ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/નટવરલાલ મૂળચંદ વીમાવાળા
જન્મ ઇ. સ. ૧૯૦૦ના સપ્ટેંબરની ત્રીશમી તારીખ. તિથિ આશો સુદ છઠ. આખું નામ નટવરલાલ મૂળચંદ ઘેલાભાઇ વીમાવાળા. માતાનું આખું નામ વિજ્યાલક્ષ્મી તે ત્રિભોવનદાસ ઈચ્છારામની પુત્રી. જ્ઞાતિ (સ્વ. ઇ સૂ દે વાળી) સુરતી તળપદા દશા શ્રીમાળી વણિક. મૂળ વતન સુરત. જન્મ સુરત. કુટુંબની અસલ અટક મ્હેતા. એક વેળા નટવરલાલ શંભુનું નામ સુરતમાં પ્રખ્યાત હતું. પિતાના વીમાના વ્યવસાય પરથી વીમાવાળા અટક શરૂ થઇને ચાલી. પીતરાઇઓમાં હજુ મ્હેતા અટકજ ચાલે છે જેમાં ચન્દ્રવદન મ્હેતા (ઈલા કાવ્યોના લેખક)નું નામ સુપરિચિત છે. કુટુંબને દાદાને નર્મદ સાથે સારો સંબંધ હતો. નર્મદે સ્વહસ્તે નામવાળી પોતાની ચોપડીઓ ભેટ આપેલી. નર્મદને આર્થિક સહાય પણ દાદાએ સારા પ્રમાણમાં કરેલી. એટલે સાહિત્ય શોખ કુટુંબમાં વંશગત દેખાય છે. પિતા મૂળચંદ ઘેલાભાઈએ ગુજરાતી ભજનો ને ગીતો લખેલાં–ઈગ્રેજી પદ્ય પણ અજમાવેલું. નાનપણથી વાંચવાનો શોખ બહુ; સ્વપ્નાં સાહિત્યનાં જ. દશ બાર વરસની ઉંમરેજ જીવન સાહિત્યની દિશામાં વહેતું મૂકવાની સ્પષ્ટ વાત ગોઠિયાઓ સાથે કરેલી. લેખન અને પ્રકાશન પણ એજ ઉંમરથી–બારતેર વરસની ઉંમરથી–શરૂ થયેલું, સુંદરી સુબોધમાં નાનાં લેખો, કાવ્યો, “ગુજરાતી” માં ચર્ચાપત્રો, વાર્તા વારિધિમાં વાર્તાઓ લખેલાં. માધ્યમિક શાળા જીવનમાં એ પ્રવૃત્તિ ખૂબ ચાલેલી. શાળાની કારકીર્દિ તદ્દન પ્રથમ પંક્તિની. પહેલોજ નંબર. લગભગ હંમેશ સ્કોલરશીપ-ઈનામો મળેલાં. પ્રીવીયસમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. વિલ્સન કોલેજ, સુરત કોલેજ, ફરગ્યુસન કોલેજ અને પછી જુનીઅર બી. એ. માંથી અસહકાર કર્યો, તે બાદ ગુજરાત મહાવિદ્યાલય; એમ ચાર સંસ્થાઓમાં કોલેજ જીવન વીત્યું. ૧૯૨૨ના જાનેવારીમાં બારડોલીમાં સત્યાગ્રહ થવાનો હતો તેમાં જોડાવા ગુ. મહાવિદ્યાલય પણ છોડ્યું; અને વિદ્યાપીઠની સ્નાતક પદવી માત્ર બે મહિના પછીજ લઇ શકાય એમ હતું તે જતી કરી. બારડોલી સત્યાગ્રહ ચૌરીચૌરાને લીધે અટક્યો એટલે પછી સાહિત્ય પ્રવૃત્તિમાં પૂરેપૂરૂં ઝંપલાવ્યું. પહેલું ગ્રંથ પ્રકાશન શિરહીન શબ નામની ડિટેક્ટીવ નવલકથા હરિનારાયણ આપટેના મરાઠી પરથી, બે ભાઇઓએ ભેગી લખેલી ૧૯૧૫ ની સાલમાં અડધી (પહેલો ભાગ) પ્રગટ થયેલી. એ વસ્તુ ફરી પાછી ઘણે વરસે બેગમ કે બલા? નામથી નડિયાદ બાણાવળી કાર્યાલયવાળા રા રા અંબાઇદાસ બાબરભાઈએ પ્રગટ કરી હતી. બંને ભાઈઓએ ૧૯૨૧ની સાલથી (૧-૮-૨૧) સેવા દૃષ્ટિએ ગાંડીવ સાહિત્ય મંદિર ચાલુ કર્યું. પહેલાં ગાંધીજીના પુસ્તકો પ્રકટ કર્યા (તે વેળા નવજીવને પુસ્તક વિભાગ ખોલ્યો ન હતો). ૧૯૨૨ માં સાથે પ્રેસ પણ જોડ્યું. ૧૯૨૩ની સાલથી પેપર પણ કાઢ્યું. કેવળ નિર્દોષ વિનોદ સાહિત્યનું એ પત્ર “તોપ” પાછળથી ગાંડીવમાં પરિણમ્યું. આજે “સ્ત્રીશક્તિ” સાથે જોડાઈને એ પત્ર સૂક્ષ્મરૂપે જીવે છે. ગાંડીવ સાહિત્ય મંદિરની