સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/માનવીની ભવાઈ

૨૦. ‘માનવીની ભવાઈ’[1]

આ નવલકથાના આરંભમાં જ આપણને એક ચાળીસ – પચાસ વરસના – પણ બહુ વૃદ્ધ લાગતા – દુઃખી કણબી કાળુનો પરિચય થાય છે. ખેતરે બેઠો બેઠો અંધારી રાતમાં ડુંગરોની પેલી પાર પોતાની જિંદગીના ખોવાઈ ગયેલા ચારપાંચ દાયકા શોધી રહેલો એ આપણને જોવા મળે છે. મનુષ્યનો અવતાર એ પણ એક ભારે ભવાઈનો ખેલ હોય એમ એ આ રીતે ચિંતવી રહ્યો હોય છે. પોતાને કહ્યાગરી પત્ની હતી, બે દીકરીઓ હતી. એ સૌ તો મૃત્યુ પામ્યાં. પરતાપ કરીને દીકરો હતો, તેને પણ નાનપણમાં જ દુશ્મન પિતરાઈ નાનિયાએ બાવાઓ સાથે ભગાડી મેલ્યો. બાળપણમાં જેની જોડે જીવ મળેલો એ સ્નેહાળ સમજુ રાજુ સાથે પણ એ વેરી નાનિયાએ જ પોતાનું લગ્ન થવા દીધેલું નહિ અને જન્મભર રાજુથી પોતાને અળગા જ રહેવું પડ્યું. પહેલાં ચાર પાનાંમાં આટલું કહી પછીનાં ૩૯૧ પાનાંમાં લેખકે કાળુને સંતાન ક્યારે થયાં અને દીકરા પરતાપને નાનિયાએ શી રીતે ભગાડ્યો એ બધું કહ્યા વગર કાળુની જિંદગીનાં શરૂઆતનાં ૨૫–૩૦ વરસની કથા જ આપી છે. રાજુ બીજાને પરણી છતાં એના તરફથી કાળુને સ્નેહનો ભરપૂર અનુભવ થયો એ પ્રસંગ આગળ આવીને કથા સમાપ્ત થાય છે. સંભવ છે કે લેખકને કથાનો ઉત્તરાર્ધ લખવો બાકી હોય.[2] જેમ છે તેમ પણ કથાને અંતે પરિતૃપ્તિ અનુભવાય છે, કેમ કે કથા છે કાળુ અને રાજુની. અને એ બંનેના સંબંધોનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવામાં જ આખી નવલકથા રોકાઈ છે. કથાનું છેલ્લું વરસ તે છપ્પનિયા દુકાળનું છે અને એ કાળા વરસમાં બંને પ્રેમીઓને અત્યંત વસમી દશામાં સહવાસ ભોગવવાનું બની આવે છે અને એકમેકને આધારે – એકમેકના સ્નેહના આધારે – બંને ટકી રહે છે. રાજુના સ્નેહની વર્ષા કાળુ અનુભવે છે ત્યાં જ છપ્પનિયાનો અંત લાવતી મેઘવર્ષા પણ આકાશેથી થાય છે અને એ મૂંગા મંગલ ભરતવાક્ય આગળ આ ‘માનવીની ભવાઈ’ આટોપાઈ જાય છે. કાળુ એના બાપને સાઠ વરસે મળેલો ખોટનો દીકરો. પિતા જતાં નાનમ આવેલી. છતાં એના રાજુ સાથે વિવાહ થાય છે. પણ પિતરાઈઓના કાવાદાવાથી અને નાતના પંચની ખૂટલાઈથી એનું જીવન અવળું જ વેતરાઈ જાય છે. રાજુને પરગામ આપવી અને રાજુના જેઠની છોકરી કાળુને પરણાવવી એમ પંચ ઠરાવે છે. કાળુને પોતાની ઢીમચા જેવી વહુ ભલી માટે ભાવ થતો નથી અને વળીવળીને એનું મન રાજુને જતું વળગે છે. રાજુનો વર માંદલો રહે છે ને ખાધેપીધે પણ એ દુઃખી છે. કાળુ અવારનવાર એ લોકને મદદ કરે છે. છેવટે છપ્પનિયામાં સૌ ઘરગામ તજી પડખેના મોટા ગામમાં જાય છે ત્યાં કાળુ અને વિધવા થયેલી રાજુ અને બીજાં સંબંધીઓ સૌ સાથે રહે છે. છપ્પનિયાના છેલ્લા દિવસોમાં સ્ત્રીઓએ કોળિયા અન્ન માટે પોતાની જાત સાચવવી પણ જતી કરી. સૌથી ભૂંડું કાંઈ હોય તો તે ભૂખ છે એ વિચાર કથામાં વારે વારે આવે છે. પણ રાજુ ભૂખનો ભોગ થતી નથી, પોતાની જાતને સાચવવામાં સફળ થાય છે. અને કાળુ ભૂખથી પણ ભૂંડી ભીખ છે કહીને સદાવ્રતના દાણા માટે હાથ ધરતાં ખંચકાય છે. કણબી પાસે આખી દુનિયા હાથ ધરે, કણબી કોઈની પાસે હાથ ધરે નહિ – સિવાય કે એક મેઘરાજા પાસે – એવી મગરૂરીમાં કાળુનું મન રમે છે. કાળુએ રાજુ માટે તડફવામાં આખું યૌવન ગાળેલું, છતાં ક્યારેય પણ – આ છપ્પનિયાના સહવાસમાં પણ – એણે રાજુના સંબંધમાં સંયમ તજ્યો નથી. લેખક ભારે અકળામણથી વારંવાર સૂચવે છે તેમ ભૂખ સૌથી ભૂંડી ચીજ છે, અને હૈયાની ભૂખ તો એથીય ભૂંડી હશે. હૈયાની ભૂખની આ નવલકથા છે, અને પેટની ભૂખના મહાતાંડવ વચ્ચે એને રજૂ કરવામાં આવી છે. એ બંને ભૂખને લીધે તો આ માનવીની ભવાઈ છે. પણ એ બંને ભૂખોની ઉપરવટ રહી શકનારાં કાળુ અને રાજુ એ ભૂખોની લીલા વચ્ચે ટકી શકે છે. એવો કાંઈક – સંયમભર્યા સ્નેહનો મહિમા દાખવતો – ધ્વનિ કથામાંથી ઊઠે છે એમ કહી શકાય. પશ્ચાદભૂ તરીકે લીધેલા ગ્રામજીવન – ખેડૂતજીવનનું અત્યંત કુશળતાથી અને સચ્ચાઈથી કરેલું આલેખન એ આ નવલકથાના સાહિત્યિક મૂલ્યમાં મહત્ત્વનો ઉમેરો કરે છે. ખેડૂતના જીવનનાં વિવિધ પાસાં દક્ષ કળાકારની પીંછીથી આ કથાના પટ ઉપર ઉપસાવવામાં આવ્યાં છે. ખેડૂત –કણબી – એ પરથમીનો પાલણહાર નહિ પણ પોઠી છે એનું સચોટ ચિત્રણ થયું છે. દેશમાં એ કાળે જામી રહેલા અંગ્રેજી રાજના ભણકારા આ દૂર દૂરના પછાત પ્રદેશમાં ધીરે ધીરે સંભળાવા લાગ્યા છે અને

