સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કિશોરલાલ મશરૂવાળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કિશોરલાલ મશરૂવાળા

[બુદ્ધ આ દેશના જ નહિ પણ સારી દુનિયાના મહાપુરુષોમાંનાએક છે. એમના જીવનથી કયો વિદ્યાર્થી અજાણ હશે? દુનિયામાં બુદ્ધ પછી ઘણા ઘણા ફેરફારો થયા છે. આજકાલ લોકોને ધર્મમાં શ્રદ્ધા પહેલાંના જેવી નથી. છતાં બુદ્ધિજીવી યુવક વર્ગને પ્રાચીન કાળના મહાજનોમાંથી બુદ્ધનું ચારિત્ર્ય હજી આકર્ષતું રહ્યું છે. બુદ્ધ અને પૂર્ણના સંવાદમાંથી માણસમાં રહેલી સારપ માટેની શ્રદ્ધા બુદ્ધના શિષ્યમાં કેટલા અસરકારક પ્રમાણમાં છે તે દેખાશે. શિષ્યમાં એવી શ્રદ્ધા પ્રેરનાર બુદ્ધની તો વાત જ શી કરવી? બુદ્ધ આનંદને સમજાવે છે એ પ્રસંગ સહનશક્તિના વિજયને વર્ણવે છે. આનંદ તે બુદ્ધના પ્રિય અને પટ્ટ શિષ્ય હતા. શ્રીવસ્તી નગરીનો પ્રસંગ તે બુદ્ધની સત્ય માટેની અટલ શ્રદ્ધા બતાવે છે. સત્ય પોતે પ્રકાશે તે દરમ્યાન કેવી સહનશીલતા કેળવવી જોઈએ — રાજદંડને ભોગે પણ — તે દર્શાવે છે. શિષ્ય દેવદત્તની વાર્તામાંથી બુદ્ધની પ્રેમભાવના અને ક્ષમાવૃત્તિનો અનુભવ થાય છે. પેગંબરોના શિષ્યોમાં કેટલાક ફૂટલ નીકળે છે. ઈશુખ્રિસ્તના બાર શિષ્યોમાંનો એક જુડાસ જ તેમને મારનારાઓના હાથમાં સોંપનાર હતો. આપણા ગુજરાતના મહાપુરુષ હેમાચાર્યના મુખ્ય શિષ્યો રામચંદ્ર-બાલચંદ્રની હરીફાઈ અને બાલચંદ્રનું વર્તન તે દેવદત્ત જોડે સરખાવવા જેવું છે. (શિક્ષકની મદદથી કે ‘પ્રબંધચિંતામણિ’માંથી જાણવા પ્રયત્ન કરવો.) બુદ્ધ એટલે જાગેલા, જેને જ્ઞાન થયું છે તે. તેમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. જે વૃક્ષ નીચે તેમને જ્ઞાન થયેલું તેનું નામ બોધિવૃક્ષ પડ્યું હતું. સંઘ એટલે બૌદ્ધધર્મના ભિખ્ખુઓનો સમુદાય. તેની વ્યવસ્થા લોકશાસનની પદ્ધતિએ ભિખ્ખુઓ પોતે જ કરતા. તેથી તેને સંઘ કહેતા. વિદ્વાનો કહે છે કે સંઘ શબ્દ મૂળ તો લોકશાસનની પદ્ધતિથી ચાલતાં પ્રજાસત્તાક રાજ્યો માટે વપરાતો. તે ઉપરથી ગૌતમબુદ્ધે પોતાના ભિખ્ખુ સમુદાય માટે એ શબ્દ વાપર્યો. સંઘનું માહાત્મ્ય કેટલું છે તે બૌદ્ધધર્મની ત્રણ મુખ્ય પ્રતિજ્ઞામાં તેનો સમાવેશ કર્યો છે તે પરથી સમજાશે. (૧) बुद्धं सरणं गच्छामि । (૨) धम्मं सरणं गच्छामि । (૩) संघं सरणं गच्छामि । એટલે કે ૧. બુદ્ધને, ૨. ધર્મને અને ૩. સંઘને શરણે જાઉં છું એમ ભિખ્ખુને પ્રતિજ્ઞા કરવી પડતી.]