ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(ડૉ.) મહાદેવપ્રસાદ ભોગીલાલ કંથારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડૉ. મહાદેવપ્રસાદ ભોગીલાલ કંથારીઆ

ડૉ. મહાદેવપ્રસાદ કંથારીઆનો જન્મ સંવત ૧૯૪૨ના ભાદરવા વદી ૦)) (તા. ૨૭-૯-૧૮૮૬)ના રોજ તેમના વતન નડીઆદમાં થયો હતો. તેમના પિતાનું નામ ભોગીલાલ ત્રીકમલાલ કંથારીઆ અને માતાનું નામ શીવલક્ષ્મી દૉલતરાય. ન્યાતે તે સાઠોદરા નાગર છે. તેમણે પ્રાથમિક કેળવણી નડીઆદમાં અને અંગ્રેજી કેળવણી મુંબઈમાં લીધી હતી. મુંબઈના વી. જે. ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટમાં તેમણે મિકેનિકલ અને ઇલેકટ્રિકલ એન્જીનીયરિંગનો અભ્યાસ છ વર્ષ સુધી કરેલો. મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં પહેલા ગ્રેડની ડ્રોઇંગની પરીક્ષા પાસ કરેલી. બૉમ્બે બૉઈલર ઍકટ એન્જીનીયર્સની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરેલી. આમ એન્જીનીયરિંગમાં નિષ્ણાત થવા છતાં તેમનું માનસિક વલણ કોઈ જુદી જ દિશામાં રસ ધરાવતું હતું. કલકત્તામાં હોમીઓપેથિક કૉલેજમાં અભ્યાસ કરીને એમ. સી. એચ. સી.ની ડિગ્રી તેમણે મેળવી, અને અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે અભ્યાસ કરીને અમેરિકન સ્કૂલ ઓફ નેચરોપથીની ‘ડૉક્ટર ઓફ નેચરોપથી' (N. D.) અને ‘ડૉક્ટર ઓફ મેડિસિન’ (M. D.)ની ડિગ્રીઓ પણ મેળવી. નૈસર્ગિક ઉપચારશાસ્ત્ર એ તેમનો પ્રિય વિષય છે અને ડૉક્ટર તરીકે વ્યવસાય કરતા હોવા છતાં આરોગ્ય અને નૈસર્ગિક ઉપચારો વિષે લેખનકાર્ય પણ કરતા રહે છે. ડૉ. એની બેસન્ટ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને ડૉ. બેનેડિક્ટ લુસ્ટના જીવન તથા ગ્રંથોની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર છે. ઈ.સ.૧૯૦૮ થી 'ધન્વંતરિ' માસિકના તે સહતંત્રી હતા અને ૧૯૨૩ થી ૧૯૩૭ સુધી તેના તે તંત્રી હતા. ગુજરાત હોમિયોપેથિક એસોસીએશન અને મુંબઈ પ્રાંતિક નેચરોપેથિક એસોસીએશનના તે પ્રમુખ છે. બેલગામમાં ભરાયલી અખિલ હિંદ નેચરોપેથિક કોંગ્રેસના પ્રમુખ તરીકે તે ચુંટાયા હતા. અમેરિકન નેચરોપેથિક એસોસિએશનના હિંદ ખાતેના પ્રતિનિધિ તેઓ છે. તેમનું પ્રથમ પુસ્તક ૧૯૦૯માં ‘તમાકુનું દુર્વ્યસન' એ નામે પ્રસિદ્ધ થયું હતું. ત્યારપછી તેમનાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકોની નામાવલિઃ 'ક્ષયરોગ' (૧૯૧૧), 'Advantages of a Vegitarian Diet' (૧૯૧૨), ‘આરોગ્ય સાચવવાના ઉપાયો' (૧૯૧૪), ‘મનુષ્યનો કુદરતી ખેરાક” (૧૯૧૬), ‘નૈસર્ગિક જીવન' ('Return to Nature'નું ભાષાંતર) (૧૯૧૭), ‘ક્રોમોપથી એટલે વર્ણોપચાર વિદ્યા' (૧૯૧૯), 'બાળકનું સંરક્ષણ, સંવર્ધન અને શિક્ષણ’ (૧૯૨૩), ‘વિટામિન્સ અથવા આહાર માર્ફત આરોગ્યપ્રાપ્તિ' (૧૯૨૩), 'આરોગ્ય વિષે પ્રશ્નોત્તરમાળા' (૧૯૨૩), મારો અમેરિકાનો પ્રવાસ’ (૧૯૨૩). ડૉ. મહાદેવપ્રસાદનું લગ્ન સને ૧૯૧૬માં નડીઆદમાં શ્રી. પદ્માવતી બાપાલાલ વેરે થએલું. તેમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. મોટો પુત્ર યોગેશ ડાક્ટરી અને બીજો યજ્ઞેશ ખેતીવાડીનો અભ્યાસ કરે છે.

***