આચમની/૩૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૩

વર્જિનિયા વૂલ્ફે પોતાના એક સાહિત્યકાર મિત્ર વિષે લખ્યું છે. તે સાહિત્યકાર ઘણું બધું લખતા અને ઘણાં ઈનામો મેળવતા. તેમને માનચાંદ મળે, ઍવૉર્ડ અપાય કે તેમના સત્કાર સમારંભ યોજાય ત્યારે તે અચૂક વર્જિનિયા વૂલ્ફને મળવા આવતા તેમની આ ટેવ જોઈ એક દિવસ વર્જિનિયાએ કહ્યું : ‘તને ખબર છે? અમારા ફાર્મ પર એક ગાય છે. તે ઘણી તંદુરસ્ત છે, ઘણું દૂધ આપે છે અને પશુ પ્રદર્શનમાં તે ઘણાં ઈનામો જીતી લાવે છે. પણ તેને એક વિચિત્ર ટેવ છે. એવે વખતે અમારા ફાર્મમાં આવેલા પથ્થરના થાંભલાને શરીર ઘસ્યા વિના તેનાથી રહેવાતું નથી. કોણ જાણે કેમ પણ તેને ચામડીમાં ચળ ઊપડી આવતી હોય તેમ તે થાંભલાને શરીર ઘસે ત્યારે જ એને ચેન પડે છે. તારું પણ આવું કાંઈક નથી ને?’ વર્જિનિયાની આ ટકોર સાંભળી મિત્ર સડક થઈ ગયા. માન મળે, ઍવૉર્ડ મળે પણ પોતાને કેવી પ્રસિદ્ધિ મળી તે બતાવ્યા વિના અને પ્રશંસાના શબ્દો સાંભળ્યા વિના માણસને સંતોષ નથી થતો. એમાં ય કોઈ માન્ય વ્યક્તિ પીઠ થાબડે ત્યારે જ તેનો જીવ પોરસાય છે ને હરખી ઊઠે છે. આ બતાવે છે કે પેલી ગાયને જેમ ડિલે ચળ ઊપડતી તેમ માનસિક ખૂજલીથી પીડાતા માણસની દશા હોય છે. સારા કામની પ્રશંસા થાય એ સારી વાત છે. સમાજમાં પ્રતિષ્ઠા મળે એ પણ જરૂરનું છે. પણ કોઈ વ્યક્તિમાં પ્રશંસાની કે પ્રતિષ્ઠા મેળવવાની ભૂખ જાગે ત્યારે તેણે ચેતવાની જરૂર હોય છે. પ્રશંસાની મીઠાઈનું પડીકું કોઈ પાસેથી મેળવ્યા વિના ચાલે જ નહીં એ આપણી દયનીય દશા. આપણી અંદર ખૂણેખાંચરે આવી કોઈ ભૂખ રહી હોય તો જાતે જ વાળીઝૂડીને તેને કાઢવી રહી. આવે વખતે વર્જિનિયા વૂલ્ફની એવૉર્ડ-વિજેતા ગાય અને પથ્થરના થાંભલાની વાત યાદ રાખવા જેવી છે.

***