સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નારાયણ દેસાઈ/સૂતેલા ગુજરાતને બેઠું કરનાર

          બારડોલીના સત્યાગ્રહ વખતે સરદાર ગુજરાતની પ્રજાને કહેતા કે “તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘ-સિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો, કોઈ તમને અંદર અંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો.” આ ત્રણે ગુણો—સિંહ જેવું કાળજું, સ્વમાન ખાતર મરી ફીટવાની આત્મશકિત અને મતભેદોથી ઉપર ઊઠવાની સમજણનો ગુણ—સરદારે પોતાના જીવનમાં ભરપૂર ખીલવ્યા હતા તેથી જ તેઓ સ્વરાજની લડતના લડવૈયા અને રાષ્ટ્રીય એકતાના ઘડવૈયા બની શક્યા. કોઈ પણ દેશની આઝાદીની લડાઈ લડવા સારુ અને એ આઝાદીને એકતા અને આબાદીમાં ફેરવવા સારુ કાર્યકર્તાઓની એક મોટી તાલીમ પામેલી ફોજની જરૂર પડે છે. ગાંધીજીની સફળતાનું એક મોટું કારણ એ હતું કે એમને એવી ફોજ તૈયાર કરી શકે એવા સરદાર મળી ગયા હતા. તમોગુણમાં સૂતેલા ગુજરાતને આળસ ખંખેરીને બેઠું કરનાર, વીખરાતા ભારતને એક તાંતણે બાંધનાર, વજ્રશી શકિત ધરાવતા છતાં અંતરને કુસુમશું કોમળ રાખનાર હતા.