માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૫

રાતના અંધકારમાં જે વસ્તુ દિવ્ય અને ભવ્ય લાગતી હતી તે દિવસનું અજવાળું થતાં હાસ્યાસ્પદ બની ગઈ. બળરામનું મન ચગડોળે ચડ્યું. પોતાનો અનુભવ કપોળકલ્પિત તો નહિ હોય ને! જે મૃત્યુંજય સત્યનું દર્શન હતું, જે અતીન્દ્રિય જ્ઞાનમાં પ્રવેશ હતો તે આમ હવામાં ઊડી જાય? બળરામને થયું, જ્યારે જીવનના તાણાવાણા તૂટી જાય ત્યારે પણ મનુષ્યના મનને અગોચર ખૂણે બેઠેલી આશા કલ્પનાનું રંગીન ભરત ભર્યા જ કરતી હશે! અને છતાં ક્યાંક અંતરમાં ઊંડે ઊંડે પ્રતીતિની છાપ સાવ ભૂંસાતી નહોતી. પણ જેની પ્રતીતિ હોય અને છતાં પુરાવો ન આપી શકાય તે અનુભવને શું નામ આપવું? બળરામે મનોમન એક પ્રયોગ કરી જોયો. તેમણે સાદ પાડ્યો : ‘રેવતી’! કશો જવાબ ન મળ્યો. ફરી વાર ઉત્કટ પુકાર કર્યો : ‘રે-વ-તી!’ પણ સામે અગાધ મૌન, ન ઓળંગી શકાય એવી ખાઈ. સનાનત વિચ્છેદ. રહી રહીને હૃદયને નિચોવી નાખતી પીડા. બળરામની નજર વારુણીના ઘટ તરફ ગઈ. હૃદયના સૂનકારને તે ભરી દેશે? ત્યાં રેવતીના શબ્દો યાદ આવ્યા : ‘દીવો નહીં બુઝાય ને રામ!’ મનમાં થયું : કયો દીવો? કોડિયું ફૂટી જાય પછીયે દીવો જલતો રહેતો હશે? ધુમાડાની નગરીમાં દીવાની વાત પણ બેહૂદી છે. વળી દત્તાત્રેયનાં વેણ ઝબૂકી ગયાં. ‘પૃથ્વીના કાદવમાં તમે એટલા ડૂબી ગયા કે ઊંચે જોવાનું જ ભૂલી ગયા.’ પણ ઊંચે છે શું? વાદળિયા આકાર! અને અહીં નીચે તો કાદવમાંથી કાચી માટીના આકારો ઊભા થતા દેખાય છે. બળરામને કુંભારને ત્યાં ખડકેલા રંગબેરંગી ઘડા યાદ આવી ગયા. રંગના લપેડા કરવાથી એ સુંદર બની જાય છે કે એની કુરૂપતા ઢંકાઈ જાય છે? ઉકરડે ફેંકાઈ જતાં ફૂટેલાં હાંડલાં બનતાં એને કેટલી વાર? માનવમાત્ર ફૂટેલાં હાંડલાં જ. અચાનક કૃષ્ણ યાદ આવ્યો. એ નાની વયથી માટલાં ફોડતો આવ્યો છે ને? તેને ક્યારેય ફૂટેલું હાંડલું કહી શકાય? તેનામાં કાંઈક એવું નથી, જે હાંડલાને આરપાર વીંધી ઝગારા મારે છે? દત્તાત્રેયે કેવી ભયાનક માહિતી આપી! કૃષ્ણની વિષ્ટિ નિષ્ફળ ગઈ. પણ કૃષ્ણ તો આ નિષ્ફળતા વચ્ચે ઝાંખો નહોતો પડ્યો. દત્તાત્રેય સાચા હોય તો હવે મહાયુદ્ધ નિશ્ચિત થઈ ચૂક્યું. પણ દત્તાત્રેય જ મારા મનની કલ્પિત મૂર્તિ હોય તો? શરીરના કિનારા ભાંગી નાખતી રાતની પેલી પ્રાણવાન ભરતી ક્યાં? ને ક્યાં આ શરીરને