કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પગલાં સુણાય


૧૭. પગલાં સુણાય

પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.

જીવનની જાળ જોઈ,
મન મારું રહ્યું મોહી,
કોઈ એ મનને સમજાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.

સુગંધ સરે છે જાણે,
મન મધુરપ માણે,
ક્યાંનો પરિમલ, પરખાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.

જોઉં એની દુનિયાને,
એથી મનડું ન માને,
મન મારું મન મૂકી ગાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.

(રામરસ, પૃ. ૯૨)