સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/જેવી જેની વાસના

From Ekatra Foundation
Jump to navigation Jump to search

કોઈ ભક્તજનને એક વાર સ્વપ્નું આવ્યું. તેમાં સાધુને તેણે નરકમાં જોયો અને રાજાને સ્વર્ગમાં. સવારે તે જાગ્યો ત્યારે સ્વપ્નામાં જે જોયું હતું તેની વિમાસણમાં પડી ગયો. પોતાના ગુરુ પાસે જઈને તેણે એ સ્વપ્નની વાત સંભળાવી અને પૂછ્યું, “ગુરુજી, આવી ઊલટી વાત શી રીતે બની હશે?” ગુરુએ સમજાવ્યું : “બેટા, પેલા રાજાને સાધુસંતો સાથે સત્સંગ કરવાનું બહુ ગમતું હતું, તેથી મૃત્યુ પછી એ સ્વર્ગમાં ગયો અને ત્યાં એવો સમાગમ કરવા લાગ્યો. પણ સાધુને રાજાઓ તથા અમીરો સાથે ભળવાનું ખૂબ ગમતું હતું, તેથી તેની વાસના એવા લોકોના સંગ માટે તેને નરકમાં લઈ ગઈ.” [‘લોકજીવન’ પખવાડિક : ૧૯૫૫]