ઓવાળના લાકડાની જેમ ફગાવી સરી જતી ઓટ! બળરામને લાગ્યું કે પોતાનું શરીર એક કસહીન, રસહીન, મૂળિયાં ઊખડી પડેલું ઠૂંઠું છે. તે ચીસ પાડી બોલી ઊઠ્યા : રેવતી, આ મને શું થઈ ગયું? બળરામે વારુણીનું પાત્ર ઉઠાવ્યું, ત્યાં સોમક દોડતો આવ્યો. શ્વાસભેર બોલ્યો : “દાદા! દાદા! કૃષ્ણપ્રભુ આવ્યા. વાડીના ઝાંપા આગળ રથ આવી પહોંચ્યો છે.” બળરામે વારુણીનું પાત્ર ફગાવી દીધું. ઊભા થયા. ઝડપથી વાડીના ઝાંપા તરફ ચાલવા લાગ્યા. સોમકે પૂછ્યું : “દાદા, આ ઘડો બીજે મૂકી દઉં?” “ના, છે ત્યાં રહેવા દે.” કૃષ્ણ અધવચ્ચે જ સામે મળ્યા. કૃષ્ણ જ ગુંજી શકે એવી છટાથી કોઈ ગીતની પંક્તિ ગુંજતા તે ચાલ્યા આવતા હતા. એ જ પેલો નિષ્ફિકર કિશોર! કાળના આટલા પ્રહારો પડવા છતાં એની મોજીલી ગતિમાં ઓટ નથી આવી. બળરામને જોઈ કૃષ્ણે દોટ મૂકી. ભેટી પડ્યા. ગળે વળગી આંસુભીની આંખે કહ્યું : “મોટા!” બળરામે કૃષ્ણનું માથું સૂઘ્યું, વાંસે હાથ ફેરવ્યો અને પછી આંકડા ભીડી બંને ભાઈ ચાલવા લાગ્યા ત્યારે બળરામનું મન હળવુંફૂલ બની ગયું. મન જેની સામે માથું પછાડી મરતું હતું એ લોખંડની દીવાલો હવામાં તરતી વાદળી બની ગઈ. બળરામ સામે નીરખીને જોતાં કૃષ્ણે કહ્યું : “મોટા, ભાભીએ તમારું બરાબર ધ્યાન રાખ્યું નથી લાગતું કે પછી તમે જ એમનું માન્યું નથી?” કૃષ્ણના અવાજમાં અત્યંત સ્વાભાવિકતા હતી પણ એટલી જ અકળતા હતી. કૃષ્ણ મજાકમાં કહે છે કે ગંભીરપણે, તેની સૂઝ ન પડી. રેવતીની વ્યથિત નજર, દત્તાત્રેયનો પ્રેમાળ ઠપકો - વાસ્તવિક લાગ્યા ને વેરાઈ ગયાં. બળરામે કશો જવાબ ન આપ્યો. બંને વરંડામાં આવ્યા ને વાતોમાં ડૂબી ગયા. કૃષ્ણે જ્યારે વિષ્ટિ વખતે શું થયું અને તે કેવી રીતે નિષ્ફળ ગઈ તેનું વર્ણન કર્યું ત્યારે બળરામ કૃષ્ણના મનોભાવ વાંચવા લાગ્યા. કૃષ્ણે પૂછ્યું : “મોટા, કઈ લિપિ ઉકેલવા બેઠા?” “હમણાં તો મારી પાસે બધા જ અક્ષર રેલાઈ જાય છે. ઝીણી નજરનો દાવો મેં કોઈ દહાડે કર્યો નથી. પણ આમ કાંઈ ઉકલે જ નહીં એવી બાઘાઈ તો મારામાં નહોતી. નાનુ, તને બધું સૂઝે? કાંઈ ધૂંધળું ન લાગે?” “મનેય ઘણી વાર સૂઝ નથી પડતી. ઘણી વાર મારી સામેની દિશા ધૂંધળી બની જાય છે. પણ ત્યારે હું સૂઝનાં ભાંગેલાં ચોકઠાં બેસાડતો નથી. ધૂંધળી દિશામાં હવાતિયાં મારતો નથી. મનને ચૂપ કરી દઉં છું અને બધું ચોખ્ખું