ભાષા, સમાજ અને સાહિત્ય/કૃતિપરિચય


કૃતિ-પરિચય


‘ભાષા, સમાજ અને સાહિત્ય’ પ્રો. યોગેન્દ્ર વ્યાસનું ભાષાવિજ્ઞાનવિષયક સંદર્ભ પુસ્તક છે. ભાષાશાસ્ત્રને કેન્દ્ર કરતા સોળ જેટલાં લેખ અહીં છે. અહીં ભાષાસંદર્ભે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરતા ‘ભાષા — માનવસંસ્કૃતિની સાથી’, ‘ભાષાભિવ્યક્તિના પ્રશ્નો’, ‘વિશ્વભાષા’ જેવા વિષયની ચર્ચા કરતાં પ્રકરણ છે. આ ઉપરાંત ‘આદિલેખન અને સાહિત્ય’, ‘ગુજરાતી ભાષામાં બહુવચનના પ્રત્યયો’, ’વ્યાકરણનું શિક્ષણ’, ’ગુજરાતીમાં ભાષાવિચાર’ જેવા લેખોની સાથે ભાષાવિજ્ઞાન સાથે તુલના કરતાં ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્ય’, ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્ય વિવેચન’ જેવા અભ્યાસલેખ પણ છે. કવિ કાન્તના ‘વસંતવિજય’ કાવ્યની સંરચનાની તપાસ કરતો, ‘નિરંજન ભગતની કાવ્યશૈલીને ભાષાવિજ્ઞાનની દ્રષ્ટિએ અભ્યાસતો અને ‘વળામણાં’ નવલકથાની લોકબોલીનો અભ્યાસ રજૂ કરતા લેખ સંશોધનની નવી દિશા ચિંધનારા છે. ભાષાના વિભાવોની ચર્ચાની સાથે ભાષાવિજ્ઞાનક્ષેત્રે પ્રદાન કરનારા ત્રણ ભાષાવૈજ્ઞાનિકો — કેશવ હર્ષદ ધ્રુવ, રમણભાઈ નીલકંઠ અને કમળાશંકર ત્રિવેદી — વિશે પ્રમાણિત સામગ્રી આપતા લેખ છે. પુસ્તકમાં પરિશિષ્ટરૂપે જોડેલા ‘ભાષાવિજ્ઞાનના અગત્યના વિભાવો વિશે નોંધ’ અને ‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાન — સુસુરથી ચોમ્સ્કી’ લેખ અભ્યાસીને ખૂબ મદદરૂપ થાય એવા છે.યોગ્ય દ્રષ્ટાંતોનો વિનિયોગ અને ભાષાની સરળતાથી આ સંદર્ભસામગ્રી અભ્યાસીને વિષય સમજવામાં સહાયક બનશે.

— કીર્તિદા શાહ