ચિત્તવિચારસંવાદ/સંપાદનપદ્ધતિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સંપાદનપદ્ધતિ

મધ્યકાલીન ગુજરાતી કૃતિઓની હસ્તપ્રતોમાં જોવા મળતી જોડણી-અનુસ્વારાદિકની અરાજકતા પાઠસંપાદનનો કોયડો જટિલ બનાવી મૂકે છે તે તરફ પણ ડૉ. ભાયાણીએ સુંદર રીતે ધ્યાન ખેંચ્યું છે (હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન, ૧૯૮૭). આમાંથી બે પ્રશ્નો ઊભા થાય છે. એક જોડણીઅનુસ્વારાદિકના વૈવિધ્યનું શું કરવું? જે પ્રતને મુખ્ય પ્રત ગણી છે તે મધ્યકાળની વધારે સ્વીકૃત જોડણી આપે છે એવું કહેવાય એવું છે નહીં ને એમાં અનુસ્વારની જે પ્રચુરતા છે તે તો એના લહિયાની પોતીકી ખાસિયત જ છે. પ્રતની જોડણી એમ ને એમ રહેવા દઈએ તો સ્વાભાવિક રીતે આજના વાચકને થોડી અગવડ પડે. બીજી બાજુથી મધ્યકાલીન ભાષાની અને ઉચ્ચારણની લાક્ષણિકતાઓ લુપ્ત ન થઈ જાય તેની પણ કાળજી રાખવી જોઈએ તેથી અહીં જોડણીવિષયક કેટલાક નિર્ણયો લેવાના થયા છે. એમાં એકધારી સમાનવ્યવસ્થાનું દૃષ્ટિબિંદુ પણ શક્ય તેટલું લક્ષ્યમાં રાખ્યું છે. જોડણી અંગે કરેલા મુખ્ય નિર્ણયો નીચે મુજબ છે. ૧. મુખ્યપ્રતમાં અનુનાસિકને સંયોગે તથા શબ્દાન્તે વધારાના અનુસ્વાર મળે છે તે છોડી દીધા છે. ‘અંહીં’માં બંને અક્ષરો પર અનુસ્વાર છે તે આજ મુજબ છેલ્લા અક્ષર પર રાખ્યો છે. ૨. અંત્ય ‘ઉ’ દીર્ઘ છે (તૂં, ઊપજતૂં) ત્યાં બધે આજની જોડણી મુજબ હ્રસ્વ કરી દીધો છે. તૂજ, મૂજ, ઉપના, ઉંડો, ઉધર્યા વગેરે શબ્દોમાં પણ આજની જોડણી દીર્ઘ ‘ઊ’ કરી દીધો છે. સામે ‘ઊકેલ’નું ‘ઉકેલ’ કરી નાખેલ છે. ૩. એ જ રીતે ‘ઈ’ની જોડણી પણ આજની જેમ સુધારી લીધી છે. ૪. ‘હ’ શ્રુતિ અને ‘ય’ શ્રુતિ જેમ છે તેમ રહેવા દીધી છે. કેમકે, એ મધ્યકાલીન ઉચ્ચારણને પ્રતિબિંબિત કરે છે એમાં જરૂર લાગી ત્યાં એકરૂપતા પણ કરી છે. ‘પેહેલો’ એમ બંને અક્ષરો સાથે સ્વર જોડવાની પ્રતની સામાન્ય રીત છે તેથી ‘પહેલો’ મળ્યું ત્યાં પણ ‘પેહેલો’ કર્યું છે. ૫. ‘શ’ અને ‘સ’ પણ આજની જોડણી મુજબ સુધારી લીધા છે. ‘બેશસે’નું ‘બેસશે’, અને ‘સૂ’નું ‘શું’ કર્યું છે પરંતુ ‘ય’ શ્રુતિ કે ‘હ’ શ્રુતિ હોય ત્યાં દંત્ય ‘સ’ રહેવા દીધો છે જેમકે, ‘સાહાને’, ‘સ્યૂ’ વગેરે. ૬. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી સુધારી લીધી છે જેમકે, ‘ઉપનીષદ’નું ‘ઉપનિષદ’ કર્યું છે. (જોકે, પદ્યબંધમાં દીર્ઘ ‘ની’ની અપેક્ષા જણાઈ છે.) ‘ચિત’નું ‘ચિત્ત’, ‘તત્વ’નું ‘તત્ત્વ’ કરી લીધું છે. ધાતુ તત્સમ હોય ત્યાં પણ એની જોડણી સંસ્કૃત મુજબ રાખી છે. ‘દ્રષ્ટિ’, સ્રષ્ટિ’, ‘દ્રષ્ટાંત’ એમ ને એમ રહેવા દીધેલ છે કેમકે, એ એક ઉચ્ચારણસ્થિતિને રજૂ કરે છે. ૭. ‘નરદેહે’, ‘વૃક્ષે’, ‘તેહે’ જેવા શબ્દો ‘નરદેહ’, ‘વૃક્ષ’, ‘તેહ’ના અર્થમાં વપરાયેલા મળે છે ત્યાં ‘એ’કાર એમ ને એમ સાચવ્યો છે કેમકે, એ એક ભાષાકીય લઢણ જણાય છે. ‘નરદેહે’ એ ‘નરદેહ જ’ ના અર્થમાં હોય એવી શક્યતા છે. ૮. મધ્યકાલીન લેખનપદ્ધતિમાં ‘બ’ – ‘વ’નો ઘણી વાર અભેદ લેખાતો. એટલે કે ‘બ’ને સ્થાને ‘વ’ લખાતો અને ‘વ’ને સ્થાને ‘બ.’ અહીં એવા જૂજ દાખલા મળે છે. આવાં સ્થાનોએ ‘વ’નો ‘બ’ કે ‘બ’નો ‘વ’ કરી લેવામાં આવ્યો છે. જેમકે ‘પર્બતે’નું ‘પર્વતે’, ‘બિલાસ’નું ‘વિલાસ’ તથા ‘ઉવરા’નું ‘ઉંબરાં’ કર્યું છે. બીજો પ્રશ્ન પાઠાંતરોની નોંધનો છે. સઘળી પ્રતોનાં આ પ્રકારનાં સઘળાં પાઠાંતરોની નોંધ લેવા જતાં પાઠાંતરોનું એક જંગલ ઊભું થઈ જાય અને એનું કશું સ્વારસ્ય પણ ન રહે. આથી ડૉ. ભાયાણીના સૂચનને સ્વીકારીને અહીં પહેલી ૧૦ કડી સુધી સઘળાં પાઠાંતરોની નોંધ લીધી છે. એમાંથી જે-તે પ્રતની લેખનપદ્ધતિ વિશે તારવણી કરવા માટેની પૂરતી સામગ્રી મળી રહેશે. ૧૦ કડી પછી માત્ર જોડણીભેદ ગણાય તેવાં પાઠાંતરો નોંધ્યાં નથી પણ સઘળા શબ્દભેદો – અર્થભેદ થતો હોય કે નહીં – નોંધ્યા છે. જ્યાં જોડણી શબ્દ-નિર્ણયમાં ચાવીરૂપ બનતી હોય ત્યાં જોડણીભેદની પણ નોંધ લીધી છે. તે ઉપરાંત અન્ય પ્રતો મુખ્ય પ્રતથી જુદો શબ્દ આપતી હોય ત્યારે પ્રતોમાં મળતા જોડણીભેદ સાથે જ એ શબ્દ નોંધ્યો છે. કોઈ એકાદ પ્રતમાં જ મળતા સાવ ભ્રષ્ટ પાઠને નોંધવાની જરૂર જોઈ નથી. અ બ પ્રતના ઘણા પાઠોને કોઈ પ્રાપ્ત હસ્તપ્રતોનો ટેકો નથી અને એ સુધારેલા પાઠો જણાય છે તેથી એની પણ બધે નોંધ લેવાની આવશ્યકતા લેખી નથી. વાચના આપવામાં તથા પાઠાંતરોની નોંધમાં અહીં કેટલીક વ્યવસ્થાઓ પણ નિપજાવી છે. ૧. એક કે બે દંડને સ્થાને અર્ધવિરામ અને પૂર્ણવિરામ મૂક્યાં છે અને મુખ્ય પ્રતમાં હોય કે ન હોય, પહેલાં ત્રણ ચરણને અંતે અલ્પવિરામ અને ચોથા ચરણને અંતે પૂર્ણવિરામ એકધારી રીતે મૂક્યાં છે. ૨. દરેક કડીમાં ચરણોને ૧, ૨, ૩, ૪ એવા ક્રમાંકથી જુદાં પાડી પાઠાંતર નેાંધ્યાં છે. ૩. મુખ્ય પ્રતના પૃષ્ઠક્રમાંકનો નિર્દેશ પૃષ્ઠ શરૂ થાય છે ત્યાં જ વાચનામાં [ ] કૌંસમાં મૂક્યો છે. આગલી બાજુ માટે ‘ક’ અને પાછલી બાજુ માટે ‘ખ’ સંજ્ઞા યોજી છે.