તર્કસંગત રીતે સમજાવી ન શક્યો.. અંતે, દર્દીએ તેના હસવા માટેનું કારણ આપતાં દાવો કર્યો કે રૂમમાં મશીનરીનો એક ટુકડો, જે ડાબા ગોળાર્ધ દ્વારા જોઈ શકાતો હતો, મનોરંજક લાગતો હતો. અવિશ્વસનીય રીતે, આવું આપણા સૌની સાથે થાય છે. આપણો ડાબા ગોળાર્ધ અપૂર્ણ માહિતીને તર્કસંગત બનાવવા અને અસંગત વાર્તાઓને પૂરી કરવા માટે સતત કામ કરતું હોય છે.

૭. એક દિવસ, આપણા જીવનનું સંચાલન એલ્ગોરિધમ્સ અને ટેકનોલોજીથી થતું હશે.

આધુનિક વિજ્ઞાન ઉદારવાદને તેના મૂળમાંથી હલાવી દે છે અને તેના ફિલોસોફીકલ પાયા અસ્થિર કરી નાખે છે, પણ મનુષ્યો સામે એક વધુ નક્કર જોખમ છે, અને તે છે ટેકનોલોજીનું. મનુષ્ય જીવનમાં રોજ એલ્ગોરિધમ્સની હાજરી વધતી જાય છે. તેનું કારણ એ છે કે આપણને ચીજો એકદમ ઝડપથી, સક્ષમ અને વિશ્વસનીય જોઈએ છીએ. એટલા માટે કમ્પ્યુટર એલ્ગોરિધમ્સનો ઉપયોગ વધતો જાય છે. નાણાં વિષયક વ્યાપારને જ જુઓ. એક સમયે એમાં ફાયનાન્સરની બોલબાલા હતી. આજે માઈક્રોચિપનું રાજ છે. આપણે જે રીતે વધુ અને વધુ એલ્ગોરિધમ્સ(ગાણિતીક સંજ્ઞાઓ) બનાવીએ છીએ તે જોતાં, એવું કહેવું યોગ્ય છે કે ક્યારેય તે માણસોનાં કામ કરવા લાગી જશે. ત્યારે આપણા માટે શું કામ બચશે? શું એવું કોઈ કાર્ય છે જે આપણે કરીએ છીએ તેના કરતાં અલ્ગોરિધમ વધુ સારી રીતે ના કરી શકે? અહીં તેનું જાણીતું પ્રતિ-ઉદાહરણ કળાનું છે. એવું માનવામાં આવે છે કે કળા હંમેશાં માનવીય જ હશે, પરંતુ એલ્ગોરિધમ્સે તેને બનાવાનું ક્યારનું શરુ કરી દીધું છે. ડેવિડ કોપના મ્યુઝિકલ એલ્ગોરિધમ EMIને જ લો. કોપ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા ક્રૂઝમાં મ્યુઝિકોલોજીના પ્રોફેસર છે. તેમનો EMI પ્રોગ્રામ એટલો સરસ રીતે કમ્પોઝ થયો હતો કે જ્યારે બાક-શૈલી (જર્મન સંગીતકાર જોન સેબેસ્ટિન બાકની સંગીત શૈલી)ના સંગીત પ્રેમીઓએ તે સાંભળ્યું તો તેઓ EMIના સંગીત અને અધિકૃત બાક વચ્ચે તફાવત કરી શક્યા ન હતા. જેમ જેમ સમય પસાર થશે, ટેકનોલોજી આપણા વતીથી વધુને વધુ નિર્ણયો લેશે. હકીકતમાં, તકનિકો અત્યારથી જ આપણા શારીરિક ડેટાને મોનિટર કરી શકે છે અને આપણા વતીથી નિર્ણયો લઈ શકે છે. 