નારીસંપદાઃ નાટક/સંપાદક-પરિચય
મીનલ દવે (જન્મ 11 માર્ચ 1960) ગુજરાતી સાહિત્યનાં એક નોંધપાત્ર વાર્તાકાર, અનુવાદક, સંપાદક અને વિવેચક છે. સૌરાષ્ટ્રમાંથી સ્નાતક થયા પછી 1980માં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી એમ. એ. કર્યું અને બત્રીસ વર્ષ પછી 2012માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાંથી પીએચ. ડી. કર્યું. ભિલોડા અને અંકલેશ્વરની કૉલેજમાં થોડાં વર્ષો અધ્યાપનકાર્ય કર્યું પછી 1991થી 2022 સુધી ભરૂચની જયેન્દ્રપૂરી આર્ટ્સ અને સાયન્સ કૉલેજમાં અધ્યાપન કાર્ય કરી નિવૃત્ત થયાં. લખવાનું મોડું શરૂં થયું. 2017માં એમની પાસેથી ‘ઓથાર’ વાર્તાસંગ્રહ મળે છે. એમની સમગ્ર વાર્તાઓમાંથી પસાર થતાં પ્રતીતિ થાય કે નીવડેલા વાર્તાકારની બધી જ લાક્ષણિકતાઓ આ સર્જકમાં છે. અહીં માત્ર નારીની સમસ્યાઓ કે શોષણની વાત નથી, નારીના સંવેદનના સાવ અજાણ્યા, વણજાણ્યા ખૂણાઓ પર આ વાર્તાકારે પ્રકાશ પાડ્યો છે. ‘ઓથાર’ તેમની ખૂબ જાણીતી વાર્તા છે. એમની પાસેથી વિવેચનનું પુસ્તક ‘સાહિત્યઃ સમાજનો આયનો’ (2017) મળે છે એ પીએચ.ડી. નિમિત્તે થયેલાં સંશોધનનું પુસ્તક છે. આ ગ્રંથમાં તેમણે 1851થી 1950 સુધીમાં ગુજરાતી સમાજમાં આવેલા પરિવર્તનો વિશે અભ્યાસ કર્યો છે. આ સમયગાળામાં અંગ્રેજી શાસન તથા શિક્ષણ અને ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ કેવી રીતે પડ્યો તેની વિગતે ઉદાહરણો સાથે ચર્ચા કરી છે તેમ જ ગુજરાતી ટૂંકીવાર્તાને આ દ્રષ્ટિએ તપાસી છે. તેમની પાસેથી ઉત્તમ અનુવાદો મળ્યા છે. તેલુગુ લેખિકા વોલ્ગાની 1987માં ‘ચપલા’ સામયિકમાં પ્રગટ થયેલી પહેલી નારીવાદી નવલકથા ‘સ્વેચ્છા’(2021)નો અનુવાદ. જાણીતા નવલકથાકાર એસ. એલ. ભૈરપ્પાની કન્નડ નવલકથા ‘તબલ્યુ નિનાદે મગ્ને’નો અનુવાદ તેમણે ‘ગોધૂલિ’(2023) નામે કર્યો છે. આ ઉપરાંત નુજુદ અલીની ડેલ્ફિન મીનોઈએ લખેલી આત્મકથાનો અનુવાદ ‘હું નુજુદ – ઉંમર દસ વર્ષ, તલાકશુદા’(2025), સત્યઘટના પર આધારિત બેન્યામિન લિખિત મલયાલમ નવલકથાનો અનુવાદ ‘ગોટલાઈફ’(2025, સંધ્યા નાયર સાથે), ડબલ્યુ જે મીગારની કીશોરકથાનો અનુવાદ ‘ટિપ્પી લોકલીન’(2025). એમણે કેટલાક મધ્યકાલીન કન્નડ કાવ્યોના અનુવાદ પણ કર્યા છે તેમ જ ત્રણ વાર્તાઓના અનુવાદ જુદા જુદા સામયિકોમાં પ્રગટ થયાં છે. થોડા સમય પહેલાં જ તેમણે ભગવાન થાવરાણીના કાવ્યોના અનુવાદો ફેસબુક પર મૂક્યા હતા જેને ખૂબ સારો આવકાર મળ્યો હતો. તેમણે કરેલા સંપાદનોમાં ‘યશવંત પંડ્યાના એકાંકીઓ’(2000, સતીશ વ્યાસ સાથે) તેમ જ ‘રઘુવીરવિશેષ’(2024, શરીફા વીજળીવાળા સાથે)નો સમાવેશ થાય છે. તેમનું એક અજાણ્યું પાસું તે તેમના હાસ્યલેખો છે. જે મુખ્યત્વે ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયાં છે. 2023માં ‘સ્વેચ્છા’ના અનુવાદ માટે તેમને સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. મીનલબહેન વિવિધ સંસ્થાઓ સાથે ક્યાંક ટ્રસ્ટીપદે તો ક્યાંક ચેરમેન તરીકે જોડાયેલા છે. ગુજરાતી, ભારતીય અને વિદેશી સાહિત્યના અઢળક વાચનથી પરિષ્કૃત થયેલી રૂચિનો સ્પર્શ તેમના વક્તવ્યોમાં જોવા મળે છે. અનેક રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના પરિસંવાદ અને કાર્યશાળામાં તેમણે ઉત્તમ વક્તવ્યો આપ્યા છે. અભ્યાસની સાથે પ્રવાહિતા તેમના વક્તવ્યનું લક્ષણ છે.
–પારુલ કંદર્પ દેસાઈ