અંગરેસ આવ્યો રે જુદી જાતનો,
ટોપીવાળો આવ્યો રે વિલાતનો.
એની ગાડીમાં ભરિયા છે લાળા,
એની મઢમના બોલ કાલાકાલા. રે અંગરેસ.

અને

ગાડી સડપ દઈને આવી રે રમા રાઠોડ,
ગાડી ડુંગરામાં અચકાણી રે રમા રાઠોડ.

– એવાં ગીતો ગવાવાં શરૂ થઈ ચૂક્યાં છે. ત્યાં આવે છે છપ્પનિયો કાળ. પુસ્તકનો ચોથા ઉપરનો ભાગ આ છપ્પનિયાના કેર વર્ણવવામાં રોકાયો છે અને ગામડાંના ખેડૂતોની છપ્પનિયાએ શી દશા કરી હતી તેનું લેખકે હૃદયદ્રાવક ચિત્ર આલેખ્યું છે. ડુંગરામાં વસતા ભીલ લોકોનાં ધાડાંનાં ધાડાં ગામડાંમાં કેવી લૂંટફાટ ચલાવે છે. કેમ ગામડાં ઉજ્જડ થઈ જાય છે, અનાજના પકવનાર – જગતના તાત ગણાતા – ખેડૂતો મોટાં ગામે જઈ કેમ હડધૂત થતા, કૂતરાને મોતે, મરે છે – એ બધા દુષ્કાળના તાંડવનું હૂબહૂ ચિત્રણ આ નવલકથાને મહાકાવ્યની કક્ષા નજીક લઈ આવે છે. આખી જ કથા જામેલી હથોટીવાળા કલાકારની કલમે લખાયાની પ્રતીતિ થાય છે. કથામાં ક્યાંય ચતુરાઈ કે આશ્ચર્ય કે એવા તત્ત્વોની ગરજ રહેતી નથી. કથાપ્રવાહ એકધારો સ્વસ્થપણે ચાલ્યો જાય છે. નાનાંનાનાં અથવા થોડીક વાર ઝબકી જતાં પાત્રો પણ સુરેખ રીતે રજૂ થયાં છે. પંચનો મુત્સદ્દી પેથો પટેલ, બુઢ્‌ઢો કાબુલી, જોશ જોનાર બ્રાહ્મણ, અળખો ગામેતી, નાનિયાની ખોડી, કાસમ ઘાંચી, ડેગડિયાના સુંદરજી શેઠ – આ બધાં પાત્રો લેખકની પીંછીના બેચાર સ્પર્શ થતાં તો સજીવ થઈ જાય છે. કુદરતનાં વર્ણન ચમત્કૃતિયુક્ત છે. ભાષામાં ઠેરઠેર કવિત્વ ઝળકે છે. લેખક પાસેથી અહીં આપણને ઉપમાઓ મળી નથી, તો એનો કહેવતોએ ખંગ વાળી દીધો છે. હળખેડુની ભાષા કેટલી સમૃદ્ધ અને રસિક હોય છે એનો આ કથાની પાત્રસૃષ્ટિ અનુભવ કરાવે છે. થોડાક દોષનો પણ નિર્દેશ કરવાનો રહે છે. આરંભમાં કહ્યું તેમ કાળુને ભલીને પેટ દીકરીઓ ને દીકરો થયાં, દીકરો પરતાપ બાવાઓમાં ભળ્યો, એ બધા તાંતણા અધ્ધર ઊડતા રહી ગયા છે એ ઠીક થયું નથી. ઉપરાંત જોશીએ ભાગ્ય વાંચ્યા મુજબ કાળુ મુખી થયા અંગેની અપેક્ષા સંતોષાઈ નથી. રાજુનું પણ શું થયું એ પ્રશ્ન રહી જાય છે. સંભવ છે કે કથા ઉપાડતાં જ લેખકે છપ્પનિયા પછી કાળુને ભલીએ બાળકો આપ્યાં એ વાત કહીને એકપત્નીવ્રતવાળો કાળુ રાજુને ઘરમાં બેસાડી શકે એ સંભાવના રહેતી