વાંકદેખાં વિવેચનો/મીરાંની પંક્તિનું અર્થઘટન

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મીરાંની પંક્તિનું અર્થઘટન

સંપાદકશ્રી, નવેમ્બર ‘૭૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલા ચન્દ્રકાંત ટોપીવાળાના લેખ૧[1] તથા ડિસેમ્બર ’૭૯ અંકમાં પ્રસિદ્ધ થયેલી નરોત્તમ પલાણની પત્રચર્ચામાં મીરાંની એક પંક્તિનું અર્થઘટન કરવામાં આવ્યું છે. એ પંક્તિમાં છે તે પ્રતીક કે સીધોસાદો અલંકાર એ વિવાદમાં હું જવા નથી. માગતો – ‘પ્રતીક’નો ખ્યાલ હંમેશાં થોડો અસ્પષ્ટ રહ્યા કર્યો છે પણ એ પંક્તિનું બન્ને મિત્રોએ કરેલું અર્થઘટન મને ઘણું વિવાદાસ્પદ લાગ્યું છે અને તેથી એ તરફ લક્ષ ખેંચવાનું ઉચિત લાગે છે. મીરાંની પ્રસ્તુત પંક્તિ છે –

દવ તો લાગેલ ડુંગરમેં, કહોને ઓધવજી હવે કેમ કરીએ?
ટોપીવાળાને ‘દવ’ અને ‘ડુંગર’ અનુક્રમે ‘પ્રેમ’ અને ‘હૃદય’ના અર્થમાં સમજાયા છે. પલાણ આ રીતે શબ્દગત અર્થઘટન કરવાના પક્ષના નથી. એમની દૃષ્ટિએ "સમગ્ર ક્રિયાથી ઝંખનાનો અર્થ નિષ્પન્ન કરવાની વાત છે. ડુંગરમાં લાગેલી દવ જેમ ન બુઝાય તેમ આ ગોપીના પ્રેમની વાત છે.” દેખીતી રીતે જ પલાણનું અર્થઘટન તત્ત્વતઃ ટોપીવાળાથી જુદું પડતું નથી. મુખ્ય વાત પ્રેમની – તે તો બંનેમાં રહે છે જ.
આ અર્થઘટન કરતી વખતે બન્ને મિત્રો પાસે મીરાંનું આ આખું પદ હશે કે કેમ તે હું જાણતો નથી. પણ ચર્ચાની અનુકૂળતા ખાતર એ પદનો ‘મીરાંબાઈ એક મનન’ (મંજુલાલ મજમુદાર)ના પૃ.૨૪૫-૪૬ પર આપેલ પાઠ અહીં ઉતારું છું :
દવ તો લાગેલ ડુંગરિયે, કા’ના! કેમ કરીયે?... દવ તો.
હાલવા જઈએ વ્હાલા, હાલી ન શકીએ,
બેસી રહીએ તો અમે બળી મરીએ રે..દવ...તો
આ રે વસ્તીએ નથી ઠેકાણું રે,
હેરી, પરવસ્તીની પાંખે અમે ફરીએ રે..દવ તો.
સંસારસાગર મહાજળ ભરિયો, હેરી
બાંહેડી ઝાલો, નીકર બૂડી મરીએ રે... દવ તો.
બાઈ મીરાં કે પ્રભુ, ગિરધર નાગર, હેરી,
ગુરુજી તારે તો અમે તરીએ રે...દવ તો.

આખું પદ વાંચતાં તરત ખ્યાલ આવે છે કે ટોપીવાળા અને પલાણે કરેલા અર્થઘટનને એમાં ક્યાંય અવકાશ નથી. આ વસ્તી, સંસારસાગર એમાં ફસાઈ પડેલા જીવની પીડાને આ પદ વર્ણવે છે. જેને પછીથી મહાજળ ભરેલો સાગર કહ્યો છે એ સંસાર જ દવ લાગેલ ડુંગર. એમાં રહી પણ ન શકાય, બહાર પણ નીકળી ન શકાય એવી સ્થિતિ છે અને એનું દુ:ખ અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. પહેલી પંક્તિ પછીની કડી જ એ પંક્તિના અર્થને નિયત કરી નાખે છે. ગોપીના હૃદયની પ્રેમની લાગણીનો અર્થ લઈએ તો બીજી કડીને કેમ બેસાડવી એ સવાલ થયા વિના ન રહે. પ્રેમમાંથી છૂટવાનો પ્રયત્ન ગોપીને ઈષ્ટ ન જ હોય ને? અને બેસી રહેવાથી બળી મરવાનું દુઃખ પણ શાથી? આમ છતાં તાણીતૂસીને એ પંક્તિઓને પ્રેમના કોઈક વિશિષ્ટ સંવેદનના અર્થમાં ઘટાવીએ તો પછીની કડીઓ એની સામે બળવો ઉઠાવ્યા વિના ન રહે. ‘આ વસ્તી’ અને ‘સંસારસાગર’નાં રૂપકો મીરાંના આ પદના મુખ્ય સૂરને એકદમ સ્પષ્ટ કરી આપે છે. નવું વિવેચન કેટલીક વાર સમગ્ર કાવ્યની સંગતિ વિચારવાનું ચૂકી જાય છે અને કાવ્યના કોઈ એક અંશમાંથી પોતાનો આગવો અર્થ અને આસ્વાદ ખેંચવાની પ્રવૃત્તિ કરે છે. એથી કેટલીક ગેરસમજોમાં ફસાઈ જવાનું બની જવા સંભવ છે અને તેથી કાવ્યનું અર્થઘટન વધારે ચોકસાઈથી થાય એ જરૂરી છે. કવિતાને જાણવા-માણવા માટે કવિતાબાહ્ય સંદર્ભોને આપણે અનાવશ્યક ગણ્યા તેમ કવિતાની એક પંક્તિને સમજવા અન્ય પંક્તિઓની સંગતિને પણ આપણે અનાવશ્યક ગણીશું કે શું? કવિતાની તેમ કાવ્યપંક્તિની પણ ‘સ્વાયત્તતા’? ૪ જાન્યુઆરી, ૧૯૮૦ - જયંત કોઠારી
[કંકાવટી, સંભવતઃ ફેબ્રુઆરી ૧૯૮૦]



  1. ૧. ‘આધુનિક કવિતાનું કલેવર’, હવે પ્રતિભાષાનું કવચ, ૧૯૮૪માં ગ્રંથસ્થ.