થઈ જાય છે.” કૃષ્ણે કહ્યું. “પણ એમાં પછી કશી ભૂલ નથી થતી? ભ્રાન્તિ નથી લાગતી?” બળરામે મનમાં ધૂંધવાતો પ્રશ્ન આગળ ધર્યો. “શું વાત કરે છે? એ કેવી રીતે બની શકે?” “જન્મ અને મૃત્યુના સીમાડા વચ્ચે જ રમતી સામાન્ય દૃષ્ટિ ભ્રાન્ત છે, મોટા! અને તેથી જ તે શ્રાન્ત બને છે. પણ મનના ધમાલગોટામાંથી બહાર આવીએ તો એક પારગામી દૃષ્ટિ સાંપડે છે. એ છે ક્રાન્ત દૃષ્ટિ. મૃત્યુ પર ચોકડી માર્યા વિના એ દૃષ્ટિ આવતી નથી.” બળરામ કાંઈ કહેવા જાય ત્યાં સોમક બારણામાં આવી ઊભો. બળરામને પૂછ્યું : “દાદા, શિરામણ લાવું?” બળરામ બોલી ઊઠ્યા : “અરે, હા, હા. હું તો ભૂલી ગયો હતો. લાવ, જલદી કર.” પછી કૃષ્ણ સામે જોઈ કહ્યું : “તમે લોકો મારો હાથ પકડીને એવી ચોકડી મરાવ્યા વિના નહીં રહો. શિરામણ જોઈશ એટલે ખબર પડશે.” સોમક ઢેબરાં, માખણ અને તુલસીનો ઉકાળો લાવ્યો. સાથે વાડીનાં વનપક ફળો હતાં. કૃષ્ણે ઢેબરાં જોઈ કહ્યું : “મારો ભાગ રાખવાનું ભાભી ત્યારે ભૂલી નથી ગયાં.” “એ જ વસ્તુ મારો જીવ ખાય છે.” બળરામે કહ્યું : “રેવતીએ તને ભાવતી ચીજો તૈયાર રાખવાનું મને કહ્યું. તારા આવવાના ખબર આપ્યા દત્ત અવધૂતે. અને આમ જોવા બેસો તો ક્યાં છે આ લોકો? રેવતી અત્યારે તને મળવા કાં નથી આવતી?” બળરામે ગઈ રાતના અનુભવની માંડીને વાત કરી. વારુણીનો ઘટ બતાવી કહ્યું : “આ બહુ ઉમદા ચીજ છે, નાનુ! એ મારી પાસે ન હોત તો બે બાજુના ખેંચાણથી મારા કટકેકટકા થઈ જાત.” “અરે મોટા! જરા જોવું તો હતું કે કટકા કેમ થાય છે? કદાચ આપણે કટકા જ થઈને પડ્યા છીએ. આ જુદા જગતનું ખેંચાણ આપણને ફરી જોડવાની ક્રિયા હોય તો?” કૃષ્ણે બળરામ સામે સ્થિર દૃષ્ટિ કરી કહ્યું. અચાનક બળરામની નાભિમાં તેજચક્ર ફરવા લાગ્યું. એ બેબાકળા બની ગયા. “ઓ નાનકા, આ તેં શું કર્યું?” પણ પ્રશ્ન પૂરો કરે તે પહેલાં તો ચક્રની ધાર ભ્રૂમધ્યે પસાર થઈ ગઈ. બળરામ શરીરની બહાર નીકળી ગયા. રેવતીનું મૃદુ હાસ્ય કાને પડ્યું. “ગોપાલને અને તમને મળવા આ હું ઊભી. ગોપાલે મારી સામે જોઈ કેવું મધુર સ્મિત કર્યું! પણ તમે? તમે આંખો ઉઘાડો ત્યારે તમને તો નજરે પડે આ એક વારુણીનો ઘટ.” બળરામે રેવતીના તેજોમય રૂપને જોયું, આસનને અઢેલી બેઠેલા પોતાના સ્થૂળ શરીરને જોયું અને કૃષ્ણ ભણી દૃષ્ટિ કરી. ના, એને સ્થૂળ શરીર જ નહોતું. એ પોતાના