૮૬મે/શું તમારું મન મેલું નથી?

શું તમારું મન મેલું નથી?

હૃદયથી કહો, શું તમારું મન મેલું નથી?
જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે એ ઘેલું થાય તો યે તમે તો ક્હેશો,
‘ના, એ ઘેલું નથી.’

જો જે ને તે એને તરડતું હોય,
જેને ને તેને એ ખરડતું હોય;
તો એને ગંગાજળથી ધોવાનું, કમલપત્રથી લ્હોવાનું કંઈ સ્હેલું નથી.

જો કોઈની કાયા-છાયા જોઈ હોય,
કોઈની આંખોમાં આંખો પ્રોઈ હોય;
તો એ કળણમાં ખૂંપવામાં ને એ કાદવમાં છૂપવામાં શું એ પ્હેલું નથી?

૨૦૧૨