મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૭

અખાજી

"લાજુ, લાજ ન રહિયે, માહારી સજની! ગઈ લાજ બોહોર ન આવે રે;
માહારું કહ્યું તું માન, માનુની! જો તાહારે મન ભાવે રે.

આઠે પોહોર રહે ઘૂંઘટમાં, મનમાં જાણે હું જાગી રે;
તાહારો જાગણો નીંદ સરીખો, જો સાચે સંગ ન લાગી રે.

ગળે બાંહોલડીનો મર્મ ન જાણ્યો, બાહાર ફરે બુધ્યહીણી રે;
તેરી ચતુરાઈ મૂરખ હોય નીમડી, જો વાત ન સમઝી ઝીણી રે.

સરખી સહિયરમાં હરતી ને ફરતી, પણ લાભ લીધા વિના લૂખી રે;
આછો અંગ દિખાયો લોકનમેં, પણ ભોગ સમે રહી ભૂખી રે.

લટકાળા લાલસું લાહો ન લીધો, ગાયો નહીં જસ ન્યારો રે;
ભલે ભૂલી તું ભોળી ભામિની" કેહેત અખો સોનારો રે.