ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ગોરધનદાસ ડાહ્યાભાઇ એન્જીનીયર

ગોરધનદાસ ડાહ્યાભાઈ એન્જીનીયર

એઓ જાતે લેઉઆ પાટીદાર અને સુરતના વતની છે. એમનો જન્મ તા. ૨૯ મી જાન્યુઆરી સન ૧૮૯૦ ના રોજ સુરતથી ત્રણ માઇલ દૂર આવેલા એમના મોસાળમાં સારોલી ગામે થયો હતો. એમના પિતાનું નામ ડાહ્યાભાઇ ત્રિભોવનદાસ એન્જીનીઅર હતું અને માતાનું નામ ગુલાબબ્હેન હતું. એમનું પહેલું લગ્ન સન ૧૯૦૪માં સૌ. જડાવગૌરી સાથે થયું હતું અને તે સ્વર્ગસ્થ થતાં, દ્વિતીય લગ્ન સન ૧૯૧૧ માં સુરતમાં જ સૌ. પદ્માવતી સાથે થયું હતું. મેટ્રીક્યુલેશન સુધીનો અભ્યાસ એમણે સુરતમાં કર્યો હતો; પછીથી સઘળે અભ્યાસ સોલિસીટર થતાં સુધી મુંબાઇમાં કર્યો હતો. હાલમાં તેઓ સોલિસીટર તરીકે કામકાજ કરે છે. સને ૧૯૧૫ માં પાંચમી સાહિત્ય પરિષદ તરફથી ‘રામાયણનો સાર’ એ નામનું કાવ્ય રચવા માટે તેમને પહેલું ઈનામ મળ્યું હતું. એ કાવ્ય સને ૧૯૧૭ માં “શ્રી રામચરિતામૃત” એ નામે પ્રકટ કરવામાં આવ્યું હતું. કવિતા અને તત્ત્વજ્ઞાન એમના પ્રિય વિષયો છે અને આપણા ધાર્મિક ગ્રંથો જેવા કે, રામાયણ, મહાભારત અને ભાગવતે એમનું જીવન રંગેલું છે. રવીન્દ્રનાથ ટાગોર, શ્રીયુત અરવિંદ ઘોષ, અને સ્વામી રામતીર્થ વગેરેની છાપ પણ એમના પર ઉંડી પડેલી છે. કાયદાના કામકાજમાં તેઓ ચાલુ રોકાયેલા રહે છે; તેમ છતાં તેમનો સાહિત્ય શોખ અને લેખનપ્રવૃત્તિ મંદ પડ્યાં નથી, એ એમના લખેલાં પુસ્તકો પરથી જણાશે.

: : એમની કૃતિઓ : :

નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
૧. શ્રી રામચરિતામૃત સન ૧૯૧૭
૨. પ્રભાતફેરી ૧૯૩૦
૩. ઉમર ખૈયામની રૂબાઇયતો (‘બે ઘડી મોજ’માં

કટકે કટકે પ્રગટ થઇ.)

સન ૧૯૩૨-૩૩
૪. ઉત્સર્ગ ૧૯૩૩
૫. ગીતાંજલિ (ટીકા સાથે)
(‘વિશ્વજ્યોતિ’માં કટકે કટકે પ્રગટ થાય છે.)
સં. ૧૯૮૩ થી