કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૩. હું તો સરેરાશનો માણસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૩. હું તો સરેરાશનો માણસ...

હું સરેરાશનો માણસ છું નીકળી જાઈશ,
કોઈ ઓળખશે નહીં, સર્વને મળી જાઈશ.
યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું, ઓગળી જાઈશ.
છું હવા, ને એ હવાને વળી વિસ્તાર કયો?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જાઈશ.
મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જાઈશ.
કાંકરીને તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જાઈશ.

૩–૭–’૮૮

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૭૫)