2011ના યેલ યુનિવર્સિટીના એક પ્રયોગ પર નજર કરીએ. ત્યાંના સંશોધકોએ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે કૃત્રિમ સ્વાદુપિંડનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તેમાં દર્દીના પેટ સાથે એક પંપ જોડાયેલો હતો. જ્યારે પણ તેનાં સેન્સર્સ બ્લડ-સુગરનું ખતરનાક સ્તર પકડે, ત્યારે ઇન્સ્યુલિન અથવા ગ્લુકાગોનનું પંપ વિતરણ કરે. આ પ્રક્રિયામાં દર્દીની કોઈ સક્રિય ભૂમિકા નહોતી. અથવા એ વિચારો કે આપણે જે રીતે માહિતીઓનું આદાનપ્રદાન કરીએ છીએ તેને અલ્ગોરિધમ્સ કેવી રીતે અસર કરે છે. ફેસબૂક પર તમે શું લખો છો, કોને લાઈક કરો છો, કોને ફોલો કરો છો, ક્યાં ક્લિક કરો છો વગેરે ડેટાનો વિચાર કરો. આપણે જેટલો વધુ ઇનપુટ આપીએ, ફેસબૂકનું એલ્ગોરિધમ આપણને એટલું વધુ સારી રીતે જાણે છે. વુ યુયુ, કોસિન્સ્કી અને સ્ટિલવેલ નામના સંશોધકોએ 2015માં આનો અભ્યાસ કર્યો હતો. તેમણે શોધી કાઢ્યું હતું કે એક વ્યક્તિની 300 લાઈકના આધારે, ફેસબૂકનું એક એલ્ગોરિધમ તેના જીવનસાથી કરતાં વધુ સારી રીતે તે વ્યક્તિના વ્યક્તિત્વને લગતા પ્રશ્નોના જવાબો આપી શકે છે.

૮. એલ્ગોરિધમ જેમ જેમ તાકાતવાળાં બનતાં જાય છે, તેમ તેમ આપણી સામે કસોટી ઊભી થતી જાય છે. તેની સામે લડવું કે એ જે કરે તે કરવા દેવું?

ખોંખારીને કહીએ તો, એલ્ગોરિધમ્સની વધતી જતી તાકાત, પૃથ્વી ગ્રહના શાસકોના રૂપમાં આપણી સ્થિતિને ખતરામાં મૂકે છે. તેની સામે આપણને એક વ્યૂહરચનાની જરૂર છે, પરંતુ કેવી? એક વિચાર એવો છે કે આપણે ટેકનોલોજી સાથે ભળી જવું જોઈએ, જેથી તેની સાથે કદમ મિલાવી શકીએ. તેને ટેકનો-હ્યુમનિઝમ કહેવામાં આવે છે. ટેકનોલોજી સાથે ભળી જઈને, આપણે એલ્ગોરિધમની તાકાતનો સામનો કરી શકીશું. આની શરૂઆત થઈ ચૂકી છે. યુએસનું સૈન્ય એક ‘એટેન્શન હેલ્મેટ’ વિકસાવી રહ્યું છે. આ હેલ્મેટ લાંબા ગાળા સુધી વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૈનિકોના મગજના ચોક્કસ ભાગોમાં વિદ્યુત સંકેતો મોકલે છે. આ ખાસ સૈનિકો, જેમ કે સ્નાઇપર્સ અથવા ડ્રોન ઓપરેટરો, એલ્ગોરિધમ્સની જેમ જ વિશ્વસનીય બનશે. જે પ્રકારના ટેકનોલોજીકલ અપગ્રેડ્સ આપણને ઉપલબ્ધ હશે, તેમાં નિઃશંકપણે આપણી રાજકીય અને આર્થિક જરૂરિયાતોની અસર હશે પ્રતિબિંબિત કરશે. ‘એટેન્શન હેલ્મેટ’ને હવે ભંડોળ મળી રહ્યું છે કારણ કે તેના સ્પષ્ટ લશ્કરી સૂચિતાર્થો છે. પરંતુ તેનો એક ગેરલાભ છે. જો આપણે માત્ર આર્થિક રીતે ઉપયોગી ટેકનોલોજીમાં રોકાણ કરીશું, તો આપણે ઓછા સહાનુભૂતિશીલ લોકો બનીશું. છેવટે, વિકાસના અર્થતંત્ર પ્રતિ સહાનુભૂતિનો ઉપયોગ શું? એક બીજી વિચારધારા કહે છે કે આપણે અળગા થઈ જવું જોઈએ અને એલ્ગોરિધમ્સને તેમનું કામ કરવા દેવું જોઈએ. આને ડેટાવાદ (dataism) કહે છે. ડેટાવાદનો દાવો છે કે જે કંઈ બધું અસ્તિત્વમાં છે, તે કાં તો ડેટા છે