જ નથી એમ સૂચવીને કાળુ-રાજુના જીવનની કરુણતા ટૂંકામાં જ આલેખી દીધી છે. અને એ રીતે જોઈએ તો એ દોષરૂપ નથી. કાળુનું પાત્રાલેખન એની સાથે સમભાવ જ રહ્યાં કરે એ રીતનું સાદ્યંત થયું નથી. એનો રાજુ માટેનો વલવલાટ ઘણી વાર એની મર્દાનગીને છાજે એવો નથી. ભીલોનું ધાડું આવ્યું ત્યારે એ માત્ર પોતાના ઘરની જ રક્ષાનો વિચાર કરે છે – અને વિશેષ તો ધાડું વળવા માંડ્યું ત્યારે સ્ત્રીપુરુષના બે એાળા પોતાના ખુલ્લા ઘરમાં દાખલ થતાં કાળુએ ‘શરમના માર્યા કોઢનો ખૂણો’ શોધ્યો એ કાળુના આપણા ખ્યાલને આઘાત કરનારું છે. ડેગડિયામાં વિધવાનાં વાસણ માંજવા જાય છે તે પ્રસંગ કદી સમજી શકાય એવો છે, પણ કથાને અંતે ગામની બહાર રાજુની પાસેથી સંતોષ મેળવ્યાનો પ્રસંગ છે તે સમજી શકાતો નથી. એ નર્યા ઊર્મિમાંદ્ય-(મોર્બિડિટી)નું આલેખન લાગે છે અને વાર્તા માટે એવું આલેખન અનિવાર્ય નથી, પ્રસ્તુત નથી. વાર્તાને એ પ્રસંગથી પોષણ મળતું નથી, ચોખ્ખી હાનિ પહોંચે છે. વર્ણનોમાં સંયમ અને સમતુલા સચવાયાં છે, પણ ક્યારેક પ્રદર્શનવૃત્તિ ડોકિયાં કરી જાય છે. ‘તાંબાના બેડા’ની વાત કથાપટમાં પ્રસ્તુત લાગે છે, પણ ‘બાવાજીની લંગોટી’ની તેર પાનાંની આડકથા – સુંદર રીતે કહેવાઈ હોવા છતાં અને છેલ્લે તાંતણો મેળવવાનો યત્ન થયો હોવા છતાં – પ્રસ્તુત નથી. પુસ્તકમાં છાપભૂલો બેશુમાર છે. લોકબોલીના લહેકા પકડી જ ન શકાય એ રીતે અનેક વાક્યો છપાયાં છે. આપણા પ્રકાશકોએ ભાષાની ચીવટવાળા જાણકારો પાસે અગાઉથી પુસ્તકો જોવરાવવાની પશ્ચિમની પ્રણાલિકાને વિનાવિલંબે અનુસરવું જોઈએ. ‘માનવીની ભવાઈ’ જેવા ભાષાનું ધન વધારનારા ‘સરસ્વતીચંદ્ર’ પછીના એક મહત્ત્વના કથા ગ્રંથનો શબ્દદેહ તો નખશિખ સુઘડ હોવો જોઈએ.[3]

ડિસેમ્બર ૧૯૪૭
પાદટીપ

  1. લેખક પન્નાલાલ પટેલ.
  2. ‘ભાંગ્યાના ભેરુ’ (૧૯૫૭)માં કથા આગળ ચાલે છે અને હજી આગળ વધવાની શક્યતા છે.
  3. લેખક લોકભાષામાં ‘માનવીની ભવાઈ’ એવો પ્રયોગ થતો હોવા અંગે નિવેદનમાં ઉલ્લેખ કરે છે. “ભવની ભવાઈ” લોકોમાં રૂઢ હોય એમ લાગે છે. સરખાવો : ગોવર્ધનરામકૃત ‘લીલાવતી-જીવનકલા’ ખંડક ૬૦ (૩-૪-’૬૦)

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(નિરીક્ષા)