આસન પર તેજની મૂર્તિ બની બેઠો હતો અને કહેતો હતો : “મોટા, હવે નીચે આવો. નાસ્તો તમારી રાહ જુએ છે.” અને રેવતી તરફ આંગળી ચીંધી હસતાં હસતાં કહ્યું : “ભાભી નાસી નહીં જાય, ખાતરી રાખશો.” બળરામને લાગ્યું, કોઈ અદીઠ બારી ઊઘડી ને પાછી બિડાઈ ગઈ. એ સ્થૂળ શરીરમાં આવી ગયા. થોડી વાર અંગો અકડાઈ ગયાં હોય એવું લાગ્યું. પણ ફરી ઉષ્મા આવી ગઈ. કૃષ્ણનો અવાજ સંભળાયો : “ઢેબરાં ખૂબ સરસ બન્યાં છે. મોટા, ભાભીએ નર્યા હેતનું મોવણ નાખ્યું છે ને? જરા ચાખો, ચાખો!” કૃષ્ણે ઢેબરા પર માખણ લગાડી બળરામને આપ્યું. બળરામે ખાઈ જોયું. ના, આ સ્વપ્ન નથી. કૃષ્ણ હંમેશના સ્વરૂપે સામે બેઠો હતો. પણ રેવતી! એ ક્યાં ગઈ? બળરામના મનમાં સવાલ સળવળી ઊઠ્યો. “નાનુ, આમાં શું સાચું?” “અને શું ખોટું?” “માનો તો બંને.” કૃષ્ણે કશો જ ફોડ ન પાડ્યો એમ બળરામને થયું. તેમણે ફરી પૂછ્યું : “પણ તો બંને સાથે જ સાચાં કે સાથે જ ખોટાં લાગવાં જોઈએ ને? એક જગત સાચું ત્યારે બીજું ખોટું શા માટે લાગે છે?” “કારણ, તમે એકબીજાને વિરોધી ગણો છો, મોટા! એકના પ્રદેશમાં ને પ્રકાશમાં બીજા જગતને પૂરી દેવા માગો છો. બંનેને વિરોધી ન માનો, બંનેને એક જ વાડામાં પૂરી ન રાખો. પણ પરસ્પરનાં પૂરક તરીકે સ્વીકારો તો? તમારે માટે વિહાર કરવાનું જગત વિશાળ બની જશે.” બળરામને એકાએક યાદ આવી ગયું. પૂછ્યું : “અરે, નાનકા, આ માળું સોમચક્ર શું છે? સોમબિંદુ એટલે શું? દત્ત અવધૂત એના ઊંચે ને ઊંચે ખેંચી જતા આકર્ષણની વાત કરતા હતા.” “આહ, એ ઊર્ધ્વની આનંદયાત્રા છે, મોટા! અનન્ય સ્નેહથી યુક્ત દંપતી વિના આ યાત્રા કોઈ કરી શકતું નથી. ઉભયમાં વિલીન થતાં થતાં એ અમૃતબિંદુમાં લય પામે છે. પુરુષભાવ અને પ્રકૃતિભાવથી પર ઊઠવાનું આ મહા આરોહણ છે. પણ ના, દત્તગુરુ એમ તમને બંનેને જવા દે તો ને? તો મારી આ નાટકમંડળીનું શું થાય?” કૃષ્ણ હસી પડ્યા. બાહુ ફેલાવી બોલ્યા : “આપણે તો નિત્ય નવા વેશ, નિત્ય નવા હાસ-વિલાસ.” “પણ તારી નાટકમંડળીમાં મારે કયો વેશ ભજવવાનો છે તેની મને તો ખબર નથી.” “છે, મોટા, તમારા અંતરે બેઠો છે, તેને ખબર છે. મારે ભાગે સંહારનો ગડગડાટ આવ્યો છે એટલે એ ચારે બાજુ સંભળાશે. પણ તમારા સર્જનની પ્રક્રિયા કદાચ તમારાથીયે છાની કામ કરતી રહેશે. શતઘ્નીનો ધડાકો બધા સાંભળી શકે છે, ધરતીમાં