સાહિત્ય પ્રવૃત્તિઓ સુપ્રસિદ્ધ છે. તેનું સાહિત્ય વિભાગનું તમામ સૂત્રસંચાલન નટવરલાલના હાથમાં છે. વ્યવસ્થા વિભાગ ઈશ્વરલાલ સંભાળે છે. બંને છૂટા છૂટા અપૂર્ણ છે. બે મળીને એક એકમ બને છે. ગાંડીવ બાલસાહિત્યના પુષ્પો મુખ્યત્વે નટવરલાલના લખેલાં છે. એ સિવાય બીજા પુષ્પો બંગાળી મરાઠી પરથી અનુવાદો પણ કરેલા છે. જીવન પર શરૂમાં પઢિયારનાં ને રસિકનનાં પુસ્તક Unto this last થી ઘણી અસર થઈ. પછી ગાંધીયુગમાં ગાંધીજીની અને ગાંધી સાહિત્યની ખૂબ અસર થઇ. આજેય એ અસર ચાલુ છે પણ તેમાં બીજા પ્રવાહો ભળેલાં છે. લગ્ન ઈ. સ. ૧૯૨૫ માં સ્વપસંદગીથી થયું કુ હરવદન મગનલાલ કા૫ડીયા સાથે. પ્રથમ વિવાહ સુરતના દાક્તર મગનલાલ મ્હેતાની પુત્રી ઊર્મિલા સાથે થયેલો પણ તે ઈ. સ. ૧૯૨૩માં પોતે થઇને જ્ઞાતિના રિવાજ વિરૂદ્ધ તોડી નાંખ્યો. તે માટે જ્ઞાતિએ કરેલી સજા ભોગવી. જ્ઞાતિમાં વિવાહ વેશવાલ પણ નજ તૂટે એવું બંધન સખ્ત હતું. તે આ પહેલા કિસ્સા પછી ઘણું શિથિલ થઈ ગયું છે. પત્નીનું વતન સુરતજ છે. દરેક વિષય વાંચવાનો શોખ છે. અમુકજ વિષય નહિ. એટલે Jack of all and master of none જેવી સ્થિતિ છે. પત્રકારિત્વનો વ્યવસાય ને જાહેરજીવન એ સ્થિતિ સુધરવામાં અંતરાયરૂપજ બને. સાહિત્ય પરિષદે શ્રીરમણ કાંટાવાળા સ્મારક બાલસાહિત્ય માટે ૧૯૨૯માં બે ત્રણ બાલસાહિત્ય સંસ્થાઓ પાસે યોજના માંગી. ગાંડીવની યોજના ૫સંદ કરી અને તે દ્વારા “મધપૂડો” પ્રકટ થયું. પરિષદે તે પ્રકાશન માટે રૂ. ૧૨૫ ગાંડીવને આપ્યા.
: : એમની કૃતિઓ : :
| અનુવાદો | |
| શિરહીન શબ (મરાઠી પરથી) હ. ના. આપટે. | સન ૧૯૧૫ |
| સોનેરી શીર (બંગાલી પરથી) રખાલદાસ બંદોપાધ્યાય | ”૧૯૧૯ |
| બોંબ યુગનું બંગાળા (બંગાલી પરથી) બારિન્દ્ર ઘોષ | ”૧૯૨૩ |
| હાય આસામ (બંગાલી ૫રથી) બારિન્દ્ર ઘોષ | ”૧૯૨૩ |
| કલકત્તાનો કારાયુગ (બંગાલી ૫રથી) હેમન્તકુમાર સરકાર | ”૧૯૨૩ |
| પંજાબનું પ્રચંડ કાવતરૂં (બંગાળીપરથી) શચીન્દ્રનાથ સાન્યાલ | ”૧૯૨૪ |
| (બે ભાગ સાથે) | ”૧૯૨૮ |
| બંગાળનો બળવો (બંગાળી ૫રથી) ભૂપેન્દ્રનાથ દત્ત | ”૧૯૨૯ |
| ઘોડાચોર (ઇંગ્રેજી પરથી) Bernard Shaw | ”૧૯૩૧ |
| (Showing upto of Blanco Posnet) | |
| સંપાદિત | |
| રાષ્ટ્રિય ગરબાવલી | ”૧૯૨૪ |
| બાલસાહિત્ય | |
બકુલ—મૂરખ રાજ—નીલમ—ભીષ્મ—જય બજરંગ—બરફી પુરી –તોફાની ટિપુડો—કચુંબર—ધૂપસળી (વલ્લભદાસ અક્કડ સાથે)–મોતીના ઘણા—એક હતો કૂતરો—નવનીત–મેઘધનુષ–મિયાઉં–હાથી ધમધમ ચાલે—બાલડામરી (અક્કડ સાથે)—ચોપગાંની ચતુરાઇ—ગધેડાનું રાજ— રમકડાંની દુકાન—જાદુઇ જમરૂખ—મકનો મસ્તાનો–બંગાળી બીરબલ– ભૂલભૂલામણી—સવાકાની આપવીતિ—ખોટી ખોટી વાતો—સિપાઈ દાદા–મધપૂડો (સંપાદન)—સબરસ—કીર્તિસ્તંભ—રિક્કિ ટિક્કિ—સારંગી વાળો–ખરેખરી વાતો—રશીદની પેટી—પુસ્તકાલય-પ્રાણી પુરાણ ભા–૧–૨–લાડકાવ્યો—ફુરસદ— | |
| સાહિત્ય | |
| (બલિદાન), (કુરબાનીની કહાણીઓ), ભવાટવી—(અબળાઓની આત્મક્થાઓ) | |