અથવા ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમ છે અથવા એલ્ગોરિધમ છે. સૂર્યની સ્થિતિ હોય, કોઈ વ્યક્તિનું રાજકીય વલણ હોય કે તમારા પ્રેમીનું ભગ્ન હૃદય હોય, તે બધું માત્ર ડેટા છે. હકીકતમાં, એક કમ્પ્યુટર અથવા Google જેમ, મનુષ્યો માત્ર ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમ છે. આપણે પ્રાપ્ત ડેટાને પ્રોસેસ કરીએ છીએ અને નિર્ણયો લેવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે, કરિયાણાની ખરીદી ભૂખ, હવામાન, સમય અથવા અન્ય અસંખ્ય પરિબળો પર આધાર રાખે છે. ડેટાવાદ ઇતિહાસને માત્ર એક પ્રક્રિયા તરીકે જ સમજે છે, જેના દ્વારા આપણે સતત સુધારેલી ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમનું નિર્માણ કરીએ છીએ. પરિણામે, ડેટાવાદ અનુસાર, વધુ કાર્યક્ષમ ડેટા-પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સનું નિર્માણ કરવું એ માનવ તરીકેની આપણી ફરજ છે. તેનાથી એક મોટો પ્રશ્ન ઊભો છે: ડેટા-પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સ બનાવવામાં એલ્ગોરિધમ્સ આપણા કરતાં વધુ બહેતર બની જાય તો શું? તો શું આપણે આપણા પ્રભુત્વને જતું કરવું પડશે? આ એક અસહજ વિચાર છે.

નિષ્કર્ષ:

આ પુસ્તકના ચાવીરૂપ બોધપાઠ: આપણી દુનિયા બદલાઈ રહી છે અને બદલાતી રહેશે. એક પ્રજાતિ તરીકે આપણો ઇતિહાસ આ પરિવર્તન અને પ્રગતિ પર રચાયો છે. જો આપણે આપણા ઇતિહાસને વધુ સારી રીતે સમજીએ અને એ પણ સમજીએ કે તેણે માનવજાતનું ઘડતર કેવી રીતે કર્યું છે, તો આપણે ભવિષ્યમાં ક્યાં હોઈશું તેનો વધુ સુરક્ષિત વિચાર કરી શકીએ છીએ. ‘હોમો ડ્યૂસ’ એ ‘બ્રીફ હિસ્ટરી ઓફ ટુમોરો’ એ યુવલ નોઆ હરારી દ્વારા લખાયેલું પુસ્તક છે, જે 2015માં પ્રકાશિત થયું હતું. તે તેમના અગાઉના પુસ્તક, ‘સેપિયન્સ’માં પ્રસ્તુત વિચારોને આગળ વધારે છે અને માનવજાતના ભાવિ માર્ગની શોધ કરે છે. હવે "હોમો ડ્યુસ" માં ચર્ચેલા મુખ્ય વિષયોનો સારાંશ છે: ૧. હોમો સેપિયન્સની ઉત્ક્રાંતિ : હરારી એવાં ઐતિહાસિક અને જૈવિક પરિબળોની તપાસ કરે છે જેણે મનુષ્ય અને તેના સમાજને આકાર આપ્યો છે, તેમજ આપણા વિકાસમાં જ્ઞાનાત્મક અને કૃષિ ક્રાંતિના મહત્વ પર ભાર મૂકે છે. ૨. હોમો ડ્યૂસનો ઉદભવ : આ પુસ્તક એ વિચારનું પરીક્ષણ કરે છે કે મનુષ્ય ઉત્ક્રાંતિના નવા તબક્કામાં પ્રવેશીને હોમો ડ્યુસ અથવા "દેવતા-જેવા" જીવો બની જશે અને નશ્વરતાને અતિક્રમી જવાની સંભાવના સાથે તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓ વધારશે તેમજ તેમની પોતાની જૈવિક અને સામાજિક વાસ્તવિકતાઓને આકાર આપશે. ૩. ટેકનોલોજીકલ પ્રગતિ : હરારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો એન્જિનિયરિંગ અને અન્ય ઉભરતાં ક્ષેત્રોની સંભવિત અસર સહિત માનવજાતના ભવિષ્યને ઘડવામાં ટેકનોલોજીની ભૂમિકા અંગે ચર્ચા કરે છે. તે આ પ્રગતિઓની નૈતિક અને સામાજિક અસરોને પણ તપાસે છે. ૪. અમરત્વ માટેની ઝંખના : આ પુસ્તક માનવજાતની લાંબા સમયથી અમરત્વની શોધ અને એવી ભાવી સંભાવનાઓનું ઊંડાણપૂર્વક વર્ણન કરે છે, જ્યાં આપણે કદાચ જૈવિક, તકનિકી અથવા તો ડિજિટલ અમરત્વ પ્રાપ્ત કરી શકીશું. હરારી આ આકાંક્ષાઓ સાથે સંકળાયેલાં પરિણામો અને નૈતિક દ્વિધાઓની વિવેચનાત્મક રીતે તપાસ કરે છે. ૫. જીવનનો અર્થ : હરારી એવા વિશ્વમાં અર્થ અને હેતુના બદલાતા વિચારોનું ચિંતન કરે છે જ્યાં પરંપરાગત ધાર્મિક અને વૈચારિક માળખાને પડકારવામાં આવે છે. તે મનુષ્યો માટે તેમના પોતાના કિસ્સા-કહાનીઓ બનાવવા અને વ્યક્તિગત અનુભવો દ્વારા અર્થ શોધવાની ક્ષમતાની શોધ કરે છે. ૬. શક્તિનું ભવિષ્ય : ટેકનોલોજીની પ્રગતિ થઈ રહી છે ત્યારે, લેખક ડેટા અને માહિતીના મહત્વ પર ભાર આપીને, શક્તિનાં સમીકરણોમાં થનારા સંભવિત ફેરફારોની ચર્ચા કરે છે. તે સમાજના એક નાનકડા ભદ્ર વર્ગ પાસે આવી જનારી અભૂતપૂર્વ શક્તિની સંભવિત અસરો અને સમાનતા તેમજ ન્યાય જાળવવાના પડકારોની છણાવટ કરે છે. ૭. ડેટાવાદનો ઉદ્ભવ : હરારી "ડેટાઇઝમ" ની વિભાવના રજૂ કરે છે. તે એવી માન્યતા છે કે બ્રહ્માંડ એક વિશાળ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમની જેમ કામ કરે છે, અને તેનું અંતિમ ધ્યેય ડેટાના પ્રવાહ અને પ્રોસેસિંગને કાર્યક્ષમ કરવાનું છે. તે માનવ સમાજ, ધર્મ અને નિર્ણય પ્રક્રિયાઓ પર ડેટાવાદની અસરોની તપાસ કરે છે. ૮. આગામી પડકારો : આ પુસ્તકમાં માનવજાતના ભવિષ્યને લઈને રોજગાર પર ઓટોમેશનની (સ્વયંસંચાલનની) સંભવિત અસર, સામાજિક અને આર્થિક અસમાનતાના સંભવિત વ્યાપ અને ટેકનોલોજીકલ પ્રગતિની સાથે નૈતિક વિચારણાઓ માટે જરૂરિયાત જેવા મહત્વના પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે, એકંદરે, "હોમો ડ્યુસ" ભાવી સંભાવનાઓ અને તેના પડકારોનું વિચારશીલ સંશોધન પૂરું પાડે છે જેનો માનવજાતે તેના તકનિકી વિકાસની સાથે સામનો કરવો પડશે. આપણે એક અટપટા ભવિષ્યમાંથી પસાર થવાના છીએ ત્યારે, તે વાચકોને આપણા સમાજની દિશા અને આપણે જે વિકલ્પો પસંદ કરીશું તેના ગુણદોષ પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