બીજ ફૂટે એ કોઈ જાણતું નથી આવાં બીજ ઉછેરવાનો ધંધો તમે નથી લીધો? ભૂલી ગયા હો તો ભાભીને પૂછી જોશો. જે તખ્તા પર ખેલે છે તેના કરતાં જે નેપથ્યમાંથી દોરીસંચાર કરે છે તેનું મહત્ત્વ ઓછું નથી.” કૃષ્ણે અત્યંત ભાવપૂર્ણ સ્વરે ફરી કહ્યું : “તમે તમારામાં રહેલા મહતનું અપમાન ન કરો, મોટા! એના જેવો અપરાધ બીજો એકે નથી. તમે તો શેષ, તમે તો અનંત. આ પૃથ્વીને તમે ધારણ ન કરી રાખો તો એ બીજી પળે અવકાશમાં ફેંકાઈ જાય. દત્તગુરુએ તમને અને ભાભીને અહીં પાછાં વાળ્યાં, કારણ, અહીં તમારા બંનેનું અસ્તિત્વ પૃથ્વીનું ધારક તત્ત્વ છે. તમારો માનવીય સ્નેહ અહીંની સંજીવની છે.” કૃષ્ણનો એક એક શબ્દ બળરામના હૃદયને વીંધતો ગયો, ભીતરનાં પડ ભેદતો ગયો. બળરામે ધીરે ધીરે એક નવી ચેતનાનો ઉદય થતો અનુભવ્યો. સ્થૂળ શરીર, મન, બુદ્ધિ, અહંકારનો વિદ્રોહ શમતો ગયો. બુદ્ધિ પડકાર ફેંકતી બંધ પડી. એક જુદી જ જાતની પ્રજ્ઞા સાથે તેણે હાથ મિલાવ્યા. રેવતીના હાથનો શીતળ સ્પર્શ કપાળ પર થયો. તેનો સ્વર કાને પડ્યો : “તમારી મુઠ્ઠી ખોલી રાખો રામ, તમારા બંને હાથ ખુલ્લા કરી ફેલાવો, અને નમ્રતાથી, સ્નેહથી, સમર્પણથી જે પ્રસાદ મળે તે ગ્રહણ કરો!” બળરામને અંતરમાં ક્યાંક બહુ જ શાંતિ લાગી. રેવતી આટલી બધી સમીપ હતી! આખો દિવસ કૃષ્ણે બળરામ સાથે ગાળ્યો. સાથે જમ્યા, આરામ કર્યો, વાડીમાં ફર્યા, ક્યાં રજકો વાવવો, ક્યાં અનાજ વાવવું તે નક્કી કર્યું. ચન્દ્રના ઉદય તેમ જ અસ્ત સાથે, તેના લય તેમ જ પ્રભાવ સાથે તાલ મેળવી કેવી રીતે વાવણી કરવી તેની વિસ્તારથી ચર્ચાવિચારણા કરી. આ બધો સમય રેવતીની હાજરી હોય એમ બળરામને લાગ્યા જ કર્યું. પેલો પીપળો, કોશ, કૂવો જોયાં ત્યારે થયું કે નેપથ્યનો પડદો પીપળાનાં ફરફરતાં પાંદ બની ઝૂલે છે. કોશ અને કૂવો તો અવ્યક્તના કક્ષ છે, અને તેમાંથી પસાર થઈ રેવતી એક જુદો પરિવેશ ધારણ કરીને આવી ગઈ છે. હવે તેના માથા પર નીંગળતો ઘાવ નથી, ફરી ફરી ઊઠતા દુ:ખની કપાળ પર કરચલી નથી. મોડી રાતે કૃષ્ણે વિદાય લીધી. વદ અષ્ટમીનો ચન્દ્ર આકાશમાં તરતો હતો. સીમ ભરીને આછી ચાંદનીનો છંટકાવ કરતો તે દૂર દૂર દ્વારિકાના દીવાઓ સાથે કાંઈક ગોષ્ઠીમાં ઊતરી પડ્યો હતો. બળરામે લહેરથી કહ્યું : “કૃષ્ણચન્દ્ર, હવે સિધાવો. દ્વારિકાના દીવડા જાગી જાગીને તમારી વાટ જોતા હશે.”