આચમની/૪૦

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૦

શ્રીકૃષ્ણનું નામ આવે એટલે કૃપા કટાક્ષ સાથે તોફાની આંખનો અણસાર પણ જોવા મળે કેરળના પ્રખ્યાત ગુરુવાયુર મંદિરના કૃષ્ણને નામે આવી તોફાન-મસ્તીભરી કૃપા જમા થઈ છે. એક રૂઢિચુસ્ત સજ્જનને અત્યંત પીડાદાયક અને પરેશાન કરતો ચામડીનો રોગ થયો હતો. તેણે ઘણા ઉપચાર કર્યા પણ રોગ મટ્યો નહીં. અંતે દક્ષિણ ભારતના પ્રખ્યાત વૈદ્ય વયસ્કર મુસદ પાસે ગયા. વયસ્કરે ઘણી મહેનતે રોગનું નિદાન કરી કહ્યું : ‘આ રોગ લગભગ અસાધ્ય છે. પણ તમે અજગરનું માંસ ખાશો તો રોગ મટે એવો સંભવ છે.’ પેલા સજ્જન તો નિરાશાની ખાઈમાં ગબડી પડ્યા. માંસાહાર અને તે પણ અજગરનો? તેમનાથી આ બની શકે તેમ નહોતું અને હવે રોગમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય પણ નહોતો દેખાતો. વૈદ્યરાજે તો કહી દીધું કે આ સિવાય બીજું કોઈ ઓસડ નથી. કાં તો દવા લો, કે પછી વ્યાધિ ભોગવ્યા કરો. બીજે દિવસે સવારે રોજના નિયમ પ્રમાણે એ સજ્જન ગુરુવાયુરમાં દર્શન કરવા ગયા. શ્રીકૃષ્ણ પાસે પોતાની અસહ્ય વેદના વ્યક્ત કરતાં કહ્યું : ‘નાથ, તમે નારાયણ ભટ્ટતિરિને સંધિવાના રોગમાંથી સાજા કર્યા એમ સહુ તમારાં ગુણગાન ગાય છે. ત્યારે મારી બાબતોમાં જ તમારી વૈદ્યકીય કુશળતા શું નાશ પામી છે? તમારાથીયે કાંઈ થઈ શકે એમ નથી, કૃપાસિંધુ?’ પેલા સજ્જનને એ રાતે સ્વપ્ન આવ્યું. તેમાં ગુરુવાયુરપ્પન તેને કહેતા હોય એમ લાગ્યું : ‘સૂર્યોદય પહેલાં વહેલી સવારે બાજુમાં આવેલી નદીએ જાઓ. ત્યાં એક ખડક પાસે જ ત્રણ ખોબલા ભરી પાણી પીઓ. એકતાલીસ દિવસ સુધી આ પાણી સૂર્યોદય પહેલા જ પીવાનું છે એ ખાસ ધ્યાન રાખજો.’ સજ્જનને ગુરુવાયુર પર પૂર્ણ શ્રધ્ધા હતી. આદેશ પ્રમાણે તેમણે પાણી પીધું અને રોગ મટી ગયો. તેમણે વયસ્કર પાસે જઈ રોગ ચમત્કારિક રીતે મટી ગયાનું કહ્યું. વયસ્કરે જ્યાંથી નદીનું પાણી પીધું હતું એ જગ્યા બતાવવાનું કહ્યું. બંને એ સ્થળે ગયા ત્યારે દિવસ ચડી ગયો હતો ને ચોમેર અજવાળું હતું. વયસ્કરે ઝીણી નજરે જોયું. જે ખડકમાંથી પાણી ઝરતું હતું તેની ચિરાડમાં પીળી વસ્તુ ફસાયેલી હતી તે લઈ આવવાનું કહ્યું. જોયું તો એ મરેલો અજગર હતો. સજ્જન તો આભા બની જોઈ જ રહ્યા. વયસ્કરે સાંત્વન આપતાં કહ્યું: ‘ખેર. મેં ચીંધેલો ઉપચાર ખોટો નહોતો. પણ મોટા વૈદ્યરાજે તમને અજગરની હત્યા અને રોગમાંથી ઉગારી લીધા એનો આનંદ માણો !’

***