અવતરણો

યુવલ નોઆ હરારીના પુસ્તક “હોમો ડ્યૂસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ”ના અમુક નોંધપાત્ર અવતરણો: 1. ઉત્ક્રાંતિ એ એલ્ગોરિધમિક પ્રક્રિયા છે, ઈરાદાપૂર્વકની નહીં. 2. હોમો સેપિયન્સ માત્ર સંતોષ મેળવવા માટે બન્યા નથી. માનવ સુખ વસ્તુલક્ષી પરિસ્થિતિઓ પર ઓછું અને આપણી પોતાની અપેક્ષાઓ પર વધુ આધાર રાખે છે. 3. આધુનિક સમય મનુષ્યોને તકો આપે છે અને સશક્ત બનાવે છે, પરંતુ સાથે તે અનેક પડકારો અને જોખમો પણ ધરે છે. 4. ચેતના અને બુદ્ધિ વચ્ચેની કડીને કેવી રીતે તોડવી તે આપણે ઝડપથી શીખી રહ્યા છીએ. 5. આગામી સદીમાં ટેકનોલોજીની પ્રગતિ ચાલુ રહેશે, પરંતુ માનવ કદાચ પીછેહઠ કરશે. 6. મોટાભાગના માનવ ઇતિહાસની પાછળ એક સરળ અને વધુ સુખદ જીવનની શોધનું પ્રેરક બળ રહ્યું છે. 7. જે લોકોના હાથમાં ડેટા છે તેના હાથમાં સર્વસ્વ છે. 8. મનુષ્યો પોતે તાત્ત્વિક રીતે એલ્ગોરિધમ્સ છે, અને તેઓ ધીમે ધીમે નિર્ણય-શક્તિ પર તેમનો એકાધિકાર ગુમાવી રહ્યા છે. 9. એકવીસમી સદીમાં આપણે કદાચ એક નવા વિશાળ વર્ગને જોઈશું : નિરર્થક વર્ગ (useless class). 10. સુખ એ અપ્રિય ક્ષણો પર સુખદ ક્ષણોની સરસાઈ નથી. તેના બદલે, સુખ વ્યક્તિના જીવનને તેની સમગ્રતામાં અર્થપૂર્ણ અને મૂલ્યવાન તરીકે જોવામાં છે. 11. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદયથી જોબ માર્કેટમાં પરિવર્તન આવશે અને ઘણા પ્રોફેશનલ્સને નકામા બનાવી દેશે. 12. ઇન્ફોર્મેશન આધારિત અર્થતંત્ર તરફનો બદલાવ જૂના કામદાર વર્ગને અસ્તવ્યસ્ત કરી રહ્યો છે. 13. એકવાર ટેકનોલોજી આપણને માનવ મગજનું પુનઃનિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે, તે પછી હોમો સેપિઅન્સ અદૃશ્ય થઈ જશે, માનવ ઇતિહાસનો અંત આવશે, અને સંપૂર્ણપણે એક એવી નવા પ્રકારની પ્રક્રિયા શરૂ થશે, જે તમારા અને મારા જેવા લોકોની સમજમાં નહીં આવે. 14. માનવ મનની વાત છે ત્યાં સુધી તેના માટે 'ફેક ન્યૂઝ' જેવી કોઈ વસ્તુ નથી. 15. ટેકનોલોજી ક્યારેય નિયતિવાદી નથી હોતી. તે તકો ઊભી કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણને જણાવતી નથી. આ અવતરણો ‘હોમો ડ્યુસ’ માં ચર્ચાયેલાં કેટલાંક ચાવીરૂપ વિચારો અને વિચારોત્તેજક ધારણાઓનો સાર વ્યક્ત કરે છે અને ટેકનોલોજીકલ પ્રગતિ તેમજ ઉત્ક્રાંતિક માર્ગમાં સંભવિત પરિવર્તન વચ્ચે વાચકોને માનવજાતિના ભાવિ પર વિચાર કરવા માટે પ્રેરે છે.