યોગેશ જોષીની કવિતા/પડછાયો
Jump to navigation
Jump to search
એક સાંજે
મારાથી અળગો થઈને
ચાલવા લાગ્યો, બસ ચાલવા લાગ્યો.
સામેની થોરની વાડ પર આળોટ્યો
ને લોહીઝાણ થઈ ગયો
પછી કોક સળગતી ચિતામાંથી આરપાર પસાર થઈને
સ્મશાન પાછળનાં લીમડાની નીચે
ખરી પડેલાં લીલાં પાંદડાંની પથારીમાં
આખીય રાત આળોટ્યો.
ને સવારે ઊઠીને
પાદરનું તળાવ એકીશ્વાસે તરી જઈને
પહોંચ્યા સામેના જૂના મંદિરે.
મંદિરની દીવાલ ઠેકીને પછી
ધીમે ધીમે સરતો સરતો
પહોંચ્યો શિખર પર
ને ફરફરી રહ્યો પવનમાં;
ફરફરતી મેલી ધજાના મેલમાં ભળી જઈને.