ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દૂરદર્શી


દૂરદર્શી

એક છીછરા તળાવમાં ખૂબ મત્સ્ય હતા. તેમાં કાર્યકુશળ ત્રણ મત્સ્ય હતા, તેઓ સાથે વિહાર કરતા અને એકબીજાના ચાહક હતા. આમાં એકનું નામ પ્રાપ્તકાલજ્ઞ, બીજાનું દીર્ઘદર્શી અને ત્રીજાનું નામ દીર્ઘસૂત્રી હતું. એક વેળા મત્સ્યજીવી માછીમારોએ ચારે બાજુથી પાણી કાઢવાના માર્ગ દ્વારા તે તળાવના પાણીને નીચાણવાળા વિસ્તારમાં કાઢવા પ્રયત્ન કર્યો. આવા કાર્યને કારણે તે તળાવનું પાણી ઓછું થવા લાગ્યું. આ જાણીને દીર્ઘદર્શી મત્સ્ય અનાગત ભયને કારણે બીજા મિત્રોને કહેવા લાગ્યો, ‘આ જળાશયમાં રહેનારાં બધાં જ મત્સ્ય ઉપર આ આપત્તિ આવી છે. એટલે આપણો બહાર નીકળવાનો માર્ગ દૂષિત થાય તે પહેલા જ આપણે બીજી જગ્યાએ જેમ બને તેમ જલદી જતા રહીએ. જે અનાગત અનર્થને ઉત્તમ નીતિથી નિવારે છે તેના પ્રાણ કદી સંશયમાં આવતા નથી. તો તમારા લોકોની આ વિશે અભિરુચિ થતી હોય તો ચાલો બીજા જળાશયમાં જઈએ.’

આ સાંભળી દીર્ઘસૂત્રીએ કહ્યું, ‘તારી વાત બહુ સારી છે, પરંતુ મારો વિચાર એવો છે કે કોઈ બાબતે ઉતાવળ કરવી નહીં. ત્યાર પછી પ્રત્યુત્પન્નમતિએ દીર્ઘદર્શીને કહ્યું, ‘સમય આવશે ત્યારે હું ન્યાય અનુસાર કોઈ ઉપાય શોધવામાં કદી ભૂલ કરતો નથી.’

મહાબુદ્ધિમાન દીર્ઘદર્શી આ વાત સાંભળીને એ જ પાણીમાંથી બહાર નીકળીને બીજા એક ઊંડા તળાવમાં જતો રહ્યો. પછી જ્યારે માછીમારોએ જોયું કે એ તળાવનું લગભગ બધું પાણી વહી ગયું છે ત્યારે અનેક ઉપાયો વડે બધી માછલીઓને પકડી લીધી.

આ જળાશયનું પાણી વહી ગયું ત્યારે દીર્ઘસૂત્રી પણ બીજા મત્સ્યની જેમ ફસાઈ ગયો. જ્યારે માછીમારોએ દોરી વડે માછલીઓને ગૂંથવા માંડી ત્યારે પ્રત્યુત્પન્નમતિ પણ તેમની વચ્ચે પ્રવેશીને મોં વડે દોરી પકડીને બંધાઈ ગયો. તે મત્સ્ય જાળની દોરી મોંમાં લઈને બીજા મત્સ્યોની જેમ બંધાયેલો દેખાયો, માછીમારોએ બધા મત્સ્યને ગૂંથી લીધા. ત્યાર પછી નીતર્યા પાણીવાળા મોટા તળાવમાં બધા મત્સ્યને ધોવા માંડ્યા. ત્યારે પ્રત્યુપન્નમતિ મોંમાં ઝાલેલી દોરી છોડી તે બંધનમાંથી મુક્ત થયો અને તરત જ પાણીમાં જતો રહ્યો. અને બુદ્ધિહીન આળસુ મૂઢ દીર્ઘસૂત્રી નષ્ટેન્દ્રિય લોકોની જેમ મરણ પામ્યો.

આમ જે પુરુષ મૃત્યુ સામે હોય ત્યારે તેના મોહમાં પડીને તેને જાણી નથી શકતો તે દીર્ઘસૂત્રી મત્સ્યની જેમ તરત જ નાશ પામે છે.


(શાંતિપર્વ, ૧૩૫)