કિન્નરી ૧૯૫૦/મિલનમોરલી
Jump to navigation
Jump to search
વૃન્દાવનની વાટે રે, કોઈ મિલનમોરલી વાય,
જમુનાજલને ઘાટે રે કોઈ ગોપી ઘેલી થાય!
મોરલીએ મનડાની વાણી,
સુણ્યા વિણ ર્હેવાય?
કાલિન્દીનાં કાળાં પાણી
અંગે શીદ સ્હેવાય?
વનને કાંટે કાંટે રે, કોઈ બિછાત ફૂલની છાય,
ફૂલમારગને ફાંટે રે, એનો જીવ વીંધાતો જાય!
કુંજગલીને દ્વારે દ્વારે
ઢૂંઢી વળ્યાં બે નેણ,
કદંબવનને ક્યારે ક્યારે
વણઉત્તરનાં વેણ;
શીતલ સૂરની છાંટે રે, કોઈ વરસી રહ્યું છે લાય,
નેહનદીને ઘાટે રે, એનું અંગ અગનમાં ન્હાય!
છલછલ એનાં અસુવન નીરે
વિરહાનલ શીદ ઠારે?
મન્દ્રમદીર ને મંદ સમીરે
ભીતર મરતું ભારે!
મોરલીધરને માટે રે, એ તો નિજમાં આજ ન માય,
હૈયા કેરે હાટે રે, વણમૂલ વેચાવા ચ્હાય!
૧૯૪૮